ગિર
જંગલની બોર્ડર ઉપર આવેલી બાબરાવીડી નજીકનાં પાણકવા ગામે ગઇકાલે રાત્રે ૩
વનરાજો વંડી ટપી એક ઘરનાં ફિળયામાં ઘૂસ્યા હતા. અને વાછરડીનું મારણ કર્યું
હતું. જોકે, ઘરનાં લોકો જાગતા હોઇ હાકોટા પાડતાં એક સિંહે પરિવારનાં એક
યુવાનને પંજો મારી નાસી છૂટયો હતો.
આ અંગેની વીગતો આપતાં માળિયા
હાટીનાનાં આર.એફ.ઓ. આર. ડી. વંશે જણાવ્યું હતું કે, ગિરબોર્ડરને અડીને
આવેલી બાબરાવીડી પાસેનાં પાણકવા ગામે ગઇકાલે રાત્રે ૧૦ થી ૧૧ વાગ્યાનાં
અરસામાં ૩ સિંહો આવી ચઢ્યા હતા.
આ સાવજો ગામનાં દેવશીભાઇ
નારણભાઇ પટાટનાં ઘરની વંડી ટપી ફિળયામાં આવી ચઢ્યા હતા. અને એક વાછડાનું
મારણ કર્યું હતું. એ વખતે ઘરનાં સભ્યો એ ફિળયામાં આવી હાકોટા પાડતાં બે
સાવજો વંડી ઠેકી પાછા જતા રહ્યા હતા. જ્યારે એક ડાલામથ્થો ઝડપથી દીવાલ ન
કૂદી શકતાં તે ભૂરાંટો થયો હતો. દરમ્યાન દેવશીભાઇનાં પરિવારજનોનાં હાકોટા
ચાલુ હોઇ સિંહે દેવશીભાઇનાં પુત્ર જગદીશ (ઉ.૨૭) નાં પગની પાછળ પંજો મારતાં
તેને એક ન્હોરનો ઉઝરડો પડી ગયો હતો. જોકે, ત્યારબાદ સિંહ પણ વંડી ટપી નાસી
ગયો હતો. જગદીશને સારવાર માટે વેરાવળની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.
જોકે, બાદમાં તેને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવાઇ હતી.બનાવને પગલે
માળિયા આર.એફ.ઓ. આર.ડી. વંશ, રાઉન્ડ ફોરેસ્ટર એચ. વી. શીલુ સહિતનો સ્ટાફ
ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને વીગતો મેળવી હતી. અત્રે નોંધનીય છે કે,
બાબરાવીડીમાં હાલ ૧૪ સિંહોનો વસવાટ છે. પાણકવા ગામે વજરાજોની અવરજવર પણ
નિયમિતપણે હોય છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-3-lion-attack-on-man-in-gir-jungle-border-2340084.html
No comments:
Post a Comment