Wednesday, September 30, 2015

ડિસ્કવરી ગર્લ: 800થી વધુ રેસ્ક્યુ કરી સિંહોને બચાવનારી 3 સાહસિક મહિલાઓ

    રેસ્કયુ કરનાર મહિલાઓ
  • Bhaskar News, Junagadh
  • Sep 26, 2015, 12:37 PM IST

    રેસ્કયુ કરનાર મહિલાઓ
    - ગીર જંગલમાં 8 વર્ષમાં 800 થી વધુ રેસ્ક્યુ ઓપરેશનો કરી વન્યજીવોનાં જીવ બચાવ્યા
    - સિંહ-દીપડાના વસવાટ વચ્ચે ત્રણેય વનપાલ મહિલા નિર્ભિક બની ફરજ બજાવે છે
     
    તાલાલા: ગીર જંગલમાં વસવાટ કરતા સિંહ, દિપડા જેવા ખુંખાર પ્રાણીઓની હાજરીમાં ફરજ બજાવવામાં ભલભલાનાં હાંજા ગગડી જતા હોય છે ત્યારે આવાં પ્રાણીઓનાં સંરક્ષણ-સંવર્ધન માટે ફરજ બજાવતી ત્રણ મહિલા વન કર્મીઓની હિંમતની ઉમદા નોંધ લેવાઇ છે. આંતરરાષ્ટ્રીય ચેનલ ડિસ્કવરી દ્વારા ગિરની આ ત્રણેય મહિલા કર્મીઓ પર ખાસ સ્ટોરી ચાર એપીસોડમાં બનાવાઇ છે. જે આગામી 28 સપ્ટે.નાં રાત્રે 9 થી 10 સુધી ભારત સહિત સાઉથ એશિયામાં પ્રસારિત થશે.

    સિંહ-દિપડાનાં વસવાટવાળા ગીર જંગલમાં મહિલાઓ ફરજ બજાવે અને ફરજમાં સફળ બનશે કે કેમ તે અઘરો સવાલ હતો. પરંતુ 2007 માં વન વિભાગ દ્વારા કરાયેલી ભરતીમાં મહિલાઓ પણ સામેલ હતી. જેમાં દર્શનાબેન કાગડા, રસીલાબેન વાઢેર, કિરણ પિઠીયાને વન્યપ્રાણી વર્તુળ સાસણ (ગીર) માં પોસ્ટીંગ અપાયું. શરૂઆતમાં ઓફિસની કામગિરી બાદ ગીર જંગલમાં ફિલ્ડની જવાબદારી તેમને સોંપાઇ. જંગલ ખાતામાં મળેલી પડકારરૂપ નોકરીમાં પોતાની જાતને સાબિત કરવા આ ત્રણેય મહિલા કર્મીઓએ નિર્ભિકતા ધારણ કરી લીધી. વનપાલ તરીકે ફરજ બજાવતા દર્શનાબેન કાગડાને જંગલમાં સિંહ-દિપડા સહિતનાં વન્યજીવોનું સંરક્ષણ કરવું, પ્રકૃતિ શિક્ષણ શિબીરની કામગિરી, સંશોધન સહિતની મહત્વની જવાબદારી મળી. 

    ભય રાખ્યા વિના તેમણે સુપેરે પોતાને સોંપાયેલું કામ પાર પાડ્યુંં. રસીલાબેન વાઢેર પણ વનપાલ તરીકે કામ કરતા હતા. તેમને વન્ય પ્રાણીઓનાં રેસ્કયુ કરવાની પડકારરૂપ કામગિરી મળી. જેમાં તેમણે રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની રચના 14 વર્ષની ચારણ કન્યાની માફક ઉમદા નારીશક્તિનો પરિચય આપી 8 વર્ષમાં 800 થી વધુ રેસ્ક્યુ ઓપરેશનો કરી વન્યજીવોનાં જીવ બચાવ્યા. આ રેસ્ક્યુમાં 400 થી વધુ સિંહ, દિપડા, મગર, અજગરનાં જ છે. જ્યારે કિરણબેન પિઠીયાએ દેવળીયા સફારી પાર્કની ફરજમાં સિંહોનાં લોકેશન મેળવવા, પાર્કનું સંચાલન કરવું, સાથે પાર્કમાં રહેલા વન્યજીવોનું સંરક્ષણ કરવાની કામગિરી એક મર્દની માફકજ નિભાવી.

રસ્તા વચ્ચે દીપડાએ બાળાને મોંમા પકડી, ગ્રામજનોનો પ્રતિકાર છતાં ન બચી


Ravi Khakhar, Veraval
Sep 26, 2015, 11:24 AM IST
રસ્તા વચ્ચે દીપડાએ બાળાને મોંમા પકડી, ગ્રામજનોનો પ્રતિકાર છતાં ન બચીવેરાવળ: વેરાવળ તાલુકાના નાખડા ગામે આજે મોડી સાંજે વાણંદ પરિવારની પાંચ વર્ષની પુત્રી દૂધ લઈને પરત ઘરે આવી રહી હતી. તે દરમ્યાન રસ્તાની વચ્ચો વચ્ચ દીપડાએ બાળા પર હુમલો કર્યો હતો. ત્યારે ગ્રામજનોએ દીપડાના મુખમાંથી બાળાને છોડાવી ગંભીર સ્થિતિમાં સારવાર અર્થે પ્રભાસપાટણ આરોગ્ય કેન્દ્રમાં ખસેડી હતી. જ્યાં ફરજ પરનાં તબીબે બાળકીને મૃત જાહેર કરતા ગામલોકોમાં ગમગીની છવાઈ ગઈ હતી. 

આ બનાવની પ્રાપ્ત વિગત મુજબ નાખડા ગામે રહેલા વાળંદ પરિવારની પુત્રી ભારતી રમેશભાઈ કોટડીયા(ઉ.વ.પાંચ) આજે મોડી સાંજના સાડા સાત વાગ્યા આસપાસ ગામમાંથી દુધ લઈને ઘરે જઈ રહી હતી. ત્યારે બાળકીની બાજુમાંથી ગાય પસાર થઈ રહી હતી. અચાનક આવી ચડેલા દીપડાએ હુમલો કરતા ગાય બચી ગઈ હતી અને આ પાંચ વર્ષની માસુમ બાળકી દીપડાનાં મોંમાં આવી જતા ચીસા ચીસ કરવા લાગતા ગ્રામજનોએ દીપડાનો પ્રતિકાર કરી દીપડાના મોંઢામાંથી ભારતીને છોડાવી હતી. 

ગંભીર રીતે ઘવાયેલ ભારતીને સારવાર અર્થે 108 દ્વારા તાત્કાલીક પ્રભાસપાટણ આરોગ્ય કેન્દ્રમાં લઈ જવામાં આવી હતી. ત્યાં ફરજ પરનાં હાજર તબીબે બાળકી ભારતીને મૃત જાહેર કરતા વાળંદ પરિવાર તથા અન્ય ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી ગઈ હતી. બીજી તરફ બનાવ અંગે વેરાવળ રેન્જનાં આર.એફ.ઓ. અપારનાથીએ જણાવ્યું હતું કે નાખડા ગામમાં દીપડાએ બાળઆ ઉપર કરેલા હુમલાના પગલે વન વિભાગ દ્વારા દીપડાને પકડવા માટે બે જગ્યાએ પાંજરા મુકવામાં આવ્યા છે.

વન વિભાગ પહેલાં નિરૂત્સાહ રહ્યંુ ,બાદ શોધવા નિકળી પડ્યું


  • DivyaBhaskar News Network
  • Sep 26, 2015, 05:00 AM IST
માળિયાહાટીનાનાં અમરાપુર ગામ નજીકથી સિંહણનુ મૃતદેહ મળ્યો હતો. સિંહણનાં બે બચ્ચા હોવાની ચર્ચા જાગી છે.તેમાથી એક સિંહ બાળ ડેડકણી રેન્જનાં પાટરા વિસ્તારમાં બિમાર હાલતમાં આવી ચડ્યુ હતુ.ગતરાત્રીનાં સિંહ બાળનુ લોકેશન મળ્યુ હતુ.પરંતુ ત્યારે વન વિભાગે કોઇ તેને પકડવાની તસ્દી લીધી હતો. બાદ આજે સવારથી તેનો શોધખોળ ચાલુ કરી છે.

માળિયા હાટીનાનાં અમરાપુર ગામની નજીકથી સિંહણનો મૃતદેહ મળ્યો હતો.સિંહણનાં મૃતદેહને લઇ ભારે વિવાદ પણ થયો હતો.મૃત સિંહણને બે બચ્ચા હતા.તેમાથી એક સિંહ બાળ ગતરાત્રીનાં ડેડકણી રેન્જનાં પાટરા વિસ્તારમાં આવી ગયુ હતુ. જેની ઉંમર પાંચ માસની હતી.તેની બિમાર હાલતમાં હતુ.આ અંગે રાત્રીનાં ડેડકણી રેન્જનાં અધિકારીઓને માહીતી મળી હતી.સિંહબાળનુ લોકેશન પણ હતુ.પરંતુ રાત્રીનાં બિમાર સિંહબાળને પકાવાની કોઇ તસ્દી લેવામાં આવી હતી. રાત્રીનાં આરામ બાદ સફાળુ જાગેલુ વન તંત્રએ સિંહબાળ પકડાવ આદેશ કર્યા હતા.પરંતુ ત્યા સુધીમાં સિંહ બાળનુ લોકેશન વન વિભાગનાં હાથમાંથી જતુ રહ્યુ હતુ.અંતે અધિકારીએ અન્ય કર્મીઓને સિંહબાળની શોધખોળ કરવા આદેશ આપ્યા હતા. વન તંત્રની બેદરાકરીનાંકારણે સિંહબાળ પર જોખમ ઉભુ થયુ છે. સિંહબાળને કોઇ પણ થાય તો જવાબદાર કોણ ωતે પણ એક સવાલ છે. જોકે પહેલા પણ બેદરકારીનાં કારણે એક સિંહબાળ અને સિંહનુ બિમારીથી મોત થયુ હતુ.

અત્રે ઉલ્લેખનીય છે કે, હાલ સિંહ સંરક્ષણને લઈ અનેકવિધ કાર્યક્રમો સહિત સંવર્ધન માટે પગલા ભરાઈ રહ્યાં છે ત્યારે સિંહબાળ પર ધ્યાન આપવું જરૂરી છે.

અમરાપુરમાં મૃત્યુ પામેલી સિંહણનું એક બચ્ચું ડેડકડી રેન્જમાં પહોંચ્યંુ

Tuesday, September 29, 2015

ભાદરવી પૂનમના ચંદ્રને સાવજે આવકાર્યો, અદભૂત દ્રશ્ય કેમેરામાં કેદ

ભાદરવી પૂનમના ચંદ્રને સાવજે આવકાર્યો, અદભૂત દ્રશ્ય કેમેરામાં કેદ
  • Hirendrasinh Rathod, Khambha
  • Sep 28, 2015, 14:08 PM IST
ખાંભા: ભાદરવી પૂનમની સવારનો માહોલ કંઈક અલગ જ હોય છે. ચંદ્ર સોળે કળાએ ખીલ્યો છે અને તેમાં પણ જો જંગલનો રાજા ખીલેલા ચંદ્રને વધાવવા તેની પાસે પહોંચી જાય ત્યારે જે દ્રશ્ય સર્જાઈ તે નજારો આજે ખાંભામાં જોવા મળ્યો હતો. ખાંભાના કેડાણ ગામે આવેલા તળાવ પાસે આ સુંદર નજારો કેમેરામાં કેદ થઇ ગયો હતો. તસવીર જોતા એવું જ લાગે જાણે કોઈ ચિત્રકાર પોતાની પીંછી વડે આ દ્રશ્ય કંડારતો હોય. ચિત્રમાં ડાલામથ્થો જાણે પૂનમના ચંદ્રને અલગ જ અંદાજમાં આવકારતો હોય.
 
તસવીરો: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા

ઇકો સેન્સેટીવ ઝોનના મુદે વનતંત્રએ છપાવેલી પત્રિકાઓ ખોટી : કોટડીયા


ઇકો સેન્સેટીવ ઝોનના મુદે વનતંત્રએ છપાવેલી પત્રિકાઓ ખોટી : કોટડીયા
  • Bhaskar News, Amreli
  • Sep 22, 2015, 10:22 AM IST
- ધારાસભ્ય કોટડીયા હવે તેમની જ સરકાર સામે બાંયો ચઢાવે છે : 25મીએ ધારીમાં રેલી

અમરેલી : અમરેલી જીલ્લામાં ઇકો સેન્સેટીવ ઝોન સામે જુદા જુદા ત્રણ મોરચે લડત ચાલી રહી છે. ભાજપના બે જુથ આ મુદે લડત ચલાવી રહ્યા છે ઉપરાંત કોંગ્રેસે પણ સરકાર સામે મોરચો માંડ્યો છે. ત્યારે હવે ભાજપના જ ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાએ આ અંગે સરકારના વન વિભાગે બહાર પાડેલી પત્રીકાને લોકોને મુર્ખ બનાવવાનો પ્રયાસ કર્યો છે અને વનતંત્ર લોભામણી વાતો કરી લોકોને મુર્ખ બનાવી રહી હોવાનું જણાવી આ મુદે 25મીએ ધારીમાં રેલીનું આયોજન જાહેર કર્યુ છે.

ધારાસભ્ય નલીનભાઇ કોટડીયાએ પાછલા કેટલાક દિવસોથી એક રીતે સરકાર સામે રીતસરની લડત ચાલુ કરી છે. પાટીદાર અનામત આંદોલનના મુદે પણ તેઓ સરકાર સામે બાંયો ચડાવી હતી. આ ઉપરાંત ભાજપના સાંસદ અને ધારાસભ્યો સામે પણ ગંભીર આક્ષેપો કર્યા હતાં. હવે ફરી તેણે સરકારના વન વિભાગ પર જ લોકોને મુર્ખ બનાવવાનો પ્રયાસ કરવાનો આક્ષેપ કર્યો છે. તેમણે જણાવ્યુ છે કે વન વિભાગ દ્વારા ઇકો સેન્સેટીવ ઝોન અંગે પ્રકાશ પાડતી જે પત્રીકાઓ આ વિસ્તારમાં વિતરીત કરી છે તે લોભામણી અને લાલચવાળી છે. પરિપત્ર વગર વન વિભાગ માત્ર આવી પત્રિકાઓ લોકોને મુર્ખ બનાવી રહી છે. પરંતુ તેના કારણે અમે આંદોલન પડતુ નહી મુકીએ.
 
તેમણે એમ પણ જણાવ્યુ હતું કે અમારી લડત ચાલુ જ રહેશે અને આ માટે 25મી તારીખે સવારે 9 કલાકે ધારી માર્કેટીંગયાર્ડ ખાતેથી વિશાળ રેલી નિકળશે અને પ્રાંત કચેરીએ જઇ ત્યાં વિશાળ સભા યોજવામાં આવશે અને જ્યાં સુધી ઇકો સેન્સેટીવ ઝોન નાબુદ નહી થાય ત્યાં સુધી પ્રતિક ઉપવાસ કરાશે. જરૂર પડયે આ મુદે ભુખ હડતાલ પણ શરૂ કરવામાં આવશે. તેમણે આક્ષેપ કર્યો હતો કે વન વિભાગના અધિકારીઓએ આવી પત્રિકાઓ છપાવી લોકોને ગેરમાર્ગે દોરી આંદોલનમાં ન જોડાય તે માટે કારસો કર્યો છે.

બાબરાની સીમમાં દિપડાએ કર્યું બળદનું મારણ : લોકોમાં ફફડાટ

બાબરાની સીમમાં દિપડાએ કર્યું બળદનું મારણ : લોકોમાં ફફડાટ
  • Bhaskar News, Babara
  • Sep 22, 2015, 00:13 AM IST
- આ અંગે વનવિભાગને જાણ કરવામા આવતા સ્ટાફ અહી દોડી આવ્યો હતો

બાબરા : ગીર જંગલમાં વસતા વન્યપ્રાણીઓ હવે રેવન્યુ વિસ્તારમાં પણ આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. ત્યારે બાબરામા રામપરા તળાવ પાસે ગઇકાલે રાત્રે બળદ મૃત હાલતમાં મળ્યો હતો. આ અંગે વનવિભાગને જાણ કરવામા આવતા સ્ટાફ અહી દોડી આવ્યો હતો. અહી દિપડાના સગડ હોવાની વનવિભાગે આશંકા દર્શાવી હતી.

વન્યપ્રાણી દ્વારા બળદના મારણની આ ઘટના બાબરામા ગઇકાલે રાત્રે કરીયાણા રોડ પર આવેલ ખીમજીભાઇ મારૂની વાડીમા બની હતી. અહી કોઇ વન્યપ્રાણીએ બળદનુ મારણ કર્યુ હતુ.  ખીમજીભાઇ સવારે વાડીએ પહોચ્યા ત્યારે જોયુ તો બળદ મૃત હાલતમા પડયો હતો. બાદમાં તેમણે તુરત વનવિભાગને જાણ કરતા વનવિભાગના કર્મચારી મોરડીયાભાઇ સહિત સ્થળ પર દોડી ગયા હતા.  

વનવિભાગે અહી તપાસ કરતા દિપડાના સગડ હોવાનુ જાણવા મળ્યું હતુ. અત્રે ઉલ્લેખનીય છે કે અગાઉ પણ બાબરા પંથકમાં વાડી ખેતરોમાં સિંહના આંટાફેરાથી લોકોમા ભય ફેલાયો હતો. અહીના સમઢીયાળા, તાઇવદર, નાની કુંડળ, કરિયાણા, જામબરવાળા ગામોમાં સિંહ, દિપડાએ દેખાદીધા હતા.

અમરેલીના હાડીડા અને ઘાંડલામાં આઠ સાવજો કર્યુ પશુઓનું મારણ

  • Bhaskar News, Amreli
  • Sep 19, 2015, 04:00 AM IST
અમરેલીના હાડીડા અને ઘાંડલામાં આઠ સાવજો કર્યુ પશુઓનું મારણ
- અમરેલીના હાડીડા અને ઘાંડલામાં આઠ સાવજો કર્યુ પશુઓનું મારણ
- સાવરકુંડલાના ગ્રામ્ય વિસ્તારોમાં  સાવજોનો વધી રહેલો  સતત આતંક
 
વિજપડી: સાવરકુંડલા તાલુકાના વિજપડી આસપાસના વિસ્તારમાં સાવજોનો ઉપદ્રવ દિનપ્રતિદિન વધતો જાય છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારમાં મારણની ઘટનાઓ રોજીંદી બની છે. છેલ્લા બે દિવસમાં અહિં હાડીડા અને ઘાંડલા ગામમાં સાવજોના ટોળા દ્વારા આઠ ગાયોનું મારણ કરવામાં આવ્યુ છે. જેને પગલે માલગાડીઓમાં ફફડાટ ફેલાયો છે. સાવરકુંડલા તાલુકામાં સાવજોની સંખ્યા ઘણી વધારે છે. અહિં રેવન્યુ વિસ્તારમાં જ આ સાવજો પડયા પાથર્યા રહે છે અને અવાર નવાર આસપાસના ગામડાઓમાં ઘુસી પશુઓનું મારણ કરતા રહે છે. સાવરકુંડલા તાલુકાના હાડીડા અને ઘાંડલા ગામમાં હવે આઠ ગાયોના મારણની ઘટના બની છે.
 
સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ગઇરાત્રે હાડીડા ગામે સાવજોનું એક ટોળુ ઘુસી આવ્યુ હતું અને બે ગાયોનું મારણ કર્યુ હતું. જ્યારે આગલી રાત્રે સાવરકુંડલા તાલુકાના ઘાંડલા ગામમાં સાવજના ટોળા દ્વારા છ ગાયોનું મારણ કરવામાં આવ્યુ હતું. વિજપડી આસપાસના વિસ્તારમાં આઠથી દશ સાવજનું ટોળુ વસી રહ્યુ છે. આ સાવજો દ્વારા રેઢીયાળ પશુની સાથે સાથે માલધારીઓ અને ખેડૂતોના ઉપયોગી પશુઓનું પણ અવાર નવાર મારણ કરવામાં આવે છે. જેના કારણે માલધારીઓમાં ફફડાટ છે. હાલમાં ખેતીની સિઝન ચાલી રહી છે ત્યારે ખેડૂતોમાં પણ સાવજોની હાજરીથી ભય જોવા મળી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, સાવરકુંડલા પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં સાવજોએ પડાવ નાંખ્યો હોય રાત્રીના સમયે ખેડૂતોને પણ ખેતી કામ કરવામાં ભયનો સમનો કરવો પડી રહ્યો છે. વહેલી તકે વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરા મુકવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.