Saturday, February 26, 2011

આજથી બમ બમ ભોલેના નાદ સાથે શિવરાત્રિના મેળાનો પ્રારંભ.

Saturday, February 26
Source: Bhaskar News, Junagadh 
- ભવનાથ તળેટીમાં પાંચ હજાર સંતોનું આગમન
ભવનાથ તળેટીમાં સદીઓથી દર વર્ષે યોજાતો મહાશિવરાત્રિનો મેળો આવી પુગ્યો છે. આવતીકાલે સવારે સંતો-રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં ભવનાથ મહાદેવ મંદિર ઉપર ધજા ચઢશે. એ સાથે જ મેળો શરૂ થઈ જશે. મેળાનાં મુખ્ય આકર્ષણ સમા નાગાબાવાઓનુ ભવનાથ તળેટીમાં આગમન થઈ ચૂક્યું છે.
ભવનાથ મહાદેવ મંદિરે સવારે ૭:૩૦ વાગ્યે મુખ્ય મંદિરે ધજા ચઢાવાશે એ સાથે જ મહાશિવરાત્રિનાં મેળાનો દબદબાભેર પ્રારંભ થશે. આ તકે જુના અખાડાનાં મહામંડલેશ્વર વિશ્વંભર ભારથીજી, અગ્નિ અખાડાનાં સભાપતિ ગોપાલાનંદજી, મોટા પીરબાવા તનસુખગીરીજી, ત્રિલોકીનાથનાં મહંત શેરનાથજી, આવાહન અખાડાનાં સંતો, જિલ્લા કલેક્ટર આશીર્વાદ પરમાર, એસ.પી.નિલેશ ઝાંઝડીયા, મેયર કેપ્ટન સતીષ વીરડા, ડે.મેયર ગીરીશ કોટેચા, ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ વગેરે ઉપસ્થિત રહેશે.
દરમ્યાન મેળામાં ભાગ લેવા માટે ભવનાથ તળેટીમાં જુદા જુદા અખાડાઓનાં આશરે પાંચ હજાર સંતોનું આગમન થઈ ચૂક્યું છે. આ સંતોએ જુના અખાડા, અગ્નિ અખાડા, આવાહન અખાડા ઉપરાંત જુના અખાડાથી પ્રેરણાધામ સુધીનાં રસ્તાની સાઈડે ધૂણી ધખાવી દીધી છે. તળેટીમાં અત્યારથી જ બમ બમ ભોલેનાં નાદ ગુંજી રહ્યાં છે. અને મેળાનો માહોલ જામી રહ્યો છે.
મેળા દરમ્યાન ઉતારાઓ, અન્નક્ષેત્રો અને ધાર્મિક જગ્યાઓમાં રસોડાં સહિતનાં કામોમાં સેવાકાર્યો માટે સ્વયંસેવકો પણ આવી રહ્યાં છે. અનેક ઉતારાઓમાં જો કે, હજુ સુધી સામાન આવી રહ્યો છે. ગિરનાર રોડ ઉપર ટ્રાફિકની અવર જવર આજથી જ વધી ગઈ છે.
વેરાવળ-જુનાગઢ વચ્ચે વધારાની ટ્રેન -
રેલવે દ્વારા શિવરાત્રિનાં મેળા માટે ખાસ મીટરગેજ ટ્રેન વેરાવળ જુનાગઢ વચ્ચે શરૂ કરાશે. તા.૨૭ ફેબ્રુ. થી ૪ માર્ચ દરમ્યાન આ ટ્રેન દોડશે. જે વેરાવળથી બપોરે ૩:૧૫ વાગ્યે ઉપડશે અને જુનાગઢથી સવારે ૧૦ :૪૫ વાગ્યે ઉપડશે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-shivratri-fair-start-with-bum-bum-bole-from-today-1884703.html

ત્રણ ડાલામથ્થાઓએ યુવાન પર હુમલો કર્યો

Source: Bhaskar News, Una  
Saturday, February 26, 2011
- સાવજોના ઓચિંતા આક્રમણથી અન્ય બે યુવાનો જીવ બચાવવા ઝાડ પર ચડી ગયા
ઊના તાલુકાનાં ભાચા ગામની સીમમાં આવેલી આંબાવાડીમાં એક સાથે ત્રણ સિંહો આવી ચડયા હતા. અને વાડીમાં કામ કરી રહેલા યુવાન પર હુમલો કર્યો હતો. ડાલા મથ્થાનાં ઓચીંતા આક્રમણથી અન્ય બે યુવાનો ઝાડ પર ચડી ગયા હતા.
આ અંગેની વિગત એવી છે કે તાલુકાના ભાચા ગામની સીમમાં વાજડી જતા રોડ પર આવેલા ખેતરમાં આજે વહેલી સવારે ત્રણ સિંહો ખોરાકની શોધમાં આવી ચડયા હતા. એ વખતે આંબાવાડીનો ઈજારો રાખેલ ઈજારાદાર તથા મજુરો ખેતરમાં કામ કરવા ગયા હતા. ત્યારે અચાનક આંબાના ઝાડ નીચે ત્રણ ત્રણ ડાલામથ્થાઓને જોઈ જતા જીવ બચાવવા ભાગવા ગયેલા કેશુ કાળુ ખસીયા (ઉ.વ.૨૧, રે.મોઢ) ઉપર સિંહે હુમલો કરી નોર ભરાવતા આ યુવાન પડી ગયો હતો. જ્યારે તેની સાથેના અન્ય શખ્સોએ હાકલા પડકારા કરતા સાવજો બાજુની ઝાડીમાં છુપાઈ ગયા હતા.
બીજી તરફ સિંહે કરેલા હુમલાના ડરથી અન્ય બે યુવાનો ખેતરમાં આવેલા આંબાના ઝાડ પર ચડી ગયા હતા. જ્યારે ઈજા ગ્રસ્ત યુવાનને તાત્કાલીક ઊના હોસ્પિટલે સારવાર અર્થે ખસેડયો હતો. આ અંગેની જાણ વનવિભાગને થતા તેઓ હોસ્પિટલે પહોંચ્યા હતા. અને વનખાતાના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી સિંહોનું લોકેશન મેળવવા પ્રયત્નો કર્યા હતા. સવારમાંજ ભાચા ગામની સીમમાં સાવજોએ દર્શન દેતા લોકોમાં ભયનું લખલખુ પ્રસરી ગયું હતું.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-three-lions-attack-on-young-man-1884740.html

સિંહણને પામવા બે સિંહ વચ્ચે ખેલાયો 'મહાસંગ્રામ'

Saturday, February 26, 2011
Source: Bhaskar News, Dhari
- ધારીના દલખાણિયા ગામ નજીક ખેતરમાં ડાલામથ્થા ઘાયલ
- એકબીજા પર પંજાથી પ્રહાર કરતા બન્ને ડાલામથ્થા ઘાયલ થતાં પાંજરે પૂરી સારવાર આપવી પડી
પ્રેમના મામલે સાવજો મનુષ્ય કરતાં વધુ ઇમાનદાર હોય છે. પોતાની પસંદગીની પ્રેમિકા પર કોઇ નજર પણ નાખે તો ડાલામથ્થા તે સહન કરી શકતા નથી. આવી જ એક ઘટના ધારી નજીક આવેલા દલખાણિયા ગામની સીમમાં બની હતી.
એક સિંહ-સિંહણ મેટિંગ પીરિયડમાં મશગૂલ હતા ત્યારે અન્ય એક સાવજ ત્યાં આવી ચડતાં બન્ને નર સિંહ વચ્ચે મહાસંગ્રામ ખેલાયો હતો. દલખાણિયા ગામ નજીકના વિસ્તારમાં પાંચ સિંહ-સિંહણે ધામા નાખ્યા છે. દરમિયાન એક સિંહ યુગલ મેટિંગ પીરીયડમાં હતું. ત્યારે અન્ય એક નર સિંહે તેમાં ખલેલ પહોંચાડતા સિંહણ સાથે લાંબા સમયથી પ્રેમાલાપ કરતો કદાવર ડાલામથ્થો ગુસ્સે ભરાયો હતો અને તેની સાથે યુદ્ધે ચડ્યો હતો.
બન્ને સાવજો વચ્ચે ખૂંખાર જંગ ખેલાયો હતો. જેમાં બન્ને ઇજાગ્રસ્ત થયા હતા. ઇનફાઇટમાં બે સાવજો ઘાયલ થયાની જાણ થતાં બન્નેને પકડી લઇ ધારીના ભૂતબંગલે લાવીને સારવાર આપી બન્નેને જંગલમાં છોડી મૂકવાની કાર્યવાહી હાથ ધરી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-to-get-lioness-battle-between-two-lion-1884680.html

આજથી શિવરાત્રિ મેળાનો પ્રારંભ, સવારે ધ્વજારોહણ.

જૂનાગઢ, તા.૨૫
ભવનાથ તળેટીમાં શિવરાત્રિના મેળાનો માહોલ ધીમે ધીમે ઉભો થઈ રહ્યો છે. આવતીકાલે શનિવારે સવારે આઠ વાગ્યે ભવનાથ મંદિર ખાતે સાધુ-સંતો અને આગેવાનો તથા અધિકારીઓની હાજરીમાં ધ્વજારોહણ થયા બાદ શિવરાત્રિનાં મેળાનો પ્રારંભ થશે. મૂખ્ય મંદિર બાદ મેળામાં ભાગ લેનાર ત્રણ મૂખ્ય અખાડા જૂના અખાડા, આવાહન અખાડા અને અગ્નિ અખાડામાં ધ્વજા રોહણ કરાશે. મેળામાં મૂખ્ય મહત્વ ધરાવતા દિગમ્બર સાધુઓ તેના નિયત સ્થળો પર ધુણા ધખાવીને અલખની આરાધનાની તૈયારીઓ કરી રહ્યા છે.
  • ૩૫૦થી વધુ અન્નક્ષેત્રો ધમધમી ઉઠયા : ભાવિકા પ્રવાહ શરૂ 
શિવરાત્રિના મેળા દરમિયાન વિવિધ આશ્રમો, જ્ઞાતિ સમાજ અને સંસ્થાઓ દ્વારા સાડા ત્રણસોથી વધુ અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવે છે.  હાલમાં આ કાર્યકરો અને ભાવિકો મળીને આશરે રપ હજાર જેટલા લોકો ભવનાથ તળેટીમાં એકત્ર થઈ ગયા છે. મેળા માટે વન વિભાગ દ્વારા સુકા લાકડાનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. મનોરંજન માટે તથા ખાણી-પીણીના સ્ટોલ શરૂ કરી દેવામાં આવ્યા છે.
આવતીકાલથી મેળાનો માહોલ જામવા માંડશે
જૂનાગઢ એસ.પી. નિલેશ ઝાંઝડીયાના માર્ગદર્શન હેઠળ પાંચ ડીવાયએસપી, પીઆઈ, ૪૯ પીએસઆઈ, ૬પ૦ કોન્સ્ટેબલ, પ૦૦ હોમગાર્ડ સહિતનો કાફલો મેળાના બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાનું ખાસ સુરક્ષા કવચ મેળાને આપવામાં આવ્યું છે. તથા મેળાને ૬ ઝોનમાં વિભાજીત કરીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી તરફ મેળામાં રાહત દરે સુકા લાકડા પુરા પાડવાની સાધુ-સંતોની માગણી સંદર્ભે વનવિભાગ દ્વારા ૧૦૦ ટન સુકા લાકડા પુરા પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=266300

Friday, February 25, 2011

મહાશિવરાત્રિના મેળા માટે ભવનાથમાં તૈયારીઓનો ધમધમાટ.

જૂનાગઢ, તા.૨૩:
જીવ માટે શિવની આરાધનાના મહાપર્વ સમાન જૂનાગઢના શિવરાત્રિના મેળાની આગામી શનિવારના રોજથી શરૃઆત થઈ રહી છે. મેળામાં ભાગ લેતા મૂખ્ય ત્રણ અખાડાના દિગમ્બર સાધુઓનું આગમન શરૃ થઈ ગયું છે. તો મેળાની આગવી ઓળખ સમાન અન્નક્ષેત્રો માટે અનાજનો પૂરવઠો લાવવાની શરૃઆત થઈ ચૂકી છે. જ્ઞાતિ સમાજ અને આશ્રમોના ઉતારામાં સેવકો દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. બીજી તરફ તંત્રએ પણ મેળા માટે કમ્મર કસી છે. ગઈ કાલે કલેક્ટરના અધ્યક્ષ સ્થાને મેળા સાથે સંકળાયેલા તમામ તંત્રના અધિકારીઓની એક બેઠક મળી હતી. ભજન-ભોજન-ભક્તિના ત્રિવેણી સંગમ સમાન મહાશિવરાત્રિનો મેળો તા.ર૬ ના રોજ સવારે ભવનાથ મંદિરે ધ્વજારોહણ સાથે વિધિવત રીતે શરૃ થઈ જશે. પાંચ દિવસ ચાલતા આ મેળામાં સૌરાષ્ટ્ર અને ગુજરાતભરમાંથી લાખ્ખો ભાવિકો ભાગ લેશે. મહાશિવરાત્રિના મેળામાં જૂના, આવાહન અને અગ્નિ એમ ત્રણ અખાડાના દિગમ્બર  સાધુઓનું ભવનાથ તળેટીમાં આગમન શરૃ થયું છે.
મેળાની બીજી ઓળખ અન્નક્ષેત્રો છે. પાંચ દિવસમાં લાખ્ખો ભાવિકો ગિરિતળેટીમાં શિવ આરાધનાની સાથે પ્રસાદરૃપી ભોજન કરે છે. મેળામાં સવા સો થી વધુ અન્નક્ષેત્રો વિવિધ આશ્રમો, ર્ધાિમક સંસ્થાઓ તથા જ્ઞાતિ સમાજના ઉતારા દ્વારા શરૃ કરવામાં આવે છે. આ અન્નક્ષેત્રો માટેની તૈયારી હાથ ધરવામાં આવી છે. સાથે સાથે ઉતારામાં ભાવિકો માટે રહેવાની જગ્યાની ગોઠવણ કરાઈ રહી છે.
મેળાની એકંદર વ્યવસ્થા જાળવતું તંત્ર સજ્જ થઈ રહ્યું છે. ગઈકાલે જિલ્લા કલેક્ટર આશિર્વાદ પરમારના અધ્યક્ષસ્થાને એક બેઠક મળી હતી. જેમાં મહામંડલેશ્વર ભારતીબાપુ, અંબાજી મહંત તનસુખગીરીબાપુ, ઈન્દ્રભારતીબાપુ વગેરે સંતો દ્વારા વિવિધ રજૂઆતો કરવામાં આવી હતી. ખાસ કરીને ડિમોલીશન બાદ હવે મેળામાં આવતા ભાવિકો માટે લાઈટ, પાણી અને રહેવાની સુવિધા જળવાઈ રહે તે માટેની માગણીઓ કરાઈ હતી. અને બે દિવસમાં શક્ય તમામ સુવિધા ઉભી કરી દેવા તંત્રએ ખાતરી આપી છે. મેળામાં આવતા ભાવિકો ગિરનાર પર્વત પર પણ દર્શનાર્થે જતા હોય છે.
સમગ્ર ભવનાથ વિસ્તારમાં મેળા દરમિયાન રાઉન્ડ ધ ક્લોક સફાઈ કામગીરી શરૃ રાખવાથી માંડીને ભાવિકો માટેની તમામ સુવિધા મહાનગર પાલિકા દ્વારા ઉભી કરવામાં આવશે. તેવી ખાતરી મેયર સતિષભાઈ વિરડા અને ડે.મેયર ગિરીશભાઈ કોટેચા દ્વારા આ બેઠકમાં આપવામાં આવી હતી.
દરમિયાન મહાશિવરાત્રિના મેળા સંદર્ભેની મળેલી બેઠકમાં  સાધુ-સંતોની ગરિમા જળવાય અને ભાવિકોને કોઈ મૂશ્કેલી ન પડે તે માટે તમામ સુવિધા આપવા માટે કલેક્ટર દ્વારા સૂચનાઓ આપવામાં આવી હતી. સાધુ-સંતો વતી મહંત ઈન્દ્રભારતીબાપુએ તંત્રને જરૃર પડે ત્યા સંતો પણ મદદ માટે આવશે તેવી ખાતરી આપી હતી.
મહાશિવરાત્રિના મેળામાં આવતા લાખ્ખો ભાવિકો ગિરનાર પર્વત પર પણ દર્શનાર્થે જતા હોય છે. માટે ગિરનારની સીડી પર ટ્રાફિક વ્યવસ્થા જળવાઈ રહે તે માટે મેળા દરમિયાન સીડી પણ એક માર્ગીય જાહેર કરવામાં આવી છે. ગિરનાર પર જવા માટે મૂખ્ય સીડી અને ઉતરવા માટે ભરતવન-શેષાવન વાળી જૂની સીડી નિયત કરવામાં આવી છે.
મેળામાં વાહનો માટેની ર્પાિંકગ વ્યવસ્થા
જૂનાગઢ : મહાશિવરાત્રિના મેળામાં  ટ્રાફિક નિયમન જળવાઈ રહે તે મહાનગર પાલિકા સંચાલિત સિટી બસ માટે રૃપાયતનના પાટીયા પાસે, જિલ્લા પંચાયતના ગેસ્ટ હાઉસ સામે, એગ્રિકેમ્પસની વાડીના પૂર્વ ભાગ તરફ તથા એસ.ટી.બસ માટે એગ્રી કેમ્પસની વાડીમાં ર્પાિંકગ વ્યવસ્થા રહેશે. જ્યારે ઓટોરિક્ષાઓ માટે એગ્રી કેમ્પની વાડીની પશ્ચિમ દિશા તરફ, મોટરસાઈકલો માટે દૂધેશ્વરથી પશ્ચિમ દિશામાં ર્પાિંકગ સ્ટેન્ડ નક્કિ કરાયા છે. ફોરવ્હિલ વાહનો માટે પ્રકૃતિધામ પટેલ સમાજની વાડીમાં ર્પાિંકગ રાખવામાં આવ્યું છે. અને ભારે વાહનો માટે સાયન્સ મ્યુઝીયમની સામે મહાપાલિકાની જગ્યા તથા નિચલા દાતાર પાસેના મેદાન સહિતના સ્થળો પર ર્પાિંકગ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.
પશુગાડીઓ તળેટીમાં લઈ જવા પર પ્રતિબંધ
જૂનાગઢ : મેળા દરમિયાન ભવનાથ વિસ્તારમાં જતા રસ્તાઓ પર ટ્રાફિક ન અવરોધાય તે માટે તા.રપ થી ૩ સુધી ઉંટગાડી, બળદગાડી કે ઘોડાગાડી જેવા વાહનો ગિરનાર દરવાજાથી મેળા તરફ આગળ ઉપર લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે.
શિવરાત્રિના મેળા માટે સાધુ-સંતો દ્વારા કરાયેલી રજૂઆત
  • મેળા દરમિયાન ખૂણે ખૂણે નિયમીત સફાઈ થવી જરૃરી
  • ઉતારા માટે દરજ્જા પ્રમાણે જગ્યા ફાળવવી
  • ઉતારાની જગ્યા ફાળવણીમાં વ્હાલા-દવલાની નિતિ ન રખાય
  • ભવનાથમાં પૂરતા પ્રમાણમાં બાથરૃમ-શૌચાલયોની વ્યવસ્થા કરવી
  • સાધુ-સંતોને ધુણા માટે પુરતા પ્રમાણમાં સુકા લાકડા પુરા પાડવા
  • રવેડી માટે યોગ્ય વ્યવસ્થા ગોઠવવી
  • ગિરનાર પર વિનામુલ્યે પીવાના પાણીની વ્યવસ્થા કરવી
  • ગિરનારી જર્જરીત સીડી સત્વરે રિપેર કરવી
  • ગિરનાર પર નિયમીત લાઈટની વ્યવસ્થા કરવી

સાડા પાંચ ફૂટનો ખૂંખાર દીપડો મારણની લાલચે પાંજરામાં કેદ.

વેરાવળ તા.૨૦ :
વેરાવળ-સુત્રાપાડા પંથકમાં દિપડાનો ત્રાસ વધી ગયો છે. ચાર દિવસ પહેલા એક ગાયનુ મારણ કરનાર દિપડાને વનવિભાગે પાંજરૃ ગોઠવી ગઇ રાત્રીના આબાદ ઝડપી લેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. હજુ પણ લોઢવા અને બોસનમાં વન વિભાગ દ્વારા દીપડાને પકડવા પાંજરા ગોઠવવામાં આવ્યા છે.
વેરાવળ સુત્રાપાડા પંથકના ગ્રામ્ય વિસ્તારની વાડીઓમાં દિપડા વસવાટ કરવા લાગ્યા હોઈ તેમ રોજ લગભગ રોજિંદી ફરિયાદો વનવિભાગને મળી રહી છે. ચાર દિવસ પહેલા સુત્રાપાડાના અમરાપુર ગામે પ્રતાપભાઇ લાખાભાઇ બારડની વાડીમાં દિપડાએ પ્રવેશી ગાયનુ મારણ કર્યુ હતું.
આ અંગે વનવિભાગમાં ફરિયાદ કરતા વેરાવળ આરએફઓ પડશાલાના માર્ગદર્શન હેઠળ સુત્રાપાડા ફોરેસ્ટર એન.એચ.પટેલ તથા આઇ.એ. સમેજા અને ટીમે મારણ સાથે પાંજરૃ મૂકતા મારણની લાલચે પાંચ વર્ષનો ખૂંખાર  દિપડો આબાદ ઝડપાઇ ગયો હતો. આ દિપડો સાડા પાંચ ફુટ લાંબો અને ભારે ઘૂરકિયા કરતો જોવા મળ્યો હતો. આ દિપડાને સાસણ ગીર અનિમલ કેર સેન્ટરમાં ખસેડાયો છે. દિપડો પકડાઇ જતા ગ્રામજનોમાં હાશકારાની લાગણી છવાઇ હતી. હજુ પણ લોઢવા અને બોશનમાં આ અંગે ફરિયાદ મળતા દિપડાને પકડવા માટે પાંજરૃ ગોઠવી દેવાયાનું જાણવા મળ્યુ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=264938

સક્કરબાગમાં બે બાળ ઘુડખરનું આગમન થયું.

 જૂનાગઢ, તા.૧૮
વિશ્વભરમાં એક માત્ર કચ્છના રણમાં ઘૂડખર જોવા મળે છે. લુપ્ત થતી આ પ્રજાતિના બે બાળ ઘુડખરનું જૂનાગઢ સક્કરબાગ ઝૂ માં આગમન થતાં ઘૂડખરની સંખ્યા વધીને ૧૪ સુધી પહોંચી છે. સક્કરબાગના નિયામક વી.જે. રાણાના જણાવ્યા અનુસાર એક નર અને એક માદા બચ્ચાઓ ઝૂમાં નવા મહેમાન તરીકે આવ્યા છે. આખા ડાબલા(ખરી) વાળી પ્રજાતિના ઘુડખરની માદા એક વર્ષ સુધી ગર્ભ ધારણ કરી રાખ્યા બાદ માત્ર એક જ બચ્ચાને જન્મ આપે છે. રપ વર્ષ સુધીનુું આયુષ્ય ધરાવતા આ પ્રાણીઓનો મૂખ્ય ખોરાક રણ વિસ્તારની ક્ષારીય વનસ્પતિ તથા દેશી બાવળની શીંગ છે. સક્કરબાગમાં ઘુડખરને ગદબ, મકાઈ, જૂવાર વગેરે ખોરાક આપવામાં આવે છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=264474

દીનુ સોલંકી અંગે અલ્કાબહેનની ટિપ્પણીથી રા.સ.માં ગોકીરો.

Source: Agency, New Delhi   |   Last Updated 3:12 PM [IST](24/02/2011)
ગુજરાતમાં માહિતી અધિકારના કાર્યકર્તા અમિત જેઠવાની હત્યામાં ભાજપના સાંસદ સંડોવાયેલા હોવાના કોંગ્રેસી સાંસદના આરોપને પગલે ઉપલા ગૃહોમાં ગોકીરો મચી ગયો હતો. જેના કારણે, ગૃહની કાર્યવાહી નિર્ધારિત સમય કરતા પહેલા જ મોકૂફ કરી દેવામાં આવી હતી.
-અમિત જેઠવાની હત્યા મુદ્દે રાજ્યસભા મોકૂફ
-ભાજપના સાંસદનો ભત્રીજો હત્યામાં સંડોવાયેલ હોવાના આરોપથી ગોકીરો
-પાંચ મિનિટનો સમય બાકી હતો ત્યારે ગૃહને મોકૂફ જાહેર કરવામાં આવ્યું

આજે રાજ્યસભામાં માહિતી અધિકાર અંગેના પૂરક સવાલ પર ચર્ચા કરતી વખતે કોંગ્રેસના સાંસદ અલ્કાબહેન ક્ષત્રીયે આરોપ મુક્યો હતોકે, માહિતી અધિકાર કાર્યકર્તા અમિત જેઠવાની હત્યામાં જુનાગઢથી ભાજપના સાંસદ દીનુ સોલંકીનો ભત્રીજો પ્રતાપ ઉર્ફે શીવા સોલંકી સંડોવાયેલો છે. જેના કારણે, ગૃહમાં ગોકીરો મચી ગયો હતો. ભાજપ અને કોંગ્રેસના સાંસદોની વચ્ચે શાબ્દિક ટપાટપી બોલી હતી. જેના કારણે, રાજ્યસભાના ચેરમેન હામિદ અંસારીએ ઉપલા ગૃહને મોકૂફ જાહેર કર્યું હતું. આ સમયે 11.55 થઈ હતી અને 12.00 વાગ્યામાં પાંચ મિનિટનો સમય હતો, જ્યારે ગૃહને મોકૂફ જાહેર કરવામાં આવ્યું હતું
ઉલ્લેખનીય છેકે, ગયા વર્ષએ જુલાઈ માસમાં માહિતી અધિકાર કાર્યકર્તા અમિત જેઠવાની હત્યા કરવામાં આવી હતી. મૃત્યુના થોડા દિવસો પહેલા જુનાગઢ જિલ્લાના ગીર અભ્યારણ્યમાં ચાલી રહેલા ગેરકાયદેસર ખાણકામ અંગે ગુજરાતની હાઈકોર્ટમાં જાહેર હિતની અરજી દાખલ કરી હતી. તેમણે જુનાગઢથી ભાજપના સાંસદ દીનુ સોલંકીને પ્રતિવાદી બનાવ્યા હતા. એશિયાઈ સિંહોના અભ્યારણ્યમાં ગેરકાયદેસર ખોદકામ માટે શીવા સોલંકી મુખ્ય આરોપી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-debate-over-amit-jethva-in-rajya-sabha-1881527.html

ગીરીતળેટીને સ્વચ્છ રાખવા પ્લાસ્ટિક રાખજો દૂર.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:20 AM [IST](24/02/2011
ભકિત,ભોજન અને ભજનનાં ત્રિવેણી સંગમ એવા મહાશિવરાત્રિનાં મેળામાં દેશનાં ખૂણે-ખૂણેથી લાખો ભાવિકો ઉમટી પડે છે. દર વર્ષે ગિરી તળેટીમાં હજારોટન કચરો-પ્લાસ્ટીક ઠલવાય છે. જે પર્યાવરણ અને પ્રાણી સૃષ્ટિ માટે ખતરનાક છે.
ત્યારે લોકો પ્લાસ્ટીક ત્યજી ઈકો ફેન્ડલી મેળો ઉજવે એ બાબતે સાધુ સંતોએ અપીલ કરી છે. જેના પર ‘દિવ્ય ભાસ્કરે’ ભાર મુકયો સાધુ સંતોએ પણ આ મુદ્દે લોકોને અપીલ કરી છે. લોકો દ્વારા શરૂ થયેલા પ્રયત્નો ક્રાંતિ લાવી શકે. ભાવિકો પોતાનાથી જ શરૂઆત કરી મેળામાં પ્લાસ્ટીક ન લાવી ગિરી તળેટીને સ્વચ્છ અને સુંદર બનાવવામાં સહભાગી બને.
સંસ્થાઓ-છાત્રો આગળ આવે : ગોપાલા નંદજી
મેળામાં લાખો ભાવિકો આવે છે ત્યારે પ્લાસ્ટીક અને કચરાને ગિરી તળેટીથી દુર રાખજો તેમ કહી ભારત સાધુ સમાજનાં ગુજરાત પ્રદેશનાં પ્રમુખ મહંત ગોપાલા નંદજીએ જણાવ્યું હતું કે, મેળા દરમ્યાન પ્લાસ્ટીક અને કચરો ન થાય એ માટે સામાજીક સંસ્થાઓ અને શાળાઓ આગળ આવે તે પણ જરૂરી છે. આ ઉપરાંત તંત્ર દ્વારા પ્લાસ્ટીક પર સદંતર પ્રતિબંધ મુકી દેવો જોઈએ. પરિક્રમા વખતે આવો હુકમ હતો પરંતુ અમલવારી થઈ ન હતી. આ વખતે કરાવવી જોઈએ.
પ્લાસ્ટિક પ્રાણીઓ માટે જોખમી : ઊઠ
પ્લાસ્ટીકનો કચરો જંગલમાં હોય એ વન્યપ્રાણીઓ માટે અતિ જોખમી ગણાય અને આ વખતે ઉતારાઓને પરવાનગી આપતી વખતે જ મેળો પૂર્ણ થયા બાદ પોતાની જગ્યા સાફ કરી હોવાનું પ્રમાણપત્ર વનવિભાગ પાસેથી મેળવવાનું ફરજીયાત બનાવ્યું હોવાનું ડી.એફ.ઓ. અનિતાકર્ણએ જણાવ્યું હતું.
લોકોએ કઈ બાબતોનું ધ્યાન રાખવું ?
- પ્લાસ્ટીકની બેગ, ગુટખા, પાઉચ, પાનમાવાની કોથળી, નાસ્તાની કોથળીઓ વગેરે મેળામાં ન લાવવું.
- કચરો કચરા પેટીમાં જ નાંખવો.
- અન્ય ભાવિકોને પણ કચરો ન કરવા અપીલ કરવી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-plastic-dont-take-in-giri-taleti-for-keep-clean-1878729.html

ગિરનાર રોપ-વેને મંજૂરીઃ વિરોધ અને તરફેણ

Source: Divya bhaskar.com   |   Last Updated 4:33 PM [IST](07/02/2011

- એક વર્ગ તરફેણ કરે છે તો એક વર્ગ વિરોધ કરે છે
ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલય દ્વારા આપવામાં આવેલી મંજૂરીને કારણે જ્યાં સ્થાનિક નાગરિકોમાં આનંદની લાગણી છે ત્યાં કેટલાક લોકો તેનો વિરોધ પણ કરી રહ્યા છે.
ગિરનાર રોપ-વે પ્રોજેક્ટથી ગુજરાત અને ખાસ કરીને સ્થાનિક સ્તરે શું અસર થઈ શકે છે તે અંગે ભાસ્કર ડોટ કોમ દ્વારા મંગાવવામાં આવેલા મંતવ્યમાં નાગરિકોએ પોતાના વિચાર રજૂ કર્યા હતા.

અહી પ્રસ્તુત છે કેટલાક વાંચકોના મંતવ્યઃ
આ ખરેખર આવકારદાયક સમાચાર છે. સ્થાનિક સ્તરે આ પ્રોજેક્ટને કારણે સ્થિતિ સુધરશે. રોપ-વે બનશે તો વધારે પ્રવાસીઓ આવશે અને સ્થાનિકોની આવકમાં પણ વધારો થશે. નવી રોજગારી પણ સર્જાશે.
- અલ્પા ઉનડકટ, જૂનાગઢ

આ પ્રોજેક્ટથી ગિરનારની યાત્રા વધારે સરળ બનશે પણ રોપ-વેમાં બાળકો ઉપરાંત એવા યાત્રાળુઓને જ બેસવાની મંજૂરી મળવી જોઇએ કે જેઓ શારીરિક રીતે અશક્ત છે. આવા પ્રોજેક્ટથી જંગલ વિસ્તારને નુકસાન થવાની સંભાવના પણ રહેલી છે.
- મૌલિક દવે, અમદાવાદ

ગિરનાર જેવા પવિત્ર અને ઐતિહાસિક વારસો ધરાવનારા સ્થળોએ આવા પ્રોજેક્ટથી પવિત્રતામાં ઘટાડો થશે. નાગરિકોએ આ પ્રોજેક્ટનો વિરોધ કરવો જોઇએ.
- બિપીન મહેતા, સુરત

આ ખોટું છે. ગિરનાર રોપ-વેની કોઇ જરુર નથી. રોપ-વે બંધાશે તો ત્યાં વિદેશીઓ પણ આવશે. ગિરનાર એ હિન્દુઓ અને જૈનોનું પવિત્ર તીર્થસ્થાન છે. કદાચ ત્યાં અપવિત્ર પ્રવૃત્તિઓ પણ વધી શકે તેમ છે. જ્યાં પગપાળા જવાની મજા હોય ત્યાં રોપ-વેમાં જવાની મજા નહીં આવે.
- મનિષ દોશી, મુંબઈ
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-RJK--1827786.html