Saturday, April 30, 2011

સાવજોની સલામતી માટે વનવિભાગની કવાયત.

Source: Bhaskar News, Liliya
લીલીયા પંથકમાં વસતા ૨૩ સાવજો તદ્ન અસલામત હોય અને તળાજામાં સિંહના શિકાર જેવી ઘટના અહિં ગેમે ત્યારે બની શકે તેમ હોવા અંગે ‘દિવ્ય ભાસ્કર’માં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ આજે વન કર્મચારી અને અધિકારીઓનો કાફલો અહિં દોડી આવ્યો હતો. અને આ વિસ્તારનાં ખેડૂતોએ કરેલા તાર ફેન્સીંગ-દંગા-વગેરે અંગે સર્વે શરૂ કર્યો છે. અજાણ્યા લોકોની પૂછપરછ શરૂ કરાઈ છે.તંત્ર દ્વારા અહિ સ્ટાફ વધારવા પણ કવાયત શરૂ કરાઈ છે.
તળાજા પંથકમાં સિંહના શિકારની ઘટના બાદ હવે જંગલખાતાએ એ વાતની ગંભીરતા સમજાઈ છે કે લીલીયા પંથકમાં પણ ગમે ત્યારે સાવજનો શિકાર થઈ શકે છે. ‘દિવ્ય ભાસ્કર’માં આ વિસ્તાર કઈ રીતે ચારેય તરફથી ખુલ્લો છે અને શિકારીઓ કઈ રીતે શિકાર કરી કોઈ પણ દિશામાં નાસી જઈ શકે છે તે અંગે અહેવાલ છપાયા બાદ આજે વનતંત્ર હરક્તમાં આવ્યું હતું.
આજે આ વિસ્તારનાં આરએફઓ તુર્ક ઉપરાંત લાઠી, અમરેલી અને બગસરાના આરએફઓને બીટગાર્ડ ફોરેસ્ટ અને વનમિત્રો સહિતનાં સ્ટાફનાં જંગી કાફલા સાથે આ વિસ્તારમાં દોડાવાયા હતા. ૩૫ થી વધુ કર્મચારીઓનો જંગલખાતાનો આ સ્ટાફ સાવજોના રહેઠાંણ વિસ્તારમાં ઘુમી રહ્યો હતો. અહીં સ્ટાફ દ્વારા સર્વે કરવામાં આવ્યો હતો અને સાવજોને કઈ રીતે સલામતી પૂરી પાડી શકાય તેની જાણકારી મેળવી હતીશ.
વનખાતાનાં કર્મચારીઓ દ્વારા અહિં ક્યા ક્યા ખેડૂતો દ્વારા તાર ફેન્સીંગ કરવામાં આવ્યું છે. અને કોઈ ખેડૂત તારમાં વજપિ્રવાહ મુકવામાં આવે છે કે કેમ તેની જાણકારી મેળવવામાં આવી હતી. આ ઉપરાંત ક્રાંકચ, બવાડીથી લઈ ચાંદગઢ સુધીનાં વિસ્તારમાં દંગા નાખીને રહેતા લોકોને પણ ચેક કરવામાં આવ્યા હતા. વનતંત્ર દ્વારા આ વિસ્તારમાં શંકાસ્પદ અવર જવર કરતા લોકોની પૂછપરછ પણ કરવામાં આવી છે. જંગલખાતાનાં અધિકારીઓ નાયબ વન સંરક્ષક એસ.જે.મકવાણા, મદદનીશ વન સંરક્ષક એમ.જે.મકવાણા મદદનીશ વન સરંક્ષક એમ.એમ.મુજા, વગેરેએ ક્રાંકચ .. કણકોટ, જૂના સાવર, કેરાળા, ખાલપર વગેરે ગામની બીટ વિસ્તારમાં વસતા સાવજોની રક્ષા કઈ રીતે કરી શકાય તેની ચર્ચા કરી હતી.
પાણીના પોઈન્ટ પણ ચેક કરાયા
વન અધિકારીઓએ આજે આ વિસ્તારમાં સાવજ માટેનાં પાણીનાં દરેક પોઈન્ટ પણ ચેક કર્યા હતા અને પાણીનાં પોઈન્ટ પર સાવજની સુરક્ષા કઈ રીતે વધારી શકાય તેની ચર્ચા કરી હતી.

દિપડાના આંતકથી બગસરામાં લોકો ભયથી થરથર કાંપ્યા

Source: Bhaskar News, Bagasara 

બગસરામાં ગઇ રાત્રે છેક હુડકો વિસ્તારમાં ઘુસી જઇ એક દિપડો કૂતરાને ઉપાડી જતાં લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. આ બાજુ સીમમાં પાછલા ઘણા સમયથી દિપડો વસતો હોવાનું કહેવાય છે. હુડકો વિસ્તારનાં રહીશોએ દિપડાને પાંજરે પુરવા માંગ કરી છે. બગસરાનાં હુડકો વિસ્તારનાં લોકો દિપડાના ભયથી થરથર કાંપી રહ્યા છે.
આ વિસ્તારમાં ગમે ત્યારે દિપડો આવી ચડતો હોય લોકોનો ડર વ્યાજબી પણ છે. અમરેલી જિલ્લાનાં રેવન્યુ વિસ્તારમાં પાછલા એક દાયકાનાં દિપડાઓની સંખ્યા ખાસ્સી વધી છે. જિલ્લાનાં મોટાભાગનાં તાલુકામાં દિપડાની હાજરી નોંધાઇ છે. ગઇ કાલે બગસરાનાં હુડકો વિસ્તાર સુધી એક દિપડો ઘસી આવ્યો હતો અને એક કુતરાને ઉપાડી ગયો હતો. આ વિસ્તારનાં લોકોનાં જણાવ્યા અનુસાર અહિં ત્રીજી વખત દિપડો દેખાયો છે.
દિપડાનાં વધતા જતાં આંતકના પગલે લોકોમાં ડરનો માહોલ ફેલાયો છે. અહિંનાં લોકોએ આ દિપડાને તાકીદે પાંજરે પુરવામાં આવે તેવી માંગણી ઉઠાવી છે. અહિં દિપડો કોઇ માણસને નિશાન બનાવે તે પહેલા વનતંત્ર તેને પકડવા કાર્યવાહી કરે તેમ લોકો ઇચ્છી રહ્યા છે.

..તો ખાડામાં જ રામ રમી જાત.

Source: Bhaskar News, Kodinar
કોડીનાર તાલુકાનાં રોણાજ ગામની આગળ ભેખેશ્વર ડેમ સાઇટ પાસે એક ખાડામાં એક ૬ ફૂટ લાંબી મગર હોવાનું ડેમનું કામ કરતા મજુરો અને ઇજનેરોની ધ્યાને આવતા આ ઘટનાની જાણ વન વિભાગને અને પ્રકૃતિ નેચર ક્લબનાં દિનેશગીરી ગૌસ્વામી અને જીજ્ઞેશ ગોહિલને કરાતા તેઓ ઘટના સ્થળે દોડી ગયા હતા.
અને જામવાળા રેન્જ ફોરેસ્ટ ઓફીસર પી.ટી. શિયાણીનાં માર્ગદર્શન હેઠળ મગરને સહી સલામત બહાર કાઢવા કવાયત હાથ ધરવામાં આવી હતી.ભારે જહેમતનાં અંતે મગરને બહાર કાઢી પાંજરે પૂરવામાં આવી હતી. આ રેસ્કર્યું ઓપરેશનમાં બુધેશભાઇ, સાસણ મગર ઉછેર કેન્દ્રનાં ધનજીભાઇ ગોહેલ તથા સ્થાનિક ફોરેસ્ટરો જોડાયા હતા.

આખરે ગિરનાર રોપ-વેને કેન્દ્રની આખરી મંજૂરી મળી.

Source: Arjun Dangar, Junagadh
- કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયની બેઠકમાં મળી મંજૂરી
- ભવનાથ રૂટથી જ રોપ-વે શરૂ કરવા કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડની લીલી ઝંડી
સોરઠની પ્રજા માટે લાપસીનાં આંધણ મુકવા જેવા સમાચાર છે. અત્યંત મહત્વનાં એવા ગિરનાર રોપ-વે આડેનો આખરી અંતરાય પણ દૂર થઇ ગયો છે. આજરોજ મળેલી કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડની સ્ટેન્ડિંગ કમિટીની બેઠકમાં આજે ગિરનાર રોપ-વે પ્રોજેક્ટને વાઇલ્ડ લાઇફનાં મામલે લીલી ઝંડી મળી ગઇ છે.
ભવનાથ રૂટ ઉપર જ આ પ્રોજેક્ટને મંજૂરી અપાઇ છે. જેને પગલે જૂનાગઢનાં વિકાસનાં દ્વાર ખુલી ગયા છે. રોપ-વે ને ફાઇનલ મંજૂરી મળ્યાનાં સમાચાર મળતાંજ જૂનાગઢ સહિત સોરઠભરમાં ઉત્સવનો માહોલ છવાઇ ગયો છે. આજે કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડની સ્ટેન્ડિંગ કમિટીની બેઠક દિલ્હી ખાતે મળી હતી. જેનાં એજન્ડાની પ્રથમ આઇટમ ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ ઉપર ચર્ચા શરૂ થઇ હતી. ગુજરાત સરકારનાં વન સચિવ એસ. કે. નંદા અને એચ. એસ. સીંઘ, જૂનાગઢનાં મેયર કેપ્ટન સતીષ વીરડા, ડે. મેયર ગીરીશ કોટેચા પણ તેમાં ઉપસ્થિત રહ્યા હતા. ચર્ચાને અંતે તેમાં ગિરનાર રોપ-વે પ્રોજેક્ટ ઉપર વાઇલ્ડ લાઇફનાં મામલે ભવનાથ રૂટ ઉપર જ મંજૂરી આપી દેવાઇ હતી. જોકે, આ રોપ-વે ની કામગીરી સ્થાનિક કમિટીની દેખરેખ હેઠળ હાથ ધરવાનો આદેશ પણ બોર્ડે આપ્યો છે.
અત્રે નોંધનીય છે કે, ગિરનાર રોપ-વેનાં સ્થળ નિરીક્ષણ માટે કેન્દ્રિય વન અને પર્યાવરણ મંત્રી જયરામ રમેશે જૂનાગઢની મુલાકાત લીધી હતી. બાદમાં તેમણે બોર્ડની બેઠકમાં રોપ-વે ને શરતી મંજૂરી આપી હતી. સાથોસાથ બે માસમાં ગીધોનાં અસ્તિત્વને અસર ન પહોંચે તે માટેનાં પગલાં સુચવવા અને વૈકલ્પિક રૂટ અંગેનો રીપોર્ટ આપવા જણાવ્યું હતું.
જેને પગલે ઉષા બ્રેકોએ વૈકલ્પિક રૂટો ચકાસ્યા હતા. ગીધનાં સંરક્ષણ માટે પણ વિવિધ ઉપાયો સુચવાયા હતા. અને એ રીપોર્ટ કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડને સુપ્રત કરાયો હતો. જેનાં આધારે આજે મળેલી બેઠકમાં ઉપરોકત નિર્ણય લેવાયો હતો.
હવે પ્રદૂષણ બોર્ડની મંજૂરી આસાન : દીપક કપલીસ
આ મંજૂરીને પગલે હવે ઉષા બ્રેકો કંપની રોપ-વેની કામગીરી આગળ ધપાવી શકશે. કેન્દ્રિય પ્રદૂષણ નિયંત્રણ બોર્ડે વાઇલ્ડ લાઇફની મંજૂરી માટેનો મુદ્દો તેમાં સામેલ કર્યો હતો. જે મળી જતાં હવે પ્રદૂષણ બોર્ડની મંજૂરી આડેનાં અંતરાયો પણ દૂર થઇ ગયા છે. એમ ઉષા બ્રેકોનાં દીપક કપલીસે ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.
વાઇલ્ડ લાઇફ મોનીટરિંગ માટે કમિટી રચાશે
કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડે આપેલા આદેશ મુજબ, રાજ્ય સરકાર સ્થાનિક કક્ષાએ વાઇલ્ડ લાઇફ મોનીટરિંગ કમિટીની રચના કરશે. જેમાં રાજ્ય સરકારનાં, ઉષા બ્રેકોનાં, એનજીઓનાં અને સ્થાનિક પ્રતિનિધી સામેલ રહેશે. કમિટી પાંચ થી સાત સભ્યોની બનશે.
Source: http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-girnar-ropeway-project-get-final-approval-from-central-2050408.html

તાલાલામાં ૩.૪ની તીવ્રતાનો ભૂકંપ.

Source: Bhaskar News, Talala
- લોકો ઘરની બહાર દોડ્યા
- સાઉથ-ઇસ્ટ દિશામાં ગુંદરણ-સાસણ વચ્ચે આંચકાનું એપી સેન્ટર નોંધાયું
તાલાલામાં આજે શુક્રવારની સવારે ૮.૧૭ મિનીટે ૩.૪ની તીવ્રતાનો ભૂકંપનો ભારે આંચકો આવતાં લોકો ડરના માર્યા ઘરની બહાર દોડી ગયા હતા. શહેર ઉપરાંત આસપાસનાં ગામડાંની ધરા પણ ધ્રુજી ઉઠી હતી. આંચકાનું એપી સેન્ટર તાલાલાથી ૨૦ કિ.મી. દૂર સાઉથ-ઇસ્ટ દિશામાં ગુંદરણ-સાસણ ગામ વચ્ચે નોંધાયું હતું.
તાલાલામાં અગાઉ શિયાળામાં ધરતીકંપના હળવા આંચકા આવતાં રહેતા હતા. પરંતુ હવે ઉનાળામાં પણ ભૂકંપનાં આંચકાનો સીલસીલો શરૂ થતાં લોકોમાં ગભરાટ છવાયો છે. આજે શુક્રવારની સવારે ૮.૧૭ મિનીટે અચાનક ધરા ધણધણવા લાગતાં તાલાલા પંથકનાં લોકો ભયનાં માર્યા ઘરની બહાર દોડી ગયા હતા.
ગાંધીનગર સ્થિત સિસ્મોગ્રાફી સેન્ટરનાં જણાવ્યા મુજબ મશિનમાં આ ભૂકંપની તિવ્રતા ૩.૪ની નોંધાઇ હતી. જ્યારે આંચકાનું એપી સેન્ટર તાલાલાથી ૨૦ કિ.મી. દૂર સાઉથ-ઇસ્ટ દિશામાં ગુંદરણ-સાસણ(ગીર) વચ્ચે નોંધાયું હતું. ભૂકંપના ભારે આંચકાથી તાલાલા અને આસપાસનાં ગામડાની ધરા ધ્રુજવા સાથે મકાનો હલબલિ ઉઠ્યા હતા. કાંધીમાં રહેલાં ઠામ-વાસણો નીચે ગબડી પડ્યા હતા. થોડા દિવસના વિરામ બાદ ભૂકંપે તાલાલા પંથકની ધરતીને ફરી ધ્રુજાવતાં લોકો ફફડી ઉઠ્યાં હતા.
આ ભૂકંપની અસર ગીર બોર્ડરનાં વિસાવદર, માળિયા હાટીના અને મેંદરડા તાલુકાનાં ગામડાઓમાં પણ જોવા મળી હતી. વિસાવદરનાં રતાંગ, લીમધ્રા, બરડીયા, માળિયા હાટીનાનાં અમરાપુર તથા મેંદરડાનાં ઇટાળી સહિતનાં ગામડાનાં લોકોએ પણ ધરતીકંપનાં આંચકાનો અનુભવ કર્યો હતો.
ગીર બોર્ડરના વિસાવદર, માળિયા, મેંદરડા પંથકમાં પણ અસર -
આ ભૂકંપની અસર ગીર બોર્ડરનાં વિસાવદર, માળિયા હાટીના અને મેંદરડા તાલુકાનાં ગામડાઓમાં પણ જોવા મળી હતી. વિસાવદરનાં રતાંગ, લીમધ્રા, બરડીયા, માળિયા હાટીનાનાં અમરાપુર તથા મેંદરડાનાં ઇટાળી સહિતનાં ગામડાનાં લોકોએ પણ ધરતીકંપનાં આંચકાનો અનુભવ કર્યો હતો.
શુક્રવારે એક જ દિવસમાં છ ભૂકંપના આંચકા -
રાજ્યમાં ઇન્સ્ટીટ્યુટ ઓફ સિસ્મોલોજીકલ રીસર્ચ સેન્ટરમાં શુક્રવારે એક જ દિવસમાં ભુકંપનાં આંચકા નોંધાયા છે. તાલાલા ગીર અને સાસણમાં સવારે આવેલા ૩.૪નાં ભુકંપના આંચકા પહેલા કચ્છનાં ભચાઉમાં હળવા પાંચ આંચકા પરોઢીયે આવ્યા હતા.
તારીખ------- સમય-------- રીકટર સ્કેલ--------- લોકેશન
૨૯ એપ્રિલ---- ૪.૨૭-------- ૧.૪-------- ભચાઉથી ૧૦ કિ.મી. દૂર૨૯ એપ્રિલ---- ૪.૩૨-------- ૧.૧-------- ભચાઉથી ૧૦ કિ.મી. દૂર૨૯ એપ્રિલ---- ૫.૨૭-------- ૧---------- ભચાઉથી ૧૧ કિ.મી. દૂર૨૯ એપ્રિલ---- ૫.૩૨-------- ૧---------- ભચાઉથી ૧૧ કિ.મી. દૂર૨૯ એપ્રિલ---- ૭.૪૦-------- ૧.૯-------- ભચાઉથી ૨૦ કિ.મી. દૂર૨૯ એપ્રિલ---- ૮.૧૭-------- ૩.૪-------- સાસણ ગીર આસપાસ
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-earthquake-in-talala-of-3-2062689.html

ખાંભા નજીક સીમમાં સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો.

Source: Bhaskar News, Khambha
ખાંભા પંથકમાં બે સિંહણના મોત જેવા માઠા સમાચાર વચ્ચે ખાંભા તાલુકામાં જ એક સિંહણે બે સિંહ બાળને જન્મ દીધાની ઘટના બનતા પ્રકૃતિપ્રેમીઓ ખુશખુશાલ છે. મોટાબારમણની સીમમાં કતારધાર તરીકે ઓળખાતા ડુંગરમાં સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો છે. જંગલખાતુ બચ્ચાના રક્ષણ માટે વિશેષ તકેદારી દાખવે તે જરૂરી છે.
પ્રકૃતિ તેનો નિયમ બખુબી નિભાવ્યે જાય છે. જન્મ અને મરણનું પ્રકરણ સંતુલિત રીતે ચાલ્યે રાખે છે. ખાંભા પંથકમાં કમસોકમ સિંહની બાબતમાં તો ખુબ જ ટુંકા સમયમાં આ સંતુલન નજરે પડ્યું. ખાંભાના કંટાળાની સીમમાં ત્રણ દિવસ પહેલા એક સાથે બે સિંહણના મોત થયાની ઘટના તાજી છે ત્યાં જાણે આ બંને સિંહણની ખોટ ભરપાઇ થતી હોય તેમ ખાંભા પંથકમાંથી જ બે સિંહ બાળના જન્મના સમાચાર આવ્યા છે.
ખાંભા તાલુકાના મોટાબારમણ ગામની સીમમાં કતારધાર તરીકે ઓળખાતા ડુંગરમાં એક સિંહણ બે નવજાન સિંહ બાળ સાથે નઝરે પડી છે. આ બંને સિંહ બાળનો જન્મ એક અઠવાડીયા પહેલા જ થયો હોવાનું લાગી રહ્યું છે. અહિં સિંહણ બચ્ચાને છોડી દુર પણ જતી નથી. આજ છતાં સ્થાનિક લોકોનું ધ્યાન તેના તરફ ગયું છે.જંગલ ખાતા દ્વારા આ સિંહ બાળની સુરક્ષા માટે તકેદારીના પગલા લેવાય તે જરૂરી છે. સિંહ બાળ મોટા થવાનો દર ઘણો નીચો છે અને હાલમાં કાળજાળ ગરમીના દિવસો ચાલી રહ્યા છે ત્યારે વનતંત્ર જાગૃત રહે તેવી પ્રકૃતિપ્રેમીઓની માંગણી છે.
વનતંત્રની બેદરકારીથી નીલગાયનું મોત -
ખાંભા તાલુકાના જીવાપર ગામે ગઇકાલે રવજીભાઇ આણંદભાઇ સુહાગીયાની વાડીમાં એક નીલગાય કુવામાં પડી ગઇ હતી. જંગલખાતાના કર્મચારીઓને આ બારામાં જાણ કરાતા તેનો સ્ટાફ અહિં દોડી આવ્યો હતો. વનકર્મચારીઓએ ઘાયલ નીલગાયને કુવામાંથી બહાર કાઢી ત્યાં જ મુકીને ચાલ્યા ગયા હતાં.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-give-two-childs-birth-near-khambha-1975334.html

'ઇનફાઇટ'માં દીપડાને પતાવી દેતો સાવજ.

Source: Bhaskar News, Una
- જસાધાર રેન્જમાં સિંહ મારણ કરતો હોય અચાનક દીપડો ચડી આવતાં જંગ ખેલાયો હોવાનું વન વિભાગનું અનુમાન
જંગલનો રાજા સિંહ સામાન્ય રીતે તૃણભક્ષી પ્રાણીઓનો જ શિકાર કરે છે. જો આવાં પ્રાણીઓ ન મળે તો માલઢોર તરફ પણ નજર દોડાવે. જોકે, શનિવારે ગીરનાં જંગલની જશાધાર રેન્જમાં રાવલ નદીનાં પટમાં સિંહ-દીપડા વચ્ચે ફાઇટ ટુ ફીનીશ નો જંગ ખેલાયો હતો. જેમાં દીપડાએ જીવ ગુમાવ્યો હતો. સિંહ મારણ કરતો હોય એ સમયે દીપડાએ ત્યાં આવીને ખલેલ પહોંચાડ્યા બાદ આ ઇન્ફાઇટ થઇ હોઇ શકે એમ વન વિભાગ અનુમાન લગાવી રહ્યું છે.
ગીર પૂર્વ વનવિભાગ હેઠળ આવતી જશાધાર રેન્જનાં જંગલમાં શનિવારે બપોરનાં સમયે એક સિંહ અને દીપડો રાવલ નદીનાં પટમાંજ સામસામા આવી ગયા હતા. બંને વચ્ચે ઘુરકિયાં થયા બાદ જંગ શરૂ થઇ ગયો હતો. જંગલમાં આમેય બે ખુંખાર પ્રાણીઓ વચ્ચેનો જંગ ફાઇટ ટુ ફીનીશ નો જ હોય છે. અહીં પણ એવું જ થયું. એક તરફ વનરાજ હતા.
તો બીજી તરફ ચપળ દીપડૉ. આમ છતાં રાજા એ રાજા. દીપડો ગમે તેટલો ચાલાક હોય. સિંહની પ્રચંડ તાકાત પાસે તેની શી વીસાત ? આખરે થવાનું હતું એ જ થયું. આ ઇન્ફાઇટમાં દીપડો મોતને ભેટ્યો. અને સિંહે પોતાની વાટ પકડી. દીપડાનો મૃતદેહ મળી આવતાં અને તેના પર ન્હોર, બચકાં ભરેલાં હોવાનાં નિશાનો જોતાં દીપડાનું મોત સિંહ સાથેની ઇન્ફાઇટમાં જ થયાનું સ્પષ્ટ બન્યું.
મૃત દીપડાની ઉંમર ૧૨ વર્ષની હોવાનું જાણવા મળ્યું છે. કદાચ સિંહ મારણ કરતો હોય એ વખતે દીપડો તેમાં ભાગ પડાવવા આવી જતાં બંને વચ્ચે ઇન્ફાઇટ થઇ હોઇ શકે એમ વનવિભાગનું માનવું છે.
સિંહને શોધવા દોડધામ -
દીપડા સાથેની ઈન્ફાઇટમાં સિંહને પણ ઇજાઓ પહોંચી હોવાની શક્યતાનાં આધારે વન વિભાગે તેનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે.
ખિલાવડમાં થોડા માસ પૂર્વે સિંહ-દીપડાએ સાથે ભોજન કર્યું’તું - 
સિંહ અને દીપડો ક્યારેય સામસામે આવતા નથી. જોકે, થોડા સમય પહેલાં ખિલાવડ ગામની સીમમાં સિંહ અને દીપડાએ એક જ મારણમાંથી સાથે ભોજન કર્યાનો બનાવ પણ બન્યો હોવાનું જાણવા મળ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/article/sau-lion-hunting-leopard-in-infight-2007762.html

ગીરનાં ગામડાંઓમાં સિંહ-દીપડાનો આતંક.

Source: Bhaskar News, Junagadh
- ગામમાં ઘૂસી મારણ કરવાના એક દી’માં ચાર બનાવ બનતા ગ્રામજનો ભયભીત
ગીરના જંગલ વિસ્તાર પાસે આવેલા ગામડાંઓમાં માનવ વસ્તી વચ્ચે પહોંચી સાવજ અને દીપડા જેવા જંગલી પશુઓ દ્વારા મારણ કરવાના બનાવોમાં છેલ્લા કેટલાક દિવસો દરમિયાન અસામાન્ય અને ચિંતાજનક માત્રામાં વધારો થયો છે.
આજે ગીરના વિવિધ વિસ્તારોમાં એક જ દિવસમાં આ પ્રકારના ચાર બનાવો બન્યા હતા. સાવજોએ એક સ્થળે તો એક યુવાનને પણ ઘાયલ કર્યો હતો. ઉનાળામાં ગીરના જંગલમાં જંગલી પશુઓને પૂરતી માત્રામાં પાણી ન મળતું હોવાથી રહેણાક વિસ્તારમાં ઘૂસી આવતા હોવાની ગ્રામજનોની માન્યતા છે. વનતંત્ર આ તમામ બનાવોને ગંભીરતાથી લઇ અને જરૂરી તમામ યોગ્ય કાર્યવાહી કરે તેવી અપેક્ષા ગીરના ગામડાના લોકો રાખી રહ્યા છે.
માળિયા હાટીના પંથકમાં વનરાજોએ બે પશુનાં મારણ કરતાં ખેડૂતોમાં ફફડાટ -
માળીયા હાટીના તાલુકાનાં ભાખરવડ ગામના બાલુભાઈ લાલજીભાઈ મકવાણાની સીમમાં આવેલી વાડીમાં ગત સોમવારની રાત્રીનાં સિંહોનાં ટોળાએ ઘુસી આવી વાછરડાને ફાડી ખાદ્યો હતો. જ્યારે આજે મંગળવારે માળીયાનાં કેરાળા રોડ પર આવેલી હાટી દરબાર નાજાભાઈ કાળાભાઈ કાગડાની વાડીમાં વનરાજોએ આવી ચડી ભેંસ પર હુમલો કરી મોતને ઘાટ ઉતારી હતી. છેલ્લા એક માસ દરમિયાન વનરાજો જંગલ છોડીને ગામડાઓ ખુંદી રહ્યાં છે. જંગલ બોર્ડર હદના ગામડાઓમાં સિંહોની અવર-જવર વધી હોવાથી ખેડૂતો ખેતરોમાં જતા ડરી રહ્યાં છે. બે પશુઓના શિકારને પગલે આરએફઓ ભેડા અને ફોરેસ્ટર એસ.બી.ચાવડાએ આગળની કાર્યવાહી હાથ ધરી છે. આ વન્ય પ્રાણીઓને પાંજરામાં પુરવા લોકોમાં ઉગ્ર માંગ ઉઠી છે.
મંડોરણા (ગીર)માં ૧૪ ફૂટ ઊંચી વંડી ટપી દીપડો વાછરડીને ઉઠાવી ગયો -
તાલાલા તાલુકાના મંડોરણા (ગીર) ગામની વચ્ચે રહેણાંક ધરાવતાં નારણભાઈ કેશવભાઈ વરસાણીનાં મકાનની ૧૪ ફુટ ઉંચી વંડી ટપી દીપડાએ પ્રવેશ કર્યો હતો. અને ફિળયામાં બાંધેલી વાછરડીનો શિકાર કરી તેને ઉઠાવી ગયો હતો. સોમવારનાં રાત્રીનાં બનેલા આ બનાવની સવારે ગામમાં જાણ થતાં લોકો ફફડી ઉઠયા હતા. તાલાલા તાલુકા ભારતીય કિસાનસંઘનાં પ્રમુખ ભરતભાઈ સોજીત્રાએ જણાવ્યું હતું કે, જંગલખાતાએ હવે વન્યપ્રાણીઓની હિફાજત માટેની કામગીરી જંગલને બદલે રેવન્યુ અને માનવ વસતીમાં કરવાની જરૂર છે. વન્યપ્રાણીઓએ જંગલમાં પાણી અને ખોરાક વગર ભુખે મરવા કરતા માનવ વસતી વચ્ચે રહેવાનું હવે મન મનાવી લીધુ હોવાનું જણાય છે. વનવિભાગ જંગલમાં વન્યપ્રાણીઓ માટે પીવાના પાણી તથા ખોરાકની વ્યવસ્થા કરે તે જરૂરી છે.
કાણકિયામાં સિંહણે યુવાનને ઘાયલ કર્યો –
ઊના તાલુકાનાં કાણકીયા ગામની સીમમાં ગોબરભાઇ હાદાભાઇ છેલાણા (ઉ.વ.૩૦) નામનો યુવાન ગત રાત્રીનાં પોતાની વાડીએ સુતો હતો ત્યારે અચાનક એક સિંહણે આવી ચઢી તેની ઉપર હુમલો કરતાં પીઠનાં ભાગે ઇજા પહોંચી હતી. જો કે ગોબરભાઇએ રાડારાડ કરી મુક્તાં સિંહણ નાસી છુટી હતી. ગોબરભાઇને ઊના સરકારી દવાખાને સારવારમાં લઇ જવાયો હતો જ્યાં ફરજપરનાં તબીબે તેને ભયમુક્ત જાહેર કર્યો હતો.
ઝુડવડલીમાં ચાર ગાયોનું મારણ કર્યું -
ગત સોમવારની રાત્રીનાં ઝુડવડલી ગામમાં એક સિંહણ ત્રણ બચ્ચા સાથે આવી એક સાથે બે ગાયોનું મારણ કર્યું હતું. ત્યારબાદ પાદરમાં એક ગાયનું મારણ કર્યું હતું. બે ગાયોના મારણની મજિબાની તો ગામની મધ્યમાંજ માણી હતી. આ ત્રણેય ગાયોનાં મારણને ખાધા બાદ વહેલી પરોઢે સિંહણ તેનાં બચ્ચા સાથે સરપંચ કાંતિભાઇ લવજીભાઇ ઉકાણીનાં આંબાનાં વિશાળ બગીચામાં ચાલી ગઇ હતી. દરમિયાન આજે મંગળવારનાં સાંજનાં ૬ વાગ્યામાંજ સિંહણે ગામના પાદરમાં આવી ચઢી વધુ એક ગાયનું મારણ કર્યું હોવાનું જાણવા મળે છે.

source: http://www.divyabhaskar.co.in/article/SAU-terror-of-lion-and-leopard-in-girs-village-1993634.html

સિંહ માટે એપ્રિલ એટલે ‘યે આરામ કા મામલા હૈ’

Source: Devasi Barad, Ahmedabad
એપ્રિલમાં ગરમી હોવાથી સિંહ જંગલની બહાર જવાનું ઓછું પસંદ કરતો હોય છે
જંગલના રાજા સિંહ માટે અપ્રિલ મહિનો ‘આરામ’નો મહિનો છે. ૧૫ વર્ષમાં સિંહે કરેલા શિકારનું વન વિભાગે સર્વેક્ષણ કર્યું છે, જેમાં એપ્રિલમાં સિંહ આળસુ થઈ જતો હોવાનું તારણ નીકળ્યું છે. અન્ય મહિનાઓની સરખામણીમાં એપ્રિલ મહિનામાં જંગલની બહાર સૌથી ઓછો શિકાર કરે છે. આ માટેનું કારણ આપતાં વન વિભાગનાં સૂત્રો કહે છે કે ગરમી તથા જંગલમાં પાણીની સમસ્યા ન હોવાને કારણે સિંહનું એપ્રિલમાં જંગલની બહાર નીકળવાનું ઓછું થઈ જાય છે. બીજી તરફ ઓગસ્ટ અને ઓક્ટોબર મહિનામાં સિંહ દ્વારા જંગલ બહાર સૌથી વધારે શિકાર થાય છે.
સ્થાનિક વનવિભાગે કરેલા ૧૯૯૫થી ૨૦૧૦ સુધીના સર્વેક્ષણમાં એ પણ તારણ સામે આવ્યું છે કે, ગીર અભયારણ્ય અને અનામત વિસ્તારના પૂર્વ ભાગમાં ડિસેમ્બરથી મે મહિનામાં પશ્ચિમ ગીરમાં જ્યારે જુનથી નવેમ્બરમાં પૂર્વ ભાગમાં વધારે શિકાર કરે છે.
અભયારણ્ય અને આજુબાજુના સંરક્ષિત વિસ્તારમાં સિંહ અને દીપડાએ કરેલા વન્યપ્રાણી સિવાયના શિકાર વિશે વનવિભાગે સર્વેક્ષણ કર્યું છે. જેમાં સામે આવ્યું છે કે એક વર્ષમાં ગાય, ભેંસ, નીલગાય સહિતના શિકારની ૨૫૦૦ જેટલી ઘટના બને છે, જેમાં ૨૩૦૦ શિકાર માત્ર સિંહ કરે છે. ઉનાળો હોવાથી એપ્રિલ મહિનામાં સિંહજંગલમાં રહેવાનું વધુ પસંદ કરે છે. આ મહિનામાં જંગલ બહારના વિસ્તારમાં સિંહ સરેરાશ ૧૨૫ શિકાર કરે છે, જ્યારે અન્ય મહિનામાં તે પ્રમાણ ૧૫૦ શિકાર સુધીનું છે.
જંગલ બહાર શિકારમાં ઓગસ્ટ, ઓક્ટોબર મહિનો ટોપ ઉપર છે, જેમાં સિંહ સરેરાશ ૧૪૦થી ૧૫૦ શિકાર કરે છે. આ અંગે ગીર અભયારણ્યના હેડ અને ડીસીએફ સંદીપકુમાર કહે છે કે, ‘સિંહ આરામ પ્રિય પ્રાણી છે. ગરમીના કારણે તે બહાર નીકળવાને બદલે જંગલમાં અંદર રહેવાનું વધારે પસંદ કરે છે. ઉનાળામાં જંગલમાં પાણીની સાથે વન્યજીવનો શિકાર આસાન હોવાથી બહારનો શિકાર ટાળે છે.’
અભયારણ્ય તથા ગીર પશ્ચિમ વિભાગ જેવા કે તાલાલા, સાસણ, મેંદરડા, માળિયા વગેરેમાં ચોમાસા દરમિયાન સિંહે સૌથી વધારે શિકાર કર્યો છે. ઉનાળામાં ગીરના પશ્ચિમ વિસ્તારની સરખાણીએ પૂર્વમાં શિકારની વધારે ઘટના બને છે.
૧૫ વર્ષમાં બહારના શિકારમાં ૮૦ ટકાનો વધારો નોંધાયો
સિંહની સંખ્યામાં વધારો અને નવા ઘરની શોધને કારણે ૧૯૯૫ની સરખામણીએ જંગલ બહાર શિકારની ઘટનામાં ૮૦ ટકાનો વધારો થયો છે. ૧૯૯૫માં આ સંખ્યા ૧૬૦૦ હતી જ્યારે ૨૦૧૦માં તે ૨૬૦૦ થઈ છે.
સૌથી વધારે શિકાર
ઓગસ્ટઃ ૧૪૫
ઓક્ટોબરઃ ૧૪૩
જૂનઃ ૧૪૦
સૌથી ઓછો શિકાર
ફેબ્રુઆરીઃ ૧૨૫
એપ્રિલઃ ૧૨૬
ડિસેમ્બરઃ ૧૨૬
Source: http://www.divyabhaskar.co.in/article/MGUJ-AHM-april-is-month-of-rest-for-gir-lions-2061005.html

વાલરનાં સિંહ શિકાર પ્રકરણે શકમંદોની અટકાયત કરતું તંત્ર.

Source: Bhaskar News, Talaja 

પ્રાથમિક તબક્કે શિકાર થયાની વધુ બળવતર બની રહેલી શંકા
તળાજાના વાલર અને બાંભોરની સીમમાંથી સિંહનુ હાડપિંજર મળી આવ્યાના બનાવમાં છેક મૂળ સુધી પહોંચવા ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટની જુદી જુદી ટીમોએ ભારે કવાયત હાથ ધરી છે. શંકાસ્પદ શખ્સોની અટકાયત કરાઇ છે. શિકાર સહિતની જુદી જુદી શક્યતાઓ અંગે શંકા-કુશંકાઓ જાગી રહી છે.
મૃત સિંહના અવશેષો મળવાને લીધે ખળભળાટ મચી ગયો હોઇ આ બનાવની તપાસ કરવા જુનાગઢ અને ગાંધીનગરથી વન અધિકારીઓની ટીમોએ દોડી આવી દાઠા વિસ્તારમાં સિંહના મોત અંગે સઘન તપાસ શરૂ કરી દીધી છે.
ગત રાત્રિના વન અધિકારીઓએ જ્યાંથી સિંહના મૃત અવશેષો મળ્યા હતા. તે જગ્યાએ ગાડાના ચીલા જેની વાડી તરફ જતા હતા તે વાડીવાળા તથા તેના ભાગીયાને તેમજ એક પશુપાલકને સઘન પુછપરછ કરવા લઇ ગયા હતા. આ ઉપરાંત જે ગાડામાં હેરાફેરીની શંકા વ્યક્ત કરાઇ છે તે ગાડાવાળાની પુછપરછ કરવા ઉઠાવી લેવાયાની સુત્રોમાંથી માહિતી મળેલ છે.
દરમ્યાનમાં આ ઘટનાને ગંભીર ગણી વિડીયો રેકોર્ડિંગ, ફોટોગ્રાફી કરી આજુબાજુના રહીશોની પુછપરછ હાથ ધરાઇ રહી છે. ઉપરાંત સિંહના હાડપિંજર પરથી નહોર અને ચામડુ નહી મળી આવતા તેના શિકારની શક્યતા અંગે પણ તપાસ હાથ ધરાઇ છે. આ અંગે મદદનશિ વન સરક્ષક રંઘાવાના કહેવા મુજબ ઘટના અંગે ટૂંકા ગાળામાં જ પરિણામ મળવાની શક્યતા છે. ઝીણવટભરી તપાસ ચાલુ છે.
વધુમાં તેઓના કહેવા અનુસાર આપણા વિસ્તારમાં ખેડૂતો દ્વારા રાત્રિના વીજ કરંટ પણ ચુકવવામાં આવે છે જેને લીધે પણ આ સિંહનુ મોત નીપજયુ છે કે નહિ તે દિશામાં પણ તપાસ હાથ ધરાઇ છે. સિંહનુ અગર કુદરતી મોત ન હોય તો શિકાર થવાની શક્યતા પણ વિચારાઇ રહી છે.
સિંહણ લાપત્તા ?
તળાજા મહુવાના આ ગ્રામ્ય વિસ્તારમાં જંગલ ખાતામાંથી જાણવા મળ્યા મુજબ બે નર અને એક માદા એમ ત્રણ સિંહોનો પરિવાર વસવાટ કરતો હતો. જે પૈકી એક સિંહનુ મોત નીપજતા તેના અવશેષો મળ્યા છે. બાકીના સિંહોનુ લોકેશન મેળવવા કવાયત હાથ ધરતા તેમાં નર સિંહનુ પગેરૂ મળ્યુ છે. પણ સિંહણના હજુ સુધી કોઇ સગડ ન મળતા ક્યાંક તેનો પણ શિકાર થયો નથી ને તેવી આશંકા ઉઠવા પામી છે. વનવિભાગના અધિકારીઓએ વધુ સઘન તપાસ હાથ ધરી છે.
બાળદીપડાનો મૃતદેહ મળ્યો
ગીરજાંબુડી રાઉન્ડમાં ટિંબી વિસ્તારમાં આશરે ૬ માસના બાળ દીપડાનો મૃતદેહ પડયો હોવાની વનતંત્રને જાણ થતા વનખાતાના અધિકારીઓ સ્થળ પર દોડી ગયા હતા. આ બાળદીપડાના શરીર પર ઇજાના નિશાન જણાયા હતા. સતાવાર સુત્રો આ નિશાન મૃતદેહને વન્ય પ્રાણીઓએ ચૂંથ્યા હોવાથી પડ્યા હોવાનુ જણાવી રહ્યા છે. દીપડાનુ ૬ માસનુ આ બચ્ચુ માતાથી વિખુટુ પડ્યા બાદ ભુખ,તરસને લીધે મોત પામ્યુ હોવાની શક્યતા પણ જોવાઇ રહી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-suspectious-arrested-in-valar-lion-hunting-case-2049441.html

સિંહણે ઝુડવડલી ગામને પોતાનું ‘પિયર’ બનાવી લીધું

Source: Bhaskar News, Una
- બચ્ચા સાથે સિંહણને કેવી રીતે પાંજરામાં પુરવી ?
- વન વિભાગ પણ હવે મુંઝાયું
ઊના તાલુકાનાં ઝુડવડલી ગામને સિંહણે જાણે કે પોતાનું પિયર બનાવી લીધું હોય તેમ સાસરીયા (જંગલ)માં પરત જવાનું નામ ન લેતાં વન વિભાગનો સ્ટાફ પણ મુંઝવણમાં મુકાય ગયો છે.
ઊનાથી માત્ર નવ કિ.મી.નાં અંતરે આવેલાં ઝુડવડલી ગામની સીમમાં છેલ્લાં બે માસથી વધુ સમયથી એક સિંહણ તેના ત્રણ બચ્ચા સાથે નિવાસ કરી રહી છે. અને શેરડીનાં વાડને રહેઠાણ બનાવ્યું હતું. બુધવારે આ સિંહણને પાંજરે કેદ કરાઇ હતી પરંતુ ૧૫ ફૂટ ઊંચુ પાંજરૂં ઠેકી બહાર નીકળી ગઇ હતી. ત્યારબાદ વન વિભાગ દ્વારા ગુરૂવારનાં ટ્રાન્કવીલાઇઝર ઇંજેકશન દ્વારા સિંહણને બેભાન કરી પાંજરે પૂરી હતી.
જે માટે સાસણની સ્પેશ્યલ રેસ્કયુ ટીમને મદદ માટે બોલાવાઇ હતી.સરપંચ કાંતીભાઈ ઉકાણીની વાડીમાં પાંજરૂં પણ મુકર્યું હતું. પરંતુ સિંહબાળ પણ અલગ-અલગ જગ્યાએ લપાઇ ગયા હતા. જો કે, આંબાનાં બગીચામાં લટાર મારતી સિંહણને બેભાન કરવામાં સફળતા મેળવી હતી.
સિંહણને પાંજરે પુર્યા બાદ કલાકો વીતી જવા છતાં બચ્ચાઓ ન આવતાં વહેલી સવારે સિંહણને પાંજરામાંથી મુક્ત કરી દીધી હતી. સિંહણે ગામને જ પોતાનું પિયર બનાવી લીધું હોય અને જંગલ (સાસરીયા)માં પરત જવાનું નામ લેતી ન હોય વનખાતું પણ બચ્ચાં સાથે સિંહણને પાંજરામાં કેવી રીતે પૂરવી તે માટે મુંઝાયું છે.
સિંહણ તેના બચ્ચા સાથે જોવા મળી -
શુક્રવારની મોડી સાંજનાં આ સિંહણ તેના ત્રણ બચ્ચા સાથે બાજરાનાં વાડમાં જોવા મળતાં વન વિભાગ પણ સતર્ક બની ગયું છે. અને ખાસ પ્રકારનો એકશન પ્લાન ઘડવામાં લાગી ગયો છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-stay-in-unas-jhudvadali-village-2062728.html

‘સિંહ પરિવારનું અમે જતન કરીશું’.

Source: Jayesh Gondhiya, Una
- ઊના પંથકનાં ઝુડવડલીનાં ગ્રામ્યજનોનો અનોખો પ્રેમ
સિંહણનું દૂધ ઝીલવું હોય તો સોનાનું પાત્ર જોઈએ તેમ કહેવાય છે તે રીતે સિંહને જીરવવા માટે પણ ગુજરાતી જેવું જીગર જોઈએ. આ જીગર સોરઠનાં ગુજરાતીઓમાં જોવા મળે છે. સિંહની એક ડણકથી સારા સારાનાં હાજાગગડી જતા હોય છે. સિંહની જાળવણી અને જતન એ ગુજરાતી પ્રજાનાં લોહીમાં છે.
આ વાત એટલા માટે દોહરાવવી પડે છે કે નાઘેર પંથક ગણાતા ઊના તાલુકાનાં ગ્રામ્ય પંથકમાં આંટો મારવા નીકળીએ તો બાળકોથી માંડી વૃધ્ધો એવુ કહેતા સાંભળવા મળે કે સાવજ હમણા આવવા જોઈએ. કાંતો એવુ કહે છે કે, સાવજ થોડે દૂર આગળ ગયો હશે. આ છે ગુજરાતીઓની સિંહ પ્રત્યેની ખમીરવંતી લાગણી. ત્યારે તાલુકાનાં ઝુડવડલી ગામે તો છેલ્લા બે માસથી એક સિંહણ તેના ત્રણ સિંહબાળ સાથે વસવાટ કરી રહી છે. આ સમયગાળા દરમિયાન સિંહણે એક પણ માનવી પર હુમલો કર્યો નથી. હવે તો એવો સમય આવી ગયો છે કે આ સિંહ પરિવાર લગભગ ગ્રામજનોનાં ચહેરા ઓળખતા થઈ ગયા છે.
આ સિંહ પરીવાર ગામમાં જ્યારે ગ્રામજનો પોઢી જાય ત્યારે આવી જાય અને મારણની મજિબાની કરી પાછા ચાલ્યા જાય છે. ગ્રામજનો પણ આ સિંહ પરીવારને હેરાન કરતા નથી. પણ મહત્વની વાતએ છે કે, હવે આ ઝુડવડલીનાં ગ્રામજનોને આ સિંહ પરીવાર સાથે આત્મિયતા અને લાગણીનાં સંબંધ બંધાઈ ગયા છે. ગ્રામજનો ગર્વથી કહે છે કે, અમારા ગામમાં વસવાટ કરતા સિંહ પરિવારને ક્યાંય લઈ જવા નથી દેવા.
અમે જતન કરીશું છેલ્લા ઘણા સમયથી ઝુડવડલીના સરપંચ કાંતિભાઈ ઉદાણીની વાડીમાં વસવાટ કરતી આ સિંહણ અને તેના બચ્ચાઓને પાંજરે પૂરવાની વાત વનખાતાએ જ્યારે કરતા જ ગ્રામજનોનું જાણે કે લોહી ઉકળી ઉઠયું હોય તેમ આગેવાનો કાંતિભાઈ દોમડીયા, કિરણભાઈ દોમડીયા, લવજીભાઈ ભોળાભાઈ દોમડીયા, હિંમતભાઈ રાવલીયા, બાલુભાઈ, સરપંચ કાંતિભાઈ ઉકાણી તથા અસંખ્ય ગ્રામજનોએ સ્પષ્ટ શબ્દોમાં વનખાતાનાં અધિકારીને કહી દીધુ હતું કે, આ સિંહ પરિવારને પાંજરે પુરી જંગલમાં લઈ નથી જવાનો જ્યાં સુધી ગામમાં રહે ત્યાં સુધી ભલે આ સિંહ પરિવાર અહી વસવાટ કરે જ્યારે તેમને તેમની રીતે જવુ હશે ત્યારે કોઈ તેમને રોકી શકશે નહી. વનખાતાના અધિકારીઓ પણ લાગણીવશ થઈ ગયા હતા. સિંહને એક મિત્રની જેમ રાખો તો ક્યારેય કોઈ નવીને નુકસાન કરતો નથી.
છેવટે સિંહ પરિવાર મૂળ ઘરે ચાલ્યા જશે –
સિંહનું મૂળ ઘર જંગલ છે અને છેવટે આ સિંહ આપ મેળે તેમના મુળ ઘરે જ ચાલ્યા જશે તેમ ગામ લોકોનું કહેવું છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-we-will-care-of-lion-family-2002594.html

જૂનાગઢઃ જીવ બચાવવા તેઓ 2 કલાક ૮ સિંહ સામે ઝઝૂમ્યા.

Source: Manish Trivedi, Rajkot
જુનાગઢ જિલ્લાનાં માળીયા હાટીના અને વીરડી ગામ વચ્ચે આવેલા ગૌશાળા પાસે ગત મોડી રાત્રીનાં ૮ સિંહનું ટોળુ ધસી આવતા ગૌશાળામાં રહેલી ગાયોમાં નાસભાગ મચી ગઇ હતી.
સદનસીબે ગૌશાળામાં કામ કરી રહેલા દસેક જેટલા કર્મચારીઓને સિંહોનાં ટોળા આવ્યાની જાણ થતા તેઓ તુરંત લાકડી, મશાલ વગેરે લઇ સાવજોનાં ટોળાને ભગાડવા પ્રયાસો શરૂ કર્યા હતા.
બે કલાકની ભારે જહેમત બાદ સિંહોનું ટોળુ અંતે ગૌશાળાએથી જંગલમાં જતું રહ્યું હતુ. અગાઉ એક વખત આવી રીતે સિંહોનાં ટોળા ગૌ શાળાએ ધસી આવી ચાર ગાયોનું મારણ કર્યું હોવાથી ગૌશાળામાં કર્મચારીઓ રાત્રીનાં સમયે જાગતા રહે છે. કર્મચારીઓની સજાગતાથી સિંહોને મારણ કર્યા વગર પરત જંગલમાં જાવું પડ્યું હતુ.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-RJK-c-120-1155-1989970.html

ગામના લોકો માટે વહેલી સવારની સિંહની ડણક એટલે ‘મોર્નિંગ એલાર્મ’.


Source: Bhaskar News, Bhavnagar
- ગામના લોકો માટે વ્હેલી સવારની સિંહની ડણક એટલે ‘મોર્નિંગ એલાર્મ’
- પાલિતાણા-તળાજા-ગારિયાધારમાં આવતા સિંહોનું ક્રાંકચ પ્રવેશદ્વાર
- ગીર કરતા પણ ઊંચી જાતના હૃષ્ટ પુષ્ટ સિંહો હોવાનો દાવો
- સિંહ દર્શન માટે આવતા લોકોને ક્યારેય નિરાશ થવું પડતું નથી

ભાવનગરના તળાજા તાલુકાના વાલર ગામે સિંહનું હાડિંપજર મળી આવતા તંત્ર ચોંકી ઉઠ્યું છે. તો બીજી બાજુ ભાવનગર અને અમરેલીની સરહદે આવેલા ભાવનગર જિલ્લાના ગારિયાધાર તાલુકાના કાંક્રચ ગામે એક સાથે ૨૯ જેટલા સિંહ-સિંહણ અને બાળ સિંહો ડેરાતંબુ નાંખીને પડ્યા છે. ‘બૃહદ ગીર’તરીકે ધીરે-ધીરે જાણીતા બનેલા આ વિસ્તારમાં જોવા મળતા સિંહો સૌથી ઊંચી ઔલાદના હોવાનું જાણકારો કહી રહ્યા છે.
ભાવનગરથી ૯૦ કિ.મી. દૂર ગારિયાધાર તાલુકાનું કાંક્રચ ગામ આવેલું છે. આ ગામની બજારોમાં સંધ્યા ટાણે સિંહોની આવનજાવન રોજિંદી બની ગઇ છે.
રાજ્યમાં કુલ ૪૧૧ એશિયાટિક સિંહો પૈકીના ભાવનગર અને અમરેલી જિલ્લામાં ૫૩ જેટલા સિંહો હોાનો અંદાજ છે. જેમાંથી એકલા ક્રાંકચ ગામમાં જ ૨૯ જેટલા સિંહ-સિંહણ અને બચ્ચાઓ હોવાનો અંદાજ છે. આજે આ પંથકના લોકો કાંક્રચ ગામને ‘સિંહનું ગામ’ તરીકે ઓળખવા લાગ્યા છે. ગીરના જંગલોમાં ભારે રઝળપાટ પછી પણ સિંહના દર્શન થવા દુર્લભ છે ત્યારે કાંક્રચ ગામની આજુબાજુ સિંહ દર્શન લોકો ખૂબ સરળતાથી કરી રહ્યા છે. અહીં સિંહદર્શન માટે આવતા લોકોને નિરાશ થવું નથી પડતું.
ભાવનગરના સિહોર, પાલિતાણા, તળાજા, ગારિયાધાર સહિતના વિસ્તારોમાં છેલ્લા કેટલાક સમયથી સિંહની આવનજાવન વધી ગઇ છે. આ પંથકમાં સરળતાથી પહોંચી જતા સિંહોનું મુખ્ય પ્રવેશદ્વાર કાંક્રચ ગાળો હોવાનું મનાય છે. આ ગામની આજુબાજુ શેઢાવદર, સાવરકેરાળા, હઠીલા, ખાણપર, બવાડી, ઇંગોરાળા, વેળાવદર, ભોરિંગડા, નાના લીલીયા સહિતના ગામો આવલા છે.
જોકે આ વિસ્તારના લોકો સિંહથી ભયભીત થવાને બદલે તેના ભેરૂ થઇ ગયા છે. ગામના લોકોને રેડિયો કોલર, માંકડી ભુરી સિંહણ, ભોડી, રાતડી સિંહણ જેવા નામો હવે મોઢે થઇ ગયા છે. લીલીયાના આગેવાન મનોજભાઇ જોષીના જણાવ્યા મુજબ વ્હેલી સવારે નિયમિત સંભળાતી સિંહની ડણક એ અમારૂ ‘મોર્નિંગ એલાર્મ’ છે. !!
કાંક્રચ ગાળામાં કેવી રીતે જવાય ?
ભાવનગરથી ૫૫ કિ.મી. દૂર આવેલા સુપ્રસિદ્ધ યાત્રાધામ પાલિતાણાને અડીને આવેલા ગારિયાધારથી માત્ર ૨૦ કિ.મી. દૂર કાંક્રચ ગામ આવેલું છે. ગુજરાતના મોટાભાગના સેન્ટરો પરથી પાલિતાણા સુધી આવવાની વ્યવસ્થા છે. પાલિતાણાથી એસ.ટી. બસ, જીપ, મીની બસ, છકડા દ્વારા ગારિયાધારથી લગભગ ૨૦ કિ.મી. દૂર આ કાંક્રચ ગામ આવેલું છે. કાંક્રચ ગાળોએ વનરાજી વિસ્તાર છે અને પુષ્કળ કાંટ છે. ભાવનગરથી ગારિયાધાર ૯૦ કિ.મી. અને ગારિયાધારથી કાંક્રચ ૨૦ કિ.મી.ના અંતરે આવેલું છે.
આ વિસ્તારમાં સિંહોના વસવાટ કેમ ?
ગાઢ જંગલ જેવો ઘટાદાર વૃક્ષોથી લહેરાતો આ વિસ્તાર શેત્રુંજીના કાંઠે આવેલો છે. અહીંયા ગાગડીયો, ખારી, બોરાિળયો સહિતની નાની-નાની નદીઓનું પાણી પણ મળે છે. પરિણામે આ એકદમ ઠંડો વિસ્તાર છે. જે સિંહોને અનુકૂળ છે. આજુબાજુના અનેક ગામોમાં મુખ્ય વ્યવસાય ખેતીનો છે. પરિણામે માલઢોર પણ આ પંથકમાં ઘણાં છે. જેના કારણે સિંહોને મારણ મળી રહે છે. ગામ લોકોએ સિંહોને પાણી મળી રહે તેવા ઊંચા ટેકરા બનાવ્યા છે. અનેક લોકેશનો ગ્રામ્યજનોએ જાતે ઉભા કર્યા છે.
સિંહના લોકેશન પોઇન્ટ ક્યા-ક્યાં ?
કાંક્રચ ગાળામાં સિંહના લોકેશન પોઇન્ટ નીચે મુજબ છે.
-પાણી પોઇન્ટ
- ખાટની ઓઢ
- ખોડિયારમાંની ખાણ
- લીલીયાનો ઓરો
- ઊડબાની પાટ
- દરબારી ઊડીયા
- બેલુ
ત્રણેક ગાંવ વિસ્તારમાં આવેલા આ લોકેશન પોઇન્ટે પહોંચવું હોય તો ગામનો નાનો છોકરો પણ તમને
હોંશે-હોંશે લઇ જાય છે. જોકે આ પંથકમાં ફોરેસ્ટ વિભાગ દ્વારા ‘સિંહ દર્શન’ માટેની વ્યવસ્થા થવી જોઇએ.
અમે ખેડૂતોને ફાયદો છે
જો સાવજો ન હોય તો અમારા વિસ્તારમાં નિલગાય સહિતના માલ-ઢોરનો ઘણો રંજાડ રહે છે. પરંતુ સાવજોના ડરથી અમ ખેડૂતોને રાહત રહે છે. સિંહોને એનો ખોરાક મળી રહે છે અને બદલામાં અમારી જેવા ખેડૂતોના પાકનું રક્ષણ થાય છે. આમ, અરસપરસ એકબીજાનું ચાલ્યા કરે છે.’
બાબુભાઇ ખુમાણ, ખેડૂત
અમે ખૂદ જ રખેવાળી કરીએ છીએ...

ગીરમાંથી અહીં વસેલા સિંહો અમારા મહેમાન છે. ગામ બહારના કે અજાણ્યા કોઇ વ્યક્તિઓનો પગપેસારો થાય તો અમને ખ્યાલ આવી જાય છે. અમારા મહેમાનોને અમે નહીં તો કોણ સાચવશે ? દરરોજ આ વિસ્તારમાં હું એકવાર આંટો અવશ્ય મારૂં છું.’
ભૂપત ભરવાડ, સ્થાનિક રહેવાસી
પાણીની વ્યવસ્થા અને ઊંચા ટેકરા બનાવવાની માંગ કરી છે

સિંહોને આ વિસ્તાર અનુકૂળ આવ્યો છે, પરંતુ તેને અગવડતા ન પડે અને ગરમીમાં પાણી મળી રહે તેમજ ઊંચા ટેકરા બનાવવામાં આવે તેવી માંગ કરી છે. અત્યાર સુધીમાં કેટલાક લોકેશન અમે ખૂદે વ્યવસ્થા કરી છે. જોકે માલ-ઢોર પૂરતા પ્રમાણમાં હોવાથી મારણ તો મળી જ રહે છે.’
મહેન્દ્રસિંહ ખુમાણ, સ્થાનિક આગેવાન
સાસણ ગીર કરતા મારણ વધુ મળી રહેતા સાવજ ટક્યા છે
અમે સતત પેટ્રોલિંગ કરીએ છીએ, જરૂર પડે તો પોલીસ ખાતાને પણ સાથે રાખીએ છીએ. સાસણ ગીરમાંથી અહીં આવેલા સિંહને મારણ સારા પ્રમાણમાં મળી રહે છે. તેમજ આસપાસના લોકોનો પણ સહકાર મળી રહે છે. બહારના કોઇ વ્યક્તિની હેરાનગતિ ન થાય તે માટે પણ તકેદારી લીધી છે, એટલે અહીં સાવજ ટક્યા છે.’
બી.એમ. રાઠોડ, ફોરેસ્ટ વિસ્તરણ રેન્જ, કાંક્રચ વિસ્તાર
કાંક્રચ ગાળામાં જોવા મળતા મૃત પ્રાણીના અવશેષો

આ ગાળામાં તપાસ કરતા અનેક મૃત પ્રાણીઓના અવશેષો જોવા મળ્યા હતા. આસપાસના ગામડાઓમાં ગાય, ભેંસ, ઘેટા-બકરા સહિતના દૂધાળા પ્રાણીઓ હોવાથી સિંહોને ખાવા-પીવનું મળી રહે છે. આ વિસ્તારમાં જડબા, હાડિંપજર, શિંગડા સહિતના અવશેષો જોવા મળે છે.
ફોરેસ્ટવાળા ફરક્તા ય નથી
ક્યારેક તો લાંબા સમય સુધી ફોરેસ્ટવાળા ફરક્તા ય નથીે. જો કોઇ મોટી ઘટના બને તો ત્યારે અધિકારીઓ દેખાય છે. બાકી તો સિંહોની રખેવાળી અમારા જવાનો જે કરેછે, એ જ તેની સાચવણી અને જાળવણી છે.
ભોળાભાઇ કાનાણી, માજી સરપંચ, કાંક્રચ
અમને ડર લાગતો નથી

સાવજોનો હવે અમને ડર નથી. અમારામાંના જ એક હોવાનો અનુભવ થાય છે. જોકે શરૂઆતમાં ડર લાગતો હતો. પરંતુ ધીમેધીમે સાવજોને અમે પરિચિત થઇ ગયા છીએ અને અમને તેઓ પરિચિત લાગવા મંડ્યા છે.’
પ્રકાશ જેબલિયા, વિદ્યાર્થી

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lions-sounding-means-peoples-morning-alerm-2058311.html