Source: Bhaskar News, Talala | Last Updated 1:10 AM [IST](06/10/2010)
આગામી ૧૦ ઓક્ટોબરથી વનરાજોનું વેકેશન પૂર્ણ.
સિંહોનો સંવનનકાળ પૂર્ણ થતાં ગીર અભયારણ્ય, નેશનલ પાર્ક અને દેવળિયા પાર્ક ખુલ્લો મૂકાશે.
ચોમાસું એટલે ગીરનાં સાવજ માટે સંવનન કાળ. આ સમયગાળામાં પુખ્ત બનેલો વનરાજ તેની ‘રાણી’ને શોધી કુદરતનાં ખોળે ‘પ્રણયનાં ફાગ’ ખેલે છે. આથી ચોમાસા દરમિયાન વન વિભાગ પણ ગીર અભ્યારણ્ય, ગીર નેશનલ પાર્ક, દેવળીયા પાર્ક વગેરેમાં પ્રવાસીઓનાં પ્રવેશ ઉપર પ્રતિબંધ મુકી દે છે. ચોમાસું પૂર્ણ થતાં હવે ફરી વનકેસરીનાં ‘દર્શન’ માટે પ્રવાસીઓને પ્રવેશ અપાશે.
ગત જુન ૨૦૧૦થી શરૂ કરાયેલ વનરાજોનાં વેકેશનની મુદ્દત આગામી ૧૦ ઓક્ટોબરે પૂર્ણ થાય છે. આ દિવસથી સિંહ દર્શન માટેની પરમીટો સિંહ સદન ખાતેથી ઇસ્યુ થશે. એમ વન્ય પ્રાણી વિભાગ સાસણનાં ડીએફઓ ડૉ. સંદીપકુમારે જણાવ્યું છે. જુનાગઢથી મોટર માર્ગે ૬૫ કિ.મી. દૂર આવેલું સાસણ જતી વખતે મેંદરડા છોડ્યા પછી તુરત જ ગીરની હરિયાળી શરૂ થઇ જાય છે. છેક સાસણ સુધી એ જોવા મળે.
સંધ્યા સમય બાદ અહીંથી પસાર થતી વખતે નસીબમાં હોય તો એકાદ ‘સાવજ પરિવાર’ જોવા મળી જાય ખરો. જો કે, હાઇવે પરથી પસાર થતાં વાહનો તેની શાંતિમાં ખલેલ પહોંચડતા હોઇ વનરાજો હાઇવે પર બહુ ઓછા જોવા મળે છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-one-lion-family-seen-than-good-1432014.html
No comments:
Post a Comment