Thursday, June 9, 2011

શેત્રુંજીના કાંઠે વસવાટ કરતા સિંહબાળ પર પૂરનો ખતરો.


અમરેલી : ૬, જૂન
ભૂતકાળમાં શેત્રુંજી નદીમાં પૂરના ધસમસતા પાણીમાં અનેક સિંહો તણાઈ ગયાના દાખલા છે. જ્યારે શેત્રુંજી નદીના કિનારે અને ખારાપાટ વિસ્તારમાં વસવાટ કરતા તાજા જન્મેલા અનેક સિંહબાળ ઉપર ચોમાસામાં પૂરનો ખતરો છે. ત્યારે આવા સિંહબાળને પરિવાર સાથે સલામત સ્થળે ખસેડવા પ્રકૃત્તિપ્રેમીઓમાં માંગ ઉઠી છે.
ભૂતકાળમાં અનેક સિંહ તણાયાના દાખલા છે
અમરેલી જિલ્લામાં ગીરના જંગલમાં ચાંચઈપાણીયાથી પ્રવેશતી શેત્રુંજી નદી ગીર, ધારી, ચલાલા, ચાંદગઢ, જેસર, ક્રાંકચ થઈને છેક પાલીતાણા સુધી ફેલાયેલી છે. ઉનાળામાં ગરમીથી બચવા અને પીવા માટે પાણીની તલાશમાં આ સિંહોના કોસ્ટલ હાઈ-વે ગણાતા શેત્રુંજી નદીના કિનારે આશરે ૫૦ ઉપરાંત સિંહોનો વસવાટ થઈ ચૂક્યો છે.  ત્યારે વધુ ગંભીર ખતરો ગણાતો હોય બૃહદ ગીર વિસ્તારમાં લીલીયાના ક્રાંકચ પાસેના ખારાપાટમાં વસવાટ કરતા ૨૨ સિંહોની વસાહતો છે. શેત્રુંજીના કાંઠે વસતા આ સિંહોમાં ૧૨ જેટલા સિંહબાળ છે. તેમાં હજુ ૩૦ દિવસ પહેલાં જ એક સિંહણને ત્રણ સિંહબાળ જનમ્યા હતા તે તો હજુ નાના છે.
ખારાપાટમાં ૩૦ દિવસ પહેલાં જ ત્રણ સિંહ બાળ જન્મ્યા છે
ત્યારે આવા નાના સિંહબાળ સહિતના બૃહદગીરના સિંહોને પૂરની સ્થિતિ ઉદભવે તે પહલાં જ અન્ય સ્થળે ખસેડી લેવા પ્રકૃત્તિપ્રેમીમાં માંગ ઉઠી છે. શેત્રુંજી નદીમાં ચોમાસા દરમિયાન અનેક નદીઓના પાણી ભળે છે. ત્યારે પૂરનો પ્રવાહ સિંહોને તાણી ન જાય તે માટે વનવિભાગે પગલાં લેવા જરૂરી છે.

સિંહોને અન્યત્ર ખસેડવા માટે વનવિભાગે પત્ર પાઠવ્યો છે
આ અંગે અમરેલી જિલ્લા વનવિસ્તરણ અધિકારી મકવાણાએ જણાવ્યું છે કે, લીલીયાના ક્રાંકચ પાસે વસવાટ કરતા નાના સિંહબાળ અને અન્ય સિંહોને પૂરની સ્થિતિથી બચાવવા માટે વનવિભાગે ઉચ્ચકક્ષાએ પત્ર પાઠવ્યો છે અને મંજૂરી મળ્યા બાદ તુરંત જ આ સિંહોને કોર્ડન કરી અન્ય સલામત સ્થળે ખસેડી લેવાશે.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=296440

દીપડાની વસ્તી ગણતરીમાં સાચી વિગતો છૂપાવાઈ !

તાલાલા : ૮, જૂન
તાલાલા પંથકમાં નોંધપાત્ર વધારો થયો છે

એંસી દીપડાની વસ્તી વધી હોવાની જાહેરાત વાહિયાત
ગીર અભયારણ્ય સહિત રાજયમાં થયેલ દીપડાની વસ્તી ગણતરી પૂરી થયા બાદ જંગલખાતાએ દીપડાની સંખ્યાના જાહેર કરેલ આંકડામાં જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં એસી દીપડાની વસ્તી વધી હોવાનું જણાવેલ છે ખરેખર સાચા આંકડા નથી જંગલખાતુ દીપડાની સાચી વસ્તીની વિગતો છૂપાવી રહી હોવાનો ગીર વિસ્તારમાં આક્ષેપ થઈ રહ્યો છે.
જાણકારોના જણાવ્યા પ્રમાણે તાલાલા, કોડીનાર, સુત્રાપાડા, વેરાવળ તાલુકામાં જ ચારસોથી વધુ દીપડા માનવ વસ્તી આજુબાજુ રહે છે. જૂનાગઢ અને અમરેલી જિલ્લામાં દીપડાની વસ્તીમાં એસીનો જે વધારો બતાવ્યો છે તેનાથી વધુ દીપડાની વસ્તી એકલા તાલાલા તાલુકામાં વધી હોવાનું કહેવાય છે. આ ત્રણ તાલુકામાં કેસર કેરીના બગીચા તથા શેરડીના વાડ વચ્ચે આરામથી રહેવા માટે અનુકુળ જગ્યા મળતી હોય ત્રણે તાલુકામાં એક અંદાજ મુજબ ચારસોથી વધુ દીપડા વસવાટ કરી રહ્યાં છે. તાલાલા પંથક સહિત આસપાસના તાલુકામાં માનવ વસ્તી વચ્ચે દીપડાનો વસવાટ વધી ગયો છે.
જાણકારોના જણાવ્યા પ્રમાણે દીપડાની સંખ્યા કેટલી ઝડપે વધી રહી છે તેને અંકુુુશમાં લેવા જંગલખાતુ નિષ્ફળ ગયું છે. માનવ વસ્તી પર દીપડાના હુમલાઓ વધી ગયા છે તેને પણ અટકાવી શકાયા નથી. જંગલખાતુ હુમલા બંધ કરાવવા નિષ્ફળ જતાં દીપડાની વસ્તીની સાચી વિગતો જાહેર કરતું નથી.

Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=297122

આંબળાશની સીમમાં યુવાન પર સિંહનો હુમલો.


જૂનાગઢ, તા.૭
તાલાળા તાલુકાના આંબળાશ ગામની સીમમાં ગત રાત્રે એક યુવાન પર સિંહે હૂમલો કર્યો હોવાનો બનાવ બન્યો છે. આ વિશેની મળતી વિગતો અનુસાર મૂળ દ્વારકાના બરડાના વતની નાનજીભાઈ બાલાભાઈ રબારી (ઉ.વ.૩પ) પોતાના ઘેટા સાથે તાલાળાના આંબળાશની સીમમાં રહે છે. ગત રાત્રે એક સિંહ અહી ઘેટના મારણ માટે આવી ચડતા અને જાગી ગયેલા નાનજીભાઈએ સિંહને પડકારતા સિંહે હૂમલો કરી ઈજાઓ પહોંચાડી નાસી છૂટયો હતો. બનાવમાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર માટે જૂનાગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=297007

તાલાલા પંથકમાં પ્રથમ વખત સવા કિલો વજનની કેરી જોવા મળી.


તાલાલા, તા. ૭ :
તાલાલા પંથકના આંકોલવાડી (ગીર) ગામના ખેડૂત નાથાભાઇ પટેલના કેસર કેરીના ફાર્મ હાઉસમાં સવા કિલો વજન ધરાવતી એક કેસર કેરી આંબા ઉપર આવી છે. સામાન્ય રીતે કેસર કેરીનું ફળ ૬૦૦ થી ૭૦૦ ગ્રામનું હોય છે, પરંતુ આ વર્ષે આંબા ઉપર પુરતા પ્રમાણમાં કેરીનો પાક આવેલ ન હોય કેસર કેરીને ઝાડ ઉપર જ પુરતુ પોષણ મળેલ છે. જેને કારણે કેરી વજનમાં આ વર્ષે દળદાર સંખ્યાબંધ ફળ આવેલ છે. પરંતુ સવા કિલો વજન ધરાવતી કેસર કેરી પ્રથમ વખત જોવા મળી છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=297005

પ્રાકૃતિક વિરાસતની જાળવણી કરવી લોકોની પણ ફરજ છે.


જૂનાગઢ, તા.૭
તાજેતરમાં વનવિભાગે ગિર અભયારણ્યમાં સમય મર્યાદા જતી રહ્યા બાદ પ્રવેશેલી જાનને અટકાવી હોવાના મુદ્દે જૂનાગઢની રૈવતગિરિ નેચર ક્લબે આ પગલાને આવકારતા જણાવ્યું છે કે, પ્રકૃતિક વિરાસતની જાળવણી કરવી એ માત્ર વનવિભાગની જ નહી, લોકોની પણ ફરજ છે.
  • ગિરના બનાવ વિશે રૈવતગિરિ નેચર ક્લબનું નિવેદન
ગિર અભયારણ્યમાં જાન અટકાવી હોવાના મુદ્દે રજૂઆતો થયા બાદ આ અંગે જૂનાગઢની રૈવતગિરિ નેચર ક્લબના પ્રમુખ ડી.આર.બાલધા અને આગેવાન અશોકભાઈ પુરોહિતે જણાવ્યું છે કે, ગિર અને ગિરનાર અભયારણ્ય વિસ્તાર હોવાથી પ્રતિબંધિત વિસ્તારમાં જાહેર જનતા પોતાની મરજી મુજબ પ્રવેશી શકે નહી. અને વનવિભાગે આવી રીતે જ દરેક માટે કાયદાની કડક અમલવારી કરાવવી જોઈએ. વનવિભાગે વ્યાજબી રીતે પગલા લઈને નિષ્ઠાથી પોતાની ફરજ બજાવી છે. અને જંગલ તથા પર્યાવરણને નૂકશાન થતું અટકાવ્યું છે. માટે અંગત સ્વાર્થ માટે વનવિભાગની કાર્યવાહીને વખોડવી વ્યાજબી નથી.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=296865

સીડીનાં પગથિયાં ચડીને દીપડો કૂવામાંથી બહાર.


જૂનાગઢ, તા.૪
વિસાવદર તાલુકાના ખજૂરીયા ગામની સીમમાં કૂવામાં પડી ગયેલા દીપડા માટે વનવિભાગે લાકડાની સીડી મૂકી દેતા રાત્રિ દરમિયાન દીપડો પોતાની મેળે સીડી ચડીને બહાર આવી ગયો છે. જ્યારે વંથલીના કણઝામાં છેલ્લા કેટલાક સમયથી ધામા નાખનાર દીપડીને પાંજરે પુરવામાં વનવિભાગને સફળતા મળી છે. 
વંથલીના કણઝામાંથી દીપડી પાંજરે પૂરાઈ
આ વિશેની મળતી વિગતો અનુસાર વિસાવદર તાલુકાના ખજૂરીયા ગામની સીમમાં આવેલ આણંદભાઈ ગંગદાસભાઈ વેકરીયાની વાડીમાં ખુલ્લા કૂવામાં ગઈકાલે એક દીપડો પડી ગયો હતો. આ અંગે વનવિભાગને જાણ કરાઈ હતી. પાણી વગરના કૂવામાંથી દીપડાને બહાર કાઢવા માટે વનવિભાગે લાકડાની નિસરણી મૂકી દીધી હતી. અને રાત્રે આ નિસરણીના પગથિયા ચડીને દીપડો પોતાની મેળે બહાર નિકળી ગયો છે. બીજી તરફ વંથલી તાલુકાના કણઝા ગામની સીમમાં છેલ્લા કેટલાક દિવસોથી એક દીપડીએ ધામા નાખ્યા હતાં. જેના કારણે ગ્રામજનોમાં ભયનું મોજુ પ્રસરી ગયું હતું. આ અંગે વનવિભાગને જાણ કરાતા આર. એફ.ઓ. એસ.ડી. ટીલાળાના માર્ગદર્શન હેઠળ અહી પાંજરૃ મૂકવામાં આવ્યું હતું. જેમાં ગઈકાલે રાત્રે દીપડી પૂરાઈ જતા લોકોએ રાહતનો દમ લીધો છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=296157

કેસર કેરીના પાકનું ધોવાણ : ૧૦ કરોડથી વધુ નૂકસાન.

તાલાલા, તા.૩:

તાલાલા પંથકમાં આજે ગાજવીજ અને પવન સાથે ખાબકેલા અઢી ઇંચ વરસાદથી કેસર કેરીના પાકને કરોડો રૃપિયાનું નુકસાન થયું છે. ઉનાળુ બાજરો, તલ, મગફળી, અડદ સહિતનાં પાકને વરસાદથી જબરૃ નુકસાન થતા ગીરપંથકના કિસાનોની સ્થિતિ કફોડી બની ગઇ છે. માર્કેટીંગ યાર્ડમાં ૩૦ હજારથી વધુ કેસર કેરીનાં બોક્ષ વરસાદમાં પલળતા કેરી પાણીમાં તરવા લાગી હતી. અચાનક ખાબકેલા વરસાદથી તાલાલા પંથકમાં વ્યાપક નુકસાની થઇ હોવાનું જાણવા મળે છે.

યાર્ડમાં કેસર કેરીના ૩૦ હજારથી વધુ બોકસ પલળ્યા : આજે હરરાજી બંધ રખાશે

તાલાલા પંથકના ખેડૂતો માટે આજે અચાનક ખાબકેલા ભારે વરસાદે કેસર કેરીના ઓછા પાક વચ્ચે થોડુ વળતર મળી રહેવાની આશા ઉપર પાણી ફેરવી દીધું હતું. હાલ કેસર કેરીની સીઝન પૂર બહારમાં ચાલુ હોય તેવા સમયે ભારે પવન અને વરસાદ પડતા આંબા ઉપરથી કેરીઓ ખરી ઢગલા થઇ ગયા હતાં. આજે તાલાલા માર્કેટીંગ યાર્ડમાં ૩૦ હજારથી વધુ કેરીના બોક્ષ વેચાણ માટે આવેલા બપોરે બે વાગ્યે કેરીની હરાજી શરૃ થવા સાથે વરસાદ ખાબકતા ખેડૂતો વેપારી મજૂરો ખુલ્લામાં પડેલી કેરી ઢાંકવા તાલપત્રી લઇ દોડધામ કરવા લાગ્યા હતા પરંતુ વરસાદ સાથે ભારે પવન ફૂંકાતા તાલપત્રીઓ ઉડી ગઇ અને યાર્ડમાં કેરીના બોક્ષ પલળી જતાં કેરી પાણીમાં તરવા લાગી હતી. યાર્ડમાં કેરીની ભારે આવક થઇ ચૂકી હોય વરસતા વરસાદમાં કેરીની હરાજી શરૃ કરવામાં આવેલ. વરસાદનાં લીધે કેરી ખાવાવાળા

અને વેપારી વર્ગ ખરીદીમાંથી હટી જતાં મોટા ભાગનો માલ કેનિંગવાળાઓએ ખરીદ કર્યો હતો.

વરસાદથી કેરીના ભાવમાં ૧૦૦ થી ૧૫૦ રૃપિયાનું ગાબડુ પડી ગયુ હતું. ૩૦૦ રૃપિયામાં વેચાતુ બોક્ષ ૧૭૦ થી ૧૮૦ માં વેંચવું પડયું હતું. કેરીના બગીચાઓમાં પાણી ભરાઇ જતાં કેરી ઉતારવાનું શકય ન હોય આવતીકાલે તાલાલ યાર્ડમાં કેરીની હરાજી બંધ રાખવામાં આવશે.

તાલાલા પંથકમાં કેરીનાં ગઢ ગણાતા ધાવા, બામણાસા, રસુલપરા, મોરૃકા, ચિત્રોડ, બોરવાવ, ભોજદે, જશાપુર સહિતનાં ગામોનાં કેરીનાં બગીચાઓમાં ભારે પવનથી આંબા તૂટી પડતા વ્યાપક નુકસાની થઇ હોવાનું જાણવા મળી રહ્યું છે.

ઉપરાંત ઉનાળુ તલ, બાજરો, અડદ, મગફળી સહિતના પાકો ખેતરોમાં તૈયાર થતા હોય વરસાદથી ખેત પેદાશોને ભારે નુકસાન થતાં ખેડૂતોની સ્થિતિ કફોડી બની ગઇ છે. તાલાલા પંથકમાં કેસર કેરીના પાકને ૧૦ કરોડથી વધુનું નુકસાન થયું હોવાનું ખેડૂતો જણાવી રહ્યા છે.

તાલાલામાં ગોડાઉન પર વીજળી પડી : વૃક્ષો ધરાશાયી

તાલાલા શહેરમાં વાવાઝોડા સાથે પડેલ ભારે વરસાદથી અનેક સ્થળોએ વૃક્ષો ધરાશાહી થઇ ગયા હતા, શહેરમાં શાક માર્કેટ ચોકમાં એક ચાની લારી ઉપર વૃક્ષ પડયુ તેમજ પીપળવા ગીર ગામે નારણભાઇ ભગવાનભાઇ નંદાણીયાની વાશીએ ઢોર બાંધવાના ઢાળીયા ઉપર તથા અનાજ ભરવાના ગોડાઉન ઉપર વીજળી પડતા ઢાળીયું અને ગોડાઉન પડી જતા રૃ. ૧ લાખ ૫૫ હજારનું નુકસાન થયું છે. ઢાળીયામાં બાંધલ પશુઓને નાની - મોટી ઇજા થઇ હતી. તેમજ તાલાલા શહેરમાં પશુ દવાખાનાના પટાંગણમાં આવેલ એક તોતીંગ વૃક્ષ વાવાઝોડાથી ધરાશાયી થઇ ગયુ હતુ. તેમજ શહેરમાં સાસણ રોડ ઉપર અનેક દુકાનોની આગળના છાપરા ઉડી ગયા હતા. શહેરમાં છ કલાક વીજ પુરવઠો બંધ રહ્યો હતો.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=295909