Thursday, April 30, 2026

જાફરાબાદના હેમાળ અને માણસા વચ્ચે ગાય, બળદને ઝાડ સાથે બાંધી લેભાગુ તત્વો ગેરકાયદેસર સિંહદર્શન કરાવે છે

  • પોલીસ અને વન વિભાગ ઘોર નિંદ્રામાં, આવારા તત્વોને પકડવા લોકોની માંગ, અગાઉ પણ આવી ત્રણ ઘટના બની છે 

Divyabhaskar.Com

Jan 29, 2020, 10:43 AM IST
અમરેલી: અમરેલી જિલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજોની મોટી વસતી છે ત્યારે ગેરકાયદે સિંહદર્શન કરાવતા તત્વો આ વિસ્તારમાં સાવજોને મારણ આપી અવાર નવાર લાયન શો કરાવતા રહે છે. હવે આવા તત્વો નવો કિમીયો શીખ્યા છે અને સાંજ પડતા જ રેઢીયાર ગાય-બળદને સીમમાં ઝાડ સાથે બાંધી દઇ સાવજો મારણ કરે ત્યારે લાયન શો કરાવે છે. તંત્ર આ પ્રવૃતિને નાથવામાં નિષ્ફળ જઇ રહ્યું છે. હેમાળ અને માણસા ગામ સીમમાં હવે રેઢીયાર પશુઓને કમોતે મરવાનો વારો આવ્યો છે. અહીં અમુક આવારા તત્વો દ્વારા ગામમાંથી રખડતી ગાયો અને આખલાઓને શોધી સાંજના સમયે સીમ વિસ્તારમાં સિંહના મારણ માટે ઝાડ સાથે બાંધી દે છે. આ વિસ્તારમાં સિંહનું પ્રમાણ વધુ જોવા મળે છે. રાત્રી દરમિયાન સાવજના આટાફેરા જોવા મળતા હોય છે. ત્યારે અહી રેઢીયાર પશુઓને સીમમાં લઈ જઈ ઝાડ સાથે બાંધી સિંહોને લલચાવવામાં આવે છે. જેના કારણે અહીના આવારા તત્વો સિંહદર્શન કરાવી સિંહપ્રમી પાસેથી પૈસા પડાવી શકે છે.
લાયન શો કરાવતા તત્વો સિંહ દર્શનના શોખીનો પાસેથી તગડી રકમ પડાવી રહ્યા છે
અહીંના એક સિંહપ્રેમીએ નામ ન દેવાની શરતે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં અગાઉ પણ ત્રણ ઘટના આવી જોવા મળી હતી. કે જેમાં રખડતા પશુઓને ઝાડ સાથે બાંધી સાવજને મારણ ધરવામાં આવે છે. ત્યારે ફરી એક વખત ગઈ રાત્રીના આવી ઘટના બની હોવાથી શું સિંહદર્શનનો ધંધો ફરી એક વખત આ વિસ્તારમાં ફુલ્યો ફાલ્યો છે ? વન વિભાગ અને પોલીસ સામે અનેક સવાલો ઉઠી રહ્યા છે. ત્યારે આ બંને વિભાગ તાત્કાલીક ધોરણે આવા તત્વોને ઝડપી પાડે તેવી ગ્રામજનોમાં માંગ ઉઠી છે. અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં આમ પણ લાંબા સમયથી યોજાઇ રહેલા આવા લાયન શોને અટકાવવામાં વનતંત્ર સદંતર નિષ્ફળ નિવડ્યું છે. જેના કારણે લાયન શો કરાવતા તત્વો સિંહ દર્શનના શોખીનો પાસેથી તગડી રકમ પડાવી રહ્યા છે.
ખાંભા પંથકમાં પણ અપાઇ રહ્યું છે મારણ
આ રીતે પશુઓને મારણ તરીકે આપી લાયન શોનો ધંધો માત્ર રાજુલા-જાફરાબાદ પંથકમાં જ નથી. ખાંભા અને સાવરકુંડલા પંથકમાં પણ આ રીતે લાયન શો થઇ રહ્યા છે. ધારી તાલુકાના ગીર કાંઠાના ગામોમાં પણ મારણ આપી ગેરકાયદે સિંહ દર્શન થઇ રહ્યુ છે.
રખડતા પશુનો ત્રાસ ઓછો કરવા પણ પ્રયાસ
સીમમાં આ રીતે પશુઓ બાંધેલા હોય તો વનતંત્રને બાતમી મળી જવી જોઇએ પરંતુ સીમમાં ખેડૂતોને પરેશાન કરતા પશુઓને આ રીતે બાંધવામાં આવ્યા હોય આવા રખડતા પશુઓ ઓછા થવાથી ખેડૂતોને પણ ફાયદો થઇ રહ્યો છે. જેને પગલે વનતંત્ર સુધી બાતમી પહોંચતી નથી.
સિંહોને લલચાવવાનું કારસ્તાન
આવારા તત્વો દ્વારા દ્વારા અહીં સાંજના સમયે પશુઓને બાંધી જાય છે અને રાત્રીના આ વિસ્તારમાં સિંહોના આટાફેરા વધુ રહેતા હોવાથી સિંહ લલચાવવાનો કિમીયો કરી લોકો પાસે સિંહદર્શનના નામે પૈસા પડાવે છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/amreli/news/unknow-persons-run-illegal-lion-show-in-jafarabad-area-126625244.html

No comments: