Sunday, August 31, 2014

જંગલમાં બે સિંહો વચ્ચે ઈનફાઈટમાં દોઢ વર્ષના પાઠડાનું મોત.

Aug 30, 2014 00:36
  • જસાધાર રેન્જનો બનાવ : મૃતદેહનું વનવિભાગે પોસ્ટમોર્ટમ કરાવ્યું
ખાંભા : ગત રાતે જસાધાર જંગલ વિસ્તારમાં બે સિંહો વચ્ચે ધમાસાણ ઈનફાઈટ થતા દોઢ વર્ષના પાઠડાને અન્ય સિંહે ગંભીર રીતે ઘાયલ કરી દેતાં મોત નિપજયું હતુ.  પ્રાપ્ત વિગત મુજબ ગત રાતે ધારી ગીર પૂર્વના જસાધાર રેન્જના જંગલ વિસ્તારમાં બે સિંહો વચ્ચે કાંટેકી ટકકર સમાન યુદ્ધ ખેલાઈ જતા જંગલ ગાજી ઉઠયુું હતું લાંબા સમયના યુદ્ધ બાદ પુખ્ત વયના સિંહે દોઢ વર્ષના પાઠડા સિંહને ઘાયલ કરી મોતને ઘાટ ઉતારી દીધો હતો. આ બનાવની વનવિભાગને જાણ થતાં ડીએફઓ અંશુમાન શર્મા સહિતના અધિકારીઓ જંગલમાં દોડી ગયા હતા. અને મૃત્યુ પામેલા પાઠડાનો મૃતદેહ કબજે લઈ જસાધાર એનિમલ કેર સેન્ટરમાં પોસ્ટમોર્ટમ કરાવ્યુ હતુ. જેમા આ મૃત્યુ ઈનફાઈટમાં થયાનું જણાવાયું હતુ.

તાલાલા પંથકમાં શેરડીના પાકને ભરખી રહેલી 'ભીંગડી'


  • Aug 30, 2014 00:11
  • વૃધ્ધિ અટકી જતાં ૫૦૦૦ એકરમાં ઉભેલા પાક પર જોખમ
તાલાલા : સૌથી વધુ ખર્ચાળ અને સૌથી વધુ સમયે પાતા શેરડીના પાકનું તાલાલા પંથકમાં આશરે પાંચ હજાર એકરમાં વાવેતર થયું છે. પરતુ હાલ આ શેરડીના પાકને 'ભીંગડી' નામનો રોગે ભરડો લીધો હોઈ પાકનો નાશ થવાની ભીતિ ઉભી થઈ છે ત્યારે ખેતવાડી ખાતાના તજજ્ઞાોએ શેરડીના પાકને બચાવવા માટે જાત તપાસ કરી સમયસર પરિણામલક્ષી કાર્યવાહી કરવાની માગણી ઉઠી છે. જો સમયસર યોગ્ય કાર્યવાહી નહીં થાય તો આ પાક નષ્ટ થવાની ભીતી ખેડૂતોમાં ઉભી થઈ છે.
તાલાલા પંથકના જુદા જુદા ગામોમાંથી મળેલી વિગતો મુજબ આ વર્ષે આ પંથકમાં આશરે પાંચ હજાર એકરમાં શેરડીનું વાવેતર થયું છે. પરંતુ હાલ શેરડીના પાકમાં 'ભીંગડી'નો રોગ આવી ગયો છે. આ રોગના કારણે શેરડીની વૃધ્ધી અટકી ગઈ છે.
આ રોગના નિયંત્રણ માટે ખેડૂતોએ વ્યાપક પ્રયત્નો કર્યા હોવા છતાં આ રોગ નિયંત્રણમાં આવેલ નથી. જેથી શેરડીના ઉત્પાદકો મુંઝવણમાં મુકાઈ ગયાં છે.ખેડૂતોના જણાવ્યા પ્રમાણે એક વીઘામાં ૨૦ ટન જેટલી શેરડી ઉતરે છે પણ હાલ લાગુ પડેલા રોગના કારણે વૃધ્ધી અટકી ગઈ હોય ખેડૂતોને ભારે નુકસાન થવાની ભીતિ છે. ગત વર્ષે ઓછા વાવેતરના કારણે પાક ઓછો થયો હતો અને દેશી ગોળ બનાવવાના ૫૦ રાબડા શરૃ થયાં હતાં. જો કે દર વર્ષે ૧૫૦ જેટલા રાબડા દ્વારા ગોળ બને છે. ત્યારે આ વર્ષે સારૃ વાવેતર થયું છે પરંતુ 'ભીંગડી' નો રોગ પાકને ભરખી જાય તે પહેલા ખેતીવાડી ખાતા દ્વારા ખેડૂતોને યોગ્ય માર્ગદર્શન આપવાની જરૃર છે.

બોરવાવથી સાસણ હાઈ.-વેને જોડતા નવા માર્ગ માટે રૃ.૧ કરોડ મંજૂર


  •  Aug 31, 2014 00:10
  • વનાળિયાનો પૂલ અને વાડલાથી મોરૃકા સુધીનો પેવર રોડ બનાવવા રજૂઆત
(પ્રતિનિધિ) જૂનાગઢ : તાલાલા તાલુકાના બોરવાવથી સાસણ હાઈ વે ને જોડતા નવા માર્ગ માટે રૃ.૧ કરોડની રકમ રાજ્યના માર્ગ અને મકાન વિભાગ દ્વારા મંજૂર કરવામાં આવ્યા છે. તેમજ આ કામગીરી તાત્કાલીક શરૃ કરવા મંત્રી દ્વારા અધિકારીઓને સુચના પણ આપવામાં આવી છે.
બોરવાવ ગામથી સાસણ હાઈ વેને સંગોદ્રા ફાટક પાસે જોડતા આશરે સાડા ત્રણ કિમીના પેવર રોડ અંગે તલાળા માર્કેટિંગ યાર્ડના ચેરમેન અને જૂનાગઢ જિલ્લા યુવા ભાજપના પ્રમુખ કિરીટભાઈ પટેલે ગાધીનગર ખાતે માર્ગ અને મકાન મંત્રી નિતિનભાઈ પટેલને રૃબરૃ મળી રજૂઆત કરી હતી. જેના પરિણામ સ્વરૃપે રૃપિયા ૧ કરોડ આ પેવર રોડ બનાવવા મંજૂર કરવામાં આવ્યા છે. બોરવવાથી તાલાલા વચ્ચેનો વનાળિયાનો પુલ બને તો આ પંથકનાં પ થી ૬ ગામના લોકોને લાભ મળે તેમ છે. વધુ વરસાદ દરમિયાન આ ગામમાં મુખ્યમથકથી છુટા પડી જતા હોવાથી આ ગામના લોકોએ પરેેશાની વેઠવી પડે છે.આ પંથકના વાડલા ગામથી મોરૃકા સુધી જવા માટે પણ ૩ કિ.મી. પેવર રોડ બનાવવા અંગે રજૂઆત કરી છે.

બહાર આને સે પહેલે ખીર્ઝાં ચલી આઈ : બાબરામાં વન બન્યું વેરાન.

Aug 30, 2014 00:11

  • સરકારી વન મહોત્સવમાં સંઘાણી સહિતના નેતાઓએ ફોટા પડાવ્યા તે પડાવ્યા, એ પછી કોઈએ દરકાર જ ન લેતા છોડ મૂરઝાયા
બાબરા : બાબરા ખાતે એક માસ પહેલા ૬૮માં વનમહોત્સવને અનુલક્ષીને વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો જેમાં મોટા ગજાના નેતાઓ અને અધિકારીઓ પણ હાજર રહ્યા હતા પરંતુ એક જ માસમાં આ તમામ વૃક્ષોનું નિકંદન નીકળી ચૂક્યુ છે. પ્રસિધ્ધિ ભૂખ્યા નેતાઓએ ફોટા પડાવ્યા બાદ જાળવણીના એક પણ પગલા લીધા ન હોવાથી આ કાર્યક્રમ તદ્દન નિષ્ફળ રહ્યો છે.
બાબરાના કરીયાણા રોડ સંપ સ્ટેશન ખાતે ગત તા. ૩૦ ના રોજ નગરપાલિકાના ઉપક્રમે ૬૮માં વનમહોત્સવ અંતર્ગત વૃક્ષા રોપણનો કાર્યક્રમ રાખવામા આવ્યો હતો.
આ વૃક્ષારોપણમાં પૂર્વ કૃષિમંત્રી દિલીપ સંઘાણી, જીલ્લા ભાજપ પ્રમુખ સુખડિયા, બાંધકામ સમિતીના ચેરમેન સાનેપરા સહિત ભાજપના હોદ્દેદારો તેમજ પાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધીઓ હાજર રહ્યા હતા. તમામે વૃક્ષારોપણ કરીને ફોટા પડાવ્યા બાદ સોશ્યલ સાઈટ્સ પર પ્રસિધ્ધિ મેળવવા પ્રયત્નો કરવામા આવ્યા હતા. આ કાર્યક્રમને માત્ર એક જ માસ પૂરો થયો ત્યાં જ વાવેલા વૃક્ષો યોગ્ય કાળજીને અભાવે સૂકાઈ ગયા છે. ટ્રી ગાર્ડ વગરના છોડને રખડતા પશુઓએ પોતાનો આહાર બનાવી લીધો છે. આટલા ટૂંકા ગળામાં જ તમામ વૃક્ષોનું નિકંદન નીકળી ગયુ છે.
વન મહોત્સવમાં ભાગ લેનાર તમામ નેતાઓ અને અધિકારીઓ વૃક્ષારોપણને પ્રસિધ્ધીનું માધ્યમ ગણતા હોય તેવુ ચર્ચાઈ રહ્યુ છે કારણ કે આ કાર્યક્રમ બાદ કેટલાક લોકોના છોડ વાવેતર કરતા ફોટા સોશ્યલ સાઈટ્સ પર પણ વહેતા મૂકવામા આવ્યા હતા.
શહેરમાં થતી ચર્ચાઓ મુજબ કોઈએ પણ વૃક્ષોની તકેદારી રાખવાની જવાબદારી લીધી ન હતી જેથી વન મહોત્સવ જેવો સાર્વજનિક હિતનો કાર્યક્રમ પણ નિષ્ફળ ગયો છે જે ખરેખર દુઃખદ બાબત છે.

૧૫ ફૂટ ભરેલા કૂવામાં સિંહબાળ એક કલાક મોત સામે ઝઝૂમ્યું.

Aug 24, 2014 00:50

  • ૩૦ ફૂટ ઊંડા કૂવામાંથી વન વિભાગે હેમખેમ બહાર કાઢીને એનિમલ કેર સેન્ટરમાં મોકલી આપ્યું
પ્રભાસપાટણ :  ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ તાલુકાના ડારી નજીક એક કુવામાં પડી ગયેલા ત્રણ માસના માદા બાળસિંહને વન વિભાગની ટીમે જીવીત બચાવી સહીસલામત બહાર કાઢયું હતું.
 ડારી ગામ નજીક આવેલી વલી મહમદ નુરમહમદ ગનીની વાડીમાં ત્રણ માસનું સિંહબાળ પડી ગયું હતું. આ અંગેની ગામના સરપંચ જમાલભાઈને જાણ થતા તેમણે સવારે ૧૦ કલાકે વન વિભાગને જાણ કરતા વન વિભાગની ટીમ ૧૦.૩૦ કલાકે સ્થળ પર પહોંચી બચાવ કાર્ય હાથ ધરી એક કલાકમાં બચ્ચાને સહી સલામત બહાર કાઢી બચાવી લીધું હતું. સિંહબાળ જે કુવામાં પડી ગયું તે કુવો ૩૦ ફૂટ ઉંડો હતો અને તેમાં ૧પ ફૂટ પાણી ભર્યુ હતું.
 સલામત રીતે બચાવી લેવાયેલા આ સિંહબાળને માળીયા એનિમલ કેર સેન્ટર ખાતે મોકલવામાં આવ્યું છે.આ બચાવ કામગીરી વન વિભાગ અધિકારી ડોડીયાના માર્ગદર્શન મુજબ રાઉન્ડ ફોરેસ્ટર એચ.આર.રતનપરા, બીટગાર્ડ એન.એમ.પંચાસરાએ બજાવી હતી.

રસ્તા આડે ઉતરેલા દીપડાને વનરાજ દ્વારા સજા-એ-મોત.

Aug 23, 2014 01:26

  • વિસાવદરના વેકરિયાની સીમમાં બનેલો બનાવ
વિસાવદર : ગીરના જંગલ વિસ્તારમાં હિંસક વન્ય જીવોમાં હાલ સંવનનકાળ ચાલી રહ્યો છે અને એમાં નર માદા પર સર્વોપરિતા સાબિત કરવા માટે વીરતાનું પ્રદર્શન કરવાની તક કયારેય છોડતા નથી. આના કારણે અવારનવાર ઈનફાઈટ થવાના બનાવો બની જાય છે. આ ઉપરાંત હિંસક પ્રાણીઓમાં આધિપત્યભાવ પણ વકરી ગયો હોય છે એમાં સિંહ અને દીપડાઓ વચ્ચે અવારનવાર અસ્તિત્વની આરપાર લડાઈ થઈ જાય છે. તાજેતરમાં જ વિસાવદર તાલુકાના વેકરિયા ગામની સીમમાં રસ્તામાં આડો ઉતરનારો દીપડો સિંહના ગુસ્સાનો ભોગ બની ગયો હતો અને બન્ને વચ્ચે જોરદાર લડાઈ થતાં સિંહે દીપડાને મોતને ઘાટ ઉતારી દીધો હતોે.
   બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વેકરિયાની સીમમાં પ્રકાશભાઈ શિવશંકરભાઈ ત્રિવેદી પોતાના ખેતરે જઈ રહ્યા હતા એવામાં ખેતરની વચ્ચો વચ્ચ દીપડાનો મૃતદેહ મળી આવ્યો હતો. જેથી તેણે વનવિભાગને જાણ કરતા એસીએફ કપ્તા સહિતનો સ્ટાફ તાબડતોબ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. અને ત્યાં તપાસ કરતા દીપડાના ગળાના ભાગે તેમજ માથાના ભાગે ગંભીર ઈજાના નિશાનો હતા. કાન નાકમાંથી લોહી વહી ગયું હતુ. મૃતદેહની આસપાસ તપાસ કરતા સિંહના સગડ મળી આવ્યા હતા. અને કહેવાય છે કે આ દીપડો રસ્તામાં આડો ઉતરતા એની સાથે ઈનફાઈટ થઈ હતી. મોતને ભેટનાર દીપડાની ઉમર બે વર્ષની છે. ઉલ્લેખનીય છે કે ગત જુલાઈ માસમાં પણ બે વર્ષની વયના એક દીપડાને સિંહ સાથે લડાઈમાં મોત નિપજયુ હતુ આ બીજો બનાવ બન્યો છે. દીપડાના મૃતદેહને વિસાવદર લાવી પોસ્ટમોર્ટમ કરી અગ્નિદાહ આપવામાં આવ્યો હતો.

ગિરનાર અભયારણ્યને અડીને ચાલતું બાલાજી પ્રોેસેસર બંધ કરવા વનતંત્રએ નોટીસ ફટકારી.

Aug 27, 2014 00:18
જૂનાગઢ : જૂનાગઢ નજીક વિજાપુરના પાટિયા પાસે ગિરનાર અભયારણ્યને અડકીને ચાલતા સાડીની ધોલાઈના યુનિટ બાલાજી પ્રોસેસરની મંજૂરી પુરી થઈ જતા વનતંત્રએ આ યુનિટ બંધ કરવા બાબતે નોટીસ ફટકારી છે. તેમજ પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ અનુરોધ કરીને ફરી વખત મંજૂરી ન આપવા વનવિભાગે જણાવ્યું છે. ગિરનાર અભયારણ્ય જાહેર થયા બાદ પણ ઘણા લાંબા સમયથી જંગલની બોર્ડર ઉપર જૂનાગઢ પાસે વિજાપુરના પાટિયે ચાલતા બાલાજી પ્રોસેસર નામના
 
સાડીના ધોલાઈના યુનિટને લીધે વનસંપદાને ભારે નૂકશાની પહોંચી રહી છે. કેમિકલવાળા પાણીને લીધે વન્યપ્રાણીઓના આરોગ્ય ઉપર ગંભીર ખતરો તોળાઈ રહ્યો હતો. આ અંગે અનેક વખત ફરિયાદો પણ કરવામાં આવી હતી. દરમિયાનમાં આ યુનિટની મંજૂરી ગત તા.૧૭ ના રોજ પુરી થઈ જતા વનવિભાગે યુનિટ બંધ કરવાની નોટીસ ફટકારી છે. નોટીસ આપી હોવાની વાતને સમર્થન આપતા આર.એફ.ઓ. પી.જે.મારૃના જણાવ્યા અનુસાર વન્યપ્રાણીઓને થતી નૂકશાની સંદર્ભે આ યુનિટ અહી ચાલે તે યોગ્ય નથી. અભયારણ્યની બોર્ડરને અડીને આવેલું આ યુનિટ ઈકો સેન્સેટીવ ઝોનમાં આવે છે. માટે તેને મંજૂરી આપી શકાય નહીં. યુનિટ બંધ કરવાની નોટીસ સાથે પોલ્યુશન કંટ્રોલ બોર્ડને પણ પત્ર પાઠવીને ફરીથી આ યુનિટને મંજૂરી ન આપવા અનુરોધ કરવામાં આવ્યો છે.
http://sandesh.com/article.aspx?newsid=2979462