Friday, March 31, 2017

શિકારની શોધમાં મગર 7 ફૂટના ખાડામાં ખાબક્યો, બચવા કાચબો ઢાલમાં સંતાયો

Mehul Chotalia, Junagadh | Mar 29, 2017, 02:43 AM IST

  • મગર આરટીઓ કચેરી સામે 7 ફૂટનાં ખાડામાં પડતાં રેસ્કયુ
જૂનાગઢ:જૂનાગઢનાં ખામધ્રોળ રોડમાં આવેલી આરટીઓ કચેરીની સામે ખાડામાં મગર પડી જતાં લોકો જોવા માટે ટોળે વળ્યા હતા. બાજુમાં સોનરખનાં વહેણ નીકળતા હોય, શિકારની શોધમાં વહેલી સવારે પુલની સાઇડમાંથી મુખ્ય રસ્તામાં પ્રવેશ કર્યો હતો. આરટીઓ કચેરી સામે પહોંચતા 7 ફૂટ ઉંડો બાંધકામનો ખાડો દેખાયો ન હોવાથી પડી ગઇ હતી. જો કે ખાડામાં પહેલેથી કાચબો હતો, મગરથી બચવા કાચબાએ ઢાલનો સહારો લીધો હતો.

મગરનું રેસ્કયુ હાથ ધરી સોનરખ નદીમાં છોડી મુકાઇ

શક્કરબાગને જાણ થતાં મગરનું રેસ્કયુ હાથ ધરી સોનરખ નદીનાં પાણીમાં છોડી મુકી હતી અને કાચબાએ પોતે માર્ગ કાઢી લીધો હતો. સાત ફૂટ લાંબી મગરને જોવા અને ખાસ તો રેસ્કયુ વખતે તેના ઘુરકીયા જોઇ લોકો હેરત પામી ગયા હતા.

માધવપુર: ચિતલ કુવામાં પડી જતાં દોઢ કલાકનાં રેસ્ક્યુ બાદ બચાવાયું

Bhaskar News, Madhavpur | Mar 28, 2017, 00:20 AM IST

  • લાયન નેચર ફાઉન્ડેશને સારવાર આપી.
માધવપુર: પોરબંદર નજીક આવેલા કડછ ગામના એક વાડીના કૂવામાં એક ચીતલ પડી જતાંની જાણ સ્થાનિક લોકોને થતા સ્થાનિક લોકોએ માધવપુર લાયન્સ નેચર ફાઉન્ડેશનને જાણ કરતા તાત્કાલીક લાયન્સ નેચરલ ફાઉન્ડેશનના કાર્યકરો દોડી આવ્યા હતા અને દોઢ કલાકના રેસક્યુ બાદ ચીતલને કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું. 
 
દોઢ કલાકના રેસક્યુ બાદ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું
 
માધવપુરના ઘેડ વિસ્તારમાં અનેક જંગલી જાનવરો વસવાટ કરે છે. તો આ જંગલી જાનવરો દ્વારા અવારનવાર કૂવામાં પડી જવાના પણ બનાવો બને છે ત્યારે વધુ એક બનાવમાં માધવપુરના કડછ ગામના એક વાડી વિસ્તારના કૂવામાં ચીતલ પડી જતાંની જાણ સ્થાનિક લોકોને થતા તાત્કાલીક માધવપુર લાયન્સ નેચર ફાઉન્ડેશનને જાણ કરતા લાયન્સ નેચર ફાઉન્ડેશનના કાર્યકરો ઘટનાસ્થળે દોડી આવ્યા હતા અને ચીતલને દોઢ કલાકના રેસક્યુ બાદ કૂવામાંથી બહાર કાઢવામાં આવ્યું હતું અને સારવાર અપાઇ હતી.

ઉના: મસ્તીનાં મૂડમાં વનરાણી, જીભ બહાર કાઢી અચરજ અનુભવી

Bhaskar News, Una | Mar 28, 2017, 00:17 AM IST

  • ઉના: મસ્તીનાં મૂડમાં વનરાણી, જીભ બહાર કાઢી અચરજ અનુભવી,  junagadh news in gujarati
ઉના:એશિયાટીક લાયન એ સોરઠની અનોખી ઓળખ છે.ઘોડાવડી વિસ્તારમાં વનરાણી જંગલમાં વિહરવા નિકળેલ અને અચાનક જ મસ્તીનાં મૂડમાં આવી ગયેલ હોય જીભ બહાર કાઢી અચરજ અનુભવતી હતી.

જામનગર: કોબ્રા સાપ મોટરસાઇકલ પર ચડી જતાં નાસભાગ મચી

Freni Kariya, Jamnagar | Mar 27, 2017, 23:38 PM IST

  • . જીવદયા પ્રેમી દ્વારા આ સાપને પકડી પાડવામાં આવતા લોકોએ રાહતનાે દમ લીધાે હતો.
જામનગર:જામનગરમાં રવિવારે સાંજે શહેરના ટ્રાફિકથી ધમધમતા લાલબંગલા વિસ્તારમાં કોબ્રા નીકળતા લોકોમાં નાસભાગ મચી ગઇ હતી. બનાવની જાણ થતાં  લોકોના ટોળા એકત્ર થઇ ગયા હતાં. કોબ્રા સાપ મોટરસાઇકલ પર ચડી ગયો હતો. મોટરસાઇકલના ચાલક દ્વારા આ કોબ્રાને હટાવવાના પ્રયત્નો કરવામાં આવ્યા હતાં, પરંતુ આ કોબ્રા દૂર ન થતાં અંતે જીવદયા પ્રેમીને બોલાવવામાં આવ્યા હતાં. જીવદયા પ્રેમી દ્વારા આ સાપને પકડી પાડવામાં આવતા લોકોએ રાહતનો દમ લીધો હતો.
 
(તસ્વીર : હીરેન હીરપરા)

કેશોદ: મઘરવાડામાં કેનાલનું પાણી છોડાતા પાઇપમાં રહેતા બે દીપડા ડુબી ગયા

Bhaskar News, Keshod | Mar 23, 2017, 01:42 AM IST

  • કેશોદ: મઘરવાડામાં કેનાલનું પાણી છોડાતા પાઇપમાં રહેતા બે દીપડા ડુબી ગયા,  junagadh news in gujarati
(પાઇપમાં રહેતા બે દીપડા ડુબી ગયા)
 
કેશોદ:કેશોદનાં મઘરવાડા ગામે સીમમાં વિચિત્ર ઘટનાં બની હતી. સાબરી સિંચાઇ યોજનાની કેનાલનું ટેસ્ટીંગ કરવામાં આવ્યું હતું. કેનાલમાં પાણી છોડતા મઘરવાડા પાસે કેનાલનાં પાઇપમાં રહેતા બે દીપડાનાં ડુબી જતાં મોત થયાં હતાં. સાબલી સિંચાઇ યોજનામાંથી ટેસ્ટીંગ માટે કેનાલનું પાણી છોડવામાં આવ્યું હતું.
 
બે દીપડા બહાર નિકળી શકયા ન હતાં
 
આ દરમિયાન કેનાલની કુંડીઓમાં મઘરવાડા ગામનાં ખેડુતોને દીપડા જોવા મળતાં વન વિભાગને જાણ કરી હતી અને વન વિભાગે આ દીપડાને પકડવા માટે પાંજરા ગોઠવ્યા હતાં. પરંતુ કેનાલનાં પાઇપમાં રહેતા આ બે દીપડા બહાર નિકળી શકયા ન હતાં. અને ડુબી જતાં મોતને ભેટયાં હતાં અને અર્જુન પરબત સિંહાર અને દિનેશ રામ ડાંગરની વાડી પાસેથી મળી આવેલ આ દીપડાનાં મૃતદેહને પીએમ માટે એનિમલ કેર અમરાપુર ખાતે કેશોદ વન વિભાગની ટીમે ખસેડયા હતાં અને ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી.

આને કહેવાય પ્રગતિશીલ ખેડૂત: આ ગુજરાતી ખેતી કરીને વર્ષે કમાય છે લાખો રૂપિયા

Bhaskar News, Rajula | Mar 23, 2017, 23:45 PM IST
આને કહેવાય પ્રગતિશીલ ખેડૂત: આ ગુજરાતી ખેતી કરીને વર્ષે કમાય છે લાખો રૂપિયા,  junagadh news in gujarati
  • ગુજરાતના આ ખેડૂતનો પરિવાર છે રાજકારણમાં સક્રીય હોવા છતાં અનોખી ખેતી કરીને કમાયા લાખો રૂપિયા
અમરેલી:દિવસે-દિવસે લોકોના ધંધા રોજગાર વધતા જાય છે કેટલાય એવા લોકો છે ખેતી હોવા છતાં પૂરતું ધ્યાન આપતા નથી અને મોટાભાગના લોકો સારી રકમની લાલચમાં જમીન વેચી નાખે છે. રાજુલાના જાફરાબાદમાં ઉદ્યોગના કારણે આ પ્રકારનું અવાર નવાર જોવા મળે છે પણ રાજુલા તાલુકાના જૂની બારપટોળી ગામના પૂર્વ ધારાસભ્ય ખોડાભાઈ નકુમના પુત્ર રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઇ નકુમ અને તેમના પત્ની જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે પણ તાજેતરમાં ચૂંટાયા છે તેમ છતાં તે હજુ પણ ખેડૂત છે. 
  રાજુલાના જૂની બારપટોળી ગામના પ્રગતિશીલ ખેડૂતની અનોખી ખેતી

રાજુલા તાલુકા કોંગ્રેસ પ્રમુખ પીઠાભાઇ નકુમ પોતાની 40 વીઘા જમીનમાં અનોખું વાવેતર કરી પ્રગતિશીલ ખેડૂત તરીકે સામે આવ્યા છે. અહીં તડબૂચ, સરઘવો, ગુંદા, ટામેટા, લીંબુ, ચીકુ સહીતની ખેતીનું ઉત્પાદન કરવામાં આવ્યું છે. અહીં ખેતીની તમામ સામગ્રી, વર્ષો પહેલાના સાધનો પણ પીઠાભાઇ પાસે છે. તેમણે ખેડૂત તરીકેના પરંપરાગત કપડાં પણ હજુ રાખ્યા છે. તેમના પત્ની અને પીઠાભાઇ પોતે આ ખેતીમાં સતત મેહનત કરે છે.

સરઘવો, તડબૂચ અને ગુંદા સહીતની ખેતીમાં વાવેતર

દરરોજ બપોર બાદ સાંજના સમયે તેમની ખેતી જોવા માટે બહાર ગામથી ખેડૂતો અહીં આવે છે અને નવાઈની વાત તો એ છે કે આ પ્રથમ ખેતી અને જમીન એવી છે ચોખી કોઈ પણ પ્રકારનો કચરો આ ખેતી આસપાસ જોવા મળતો નથી. ખેડૂત પીઠાભાઇ નકુમ અને તેમનો પરિવાર વર્ષોથી ખેતી સાથે સંકળાયેલો છે. અહીં પોતે અવાર-નવાર ખેડૂતોને ખેતી માટે માર્ગદર્શન પૂરું પાડે છે. કેવા પ્રકારની ખેતી હોવી જોઈએ, કેવા પ્રકારનું ઉત્પાદન કરવાથી ખેડૂતોને ફાયદો થઇ શકે સહીતની શિબિરો પણ અહીં તેમની વાડીમાં અવાર-નવાર જોવા મળે છે.
 

જૂનાગઢ: ચોકીની સીમમાં દીપડાએ 7 વર્ષની બાળકીને ખેતરમાં ઢસડી ફાડી ખાધી

Bhaskar News, Junagadh | Mar 24, 2017, 00:54 AM IST

  • જૂનાગઢ: ચોકીની સીમમાં દીપડાએ 7 વર્ષની બાળકીને ખેતરમાં ઢસડી ફાડી ખાધી,  junagadh news in gujarati
(તસવીર પ્રતિકાત્મક)
 
જૂનાગઢ: સોરઠ પંથકમાં માનવી પર દીપડાનાં હુમલાની ઘટના અવારનવાર સામે આવી રહી છે. જેમાં માનવ મૃત્યુનાં બનાવ પણ બને છે. જૂનાગઢ નજીક ચોકી (સોરઠ)ની સીમમાં દીપડાનાં હુમલાની ઘટના સામે આવી છે.મુળ દાહોદનાં ધોડાજર ગામે રહેતા વિરસંગભાઇ ભુરૈયા પરિવાર સાથે જૂનાગઢનાં ચોકી ગામે મજુરી કામે આવ્યા છે. તેઓ ચોકીમાં જીતેન્દ્ર અરજણભાઇ  બાબરિયાની વાડીએ રહેતા હતા. 
 
લઘુશંકા કરવા બહાર નિકળીએ વખતે દીપડાએ બાળકી પર હુમલો કર્યો
 
ગતરાત્રે વિરસંગભાઇની 7 વર્ષની પુત્રી શરમીલા લઘુશંકા કરવા બહાર નિકળીએ વખતે દીપડાએ બાળકી પર હુમલો કર્યો હતો. અને તેને બાજુનાં સવજીભાઇનાં ખેતરમાં ઉપાડી ગયો હતો. અને ત્યાં બાળકીને ફાડી ખાધી હતી. પરિવારને બનાવની જાણ થતા વન વિભાગને જાણ કરી હતી. બનાવને પગલે વન વિભાગની ટીમ દોડી ગઇ હતી. અને દીપડાને પાંજરે પુરવા કવાયત હાથ ધરી છે. અત્રે નોંધનીય બની રહેશે કે, સોરઠમાં દીપડા દ્વારા બાળકોને ફાડી ખાવાનાં બનાવો વધી રહ્યાં છે. ત્યારે વનવિભાગ અને વહિવટી તંત્ર દ્વારા સુરક્ષા માટે યોગ્ય પગલા ભરવા જરૂરી બન્યાં છે.

સાવરકુંડલા: વડાળ નજીક ભીષણ દવ, અચાનક આગ લાગતા વનતંત્ર દોડ્યું

Bhaskar News, Savarkundala | Mar 29, 2017, 23:30 PM IST

  • સાવરકુંડલા: વડાળ નજીક ભીષણ દવ, અચાનક આગ લાગતા વનતંત્ર દોડ્યું,  amreli news in gujarati
(સાવરકુંડલાના વડાળ નજીક ભીષણ દવ)
 
સાવરકુંડલા: ઉનાળાની કાળઝાળ ગરમી શરૂ થઇ ગઇ છે ત્યારે લીલીયા-સાવરકુંડલા પંથકની બાવળની કાંટ, વીડીઓ અને જંગલ વિસ્તારમાં દવનો ખતરો ઉભો થયો છે. આજે સાવરકુંડલાના વડાળ ગામની સીમમાં એક ખાનગી જમીન અને વીડી વિસ્તારમાં દવ ભભુકી ઉઠ્યો હતો. મોડી સાંજે પણ આ દવ ધીમો ધીમો ચાલુ હતો. 
 
વડાળ વિડી વિસ્તારમાં સાવજોનો કાયમી વસવાટ છે 
 
ઘટનાની જાણ થતા વન વિભાગનો સ્ટાફ દોડી ગયો હતો. ખાનગી માલીકીની પડતર જમીનમાં 40 હજાર જેટલા રોપા વવાયા હોય તેમાં નુકશાન થયાનું જાણવા મળેલ છે.વડાળ વિડી વિસ્તારમાં સાવજોનો કાયમી વસવાટ છે અને વન વિભાગ દ્વારા તેને આરક્ષીત વિસ્તાર પણ જાહેર કરાયેલો છે. ત્યારે આજે આ આરક્ષીત વિસ્તારને અડીને આવેલી પડતર વિડી અને ખાનગી જમીનમાં અચાનક દવ લાગ્યો હતો. 
 
દવના કારણે આ રોપાઓને પણ મોટા પ્રમાણમાં નુકશાન
 
અહિં ચાર-પાંચ ફુટ ઉંચુ ઘાસ અને ઝાડ તથા વન્ય સૃષ્ટિ પાંગરેલી છે. આ ઉપરાંત રાજકોટના એક ખાનગી ફાર્મના માલીક દ્વારા અહિં 40 હજાર જેટલા દાડમ, ચીકુ, આંબા સહિતના અન્ય ઝાડના રોપાઓ પણ વાવવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. દવના કારણે આ રોપાઓને પણ મોટા પ્રમાણમાં નુકશાન થયાનું પણ જાણવા મળેલ છે. 
 
પાલિકાનું ફાયર ફાઇટર દોડાવાયું

બનાવની તંત્રને જાણ થતા સાવરકુંડલા નગરપાલીકાના ફાયર ફાઇટરને પણ તાબડતોબ દોડાવાયુ હતું. જો કે આ પ્રયાસ નિરર્થક રહ્યો  હતો. કારણ કે આગ ઘણી મોટી હતી અને ફાયર ફાઇટરને આ સ્થળે પહોંચવુ પણ ઘણુ મુશ્કેલ બન્યુ હતું.

ખારાની સીમમાંથી 3 તેતર સાથે બે શખ્સો ઝડપાયા

DivyaBhaskar News Network | Mar 29, 2017, 02:40 AM IST
વન વિભાગે 15 હજારનો દંડ વસુલ કર્યો

અમરેલીપંથકમાં પક્ષીઓના શિકાર અને તેને કેદ કરવાની પ્રવૃતિ અવાર નવાર સામે આવે છે ત્યારે આજે લીલીયાના ક્રાંકચ રાઉન્ડના ખારા ગામની સીમમાં બે શખ્સો કેદ કરેલા ત્રણ તેતર સાથે ઝડપાતા વન વિભાગે તેને ઝડપી લઇ રૂા. 15 હજારનો દંડ ફટકાર્યો હતો અને તેતરને મુક્ત કરી દીધા હતાં. લીલીયાના ક્રાંકચ પંથકમાં સાવજોનો વસવાટ હોય વન વિભાગની પણ વિસ્તારમાં ચાંપતી નઝર રહે છે. ત્યારે આજે ક્રાંકચ રાઉન્ડના ખારા ગામની સીમમાં વન કર્મચારીઓની ટુકડીએ બે શખ્સોને ત્રણ તેતર સાથે ઝડપી લીધા હતાં. અહિંના ભુપત તખુ તથા ભુરા તખુ નામના બે ભાઇઓએ પીંજરામાં ત્રણ તેતર કેદ કરી રાખ્યા હતાં. વન કર્મીઓએ બન્ને શખ્સોને ઝડપી લઇ પીંજરા સાથે તેતર કબજે લીધા હતાં અને બન્ને શખ્સો પાસેથી રૂા. 15 હજારનો દંડ વસુલ કર્યો હતો. વન વિભાગ દ્વારા તેતરને પુન: મુક્ત પણ કરી દેવાયા હતાં. બન્ને શખ્સો દ્વારા તેતરને શિકાર કરવાના ઉદેશથી પકડ્યા હતાં કે વેચવાના ઉદેશથી તે જાણવા તપાસ શરૂ કરાઇ છે.

વન્યપ્રાણીઓની જાળવણી માટે ઇમરજન્સી સેવા નંબર શરૂ કરો

DivyaBhaskar News Network | Mar 29, 2017, 02:40 AM IST

લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરાઇ

ગીરનુજંગલ જાણે હવે વન્યપ્રાણીઓને ટુંકુ પડી રહ્યું હોય રેવન્યુ અને બૃહદગીર વિસ્તારમા સિંહ, દિપડા સહિતના વન્યપ્રાણીઓ વસવાટ કરવા લાગ્યા છે. અવારનવાર માર્ગ અકસ્માત કે રેલ અકસ્માત અને ખુલ્લા કુવાઓમા પડી જવાથી કે વિજ કરંટથી કે શિકાર થવાથી આવા પ્રાણીઓ મોતને ભેટી રહ્યાં છે ત્યારે વન અને વન્યપ્રાણીઓની જાળવણી માટે ઇમરજન્સી સેવા નંબર જાહેર કરવા લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા મુખ્યમંત્રીને રજુઆત કરવામા આવી છે. લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળા દ્વારા મુખ્યમંત્રીને કરવામા આવેલી રજુઆતમા જણાવાયું હતુ કે ગીર જંગલ આસપાસ વિકાસની આડમા ધમધમતા કાયદેસર અને ગેરકાયદેસર ઉદ્યોગોના કારણે વન્યપ્રાણીઓ ગીર છોડી બૃહદગીર અને રેવન્યુ વિસ્તારોમા વસવાટ કરતા જોવા મળી રહ્યાં છે. સિંહ, દિપડા સહિતના પ્રાણીઓ અવારનવાર માર્ગ કે રેલ અકસ્માતમા તેમજ વાયર ફેન્સીંગમા વિજ કરંટ લાગતા કે ખુલ્લા કુવામા પડી જતા મોતને ભેટે છે. અનેક વખત વનવિભાગને માહિતી મોડી મળવાથી આવા પ્રાણીઓને સમયસર સારવાર મળી શકતી નથી. ત્યારે 108 ઇમરજન્સી સેવાની જેમ વન્યપ્રાણીઓ માટે પણ ઇમરજન્સી સેવા નંબર જાહેર કરી વન્યપ્રાણીઓ અને પશુ પક્ષીઓને સુરક્ષા મળી રહે તેવુ આયોજન કરવામા આવે તેવી માંગ કરાય છે.

અમરેલીમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું

DivyaBhaskar News Network | Mar 25, 2017, 02:40 AM IST
અમરેલીમાંઇન્ડસ ટાવર સાલ ઇન્ફાકોન પ્રાઇવેટ લીમીટેડના બેનર તળે મોબાઇલ ટાવર વિસ્તારના જેવા કે રોકડીયાપરા વિગેરે સ્થળે કંપનીમાં ફરજ બજાવતા દિપક બાબુભાઇ અમરેલીયાએ 60 થી 70 જુદા જુદા વૃક્ષોનું રોપણ કર્યાની સાથે ઉછેર કર્યો છે.

પર્યાવરણમાં શુધ્ધીકરણ કર્યું છે અને પર્યાવરણમાં પ્રદૂષણ ફેલાવતું અટકાવવા પ્રયાસ કર્યો છે.

બાબાપુરની સીમમા સાવજોએ કર્યુ ગાયનુ મારણ

DivyaBhaskar News Network | Mar 24, 2017, 02:35 AM IST
અમરેલીતાલુકાના ચાંદગઢ, બાબાપુર પંથકમા સાવજો કાયમી ધામા નાખીને પડયા રહે છે. કયારેક અહીથી થોડા દિવસો માટે લટાર મારવા અન્ય પ્રદેશોમા જતા રહે છે પરંતુ ફરી પોતાના મુળ સ્થાને અચુક આવી જાય છે. બાબાપુર પંથકમા છેલ્લા કેટલાક દિવસોથી સાવજો દેખાતા હતા. પરંતુ ગઇરાતથી ફરી અહી સાવજો આવી ગયા હતા. બાબાપુરની સીમમા રમેશભાઇ પ્રેમજીભાઇ ગોંડલીયા નામના ખેડૂતની વાડીના ફરજામા ગઇ મધરાતે સાવજો ત્રાટકયા હતા અને અહી તેમણે ફરજામા બાંધેલી એક ગાયનુ મારણ કર્યુ હતુ. ગાયના ભાંભરડા આસપાસના વિસ્તારમા પણ સંભળાયા હતા. જો કે સાવજોના ડરથી કોઇ ત્યાં ગયુ હતુ. આજે વનકર્મચારીઓએ પણ તપાસ કરી હતી

ગળકોટડી ગામે વનદિવસ ઉજવણી

DivyaBhaskar News Network | Mar 22, 2017, 02:40 AM IST

  • ગળકોટડી ગામે વનદિવસ ઉજવણી,  amreli news in gujarati
છાત્રોએ 300 ચકલીનાં માળાનું વિતરણ કર્યું, ડોક્યુમેન્ટરી રજુ કરાઇ

ગીર ફાઉન્ડેશન-ગાંધીનગર તથા ગળકોટડી પ્રાથમિક શાળા સંચાલિત નિસર્ગ ઇકો ક્લબ દ્વારા 21 માર્ચ એટલે આંતરરાષ્ટ્રીય વન દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી છે. પ્રસંગે વન વિભાગના અધીકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

બાયસેગના માધ્યમથી માન.મુખ્યમંત્રી રૂપાણીના પ્રવચન તથા અન્ય દિન વિષેશ કાર્યક્રમો શાળાના તમામ બાળકોએ નિહાળ્યા હતા. કાર્યક્રમથી બાળકોમાં વૃક્ષ અને જંગલો પ્રત્યની અનુકંપા વધે તેવા પ્રયત્નો હાથધરાયા હતા. જે કાર્યક્રમમાં વન છે તો જીવન છે ડોક્યુમેન્ટરી ફિલ્મ સૌએ નિહાળી હતી. જે ફીલ્મથી બાળકોને વન અને વૃક્ષોનું મહત્વ સમજાયુ હતુ.

કાર્યક્રમમાં વિશ્વ ચકલી દિન નિમિતે ચકલીના માળાઓનું વિતરણ કરવામાં આવ્યુ હતુ. નાથાભાઇ મગતરપરા તથા રાજુભાઇ વિરલપરાના મુખ્ય આર્થિક સહયોગથી માળા વિતરણ કર્યક્રમ યોજવામાં આવ્યો. છેલ્લા બે વર્ષથી ચકલીના માળા વિતરણ કાર્યક્રમમાં બન્ને દાતાઓનો મુખ્ય આર્થિક સહયોગ નિસર્ગ ઇકો ક્લબને પ્રાપ્ત થયેલ છે. કાર્યક્રમની વિશેષતાએ છે કે માળા વિતરણ બાદ તેનો તમામ ડેટા શાળાના વિદ્યાર્થીઓ નિભાવે છે. વર્ષે કુલ 300 જેટલા માળાનું વિતરણ નિસર્ગ ઇકો ક્લબ દ્વારા કરવામાં આવ્યુ હતુ.આ પ્રસંગે આર.એફ.ઓ ચાવડા (વન વિભાગ નોર્મલ) ગંભીરસિંહ ચુડાસમાં,ફોરેસ્ટર લાઠીયા(સામાજીક વનીકરણ વિભાગ) ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

નરસીંગ ઇકો કબલ દ્વારા આયોજન કરાયું તસ્વીર-રાજુ બસીયા

ડીજીટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ગીર નેસમાં મહિલાઓ ચુલા પર રસોઇ કરવા મજબુર

Bhaskar News, Amreli | Mar 20, 2017, 03:53 AM IST

ડીજીટલ ઇન્ડિયાની વાતો વચ્ચે ગીર નેસમાં મહિલાઓ ચુલા પર રસોઇ કરવા મજબુર,  amreli news in gujarati
ગીર નેસમાં મહિલાઅો પરંપરાગત ચુલા પર રસોઇ કરવા મજબુર
અમરેલી: દેશના પ્રધાનમંત્રી ચુલા પર રસોઇ કરી તેના ધુમાડાથી બિમાર પડતી મહિલાઓની ચિંતા કરી રહ્યાં છે. તે કદાચ જનતાને ગમતી વાત છે. પરંતુ ગીરની મહિલાઓને સરકારની ઉજ્જવલા જેવી યોજનાનો હજુ કોઇ લાભ મળતો નથી. અહીની મહિલાઓ હજુ પણ પરંપરાગત ચુલાઓ પર રસોઇ કરે છે જે સતત ધુમાડો ઓકે છે. અમરેલી જિલ્લો ગીરકાંઠાનો જિલ્લો છે. ગીરકાંઠે અને જંગલની અંદર હજુ પણ ઇંધણ તરીકે મોટાભાગે લાકડા અને છાણાનો ઉપયોગ થઇ રહ્યો છે. ઉજ્જવલા યોજનાનો લાભ દેશના અનેક વિસ્તારમા મળી રહ્યો છે. 
 
મહિલાઓ ફેફસા અને શ્વાસની જુદીજુદી બિમારીઓનો ભોગ બની રહી છે

જો કે વાસ્તવિક રીતે તમામ મહિલાઓને આ સમસ્યામાથી મુકિત અપાવવી હશે તો સરકારે ગીરની મહિલાઓની પણ ચિંતા કરવી પડશે. ગીરની અંદર જુદાજુદા નેશમા હજુ પણ પરંપરાગત ચુલાઓનો ઉપયોગ થઇ રહ્યો છે. સામાન્ય રીતે ગ્રામ્ય વિસ્તારમા વપરાતા ચુલા કરતા અલગ પ્રકારના છે. જેની વધારાની રાખ ચુલાના આગળના ભાગમા જમા થાય છે. ગીરના માલધારીઓને આસપાસના ગામોમાથી કેરોસીન તો મળી રહે છે પરંતુ ગેસના ચુલાઓ હજુ અહી પહોંચ્યા નથી. જેના કારણે અહીની મહિલાઓ ફેફસા અને શ્વાસની જુદીજુદી બિમારીઓનો ભોગ બની રહી છે.

કયા કયા નેશમાં ચુલાનો ઉપયોગ?

ગીર જંગલની અંદર આવેલ ખજુરી નેશ, નાના મેઢી નેશ, લેરીયાનેશ, દોઢીનેશ, આંસુદરીનેશ, ભુતડાનો નેશ, સાપનેશ, ગંધારાનો નેશ, રેબડીનેશ, અરબનેશ વિગેરે નેશમા આ પ્રકારનુ ચિત્ર જોવા મળી રહ્યું છે.

અમરેલી: સાવજોને વાડી-ખેતરો ફાવી ગયા, ખેડુતો તેની હાજરીમાં પણ ખેતી કરે છે

Dilip Raval, Amreli | Mar 20, 2017, 00:54 AM IST

અમરેલી: સાવજોને વાડી-ખેતરો ફાવી ગયા, ખેડુતો તેની હાજરીમાં પણ ખેતી કરે છે,  amreli news in gujarati
  • સાવજોની હાજરી હોય ત્યાં નિલગાય અને ભુંડ ભુલમાં પણ ભટકતા નથી.
અમરેલી:દેશના લોકોને મન સાવજો એટલે ગીર જંગલનો રાજા, જંગલનુ પ્રાણી પણ આ વિસ્તારના લોકો સારી પેઠે જાણે છે કે હવે સાવજ એટલે માત્ર જંગલનું પ્રાણી નહી. અમરેલી પંથકમાં બાવળની કાંટ હોય કે દરિયાકાંઠો હોય. હાઇવે હોય કે રાજુલા જાફરાબાદ પંથકના ઉદ્યોગોની ખાણો હોય. સરકારી ખરાબા હોય કે ડુંગર અને કોતર હોય નદી નાળા હોય ગાડા માર્ગો હોય સર્વત્ર તેનું ઘર. આ વિસ્તારમાં વાડી ખેતરોમાં પાક  લહેરાતો હોય કે કોરાકટ્ટ વાડી ખેતર હોય તેના પર સાવજોનો કબજો અચુક જોવા મળશે.
 
ખેડુતો સાવજોની હાજરીમાં ખેતી કરતા થઇ ગયા. દોઢ દાયકા પહેલા એવુ ન હતું
 
અમરેલી પંથકમાં છેલ્લા દોઢ દાયકામાં ખેતી ક્ષેત્રે ઘણું પરિવર્તન આવ્યું. બીટી બિયારણથી લઇ મગફળી છોડી કપાસ તરફ પ્રયાણ, ગાડાના બદલે ટ્રેકટર અને સનેડો આવી ગયા, આવુ જ એક ચિત્ર બદલાયેલુ એ જોવા મળ્યુ કે અહીં ખેડુતો સાવજોની હાજરીમાં ખેતી કરતા થઇ ગયા. દોઢ દાયકા પહેલા એવુ ન હતું. પરંતુ જેમ જેમ સાવજોની વસતી વધતી ગઇ તેમ તેમ રેવન્યુ વિસ્તારમાં તેનો વ્યાપ વધતો ગયો. અને હવે તો ખુલ્લા વાડી ખેતરો સાવજોને ફાવી ગયા છે.
 
એક શેઢે સીંહનો અડ્ડો હોય અને બીજા શેઢે ખેડુતો 
 
વાડીના એક શેઢે સીંહનો અડ્ડો હોય અને બીજા શેઢે ખેડુતો કામ કરતા હોય તેવા દ્રશ્યો સામાન્ય થઇ પડ્યા છે. કોઇ કોઇને ખલેલ ન પહોંચાડે તો કાંઇ વાંધો આવતો નથી. ખેડુતો આ વાત સારી રીતે સમજે છે. અને તેથી જ તે સાવજોની હાજરીમાં પણ ખેતી કરી લે છે. સાવજોને હાકલા પડકારા કરી કયારેક દુર પણ ખદેડે છે. પણ એકંદરે ખેડુત અને સાવજ બન્નેને આ સ્થિતિ ફાવી ગઇ છે.


સાવજોના કારણે નિલગાય અને ભુંડ રહે છે દુર
 
જ્યાં સાવજોની હાજરી હોય ત્યાં નિલગાય અને ભુંડ ભુલમાં પણ ભટકતા નથી. સાવજની ગંધ મળ્યા બાદ આ પ્રાણીઓ વાડી ખેતરમાં ઘુસતા ન હોય ખેડુતોના પાકનું આપોઆપ રક્ષણ થાય છે.

હુમલાની ઘટના પણ બને છે
 
કયારેક સિંહ દર્શન માટે અજાણ્યા લોકો પણ ખડુતોના વાડી ખેતરમાં ઘુસી આવે છે. અને કા઼કરીચાળો કરતા જાય છે તેનાથી સાવજો ચીડાય છે. કાંકરીચાળા કરનારાઓ અથવા ખેડુતો પર હુમલાની ઘટનાઓ પણ બનતી રહે છે. આમ છતાં ખેડુતો સાવજોને પ્રેમ કરતા રહે છે.

વંથલી કેશોદ રોડ પર દીપડાનો મૃતદેહ મળતા વનતંત્રમાં દોડધામ

Bhaskar News, Amreli | Mar 17, 2017, 00:54 AM IST

  • વંથલી કેશોદ રોડ પર દીપડાનો મૃતદેહ મળતા વનતંત્રમાં દોડધામ,  amreli news in gujarati
વંથલીઃવંથલી-કેશોદ રોડ પર વંથલીથી 1 કિમી દૂર આજે સવારે 8 વાગ્યે ડીવાઇડરનાં ખાંચામાંથી એક દીપડાનો મૃતદેહ મળી આવતાં વન વિભાગે મોતનું કારણ જાણવા તપાસ હાથ ધરી છે. આ અંગે દક્ષિણ ડુંગર રેન્જનાં આરએફઓ જે. સી. હીંગરાજીયાએ જણાવ્યું હતું કે, વંથલી-કેશોદ રોડ પર વંથલીથી 1 કિમી દૂર જૂની-નવી સડક સામે આવેલા હાઇવે પર બે રોડ વચ્ચેનાં ડિવાઇડર પાસે સવારે 8 વાગ્યે અહીંથી  પસાર થતા લોકોને દીપડાનો મૃતદેહ જોવા મળ્યો હતો. આથી કોઇ રાહદારીએ વનતંત્રને જાણ કરતાં જૂનાગઢનો  સ્ટાફ સ્થળ પર દોડી ગયો હતો. અને મૃતદેહને  પીએમ માટે ખસેડ્યો હતો.

આશરે 1 વર્ષની વયનાં નર દીપડાનું મોત કોઇ વાહનની ઠોકર વાગવાને લીધે થયાનું પ્રાથમિક રીતે મનાઇ રહ્યું છે. પરંતુ ડાબા અંગમાં આંતિરક રીતે ગંભીર ઇજા થઇ છે. આ બનાવ રાત્રિનાં સમયે બન્યો હતો. આથી વનવિભાગે હાઇવે ઓથોરિટી પાસેથી સીસી ટીવી ફૂટેજ મેળવી તેમજ આસપાસનાં લોકોનાં નિવેદનો લઇ દીપડાને ઠોકર મારનાર વાહનને ઝડપી લેવાની તજવીજ હાથ ધરી છે.

ગીરના આ બે સાવજો જ્યાં જાય ત્યાં કરે છે ડખ્ખો, તેમની પાસે જવા કોઇ સિંહ તૈયાર નથી

Bhaskar News, Amreli | Mar 17, 2017, 01:48 AM IST
ગીરના આ બે સાવજો જ્યાં જાય ત્યાં કરે છે ડખ્ખો, તેમની પાસે જવા કોઇ સિંહ તૈયાર નથી,  amreli news in gujarati
  • સાવજ સાથે એટલી માથાકુટ કરી કે તેમને છુટ્ટા પડાવતા વનકર્મીઓને પણ નાકે દમ આવી ગયો.
લીલીયા/અમરેલીઃચાંદગઢથી અંટાળીયા સુધી એ બે સાવજો ડખ્ખો કરવા જ આવે છે. બાધવા સિવાય એને કોઇ ધંધો જ નથી. જ્યાં જાય ત્યાં મારામારી અને રમખાણ. ઝગડાખોર સ્વભાવના આ બે સાવજે આ વિસ્તારમાં ઉત્પાત મચાવ્યો છે. એને કોઇની સાથે ભડતુ નથી. આઠ-દસ દિવસ વિતે કે બન્નેને ચાનક ચડે અને બખેડો કરવા પહોંચી જાય આસપાસના વિસ્તારમાં. ગઇકાલે પણ ચાંદગઢના આ સાવજોએ અટાળીયા નજીક ગાગડીયાના પુલ પાસે સ્થાનિક સાવજ સાથે એટલી માથાકુટ કરી કે તેમને છુટ્ટા પડાવતા વનકર્મીઓને પણ નાકે દમ આવી ગયો. એ બે સાવજો જ્યાં જાય ત્યાં બીજા સાવજોને હેરાન-પરેશાન કરી નાખે છે.

કારણ કે બન્ને લુચ્ચા, લફંગા અને રેઢીયાર છે. આમ તો ચાંદગઢથી લઇ ક્રાંકચ સુધીના સાવજો એક જ પરિવારના છે. પરંતુ આ બન્ને જાણે પરિવારથી નોખા થયા હોય તેમ ચાંદગઢની સીમમાં જઇને રહે છે. પણ આ તુંડ મીજાજી સાવજોને અઠવાડીયુ થાય કે કોઇની સળી કરવાનું મન થાય. બીજા સાવજો સાથે ડખ્ખો કરવા મન ઉલાળા લેવા લાગે અને પછી તો તે કોઇના બાપની સાડીબાર રાખતા નથી. ગઇકાલે પણ મગજનો પારો સાતમા આસમાને પહોંચાડી બન્ને પહોંચી ગયા અંટાળીયા નજીક ગાગડીયા પાસે. અહિં એક ડાલામથ્થા સાથે એવો તે ઝગડો કર્યો કે જોનારાની આંખો ફાટી જાય. બન્નેનું મગજ કઇ જાતનું છે એ તો રામ જાણે પણ દર આઠ-દસ દિવસે આ નજારો અચુક જોવા મળે. બે સાવજો વચ્ચે ડખ્ખાની જાણ થતા વનકર્મીઓ મારતે ઘોડે અહિં પહોંચ્યા. જો કે આ સાવજોને છુટ્ટા પડાવવામાં તેમને પણ નાકે દમ આવી ગયો.

ક્યારેક ક્રાંકચ તો કયારેક બાબાપુર પહોંચે છે
અસામાજીક તત્વો જેવા આ બન્ને સાવજો માત્ર અંટાળીયામાં જ આવુ કરે છે તેવુ નથી. ક્યારેક તે ક્રાંકચ સુધી પહોંચી જાય છે તો ક્યારેક બાબાપુર તરફની વાટ પણ પકડે છે પણ એટલુ ચોક્કસ છે કે જ્યાં જાય ત્યાં પોતાની પાલી ચલાવવા ડખ્ખો અચુક કરે છે.
 
આ સાવજો પાસે જવા કોઇ રાજી નથી
સાવજ બેલડી ક્રાંકચ પંથકમાં આટો મારે તો આ વિસ્તારમાં રહેતા સાવજો તેની સાથે ડખ્ખાના ભયે પોબારા ભણી જાય છે. બે-ચાર દિવસ સુધી સ્થાનિક સાવજો દુર ચાલ્યા જાય છે અને આ બન્નેના ત્યાંથી ગયા બાદ જ પાછા ફરે છે.

આકર્ષણ| એશિયાઇ સિંહનો વિદેશમાં વસવાટ: વિદેશીઓએ નેસ બનાવી સોરઠનો પ્રદેશ ઉભો કર્યો, લંડનમાં 2000 રૂપિયા સુધીની ટિકીટ

DivyaBhaskar News Network | Mar 13, 2017, 03:45 AM IST

  • આકર્ષણ| એશિયાઇ સિંહનો વિદેશમાં વસવાટ: વિદેશીઓએ નેસ બનાવી સોરઠનો પ્રદેશ ઉભો કર્યો, લંડનમાં 2000 રૂપિયા સુધીની ટિકીટ,  amreli news in gujarati
ગીરનાંસિંહોનું સંવર્ધન લંડનનાં પ્રાણી સંગ્રહાલય ખાતે થાય છે. ઝુ લોજીકલ સોસાયટી ઓફ લંડન નામની સંસ્થાએ લંડનમાં સોરઠ જેવો માહોલ ઉભો કરી નેસ બનાવ્યો છે. જ્યાં વિદેશીઓ 2000 રૂપિયા સુધીની ટિકીટ ચૂકવી સિંહને જૂએ છે.

ગુજરાત રાજ્યનાં ગીર વિસ્તારમાં સિંહની છેલ્લી વસતી ગણતરી મુજબ 523 સિંહોનો વસવાટ છે. વિસ્તારમાં જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથ, ભાવનગર સહિતનાં વિસ્તારનો સમાવેશ થાય છે. વિસ્તારને રાષ્ટ્રીય ઉદ્યાન અને અભ્યારણ્ય તરીકે સુરક્ષિત કરાયો છે. 2011ની સાલમાં સક્કરબાગ પ્રાણી સંગ્રહાલય અને ઝુ લોજીકલ સોસાયટી ઓફ લંડન નામની સંસ્થાએ સિંહનાં સંવર્ધન માટે લંડનમાં સિંહને મોકલ્યા છે. ઝુ લોજીકલ સોસાયટીએ લંડનમાં પ્રાણી સંગ્રહાલયમાં 2016ની સાલમાં સિંહનું ઘર ખુલ્લુ મુક્યું છે. સંસ્થાએ સિંહનાં આવાસની માહિતી મેળવી નેસ ઉભો કર્યો છે. જ્યાં સહેલાણીઓ 2000 સુધીની ટિકીટનું ચુકવણું કરે છે. જ્યારે જૂનાગઢ સક્કરબાગમાં 20 રૂપિયાનું ચૂકવણું કરે છે.

ઝુ ખાતે ચાર સિંહનું આકર્ષણ

ગીરનાં એશિયાટીક સિંહ લંડનમાં બન્યા આવકનું સાધન

^ ભાનુ: 2010નાંજર્મનીનાં મેલબર્ગ ઝુ ખાતે ભાનુનો જન્મ થયો છે. તેમનું હિન્દીમાં નામકરણ કરાયું છે. હાલ લંડનનાં ઝુ ખાતે તેની કેશવાળીથી આકર્ષણ જમાવે છે.

^રૂબી:લડનનાંઝુ ખાતે 2009ની સાલમાં જન્મ થયો છે. રૂબીનાં સ્વભાવને કારણે પ્રવાસીઓ તેને નિહાળે છે. તેનો મનપસંદ ખોરાક સસલું અને ઘોડો છે.

^હેઇદી:2011નીસાલમાં લંડનનાં ઝુ ખાતે હેઇદીનો જન્મ થયો છે. તેની બહેન ઇન્ડો નામની સિંહણ સાથે મજામસ્તીમાં જોવા મળે છે.

^ઇન્ડો: ઇન્ડોહેઇદીની બહેન છે. તેનો જન્મ લંડનનાં ઝુ ખાતે થયો છે. તે ચુગલીખોર છે અને હેઇદી સાથે લડાઇ કરતી જોઇ શકાય છે.

સાવરકુંડલામાં સિંહબાળ કુવામાં ખાબક્યું, વનવિભાગની રેસ્કયુ ટીમ સાથે દોડધામ

Jaydev Varu, Amreli | Mar 11, 2017, 08:48 AM IST

  • આદસંગ ગામમાં સિંહબાળ કુવામાં ખાબકયું
અમરેલી:અમરેલી જિલ્લામા સાવજો પર જાણે ઘાત બેઠી હોય તેમ એક પછી એક સાવજો સાથેની દુઘર્ટના બની રહી છે હવે સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામે એક સિંહબાળ કુવામા ખાબકતા વનવિભાગે ઘટના સ્થળે દોડી જઇ આ સિંહબાળને બચાવી લેવા દોડધામ હાથ ધરી છે.

આદસંગ ગામે સિંહબાળ કુવામાં ખાબકયું

અમરેલી જિલ્લામા રેવન્યુ વિસ્તારમા ખુલ્લા કુવાઓ આમપણ સાવજો માટે મોતનુ કારણ બની રહ્યાં છે. અવારનવાર સાવજો કુવામા ખાબકવાની ઘટના બનતી રહે છે. કેટલાક કિસ્સામા સાવજોને બચાવી શકાય છે તો કયારેક સાવજોના મોતની ઘટનાઓ પણ બને છે. આજે સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામની સીમમા એક સિંહબાળ કુવામા ખાબકયાની ઘટના બની હતી. સુત્રોમાથી જાણવા મળતી વિગત અનુસાર એક ખેડૂતની વાડીમા આજે સાંજના સમયે સિંહબાળ કુવામા ખાબકયુ હોવાની વનવિભાગને જાણ થઇ હતી.

સિંહબાળને બચાવી લેવા ઓપરેશન હાથ ધર્યુ

સ્થાનિક વન અધિકારી, કર્મચારીઓ રેસ્કયુ ટીમને લઇને ઘટના સ્થળે દોડી ગયા હતા અને કુવામા દોરડા વડે ખાટલો ઉતારી સિંહબાળને બચાવી લેવા ઓપરેશન હાથ ધર્યુ હતુ. ખેડૂત દ્વારા તેની વાડીમા કપાસનુ વાવેતર કરાયુ છે. અહી ઘટના સ્થળે લોકોના ટોળેટોળા એકઠા થયા હતા. કાંઠા વગરના આ કુવામા પાણી પણ ભરેલુ હતુ. વનવિભાગને રેસ્કયુ ઓપરેશનમા ભારે જહેમત ઉઠાવવી પડી હતી.

બોરડીમાં વનકર્મીની હત્યા કરનારને કડક સજા કરો

DivyaBhaskar News Network | Mar 12, 2017, 03:35 AM IST
રાજ્યપાલને રજુઆત કરવામાં આવી

ગીરપુર્વ વિભાગની દલખાણીયા રેંજના બોરડી ગામે તાજેતરમા વનકર્મીની હત્યા કરવામાં આવી હતી. અહી ગેરકાયદે સિંહદર્શન કરનારાને અટકાવવા જતા તેમણે ઘાતકી હથિયારે વડે ટ્રેકરની હત્યા કરી નાખી હતી. ત્યારે અંગે લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા રાજયપાલને વેદનાપત્ર પાઠવી હત્યારાઓની તાકિદે ધરપકડ કરી કડક સજા ફટકારવામા આવે તેવી માંગ કરવામા આવી હતી. લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળા દ્વારા રાજયપાલને કરવામા આવેલી રજુઆતમા જણાવાયું હતુ કે દલખાણીયા રેન્જના બોરડી ગામે ગેરકાયદેસર સિંહદર્શન કરનારાને સિંહ દર્શન કરવા દેતા ગીર પુર્વે વન વિભાગના ઝાંબાજ ટ્રેકરગાર્ડ ઉપર જીવલેણ હથીયારોથી સમુહમાં હુમલો કરી જંગબાજ યુવાન ધર્મેશભાઇ વાળાને મોતને ઘાટ ઉતારી દેતા વન અને વન્યપ્રાણી અસુરક્ષીત બનવા સાથે મૃતક પરિવારના યુવાનના મોતથી સ્વ.વાળાના પરિવારજનો ઉપર આભ ફાટયું છે. ગીર પુર્વ વન વિભાગના દલખાણીયા રેન્જમાં બોરડી ગેઇટ ઉપર ફરજ દરમીયાન વન અને વન્ય પ્રાણી માટે પોતાના જીવનની આહુતી આપનારા જંગબાજ ટ્રેકરગાર્ડ ધર્મેન્દ્રભાઇ વાળાના પરિવારજનોને રૂ.10 દસ લાખ અર્પણ કરવા તેમજ મૃતકના પરિવારજનો પૈકી એકને વન વિભાગમાં કાયમી નોકરી આપવા તેમજ વન વિભાગમાં વન્યપ્રાણી અને વનની સુરક્ષા અર્થે ગેરકાયદેસર સિંહ દર્શન કરનારાને પોતાની ફરજ સમજી ગેરકાયદેસર સિંહ દર્શન કરવા દેતા ગેરકાયદેસર સિહદર્શન કરનારાઓએ જીવલેણ હથીયારોથી ધર્મેન્દ્રભાઇ વાળા ઉપર હુમલો કરી હત્યા કરનારા તમામની તાત્કાલિક અસરથી ધરપકડ કરવા અને હત્યારાઓને કડકમાં કડક સજા થાય તેવી માંગ કરાઇ છે.