Thursday, March 22, 2012

વન તંત્ર પાસે પંચનામાની નકલ મેળવવા અરજદારોને ધરમ ધકકા.


ધારી તા. ૧૭
અહી ગઢિયા ગામે કુતુહલવશ સિંહદર્શન માટે આવતા અનાધિકૃત પ્રવાસીઓ પાસે વન અધિકારીઓ દંડની પ હજાર રકમ સ્થળ પર વસુલી પંચનામાની કાર્યવાહી કરે છે. પરંતુ જયારે પ્રવાસીઓ વન અધિકારીઓ પાસે પંચનામાની નકલ માંગે ત્યારે અનેક બહાના બતાવી નકલ આપવામાં ગલ્લાં તલ્લાં કરવા લાગે છે અને પરેશાનીમાં મુકી દે છે. આ અંગે ઉચ્ચકક્ષાએ રજુઆત કરવામાં આવી છે.
  • સ્થળ પર દંડ ફટકારી બાદ પરેશાનીમાં મૂકતા વન અધિકારીઓ
આજથી પ દહાડા પહેલા સિંહ દર્શનની લાલસાએ જઈ રહેલા લોકોને વન વિભાગના ડીએફઓ તેમજ અન્ય અધિકારીઓએ રોકી સ્થળ પર પાંચ પાંચ હજારનો દંડ ફટકાર્યો હતો. એ પછી કેટલાક એવા લોકો છે કે જેને થયેલી કાર્યવાહીના પંચનામાની નકલની જરૂરિયાત છે અને એ માટે ફોન પર અને રૂબરૂ અવારનવાર રજુઆતો કરવા છતાં નકલ આપવામાં ઠાગાઠૈયાં કરવામાં આવે છે. જેના કારણે ત્રાહિમામ પોકારી ગયેલા આ લોકો હવે ઉચ્ચ કક્ષાએ રજુઆત કરવા તૈયારી કરી રહયા છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=44195

દહીડાની સીમમાં કૂવામાંથી મૃત દીપડો મળી આવ્યો.


ધારીઃ 
ધારી તાલુકાના દહીંડા ગામની સીમમાં આવેલ પ્રતાપભાઈ મંગુભાઈની વાડીમાં આવેલ કૂવામાં બેથી અઢી વર્ષનો દીપડો અકસ્માતે પડી જતા પ૦ ફૂટ જેટલાં પાણીમાં દીપડાએ બહાર નીકળવાના પ્રયાસો કરતા તેના નખ ધસાઈ ગયા હતા. પાણી ભરેલ કૂવામાંથી દીપડો બહાર નીકળવામાં અસફળ રહેતા તેનું મૃત્યુ નિપજયાનું વન વિભાગે જણાવ્યું હતું.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=43089

ગિરનાર રોપ વે રાજકારણનો ભોગ, સાકાર થવાની શક્યતા નહીવત.


જૂનાગઢ, તા.૨૦
સૌરાષ્ટ્રના પ્રજાજનો માટે અતિશય મહત્વકાંક્ષી બની ગયેલા એવા ગિરનાર રોપ વે માટે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીએ નકારાત્મક આપતા ૩૦ વર્ષથી ચાલી રહેલા સંઘર્ષ ઉપર એક તબક્કે પાણી ફરી વળ્યું છે. ટેકનિકલ નિષ્ણાંતોના આ અંગે સ્પષ્ટ મત વ્યક્ત કરતા જણાવ્યું છે કે, અત્યાર સુધી રાજકારણનો ભોગ બની ગયેલી આ યોજના સાકાર થવાની શક્યતા હવે નહીવત રહી છે.
વર્ષોથી અનેક સમસ્યાઓ પાર કરીને આખરી તબક્કામાં પહોંચેલો ગિરનાર રોપ વે આખરી અગ્નિપરીક્ષામાં નિષ્ફળ રહ્યો છે. સુત્રોમાંથી મળતી વિગતો અનુસાર સુપ્રિમ કોર્ટના નિર્દેશ હેઠળ કામ કરતી જ્યુડિશ્યલ કમિટી સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીએ આ યોજનાનો નકારાત્મક રિપોર્ટ આપ્યો છે. ગિરનારમાં વસવાટ કરતા ગીધના ૩૭ માળાને આગળ ધરીને ગીધનું અસ્તિત્વ જોખમમાં હોવાનું જણાવી આ યોજનાને મંજૂરી નહી આપવાની ભલામણ કમિટીએ કરી છે. કમિટીએ પોતાનો રિપોર્ટ સુપ્રિમ કોર્ટમાં સબમીટ કરીને તેની એક નકલ રાજ્ય સરકારના વનવિભાગને પણ સોંપી દીધી છે.
  • સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીનો નકારાત્મક રિપોર્ટ આવ્યો : ગીધના ૩૭ માળાનું કારણ અપાયું
બીજી તરફ આ અંગે ટેકનિકલ નિષ્ણાંતોના કહેવા પ્રમાણે ગિરનાર રોપ વે થવાની શક્યતા સાવ નહીવત છે. અત્યાર સુધી આ યોજના રાજકિય કાવા-દાવામાં જ ફસાયેલી રહી છે. રાજકિય આગેવાનો વાસ્તવિકતા સામે આંખ આડા કાન કરીને પ્રજાને સતત ગેરમાર્ગે દોરતા રહ્યા છે. છેલ્લે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી જૂનાગઢની મૂલાકાતે આવી ત્યારે ફક્ત પ૦ જેટલા લોકો તેમની સમક્ષ રજૂઆત કરવા માટે પહોંચ્યા હતાં.
પરિણામે આ છેલ્લી રજૂઆત પણ બિનઅસરકારક રહી હતી. હકિકતમાં એ સમયે પાંચ-દશ હજાર લોકો અહી આવી પહોંચ્યા હોત તો રજૂઆત અસરકર્તા બની રહેત. આ ઉપરાંત કમિટી સમક્ષ આગેવાનો ફક્ત માગણીઓ કરતા રહ્યા છે. પરંતુ ટેકનિકલ પાસાઓ આ કમિટી સમક્ષ તાર્કિક રીતે રજૂ કરી શકાયા નહોતા. પરિણામે કમિટીએ કદાચ આવો રિપોર્ટ આપ્યો હશે. તેમ પણ સુત્રોએ  જણાવ્યું છે.

ચકલી બચાવવા પોરબંદરના ચકલીપ્રેમીઓ કટિબધ્ધ.



પોરબંદર તા.ર૦
પોરબંદરમાં આજે વિશ્વચકલી દિને પોરબંદરમાં પક્ષી સંરક્ષણનું કામ કરતી પ્રકૃતિ ધ યુથ સોસાયટી અને નેચરકલબે લોકોએ જાગૃત રહીને બીમાર તથા ઈજાગ્રસ્ત પક્ષીઓને બચાવવા માટે અપીલ કરી હતી તેમજ આ દિશામાં જે પ્રયાસો થઈ રહયા છે તેમાં વધુ જાગૃતિની જરુર હોવાનું જણાવ્યુ હતુ.
 ચકલી એક એવી પ્રજાતીનું પક્ષી છે કે, જે માનવ વસાહતની આસપાસમાં પોતાનો માળો બાંધે છે. અને ચકલી વૃક્ષની ડાળી પર કે બગીચામાં માળો બાંધતી હોય છે. પરંતુ છેલ્લા થોડા વર્ષોથી મોટા શહેરોની વસાહતોમાં વૃક્ષો અને બગીચાઓનું પ્રમાણ સતત ઘટતુ હોવાથી આપણી આસપાસમાં રહેતુ આ આપણુ પક્ષી મિત્ર આપણને હવે જોવા પણ મળતુ નથી, અને વિલુપ્તીના આરે પહોચી ગયુ છે. દર વર્ષે ચકલી દિવસ તરીકે ઉજવી લોકોને ચકલી પ્રત્યે જાગૃત કરવા તે આ દિવસનો મહિમાં છે તેમ જણાવતા પ્રકૃતિ ધ યુથ સોસાયટીના સભ્યોએ જણાવ્યુ હતુ કે, ચકલી બચાવવા તેમની સંસ્થા ચકલીના માળાનું તથા પાણી પીવાના પાત્રોનું આજના દિવસે વિતરણ કરે છે અને ચકલી બચાવવા લોકોને અપીલ કરે છે. જયારે નેચર કલબના સભ્યોએ આજના દિવસ વિશે જણાવતા કહયુ હતુ કે, માત્ર એક દિવસ નહી વર્ષના ૩૬પ દિવસ ચકલી સહિતની પક્ષીઓ બચાવવા નેચર કલબ ઓફ પોરબંદરના સભ્યો કટીબધ્ધ હોવાનો તેઓએ આજે વિશ્વ ચકલી દિને નિર્ધાર વ્યકત કર્યો હતો.

વિધાર્થિનીઓએ ગિરનારના પગથિયા ઉપરથી પ્લાસ્ટિકનો કચરો સાફ કર્યો.


જૂનાગઢ, તા.૧૩:
જંગલોમાં વધતા પ્લાસ્ટીકના ઉપયોગથી જંગલો નાશ થવાને આરે પહોંચ્યા છે. પ્લાસ્ટીકથી જંગલની વનસ્પતિને પણ ભારે નુકશાન પહોંચી રહ્યું છે. ત્યારે તાજેતરમાં જૂનાગઢ ઘોડાસરા કોલેજની બહેનોએ ગિરનારના પગથિયા પર પ્લાસ્ટીકનો કચરો વીણી પર્યાવરણ જાગૃતિનો સંદેશો આપ્યો હતો.
  • પ્રકૃતિનું માર્ગદર્શન મેળવી કર્યો એક દિવસનો શ્રમયજ્ઞા
પટેલ કેળવણી મંડળ સંચાલિત એમ.એમ.ઘોડાસરા મહિલા કોલેજમાં પ્રવૃત એન.એસ.એસ. અને ર્સ્વિણમ ગુજરાત સમુદાય સેવા ધારાની ૭૦ સ્વયંસેવિકાઓએ તા.૧૧ના રોજ ગિરનારના ૧પ૦૦ થી ર૦૦૦ પગથિયા પર મોટા પ્રમાણમાં પ્લાસ્ટીકનો કચરો એકત્ર કરી એક દિવસીય શ્રમયજ્ઞા કર્યો હતો. આ ઉપરાંત તળેટીમાં વન વૃક્ષોનું જતન, પર્યાવરણ જતન, નશાબંધી જાગૃતિ, બેટી બચાવો, પાણીનો બગાડ અટકાવો, સ્ત્રી શિક્ષણનો વ્યાપ, ગંદકી ભગાવો, તંદુરસ્તી સુધારો, સ્વચ્છતા જાણવણી વગેરે અંગે જાગૃતિ ફેલાવવા રેલી અને સુત્રોચ્ચાર કર્યા હતાં. તેમજ રવિવારના દિવસે અહીં વધુ પ્રમાણમાં આવતા યાત્રિકોમાં પર્યાવરણ સંરક્ષણનો સંદેશો પહોંચાડવાના ઉદેશ્યથી ખાસ આ શ્રમયજ્ઞા રવિવારના રોજ રાખવામાં આવ્યો હતો.આ તકે આર.એફ.ઓ. કનેરીયા અને દિનદયાળ ઉપાધ્યાયએ પર્વતારોહણ તાલિમ સંસ્થા દ્વારા બહેનોને વન્યજીવન જાળવણી અંગે માર્ગદર્શન આપ્યું હતું. આ તકે એન.એસ.એસ. પ્રો.ઓ. ભાવનાબેન ત્રિવેદી, સેવાધારા ઈન્ચાર્જ રેખાબેન ગુંજારીયા અને જાગૃતિબેન જાદવ સહિતનો સ્ટાફ ઉપસ્થિત રહ્યો હતો. તેમજ સંસ્થાના પ્રમુખ મોહનભાઈ પટેલ અને પ્રિ. એમ.બી. ભાલોડીયાએ વિદ્યાર્થીનીઓને બિરદાવી હતી.

જૂનાગઢ ‘ઝૂ’માં સફાઈ કરતાં શ્રમયોગી પર સિંહનો હુમલો.


જૂનાગઢ, તા.૫
જૂનાગઢ સક્કરબાગ ઝૂ માં આવેલા સિંહના રાત્રિ નિવાસ માટેના ઘરની સફાઈ કરવા માટે આજે સવારે ગયેલા એક શ્રમયોગી ઉપર સાવજે હૂમલો કર્યો હોવાનો બનાવ બન્યો છે. નાઈટ સેન્ટરનો દરવાજો ખૂલ્લો રહી જતા પાંજરામાં આટાફેંરા મારી રહેલો સિંહ અહી આવી ચડયો હતો. બનાવ બાદ ગંભીર રીતે ઈજાગ્રસ્ત બનેલા શ્રમયોગીને જૂનાગઢમાં પ્રાથમિક સારવાર આપીને વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
  • ગંભીર ઈજાગ્રસ્ત બનેલા શ્રમયોગીને પ્રાથમિક સારવાર આપી રાજકોટ ખસેડાયો
  • દરવાજો ખૂલ્લો રહી જતા પાંજરામાં ફરતો સિંહ નાઈટ સેન્ટરમાં આવી ચડયો
આ વિશેની મળતી વિગતો અનુસાર આજે સવારે સાડા આઠેક વાગ્યાના અરસામાં જૂનાગઢના સક્કરબાગ ઝૂ માં રાબેતા મૂજબ સિંહના રાત્રિ નિવાસ માટેની ઓરડીમાં ઈરફાન તારમહમદ ઠેબા નામનો ર૩ વર્ષનો શ્રમયોગી સફાઈ કરવા માટે ગયો હતો. સિંહને પાંજરામાં મોકલીને બાદમાં જ પાંજરા સાથે જોડેલી આ ઓરડીમાં કર્મચારી સફાઈ માટે જાય છે. પરંતુ આજે ઓરડીનો દરવાજો ખૂલ્લો રહી જતા પાંજરામાં આંટાફેરા મારી રહેલો પુખ્ત સિંહ ઓરડીમાં સફાઈ કરી રહેલા ઈરફાન ઉપર ત્રાટક્યો હતો. જો કે, બનાવની જાણ થતા જ સક્કરબાગનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. તથા ઈરફાનને સિંહના પંજામાંથી બચાવી લીધો હતો. આ હૂમલામાં ઈરફાનની કરોડરજ્જુમાં ગંભીર ઈજાઓ પહોંચી છે. ઈજાગ્રસ્ત બનેલા શ્રમયોગીને જૂનાગઢમાં પ્રાથમિક સારવાર આપીને બાદમાં વધુ સારવાર માટે રાજકોટની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
રાજકોટ ખાતે ખસેડવામાં આવેલા ઈજાગ્રસ્ત શ્રમયોગીની સાથે સક્કરબાગના સ્ટાફને પણ સારસંભાળ માટે મોકલવામાં આવ્યો છે. ભોગ બનનાર શ્રમયોગી બે વર્ષ જેટલા સમયથી અહી ફરજ બજાવતો હોવાનું જાણવા મળે છે.
છ વર્ષ પહેલા સિંહણ પાંજરાની બહાર નિકળી ગઈ હતી
જૂનાગઢ, તા.પ :
જૂનાગઢ સક્કરબાગ ઝૂ માં કોઈ કર્મચારી ઉપર વન્યપ્રાણીએ હૂમલો કર્યો હોય તેવી કોઈ ઘટના લગભગ આજ સુધીમાં બની નથી. પરંતુ સુત્રોના જણાવ્યા અનુસાર વર્ષ ર૦૦૬-૦૭ ના અરસામાં એક સિંહણ પાંજરાની બહાર નિકળી જતા દોડધામ મચી ગઈ હતી. અને આવી રીતે જ એક રીંછ પણ પાંજરાની બહાર નિકળી ગયું હોવાની ઘટના ઘટી હતી. જો કે આ ઘટનાઓમાં કોઈ ઉપર હૂમલો થયો નથી. કે બીજી કંઈ નૂકશાની પહોંચી નહોતી.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=40760

મોકર સાગર ડેમને પક્ષી અભયારણ્ય તરીકે વિકસાવવાની માગણી ઠેરની ઠેર.


પોરબંદર, તા.૪
પોરબંદરના મોકર સાગર ડેમમાં હાલ હજારોની માત્રામાં વિદેશી પક્ષી ઓ આવી રહ્યા છે. અહી આવતા દુર્લભ જાતિના પક્ષીઓને બચાવા અને ૨૦૦ કિ.મી. સ્કેવેર માં પથરાયેલા મોકર સાગર ડેમ ને પક્ષી અભ્યારણ તરીકે જાહેર કરવાની માગણી છેલ્લા ત્રણ વરસથી થઈ રહી છે પણ રાજય સરકારની ઈચ્છા શકિત નહોય તેમ કોઈ દાદ જ મળતી નથી.
  • ગુજરાતનું નંબર વન પક્ષી અભયારણ્ય બને તેમ હોવા છતાં તંત્રમાં ઈચ્છાશકિતનો અભાવ
શિયાળાની ઋતુ સારું થતા દર વરસની માફક આ વરસે પણ વિદેશી પક્ષી ઓ મોકર સાગર ડેમમાં ઉતરી પડયા છે. જેમાં જુદી જુદી જાતિના પક્ષીઓ આ વિસ્તારમાં દેખાતા પર્યાવરણ પ્રેમીઓને આ દુર્લભ જાતિના પક્ષીઓના શિકાર નો ભય સતાવે છે અહી આવતા લાખોની સંખ્યામાં પક્ષીઓને શિકાર નો ભોગ ના બનવું પડે તે માટે મોકર સાગર ડેમ ને પક્ષી અભિયાણ્ય તરીકે જાહેર કરવા અને બર્ડ સેન્ચુરી તરીકે વિકસવા ની માંગ છેલ્લા ૩ વરસથી છે. નળ સરોવર પછી જો વિદેશી કે સ્વદેશી પક્ષીઓને પોતાના રેહવા માટે સારું સ્થળ હોઈ તો મોકર સાગર ડેમ છે. મોકર સાગર ડેમ ૨૦૦ કિ.મી. ચોરસ સ્કવેરમાં પથરાયેલું છે અહીં આવતા પક્ષીઓને પણ તેની જરૂરિયાત મુજબનું પાણી અને પ્રજનન માટે ઉતમ જગ્યા છે. શિયાળાની ઋતુ દરમિયાન આ વિસ્તારમાં ડે મોન્સીલ કેન કોમન કેન રોજી પેલીકન દાલ મેન્સન નોર્ધન સુલેવર સારસ બાર હેડેડ બીઝ રેડ ક્રેસ્તેડ પીચર્દ જેવા અનેક પક્ષીઓ અહીં પોતાનું રોકાણ કરતા હોય છે. પોરબંદર ને થોડા સમય પહેલા જ પોરબંદરને બર્ડ સિટી તરીકે જાહેર કર્યું હતું. પણ હજુ સુધી પોરબંદરના જળ પ્રજવલિત વિસ્તારો ને પક્ષી અભ્યારણ તરીકે જાહેર કરવામાં તંત્રની ઉદાસીનતા નજરે દેખાય છે.

વિસાવદરના ખાંભામાંથી દીપડાનો મૃતદેહ મળ્યો.


રતાંગ/વિસાવદર,તા.૪
વિસાવદર તાલુકાના ખાંભા ગામની સીમમાંથી આજે સવારના પ્રવીણભાઈ પાઘડાળની વાડી નજીક આવેલ રેવન્યુ વિસ્તારના વોંકળામાંથી એક નર દીપડાના બચ્ચાનો મૃતદેહ મળી આવ્યો છે. આ દીપડાનું મોત બીમારીના કારણે થયાનું પ્રાથમિક અનુમાન છે.
આજે સવારના પ્રવીણભાઈ પાઘડાળ નામના ખેડૂતે પોતાની વાડી નજીક આવેલ એક વોંકળામાં વાસ આવવાને કારણે સ્થળ તપાસ કરતા એક દીપડાના બચ્ચાનો મૂતદેહ હોવાથી તેણે વન વિભાગની કચેરીએ જાણ કરતા વન વિભાગ દ્વારા સ્થળ પર જઈ તપાસ કરી જૂનાગઢ સ્થિત સકકરબાગ ખાતે વેટરનરી ડોકટરને જાણ કરી બોલાવી સ્થળ પર જ દીપડાના બચ્ચાને અગ્નિદાહ આપ્યો હતો. વેટરનરી ડોકટરના જણાવ્યા મુજબ આ દીપડાની ઉમર એક વર્ષની આસપાસ હોવાની અને નર હોવાનું જાણવા મળે છે.દીપડાના બચ્ચાનું કોઈ બીમારી સબબ મોત થયું હતું.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=40394

ગીર જંગલમાં હવેથી ગાઈડ તરીકે કામ કરશે સખી મંડળની મહિલાઓ.


જૂનાગઢ, તા.૪
ગીર વિસ્તારની ગરીબ મહિલાઓ અને સખી મંડળની બહેનોને રોજગારી મળી રહે તે હેતુથી વનવિભાગે એક પ્રોજેક્ટ હાથ ધર્યો છે. આ પ્રોજેક્ટ અંતર્ગત વન્યજીવ સૃષ્ટિ અંગે જાણકારી હોય તેવી બહેનોને ટ્રેનિંગ આપ્યા બાદ ગાઈડ તરીકે નિમણૂંક અપાશે. ત્યારે ગીર વિસ્તારની અનેક બહેનો પ્રવાસીઓને સિંહ દર્શન કરાવવા માટે ઉત્સુક બની છે.
  • ફૂડ કેન્ટીન બનાવી લાખ્ખો રૂપિયાનો કારોબાર કરતી મહિલાઓ
વનવિભાગના સહયોગથી મિશન મંગલમ યોજના હેઠળ સખી મંડળની બહેનોએ ફૂડ કેન્ટીન બનાવી લાખો રૂપિયાનો કારોબાર શરૂ કર્યો છે. દેવળીયા પાર્કની આ કેન્ટીનમાં ચા, પાણી, નાસ્તો અને ખાદ્ય ચીજવસ્તુઓનું વેંચાણ કરી આ બહેનો રોજીરોટી મેળવે છે. ગરીબ પરિવારની ૧૧ બહેનો આ કેન્ટીનમાંથી દર મહિને બે થી અઢી લાખની વિવિધ વસ્તુઓનું વેંચાણ કરી ધંધામાંથી થતી આવક અને નફાની વહેંચણી કરી મંડળ માટે બચત કરે છે.
સાસણ વનવિભાગ આગામી દિવસોમાં ગીર વિસ્તારની ગરીબ વર્ગની બહેનોની યાદી બનાવી પ્રોજેક્ટનું પ્રાથમિક તબક્કાનું કામ શરૂ કરશે. જે મહિલાઓને વન્ય જીવ સૃષ્ટિ અંગે જાણકારી હોય તેમજ તેઓ આ કામ સહેલાઈથી કરી શકે તેવી બહેનોને પ્રથમ ટ્રેનિંગ આપી ગીરમાં ગાઈડ તરીકે નિમણૂંક અપાશે. હાલમાં ગીરમાં અનેક મહિલા કર્મચારીઓ ઉચ્ચ હોદા પર બીરાજમાન છે ત્યારે હવે ગાઈડ તરીકે પણ મહિલાઓ જોવા મળશે. આ અંગે સાસણના ડી.એફ.ઓ. ડો. સંદિપ કુમારે જણાવ્યું છે કે, દરેક ક્ષેત્રમાં મહિલાઓને સ્થાન મળે તેવા સરકારના પ્રયાસોને ધ્યાનમાં રાખી અમે આ દિશામાં હકારાત્મક પગલાં લઈ રહ્યા છીએ. આગામી મહિનાઓમાં લાયકાત અને જરૂરી શિક્ષણ ધરાવતી બહેનોને ગાઈડ તરીકે કામ કરતી વખતે કઈ તકેદારી રાખવી તેને ટ્રેનિંગ આપવામાં આવશે. ચિત્રાવડ ગામની સખી મંડળની બહેનોએ વનવિભાગના સહયોગથી અમારો આત્મવિશ્વાસ વધ્યો હોવાનું જણાવ્યું છે. 
Source: http://www.sandesh.com/article.aspx?newsid=40381

બેંક મેનેજરને સળગાવવાનો પ્રયાસ કરનાર વનકર્મીની જાહેરમાં ધોલાઈ.


તાલાલા ગીર તા. ૩ :
તાલાલા તાલુકાના સાસણ ગીર ગામની એસબીઆઈ શાખાના મેનેજર આર.એમ. મીના ઉપર પેટ્રોલ છાંટી મેનેજર અને બેન્કને આગ ચાંપી સળગાવવાનો પ્રયાસ કરનાર માથાભારે વનકર્મી અરજણ અરશી સોલંકીને તાલાલા પોલીસે પકડડ પાડી જાહેરમાં ધોલાઈ કરી નાંખતા લોકો એકત્ર થઈ ગયા હતા.
  • આરોપીનાં રિમાન્ડ માગવા પોલીસની તજવીજ
બનાવની વધુ વિગત મુજબ આંકોલવાડી ગીર એસબીઆઈ બેન્કમાંથી આ વનકર્મીએ પોતાની જમીન પર સાડા ત્રણ લાખની લોન લીધી હતી. જે ભરપાઈ ન કરતા તેનું ખાતુ એન.પી. થયું હતુ. આથી, બેન્ક મેનેજરે ફરજની રૂઈએ ઉચ્ચકક્ષાએ જાણ કરી હતી અને એના પગારમાંથી કાપવાની નોબત આવી પડી હતી. આથી, તે પગાર ઉપાડી શકતો ન હતો. અરજણ એનો પગાર ઉપાડવાના હેતુથી સાસણ આવ્યો હતો અને બેન્ક મેનેજર સાથે ઝઘડો કરી સાથે લાવેલી પેટ્રોલની બોટલ છાંટી દઈ સળગાવવાનો પ્રયાસ કર્યો હતો. એ વખતે કાંડી ચાંપવા જતાં જ બેન્કના અન્ય ગ્રાહકોએ એને દીવાસળી સાથે પકડી લીધો હતો. એ પછી ય એ અટકયો ન હત અને બેન્ક મેનેજરને માર મારવા લાગ્યો હતો. બેન્કમાં તોડફોડ કરી હતી. જે અંગે પોલીસને જાણ કરવામાં આવી હતી. આ બનાવ બાદ વનકર્મી સામે મેનેજરે વિધિવત ફરિયાદ દાખલ કરાવી હતી. આ વનકર્મીને આજે પોલીસે પકડી પાડી સાસણ ગીરમાં લાવી જાહેરમાં પીએસઆઈ જનકસિંહ વાઘેલાએ ધોલાઈ કરી હતી. ઉલ્લેખનીય છે કે આ વનકર્મી આહેર શખ્સ અનેક સાથે માથાકુટ કરી ચૂકયો છે. અને પોલીસ પણ એનાથી ફફડતી રહે છે. પણ પીએસઆઈ વાઘેલાએ ધોકાવી નાંખતા એના સીન વિખાઈ ગયા હતા. આવતી કાલે વધુ તપાસ માટે અદાલતમાં રજુ કરી રિમાન્ડની માંગણી કરાશે.
મેટર સાથે બોકસ વનકર્મી સામે અનેક ગુનાઓ નોંધાયા છે
તાલાલા તા. ૩
સાસણ બેન્ક મેનેજરને સળગાવવાનો પ્રયાસ કરનાર વનકર્મી અને માથાભારે આહીર શખ્સ અરજણની આ વિસ્તારમાં લુખાગીરીએ માજા મૂકી છે. એ પોલીસ ચોપડે ગુનાઈત ઈતિહાસ ધરાવે છે. અરજણના ત્રાસથી નિવૃત ફોરેસ્ટર અજીતસિંહ ચુડાસમાએ આત્મહત્યા કરી લીધી હતી. આ કેસમાં અરજણની ધરપકડ થઈ હતી. આ કેસ વેરાવળની કોર્ટમાં ચાલે છે. આ ઉપરાંત પાણીકોઠાના તલાટી મંત્રી નુરમામદ ઉરિયા સાથે ઝઘડો કર્યો હતો. જેમાં એની સામે ફરજમાં રૂકાવટની ફરિયાદ નોધાઈ છે. અરજણે ગત તા. ૩૧મીએ આકોલવાડી બેન્કમાં ગ્રાહકો સાથે ઝઘડો કર્યો હતો. એ સંદર્ભે પણ ગુનો નોંધાયો છે. તેણે અનેક વાર વનવિભાગના ઉચ્ચ અધિકારી સાથે ઝઘડો કર્યો છે. અને એક ફોરેસ્ટર પર હુમલો કરી ઈજા પહોંચાડી હતી જેની ખાતાકીય તપાસ ચાલે છે.
વનકર્મી સ્વરક્ષણ માટે હથિયાર પરવાનો ધરાવે છે
તાલાલા ગીર : વનકર્મી અરજણ સ્વબચાવ માટે હથિયાર રાખવાનો પરવાનો ધરાવે છે. પાણીકોઠાના તલાટી સાથે ઝઘડો કર્યા બાદ હથિયાર જમા કરાવવાની નોબત આવી પડતા એ પરવાનાવાળી બંદૂક જમા કરાવવા ગયેલો ત્યારે પોલીસ સાથે પણ ઝઘડો કર્યો હતો.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=40257

સાસણમાં બેંકમાં તોડફોડ, મેનેજર પર પેટ્રોલ છાંટી સળગાવવા પ્રયાસ.



તાલાલા તા.૧ :
સાસણ વન વિભાગમાં ફરજ બજાવતા ફોરેસ્ટ ગાર્ડે આજે બપોરે સાસણમાં આવેલી રાષ્ટ્રીયકૃત બેંકના મેનેજર ઉપર પેટ્રોલ છાંટી સળગાવવાનો પ્રયાસ કરતા અને બાદમાં બેંકમાં તોડફોડ કરી પોતાનાં પર પણ પેટ્રોલ છાંટી આત્મવિલોપનનો પ્રયાસ કરતા સાસણમાં ચકચાર મચી ગઈ છે.
  • ફડાકા મારી, ગાળો આપી જતો રહ્યા બાદ ફરી આવ્યો : આત્મવિલોપનનો પ્રયાસ પણ કર્યો
વિગત અનુસાર સાસણ વનવિભાગની નર્સરીમાં ગાર્ડ તરીકે ફરજ બજાવતા અરજણ અરશી સોલંકી આજે બપોરે સાસણ એસ.બી.એસ.ની શાખામાં આવ્યો હતો. પૂછતાછ કરતાં તેમનું એકાઉન્ટ સ્ટોપ કરવામાં આવ્યુ હોવાનું બેંક મેનેજર આર.એમ.મીનાએ જણાવતા ઉશ્કેરાયેલા વનકર્મીએ મારૂ એકાન્ટ શા માટે સ્ટોપ કર્યુ તેમ પૂછતા બેંકનાં મેનેજરે કહ્યુ કે, આંકોલવાડી બ્રાન્ચમાં તેમનું એકાઉન્ટ એન.પી.એ. હોઈ તે બ્રાન્ચે એકાઉન્ટ સ્ટોપ કર્યુ છે, શરૂ કરવાની સત્તા તેમને જ હોવાનું જણાવતા ગુસ્સામાં આવેલા વન કર્મી મેનેજરને ગાળો આપી ફડાકા મારી જતો રહ્યો હતો. થોડી વાર બાદ પેટ્રોલની બોટલ સાથે આવેલા વનકર્મીએ મેનેજર પર પેટ્રોલ નાખી ખિસ્સામાંથી દિવાસળી કાઢી કાંડી સળગાવવા પ્રયાસ કરતાં અન્ય સ્ટાફે વનકર્મીને પકડી લીધો હતો. તેમ છતાં વન કર્મીએ બેંકમાં તોડફોડ કરી હતી. આ અંગે પોલીસે તપાસ હાથ ધરી છે.
સાસણ ઓ.પી.ના સ્ટાફ દ્વારા પ્રાથમિક તપાસ હાથ ધર્યા બાદ તાલાલાથી પણ પોલીસનો કાફલો સાસણ દોડી ગયો  હતો અને બનાવની ગંભીરતા સમજી વનકર્મી કોઈ અન્ય પગલા ભરે તે પહેલા તેને ઝડપી લેવામાં આવ્યો હતો. બપોરના સમયે જયારે આ બનાવ બન્યો ત્યારે બેંકમા અન્ય ગ્રાહકોની પણ ભારે ભીડ હતી. આથી, થોડા સમય માટે નાસભાગ મચી ગઈ હતી પણ બાદમાં પોલીસ આવી જતા મામલો થાળે પડયો હતો અને બેંકીગ કાર્યવાહી રાબેતા મુજબ ચાલુ થઈ ગઈ હતી.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=39572

બંધ મકાનમાં દીપડો થયો કેદ, જુઓ તસવીરો.



Source: Ramesh Khakhar, Junagadh   |   Last Updated 3:36 AM [IST](22/03/2012)
સોમનાથ ટોકિઝનાં છેવાડાનાં વિસ્તારમાં આવેલા એક ખેતરનાં પડતર મકાનમાં ઘૂસી જતાં ચપળતાથી શ્રમિકે આ ઘરનો દરવાજો બંધ કરી દીધો : મોડેથી આવેલી રેસ્કયુ ટીમે ઓપરેશન હાથ ધર્યું
વેરાવળ પંથકનાં ઇણાંજ ગામે ગત રાત્રે સીમ વિસ્તારમાં એક બાળકીને ફાડી ખાધાની ઘટનાને હજુ બાર કલાક પણ નથી થયા ત્યાં આજે સવારે નવેક વાગ્યા આસપાસ વેરાવળ શહેરમાં સોમનાથ ટોકીઝનાં છેવાડા વિસ્તારમાં આવેલા એક ખેતરનાં પડતર મકાનમાં એક દીપડો ઘૂસી જતા ભારે દોડધામ મચી ગઇ હતી. જો કે, અહીં ખેતરનાં મજૂરે ઘરનો દરવાજો બંધ કરી દઇ વનખાતાને જાણ કરતા મોડેથી આવેલી સાસણ રેસ્કયુ ટીમે આવી દિપડાને કેદ કર્યો હતો.
પ્રાપ્તવિગતોનુસાર આજે સવારે વેરાવળનાં સોમનાથ ટોકીઝ વિસ્તારમાં આવેલ બાગે રહેમત સોસાયટી વિસ્તારનાં છેવાડે મીટરગેજનાં પાટાની બાજુમાં આવેલ એક ખેતરનાં પડતર મકાનમાં દપિડો ઘુસી જઇ રૂમમાં બેસી ગયેલ હતો. જ્યારે સવારે ૯ કલાકે ખેતરમાં હનીફ અબ્દ રહેમાન ઢાંડી ઉર્ફે જેલર નામનો શખ્સ પોતાની ભેંસોને લઇને ખેતરમાં ચરાવવા જતા તેનું ધ્યાન ખુલ્લુ પડેલ મકાન પર પડતા તેની બારીમાંથી રૂમમાં બેસેલ દિપડા પર નજર પડતા હનીફ ઉર્ફે જેલેરે તુરંત હિંમત દાખવી મકાનનાં આગળનાં ભાગે આવેલ મુખ્ય દરવાજાને સાંકળ વડે બંધ કરી દિપડાને મકાનમાં પુરી દીધેલ હતો અને બાદમાં તે વિસ્તારમાં રહેતા ખેતરનાં માલિક તથા નગરસેવક હાજી અલતાબ ચૌહાણ, સીદીકભાઇ સોડાવાલા, હાજી એલકેએલ સહિતનાં આગેવાનો ખેતર પર પહોંચી ત્યાં હાજર રહેલ લોકોની ભીડને કાબુમાં કરેલ હતી.
ત્યારબાદ જેલરે ખેતરનાં માલિક અબ્દ રહેમાન હુસેન ચાંગાને જાણ કરેલ હતી. ત્યારબાદ ખેતર માલિકે તુરંત વનખાતાનાં ગાર્ડ વિનુભાઇ અપારનાથીને જાણ કરતા તે તુરંત ઘટના સ્થળે આવી મકાનમાં અને આજુબાજુ તપાસ હાથ ધરી વેરાવળનાં ડીએફઓ પરસાણાને જાણ કરેલ હતી. તેઓ સાસણની રેસ્કયુ ટીમને સાથે લઇને દોડી આવેલ હતા.
સાસણથી આવેલ રેસ્કયુ ટીમે મકાનનાં રૂમની બારીમાંથી એરગન દ્વારા દિપડાને ટનકયુલાઇઝર ઇન્જેકશન મારી દિપડાને બેહોશ કરેલ હતો. રેસ્કયુ ટીમનાં સભ્યોએ મકાનનો દરવાજો ખોલી અંદરથી દિપડાને પકડી પિંજરામાં પુરી કેદ કરેલ હતો. બાદમાં દિપડાને સાસણ એનીમલ કેર સેન્ટર ખાતે મોકલી લીધેલ હતો.
શહેરમાં દિપડો ઘૂસી જવાની વાત સોમનાથ ટોકીઝ વિસ્તારની સોસાયટીનાં રહેવાસીઓ તથા શહેરીજનોમાં થતા મોટી સંખ્યામાં લોકો દિપડાને જોવા ઉમટી પડેલ હતા.
ત્યારે એક સમયે પોલીસને બોલાવવામાં આવતા પીએસઆઇ વાઘેલા, જેઠાભાઇ સહિતનાં સ્ટાફે ઘટના સ્થળે આવી ભીડને કાબુમાં લીધેલ હતી.
સવારથી જાણ છતાં રેસ્કયુ ટીમ બપોરે આવી
આજે સવારે ૧૦ વાગ્યાની વનખાતાને જાણ કરવામાં આવવા છતા વનખાતાની રેસ્કયુ ટીમને સાસણથી વેરાવળ આવવામાં ચારેક કલાક જેવો સમય લાગ્યો હતો ? અને રેસ્કયુ ટીમ બપોરે ૩ વાગ્યે ઘટના સ્થળે આવી એકાદ કલાક રેસ્કયુ ઓપરેશન હાથ ધરી દિપડાને કેદ કરેલ હતો. ત્યારે સ્થળ પર હાજર રહેલ લોકોમાં વનખાતાની કામગીરી સામે રોષ સાથે આક્રોશ ઠાલવી રહ્યા હતા.
તમામ તસવીરો : રમેશ ખખ્ખર

ગિરનાર રોપ-વે આડે અડચણ આવી છે, પણ દ્વાર સાવ બંધ નહીં.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 11:04 AM [IST](21/03/2012)

સુપ્રીમે હજુ ગુજરાત સરકારને સાંભળવાની બાકી છે : વનઅગ્ર સચિવ
સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટીએ ગિરનાર રોપ-વે સાઇટની મુલાકાત બાદ જે રીપોર્ટ આપ્યો છે તેમાં ગિરનારી ગીધને લઇને નકારાત્મક મુદ્દો ઉપસ્થિત કરાયો છે. જોકે, હજુ સુપ્રીમની બેન્ચે ગુજરાત સરકારને સાંભળવાની બાકી હોવાનું રાજ્યનાં અગ્ર વનસચિવે જણાવ્યું છે.
ગિરનાર રોપ-વે બનાવવા આડે અનેક સરકારી વિઘ્નો દૂર થયા બાદ ગીધનો મામલો ‘ફાચર’ બન્યો છે. જ્યાં સુધી ગિરનારનાં જંગલને અભયારણ્ય જાહેર નથી કરાયું ત્યાં સુધી મામલો ગુજરાત સરકારને હસ્તક જ હતો. પરંતુ આ જંગલને અભયારણ્ય બનાવાયા પછી રોપ-વેની મંજૂરી કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડ સુધી પહોંચી હતી. જોકે, કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડે જૂનાગઢની મુલાકાત લઇ રોપ-વે ને શરતી મંજૂરી આપી દીધા બાદ છેલ્લે સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટી સુધી વાત ગઇ હતી. કમિટીએ પણ જૂનાગઢની મુલાકાત લીધા બાદ તેનો રીપોર્ટ સુપ્રીમની બેન્ચ સમક્ષ રજૂ કરાયો છે. આ રીપોર્ટમાં ગિરનાર રોપ-વે બનાવવા સામે નેગેટીવ મુદ્દો ઉપસ્થિત કરાયો છે.
આ મુદ્દો ગીધની સલામતી અંગેનો છે. જોકે, સુપ્રીમ કોર્ટની બેન્ચ સમક્ષ હવે સુનાવણી થશે જેમાં હજુ ગુજરાત સરકારની રજૂઆતો પણ સાંભળવામાં આવશે. એમ અગ્ર વનસચિવ એસ. કે. નંદાએ ‘દિવ્ય ભાસ્કર’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું. જોકે, રોપ-વેને કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડે જ્યારે શરતી મંજૂરી આપી એ વખતે ગિધનાં કૃત્રિમ માળા બનાવવા સાથે રોપ-વેનાં ટાવરની ઉંચાઇ વધારવા, તેમાં સીસી કેમેરા રાખી ગિધની રોપ-વે ટ્રોલી સાથેની ટક્કર ટાળવા, ગિધનાં ભોજન માટે ખાસ કાફેટેરિયા બનાવવા, વગેરે બાબતોનું આયોજન કરવા સુચના અપાઇ જ હતી.
દ્વાર હજુ બંધ નથી થયાં : નંદા
એસ. કે. નંદાએ વધુમાં જણાવ્યું હતું કે, દ્વાર હજુ સાવ બંધ નથી થયા. જોકે, આ રીપોર્ટને પગલે રોપ-વે યોજના વિલંબમાં પડી હોવાનું તેમણે સ્વીકાર્યું હતું. આ મામલે અભ્યાસ કરવો જરૂરી હોવાનું પણ રીપોર્ટમાં દર્શાવાયું છે. આથી ગીધનાં મામલે ફરી અભ્યાસ હાથ ધરવામાં આવશે.
ફકત બે માળા નડી ગયા ?
સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટીએ જૂનાગઢની મુલાકાત લીધી એ વખતે તેની સમક્ષ રોપ-વેની સીધની આસપાસ આવતા ગિધનાં માળાઓની વીગતો અપાઇ હતી. વનવિભાગનાં સૂત્રોનાં કહેવા મુજબ, પગથિયાં પર આવેલી વેલનાથ બાપુની સમાધિ-ધૂણા થી ઉપર આવેલી પથ્થરની ઉભી કરાડમાં ગિધનાં ૨૬ માળાઓ આવેલા છે. આ માળાઓ પૈકી બે માળા રોપ-વે રૂટથી ૨૦ મીટરનાં અંતરે છે. જ્યારે બાકીનાં માળા ૧૦૦ મીટર દૂર છે. આ નજીકનાં માળા નકારાત્મક પરબિળ બન્યાં હોઇ શકે એવી શક્યતા જાણકારોએ વ્યક્ત કરી હતી.

ગિરનાર રોપ-વે અંગે હવે રિપોર્ટ પર સૌની મીટ.


Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:09 PM [IST](20/03/2012)
રીપોર્ટની નકલ એક બે દિવસમાં ગુજરાત વનવિભાગને મળે તેવી શક્યતા
ગિરનાર રોપ-વે સાઇટની સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટીએ મુલાકાત લીધી હતી. આ કમિટીએ રોપ-વે માટેની જુદી જુદી સાઇટોની શક્યતાઓ ચકાસી હતી. બાદમાં તેનો એક રીપોર્ટ તૈયાર કર્યો હતો. આ રીપોર્ટ હવે સુપ્રીમની બેન્ચ સમક્ષ રજૂ કરાયો છે. જેના પર સુપ્રીમ કોર્ટ નિર્ણય લેશે. રીપોર્ટની નકલ હજુ સુધી ગુજરાત વનવિભાગને મળી નથી. આવતીકાલે મંગળવારે રિપોર્ટ જાહેર થાય તેવી સંભાવના છે.
આ અંગેની પ્રાપ્તવીગતો મુજબ, ગિરનાર જંગલને અભયારણ્ય જાહેર કરાતાં ગિરનાર રોપ-વેનાં નિર્ણયનો સંપૂર્ણ દારોમદાર કેન્દ્રિય વાઇલ્ડ લાઇફ બોર્ડ અને બાદમાં સુપ્રીમ કોર્ટની સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટી ઉપર હતો. આ માટે સેન્ટ્રલ એમ્પાવરમેન્ટ કમિટીએ થોડા માસ પહેલાં જૂનાગઢ આવી રોપ-વે સાઇટની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ તકે વિવિધ લોકો, સંસ્થાઓ, સર્વપક્ષીય આગેવાનોની રજૂઆતો સ્વીકારાઇ હતી.
બાદમાં કમિટીએ તેનો રીપોર્ટ તૈયાર કર્યો હતો. તાજેતરમાંજ એ રીપોર્ટ સુપ્રીમની બેન્ચ સમક્ષ મુકવામાં આવ્યો છે. તેની નકલ કેન્દ્રિય વનમંત્રાલયને અપાશે. સાથોસાથ તે ગુજરાતનાં વનવિભાગને પણ અપાશે. આ રીપોર્ટનાં આધારે સુપ્રીમ કોર્ટની બેન્ચ રોપ-વેને લીલીઝંડી આપવી કે નહીં તેનો નિર્ણય લેશે.
આથી આ મામલે ભારે કૂતુહલ ફેલાયું છે. ગુજરાત વનવિભાગને રીપોર્ટની નકલ મળ્યા બાદ તે ઉષા બ્રેકો કંપનીને અપાશે. આગામી એકાદ સપ્તાહમાં આ નકલ અમને મળી જશે એમ ઉષા બ્રેકો કંપનીનાં સૂત્રોએ જણાવ્યું હતું. રીપોર્ટનાં આધારે સુપ્રીમ કોર્ટ શો નિર્ણય લે છે તેના પર હવે સહુની મીટ મંડાઇ છે. અત્રે નોંધનીય છે કે, રોપ-વે માટે ભવનાથની સાઇટ જ શ્રેષ્ઠ વિકલ્પ હોવાનું ગુજરાતનાં વનવિભાગે કમિટી સમક્ષ જણાવ્યું હતું.

ધારીના કંટાળાનાં શખ્સે જંગલી ભૂંડનુ માંસ રાંધીને ખાધું.


Source: Bhaskar News, Dhari   |   Last Updated 3:34 AM [IST](22/03/2012)
ધારી ગીરપુર્વના તુલશીશ્યામ રેંજના કંટાળા ગામે એક શખ્સ રાત્રીના જંગલી ભુંડનુ માંસ રાંધીને ખાઇ રહ્યો હોવાની બાતમી વનવિભાગને મળતા ધારીના એસીએફ સ્ટાફ સહિત ઘટના સ્થળે પહોંચી ભુંડના અવશેષો સાથે આ શખ્સને ઝડપી લઇ રૂ.૧૧ હજારનો દંડ ફટકાર્યો છે.
ધારી ગીરપુર્વના તુલશીશ્યામ રેંજના કંટાળા ગામે પરશોતમ ભીખાભાઇ સોલંકી નામનો શખ્સ રાત્રીના બારેક વાગ્યાના સુમારે જંગલી ભુંડનુ માંસ રાંધીને ખાઇ રહ્યો હોવાની બાતમી વનવિવભાગને મળતા ધારીના ડીએફઓ અંશુમન શર્માની સુચનાથી એસીએફ ધામી તેમજ રૈયાણી સ્ટાફ સાથે કંટાળા ગામે દોડી ગયા હતા.
સ્થળ પરથી ભુંડના અવશેષો સાથે પરશોતમભાઇને ઝડપી લઇ પુછપરછ હાથ ધરી હતી. પુછપરછમાં પરશોતમભાઇએ જણાવ્યુ હતુ કે રેવન્યુ વિસ્તારમાં કોઇ વન્ય પ્રાણીએ મારેલ ભુંડનો અડધો બચેલો ભાગ તેઓ ઘરે લઇ આવ્યા હોવાનુ કબુલ્યુ હતુ. વનવિભાગે R ૧૧ હજારનો દંડ ફટકાર્યો હતો.

નદીના પટમાં સૂતેલા યુવાન પર સિંહણનો હુમલો.


Source: Bhaskar News, liliya   |   Last Updated 1:26 AM [IST](19/03/2012)
લીલીયા તાલુકાના બવાડી ગામની સીમમાં શેત્રુજી નદીના પટમાં જેસીબી ચલાવવાનું કામ કરતો એક પર પ્રાંતીય યુવાન ગઇ રાત્રે નદીના પટમાં સુતો હતો ત્યારે મધ રાત્રે એક સિંહણે તેના પર હુમલો કરી ઘાયલ કરી દેતા તેને સારવાર માટે દવાખાને ખસેડાયો છે.
મૂળ હરિયાણાનો અસલમ આલમ પઠાણ (ઉ. વ. ૨૫) નામનો યુવાન બવાડા ખાલપર ગામની સીમમાં શેત્રુજી નદીના પટમાં જેસીબી ચલાવવાનું કામ કરે છે. રાત્રે કામ પુરુ કર્યા બાદ આ યુવાન નદીના પટમાં જ ખાટલો નાખીને સૂઇ રહે છે.
ગઇ રાત્રે આ યુવાન નદીના પટમાં ખાટલો નાખીને સૂતો હતો ત્યારે સિંહણે તેના પર હુમલો કર્યો હતો. તે સુતો હતો ત્યારે સિંહણે તેને ચહેરા ડોક અને હાથ પર ઉઝરડા કર્યા હતાં. જો કે આ યુવાનને તેના પર કોણે હુમલો કર્યો તેના ખબર રહી ન હતી. ઘાયલ યુવાનને સારવાર માટે પ્રથમ લીલીયા દવાખાને અને બાદમાં વધુ સારવાર માટે અમરેલી સિવીલમાં ખસેડવામાં આવ્યો હતો.
જેસીબી માલીક દ્વારા રાત્રે જ વન અધીકારીઓને જાણ કરવામાં આવતા વન કર્મચારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. નદીના પટમાં સિંહણની અવરજવરના સગડ મળ્યા હતાં.
આ વિસ્તારમાં પાછલા કેટલાક દીવસથી કોલર આઇડીવાળી સિંહણ આંટા મારતી હોવાનું કહેવાય છે. સિંહણ ખાટલા પર ચડી ગઇ હોય ખાટલો પણ રેતીમાં બેસી ગયો હતો. આ ઉપરાંત સિંહણના પંજાને કારણે ગોદડુ પણ ચીરાઇ ગયું હતું.
અત્રે નોંધનીય છે કે, ગિર અભીયારણીયમાં સાવજોની સંખ્યા વધ્યા બાદ જંગલની બહાર રેવન્યુ વિસ્તારમાં સિંહ સહિતના જંગલી જાનવરોની અવર-જવર વધી ગઇ છે. ખાસ કરીને ધારી તથા લીલીયા પંથકમાં માનવી ઉપરના હુમલા રોજીંદા બનવા લાગ્યા છે.

બાબરામાં ગાયના ગળામાં પ્લાસ્ટિક ફસાઇ જતાં મોત.


Source: Bhaskar News, Babra   |   Last Updated 12:53 AM [IST](11/03/2012)
બજારોમાં ઠેરઠેર પ્લાસ્ટિકનો કચરો હોઇ ગૌપ્રેમીઓમાં રોષ
બાબરામાં ખાખરીયા ચોરા પાસે સાંજના સુમારે એક ગાયનું પ્લાસ્ટિક ખાઇ જવાથી મોત નિપજ્યું હતું. શહેરમાં જ્યાં ત્યાં લોકો પ્લાસ્ટિકનો કચરો ફેંકી દેતા હોઇ અવારનવાર ગાયો મોતને ભેટી રહી છે. બે મહિના પહેલા પણ એક ગાયનું મોત
નિપજ્યું હતું.
ખાખરીયા ચોરા પાસે સાંજના પાંચ વાગ્યાના સુમારે ખેક ગાય પ્લાસ્ટિક ખાઇ જવાથી પ્લાસ્ટિક ગળામાં ફસાઇ જતા ગાય તરફડીયા મારવા લાગી હતી. ત્યારે આજુબાજુના રહિશો જોઇ જતા તુરત પશુ ડોક્ટરને જાણ કરી હતી. પરંતુ ડોક્ટર ગાયની સારવાર કરે તે પહેલા તેનું મોત નિપજ્યું હતું. ડોક્ટરે જણાવ્યું હતું કે ગાયના ગળામાં પ્લાસ્ટિક ફસાઇ જવાથી તેનુ મોત નિપજ્યું છે.
શહેરના લોકો ખાણીપીણીની વસ્તુઓ પ્લાસ્ટિકની થેલીઓમાં ખરીદી કરે છે અને બાદમાં ગમે ત્યાં ફેંકી દે છે. આ પ્લાસ્ટિક રખડતી ભટકતી ગાયો ખાઇ જાય છે અને મોતને ભેટે છે. બે મહિના પહેલા પણ પ્લાસ્ટિક ખાઇ જવાથી એક ગાય મોતને ભેટી હતી. લોકો પ્લાસ્ટિકનો કચરો જ્યાંત્યાં ન ફેંકે જેથી ગૌમાતાઓ આવો કચરો આરોગી મોતને ન ભેટે તેવો ગાૈપ્રેમીઓએ અનુરોધ કર્યો હતો.

રાજુલામાં બિમાર બાઝનું બચ્ચું મળી આવ્યું.

Source: Bhaskar News, Rajula   |   Last Updated 2:34 AM [IST](04/03/2012)
રાજુલામાં બાયપાસ ચોકડી પાસેથી આજે વહેલી સવારે એક બિમાર બાઝનુ બચ્ચુ મળી આવ્યું હતું. આ બચ્ચુ રસ્તા નજસક જ પડેલુ હોવાની લોકોના ટોળા તેને જોવા માટે એકઠા થયા હતા. જો કે, આ બાજને કોઇ પશુ નુકશાન ન કરે અને લોકો દ્વારા આ બાજને છંછેડાય નહીં તે પહેલા સેવાભાવી મહેશભાઇ વરૂ તેમજ અબ્દુલભાઇ પઠાણે આ બચ્ચાને પકડીને વનવિભાગની કચેરીએ સોંપવામાં આવતા આરએફઓ બ્લોચે બાઝના બચ્ચાને જરૂરી સારવાર આપી હતી. -- તસ્વીર :કનુભાઇ વરૂ

ધારદાર પીંછાનું કવચ ધરાવતી શાહુડી સિંહણને ભારે પડી.


Source: Bhaskar News, Dhari   |   Last Updated 8:43 PM [IST](01/03/2012)
શેઢાડીનો શિકાર કરવાની ભુલ કરનાર સિંહણના ગળામાં પીંછા ખુપી ગયા
શું ખાવુ અને શું ન ખાવુ તેનો વિવેક ગુમાવી માણસ પોતાની તબીયત બગાડી નાખે છે પરંતુ પશુઓને કુદરતે અજીબ શકિત આપી છે જેથી ન ખાવા જેવી વસ્તુ ખાવાની ભુલ પશુઓ કરતા નથી. પરંતુ ગીર જંગલમાં એક સિંહણે ધારદાર શેઢાડીનો શિકાર કરવાની ભુલ કરી નાખતા સિંહણના મોઢા પર શેઢાડીના પીંછા ખુપી ગયા હતા. આ ઘાયલ સિંહણને સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડાઇ છે.
આ ઘટના ગીરપૂર્વની જસાધાર રેંન્જમાં આવેલા કરડાપાણ જંગલમાં બની હતી. વનવિભાગનો સ્ટાફ અહી ફેરણુ કરતો હતો ત્યારે એક સિંહણ ઘાયલ અને બિમાર અવસ્થામાં હોવાનું જણાતા તેને પકડવા માટે પાંજરૂ ગોઠવવામાં આવ્યું હતું.
જસાધાર રેંજના આરએફઓ બી.ટી.આહિર તેમજ રેસ્કયુ ટીમ દ્રારા કરાયેલા પ્રયાસોમાં ગઇરાત્રે આ સિંહણ પાંજરામાં આવી ગઇ હતી. તુરંત આ સિંહણને સારવાર માટે જસાધારના એનીમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવી હતી. જ્યાં વેટરનરી ડૉ. હિતેષ વામજાએ આ સિંહણની સારવાર શરૂ કરી હતી. આશરે ૧૨ થી ૧૩ વર્ષની ઉંમરની આ સિંહણને ગળાના ભાગે તથા પેટના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યાં હતા.
એટલું જ નહી સિંહણના ગળા પાસે શેઢાડીના બે પીંછા ખુપી ગયેલી હાલતમાં મળ્યાં હતાં. સિંહણે શેઢાડીનો શિકાર કર્યો હશે અને તે વખતે આ ઇજા થઇ હોવાનું મનાઇ રહ્યું છે. કુદરતે શેઢાડીને ધારદાર પીંછાનું સુરક્ષાકવચ આપ્યું છે. આ સુરક્ષા કવચ હાલમાં તો સિંહણને ભારે પડી ગયું છે. મોડેથી જાણવા મળતી વિગત અનુસાર આ સિંહણને જુનાગઢના સકકરબાગ ખાતે વધુ સારવારમાં ખસેડાઇ છે.
સિંહણની સોનોગ્રાફી કરી એક્સ-રે પણ પડાશે
વનખાતાના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર આ સિંહણની સારવાર સોનોગ્રાફી અને એક્સ-રેથી કરવામાં આવશે. જેથી તેના પેટની સ્થિતિની પણ સાચી જાણકારી મળે. શેઢાડીના નાના પીંછા પણ સિંહણના પેટમાં હશે તો તેના માટે ગંભીર ખતરો છે.

દીપડાને ધાબળો ઓઢાડી યુવાન ઝાડ પર ચડી ગયો.


Source: Bhaskar News, Savarkundla   |   Last Updated 6:25 PM [IST](01/03/2012)
હુમલો કરનાર દીપડાને ફટાકડાના અવાજ કરીને ભગાડવો પડ્યો
સાવરકુંડલા તાલુકાના અભરામપરા ગામે આવેલ વાડીમાં ગઇરાત્રે એક યુવાન પર દીપડાએ હુમલો કરતા તેને સારવાર માટે સાવરકુંડલા દવાખાને ખસેડવામાં આવ્યો છે. દીપડ઼ાથી બચવા યુવાન તેને ધાબળો ઓઢાડી વૃક્ષ પર ચડી ગયો હતો.
સાવરકુંડલાના અભરામપરા ગામે આંબરડીની સીમમાં આવેલ મનસુખભાઇ વલ્લભભાઇ ગજેરાની વાડીએ ભાગીયુ રાખીને કામ કરતો સુરેશ ખીમજીભાઇ ભીલ (ઉ.વ.૩૦) નામનો યુવાન ગઇરાત્રીના વાડીમાં વાવેલ જુવારમાં રોઝડુ આવી ચડતા તેને ભગાડવા ગયો હતો.
બાદમાં પરત ફરી રહ્યો હતો ત્યારે જુવારમાં લપાઇને બેઠેલા દીપડાએ પાછળથી આ યુવાન પર હુમલો કરતા યુવાને પોતે ઓઢેલો ધાબળો દીપડાની માથે નાખી દેતા દપિડો ધાબળામાંથી નીકળવા પ્રયાસ કરે તે પહેલા આ યુવાન બાજુના વૃક્ષ પર ચડી ગયો હતો. સુરેશ વૃક્ષ પર ચડી ગયો તેમ છતા દીપડો વૃક્ષની નીચે તેની રાહ જોઇને બેસી ગયો હતો. બાદમાં દોડી આવેલા લોકોએ ફટાકડા ફોડી દીપડાને ભગાડ્યા બાદ યુવાન નીચે ઉતર્યો હતો.