Divyabhaskar.com | Updated - Aug 09, 2018, 12:40 PM
સાવજોની પ્રણયક્રિડામાં ખલેલ પહોંચાડવી જોખમી, સાવરકુંડલા, ખાંભા, લીલીયા, રાજુલા, ધારી પંથકમાં ગુંજશે સિંહબાળની કિકિયારી
ઘટનાને પ્રસ્તુત કરવા માટે પ્રતિકાત્મક તસવીરનો ઉપયોગ કરવામાં આવ્યો છે
અમરેલી: અમરેલી પંથકમાં વાડી-ખેતરો, નદી-નાળા,
નેરા-વોંકળા, સરકારી ખરાબો કે પડતર જમીન, બાવળની કાંટ કે જળાશયો જે ગણો તે
સાવજનું ઘર છે. કારણ કે જંગલ છોડી સાવજોએ અહીં પોતાનું નવું ઘર વસાવ્યું
છે. હાલમાં સાવજોનો મેટિંગ પીરીયડ ચાલી રહ્યો છે. ગીર જંગલના દરવાજા આ
કારણે જ બંધ કરી દેવાયા છે. પરંતુ રેવન્યુ વિસ્તારમાં તેવું ન થઈ શકે.
ક્રાંકચથી લઇ ધારી, ખાંભા અને નાગેશ્રી સુધીના વિસ્તારમાં હાલમાં 12 સિંહ
યુગલો સંવનનમાં વ્યસ્ત નજરે પડે છે.
વર્ષા ઋતુમાં સાવજોનો પ્રયણફાગ આપશે નવા સિંહબાળને જન્મે
આમ તો યુવા સિંહણને બચ્ચા ન હોય તો પ્રણયક્રિડા વર્ષમાં ગમે ત્યારે શરૂ
થઇ શકે છે. પરંતુ કુદરતી રીતે ચોમાસાનો હાલનો ગાળો સાવજોનો સંવનનકાળ છે.
અમરેલી જિલ્લાના રેવન્યુ વિસ્તારમાં 90થી વધુ સાવજો વસે છે. આ ઉપરાંત
જંગલમાંથી રેવન્યુમાં અવર-જવરવાળા સાવજો પણ ઘણા છે. આ વિસ્તારમાં બચ્ચાઓને
જન્મ આપી શકે તેવી યુવા સિંહણોની સંખ્યા 35થી વધુ છે. જ્યારે દિપાવલીના
ઉત્સવોનો માહોલ આવશે તેવા સમયે સાવજોની સંખ્યામાં ખાસ્સો ઉમેરો પણ થશે.
કારણ કે, હાલમાં માત્ર આ વિસ્તારમાં જ 12 સિંહ યુગલો સંવનનમા વ્યસ્ત નજરે
પડી રહ્યાં છે. આવનારા સમયમા કદાચ વધુ યુગલો આ ક્રિડામાં જોડાશે. દેશના
અણમોલ ઘરેણા સમાન સાવજોની સંખ્યા વધવા જઇ રહી છે.
ક્યાં ક્યાં ચાલી રહ્યું છે સાવજોનું સંવનન ?
-ખાંભાના ડેડાણ નજીક પતરમાળ ડૂંગર ઉપર બેલાડ
-લીલીયાના વાઘણીયામાં 3 સિંહની જોડીમાં એક સિંહ અને સિંહણ
-ક્રાંકચમાં મોટો નર અને માદા
-ખાંભાના રાહાગાળામા ભુરિયો સિંહ અને માદા
-ભાડ ઈંગોરાળાની સીમમાં જાંબો સિંહ અને સિંહણ
-ઘોબા રાણીગાળા વિસ્તારમાં સિંહ યુગલ
-રાજુલાના ખારી વિસ્તારનું સિંહ યુગલ
-નાગેશ્રી બારમણ વચ્ચે રહેતું સિંહ યુગલ
-કોટડીની સીમમાં રહેતું સિંહ યુગલ
-જસાધારમાં રાવલ ડેમ નજીક બાંડો સિંહ અને સિંહણ
-ધારી પંથકમા દલખાણીયા અને કાંગસા વિસ્તારમા બે યુગલ
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-LCL-jasadharana-area-take-krankacathi-12-lions-mating-engaged-couples-gujarati-news-5934270-PHO.html