Monday, March 17, 2008

ત્રીજી વખતના મોરે આંબામાંથી પોષણ ખેંચી લેતા કેસરના પાકને મોટો ફટકો

તાલાલા, તા.૧૬
આ વર્ષે તાલાલા પંથકમાં પ્રકૃતિ વિરુધ્ધની ઘટનાઓ નિર્માણ પામી છે. કેસર કેરીના આંબામાં પ્રથમ વખતનો મોર ખરી ગયા બાદ ઉપરા ઉપર ત્રીજી વખત આવેલા મોરે આંબામાંથી પોષણ ખેંચી લેતાં કેસર કેરીના પાકને જબ્બર ફટકો પડવાની સંભાવના છે. છ દાયકામાં કદી ન બની હોય તેવી ઘટના જોવા મળતાં તાલાલા પંથકના ખેડૂતોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. પ્રથમ વખત આવેલો મોર કાતિલ ઠંડીના કારણે ખરી ગયો હતો. બીજી વખત આવેલા મોરમાં મગીયો બંધાયો ત્યાં ત્રીજી વખત મોર આવતાં કેસર કેરીનું ઉત્પાદન પણ મોડું થશે. કેસર એપ્રિલ માસનાં અંતમાં બજારમાં આવતી તેના બદલે મે માસના મધ્યમાં બજારમાં આવશે.

તાલાલા પંથકમાં કદી પણ ન બની હોય તેવી પ્રકૃતિ વિરુધ્ધની પ્રકિયા કેસર કેરીના પાકમાં શરૃ થઈ છે. કેસર કેરીના આંબામાં ગત નવેમ્બર માસમાં મોર આવવા માંડયો હતો. પરંતુ કાતિલ ઠંડીના કારણે તમામ મોર ખરી ગયો હતો. બાદમાં બીજી વખત આવેલા મોરથી મગિયો બંધાયો હતો અને ચણા જેવડી ખાખટી થઈ ગઈ હતી. ત્યાં વળી આંબામાં ઝડપથી ત્રીજી વખત મોર આવવા માંડતા તમામ પંથકના ખેડૂતોમાં આશ્ચર્ય ફેલાયુ છે. આ ત્રીજી વખતના મોરે આંબા ાંથી પોષણ ખેંચી લેતાં જે ખાખટી બંધાઈ છે તેનો વિકાસ અટકી ગયો છે. આ ખાખટી એકાએક પીળી થઈ ખરવા માંડી છે.જાણકારોના મતે તાલાલા પંથકમાં કેસર કેરીના પાકમાં આ વર્ષે જે ત્રણ તબકકાની પ્રકિયા નિર્માણ પામી છે તેવી પરિસ્થિતિ કદાપી ઉદ્ભવી નથી. હવે જો ત્રીજી વખતના પાકને અનુકુળ આબોહવા મળશે અને તે બંધારણ પ્રકિયા ઝડપથી આગળ વધશે તો પણ પાક તૈયાર થશે ત્યારે ચોમાસું આવી ગયુ હશે પરિણામે ખેડુતો કેરીના પાકને સાચવી શકશે નહીં.આમ આ વર્ષે તાલાલા પંથકના ખેડૂતોને કેસરના ઉત્પાદનમાં જબ્બર ફટકો પડે તેવી સંભાવના છે. ખેડૂતોએ માથે ઓઢીને રોવાનો વારો આવ્યો છે. આ સ્થિતિમાં સરકાર ઉચ્ચ કક્ષાએથી સાચો સર્વે કરાવે અને ખેડૂતોને મદદરૃપ બને તેવી માંગણી ઉઠી છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=62898&Keywords=Sorath%20Gujarati%20News

છાલડામાં દીપડા બાદ દીપડી પણ પાંજરે પૂરાઈ ગઈ

વિસાવદર તા.૧૬

વિસાવદર તાલુકાના છાલડા ગામે દીપડા અને દીપડીએ ભારે આતંક ફેલાવી દઈને ત્રાસ અને ભયનું વાતાવરણ સર્જી દીધું હતું આ ગામના ચંદુભાઈ મનુભાઈ કોળી ઉપર હુમલો કરીને તેને ઘાયલ કરી દીધેલ હતો આ પછી વનખાતાએ પીંજરૃ મૂકયું હતું જેમાં દીપડો પકડાઈ જવા પામ્યો હતો.આ પછી આજે દીપડી પણ પાંજરે પુરવામાં વનખાતાને સફળતા મળી હતી.વિસાવદર તાલુકામાં રાની પ્રાણીઓને ભારે ગોઠી ગયું હોય એમ આ તાલુકાના અનેક ગામડાઓમાં દીપડાઓએ ધામા નાખ્યા હતા.

આના કારણે ગામલોકોને સીમવગડે જવામાં પણ ભારે અગવડતા અનુભવાતી હતી.દીપડાઓ માલ ઢોરને નિશાન બનાવીને શિકાર કરી નાંખતા હતા.એમની હાજરી ના કારણે લોકો બહાર નીકળવામાં પણ ભારે ભય અનુભવતા હતા.આવા સંજોગોમાં વનખાતાએ છાલડા ગામે પાંજરૃ મૂકીને દીપડા દંપતીને પકડવા અભિયાન હાથ ધર્યું હતું. જેમાં દીપડો આબાદ રીતે સપડાઈને પાંજરે પુરાઈ ગયો હતો.જેને વનમાં દૂર મૂકી આવ્યા હતા.

પરંતુ દીપડી પકડાતી ન હતી અને તેની કનડગત ચાલુ જ હતી.આ દીપડીને પકડી લેવા માટે વન અધિકારી એન.એમ.જાડેજા સુખદવ જોષી તથા કંડારિયા વગેરેએ ફરી વાર પ્રયાસો કરતા આ દીપડી ઝડપાઈ જવા પામી છે.આના કારણે લોકોેએ હાશકારો અનુભવ્યો છે.

Source: http://www.sandesh.com/articlewoImage.aspx?NewsID=62897&Keywords=Sorath%20Gujarati%20News

Saturday, March 15, 2008

રાજકોટના પ્રાણીસંગ્રહાલયમાં વધુ બે સિંહબાળ જન્મ્યાં

Bhaskar News, Rajkot
Friday, March 14, 2008 23:42 [IST]



સિંહની સંખ્યા ૧૧ થઇ ગઇ, સક્કરબાગ ઝૂને બે બરચાં આપી દેવાશે

રાજકોટના આજી ડેમ સ્થિત પ્રાણી સંગ્રહાલયમાં મોજ નામની સિંહણે બે બરચાંને શુક્રવારે સવારે જન્મ આપ્યો હતો. ગયા મહિને જ મોજની બેન મસ્તીએ પાંચ સિંહબાળ આ ઝૂને આપ્યા હતા.

રાજકોટ ઝૂમાં વખતોવખત સિંહ અને વાઘના બરચાંના અવતરણો થતાં રહે છે. સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ હવે આ પ્રાણી સંગ્રહાલયને બ્રિડિંગ સેન્ટર એટલે કે સિંહ જન્મ અને ઉછેર કેન્દ્રનો દરજજો આપ્યો છે.

૨૦૦૪માં રાજવંતી સિંહણની કૂખે જન્મેલી મોજ સિંહણની ઉંમર સાડા ત્રણ વષ્ાર્ છે. જૂનાગઢથી ખાસ બ્રિડિંગ માટે લાવવામાં આવેલા દસ વષ્ાર્ના સિંહ વિરલ સાથે થયેલા સમાગમના ફળ સ્વરૂપે ૧૦૮ દિવસના ગર્ભાધાન બાદ મોજે આજે સવારે બે બરચાંને જન્મ આપ્યો હતો.

ગયા મહિને મોજની બહેન મસ્તીએ પાંચ સિંહબાળને જન્મ આપ્યો હતો, જેમાંથી બેના મૃત્યુ થયા છે.આજી ડેમ પ્રાણી સંગ્રહાલયમાં અત્યારે પુખ્ત વયના બે સિંહ અને ચાર સિંહણ તેમજ મસ્તીના ત્રણ અને મોજના બે એમ પાંચ બરચાં મળીને કુલ ૧૧ સિંહ હયાત છે.

સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ રાજકોટના પ્રાણી સંગ્રહાલયને લાયન બ્રિડિંગ સેન્ટરનો દરજજો આપ્યો છે. અત્યાર સુધી આ સિંહ ઉછેર કેન્દ્ર જૂનાગઢમાં હતું, હવે તે ભોપાલ, હૈદરાબાદ, દિલ્હી અને રાજકોટમાં પણ કાર્યરત થશે.

રાજકોટના આ ઝૂને આવું રાષ્ટ્રીય કક્ષાનું કેન્દ્ર બનાવવામાં ઝૂ સુપ્રિન્ટેન્ડેન્ટ એમ.જી. મારડિયા અને તેના સ્ટાફનું મહત્ત્વનું યોગદાન છે.

ઝૂમાં સિંહણ ‘મોજ’ને બે બચ્ચાં અવતર્યાં, બ્રિડિંગ સેન્ટર મંજૂર

sandesh
રાજકોટ તા,૧૪ : રાજકોટ ઝૂનાં પ્રાણી પરિવારમાં ફરી એક વખત ખૂશીની ઘડી આવી છે. તાજેતરમાં મૃત્યુ પામનાર સિંહણ રાજવંતીની બીજી પુત્રી અને તાજેતરમાં પાંચ બચ્ચાને જન્મ આપનાર સિંહણ મસ્તીની બહેન સિંહણ ‘મોજ’ને આજે (શુક્રવારે) સવારે ૭ થી ૮ના સમયગાળા દરમ્યાન બે બચ્ચાનો જન્મ થયો છે. આથી, મહાપાલિકા સંચાલિત આજી ઝૂમાં સિંહ-સિંહણની કુલ સંખ્યા ૧૧ થઈ છે. ઝૂને બ્રિડિંગ સેન્ટર તરીકે વિકસાવવાની મંજૂરી સેન્ટ્રલ ઝૂ ઓથોરિટીએ આપી દીધી હોવાનુ મેયર ધનસુખ ભંડેરીએ જણાવ્યું હતું. ૧૦ વર્ષના સિંહ વિરલના સફળ મેટીંગથી સાડા ત્રણ વર્ષની વયની સિંહણ મોજે ૧૦૮ દિવસના ગર્ભધાન બાદ પ્રથમ વખત બે બચ્ચાને જન્મ આપ્યો છે. હાલ, ઝૂમાં ૪ પુખ્તવયની સિંહણ અને ર પુખ્ત વયના સિંહ તથા સિંહણ મસ્તીના ૩ અને સિંહણ મોજના ર મળી કુલ પ સિંહબાળ છે. નોંધનીય છે કે, તાજેતરમાં સિંહણ મસ્તીને પ બચ્ચા અવર્તયા હતા. તેમાંથી ર મૃત્યું પામતા ૩ રહયાં છે. સિંહ વિરલ જૂનાગઢથી લોન પર લવાયેલો હોઈ મોજ અને મસ્તીના મળી બે બચ્ચા જૂનાગઢ ઝુને આપવામાં આવશે. મોજ અને મસ્તીની નાની બેન યસ્વીને પણ સારા દિવસો હોઈ આગામી દિવસોમાં
ુને વધુ સિંહબાળની ભેંટ મળશે. આજી ઝૂ ખાતે છેલ્લા ૧૬ વર્ષમાં ૧ર સિંહબાળ તથા ૬ વાઘબાળનો જન્મ થયો છે. સ્થળ, પાંજરા, બ્રિડીંગ માટે સાનુકુળ જગ્યા વિગેરે બાબતોને લક્ષમાં લેતા સેન્ટ્રલ ઝૂ ઓથોરિટી દ્વારા આજી ઝૂને સિંહનાં બ્રિડિંગ સેન્ટર તરીકે મંજૂરી આપી છે. ગુજરાતમાં એક માત્ર જૂનાગઢ ઝૂ બ્રિડિંગ સેન્ટર તરીકે માન્યતા ધરાવે છે. રાજકોટ સાથે ભોપાલ, હૈદરાબાદ, ન્યૂ દિલ્હી ખાતે આવેલા ઝૂને પણ બ્રિડિંગ સેન્ટર તરીકે માન્યતા આપવામાં આવી છે.

Friday, March 14, 2008

ધારી તાબેના મોણવેલ ગામે સમી સાંજે બે સિંહ અને એક સિંહણ

sandesh
ધારી, તા. ૧૧
ધારી તાબેના મોણવેલ ગામે આજે સમી સાંજે બે સિંહ અને એક સિંહણ છેક ગામની વચોવચ આવી ચડતાં ભારે નાસભાગ મચી ગઇ હતી. ઉભી શેરીએ ત્રાડ પાડતાં નીકળેલા સાવજોએ મોડી રાત સુધી જ ગામમાં પડાવ નાખતાં ભારે ભયનો માહોલ પ્રસરી ગયો હતો. ગિરના જંગલમાંથી બે સિંહ અને એક સિંહણ આજે ધારી તાલુકાના મોણવેલ ગામે ચડી આવ્યા હતા. રાત્રે આઠેક વાગ્યાા અરસામાં આ સાવજો ત્રાડ પાડતાં પાડતાં ઉભી શેરીએ જાણે રાત્રી રોનમાં નીકળ્યા હોય તેમ પસાર થતા ભારે નાસભાગ મચી ગઇ હતી. મોડી રાત સુધી સાવજોએ ગામમાં જ પડાવ નાંખતા ભયનું લખલખુ પ્રસરી ગયું હતું. ગ્રામજનોએ સાવજોને ખદેડી મુકવા હાંકોરા પડકારા અને પથ્થરના ઘા કર્યા હતા. પરંતુ જંગલના રાજાએ કોઇને મચક આપી ન હતી. આ અંગે જંગલખાતાને જાણ કરવા છતાં મોડે સુધી એકપણ અધિકારી ડોકાયા ન હતા.

ગીરના જંગલમાં મહાભયાનક દવ: ૮૫ હેકટર જંગલ ખાખ.

Bhaskar News, Amareli
Wednesday, March 12, 2008 23:38 [IST]

આગ બૂઝાવતી વેળા બીટ ગાર્ડનું હાર્ટએટેકથી મોત

તુલસીશ્યામ રેન્જ હેઠળના જંગલમાં લાગેલી ભીષણ આગમાં મહામૂલી વનસ્પતિ અને માળામાં રહેતાં પંખીઓ તથા સરીસૃપ જીવોનો નાશ

ધારી ગીર (પૂર્વ)ના તુલસીશ્યામ રેન્જ હેઠળ આવેલા બોરાળા-ખડાધાર વિસ્તારના મકરબા તરીકે ઓળખાતા ગાઢ જંગલમાં મંગળવારની પરોઢે લાગેલી ભીષણ આગમાં જંગલની મહામૂલી સંપત્તિનો નાશ થયો હતો.

આગ બૂઝાવતી વેળાએ બોરાળાના એક બીટ ગાર્ડનું હૃદયરોગના હુમલાથી મૃત્યુ થતાં વન કર્મચારીઓ સ્તબ્ધ બની ગયા હતા. આ વિસ્તારમાં છેલ્લા બે મહિનામાં દવ લાગવાનો આ પાંચમો બનાવ છે.

આ વિસ્તારમાં દારૂની ભઠ્ઠીઓ ધમધમતી હોવાના અહેવાલો વરચે વારંવાર દવ લાગવાની ઘટનાઓ આકસ્મિક નહીં પણ ઈરાદાપૂર્વકનું કòત્ય હોવાની શંકા ખૂદ વનખાતાના કર્મચારીઓ વ્યકત કરી રહ્યા છે.

મકરબાના ગાઢ જંગલમાં ગઈકાલે વહેલી સવારે અચાનક જ આગ ભભૂકી ઉઠી હતી અને જોતજોતામાં આ આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું. ધારી ગીર (પૂર્વ) વન કચેરીનો સ્ટાફ દવ બૂઝાવવાની કામગીરીમાં લાગ્યો હતો પરંતુ તે દરમિયાનમાં ૮૫ હેકટર જમીનમાં આગ ફેલાઈ જતાં તેણે ભયાનક સ્વરૂપ ધારણ કર્યું હતું.

છેક દૂર દૂરના ગામડાંઓમાં અગનજવાળાઓ દેખાતી હતી. આગને કારણે વૃક્ષોમાં માળા બાંધીને રહેતાં પંખીઓ તથા સરીસૃપ જીવસૃષ્ટિનો નાશ થયો હતો તો ૮૫ હેકટર વિસ્તારમાં સૂકું ઘાસ તથા વૃક્ષો કાળી રાખમાં ફેરવાઈ ગયા હતા. વન વિભાગની અવિરત જહેમત બાદ ૨૪ કલાકે એટલે કે છેક બુધવારે સવારે મહા મહેનતે આગ કાબૂમાં આવી હતી.

આગ બૂઝાવવાની કામગીરી ચાલુ હતી તે દરમિયાન જ બોરાળાના બીટ ગાર્ડ દેવાભાઈ ટીડાભાઈ વસઈયા (ઉ.વ.૫૨)ને હૃદયરોગનો હુમલો આવતા તેમનું મૃત્યુ નીપજયું હતું. આ અણધાર્યા બનાવના કારણે ફરજ પર હાજર રહેલા કર્મચારીઓ સ્તબ્ધ બની ગયા હતા અને ભારે શોકનો માહોલ છવાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, ધારી ડિવિઝન હેઠળ આવતા વન વિસ્તારમાં આગ લાગવાની આ અગાઉ પણ અનેક ઘટનાઓ બની છે.

મિતિયાળા, કરમદડી, કોરાસા, ગોવિંદપુર વિગેરે સ્થળે છેલ્લા એક મહિનામાં જ આગ લાગવાના બનાવ બન્યા હતા. આજે બનેલો બનાવ છેલ્લા બે મહિનાનો પાંચમો બનાવ છે. ડીએફઓ જે.એસ. સોલંકીએ પણ આવા બનાવો પાછળ કોઈનો બદઈરાદો હોવાની શંકા વ્યકત કરી જો ખરેખર એવું હશે તો વન વિભાગ તેની પૂરતી તપાસ કરશે એવી ખાતરી આપી હતી.

ઉલ્લેખનીય છે કે, જંગલમાં લાગતી આગની ઘટનાઓને તંત્ર બહુ ગંભીરતાથી લેતું નથી. અગાઉ લાગેલી આગની ઘટનાઓનું કારણ તંત્ર શોધી શકયું નથી. ધારી ડિવિઝનમાં નાયબ વન સંરક્ષકની બદલી થયા પછી લાંબા સમયથી એ જગ્યા ખાલી પડી છે. આગની આ નવી ઘટનાને પગલે તંત્ર સતર્ક બને અને આવી ઘટનાઓનું પુનરાવર્તન ન થાય તેવું વ્યવસ્થાતંત્ર ગોઠવે તેવી માગણી ઉઠી છે.

વન કર્મચારીનાં મોતથી આઘાત

આગ બૂઝાવતી વેળાએ બીટ ગાર્ડ દેવાભાઈનું મૃત્યુ થતાં વન કર્મચારીઓમાં ધેરા શોકની લાગણી ફેલાઈ હતી. મૃતક છેલ્લા ૨૮ વર્ષથી ફરજ બજાવતા હતા. તેઓ મૂળ ઝાલોદ તાલુકાના વતની હતા. ત્રણ વર્ષ પહેલાં અમરેલી જિલ્લા પુરવઠા તંત્રની કચેરીમાં પુરવઠા નિરીક્ષક તરીકે ફરજ બજાવતા તેમના મોટાભાઈ કે.ટી. વસઈયાનું પણ ફરજ દરમિયાન હાર્ટએટેકથી મૃત્યુ થયું હતું.

આ કરૂણ ઘટનાની જાણ થતાં જૂનાગઢના સીએફઓ ભરત પાઠક ધારી દોડી ગયા હતા અને મૃતદેહને તેમના વતનમાં મોકલી આપવાની વ્યવસ્થા કરી હતી. આઘાત જનક વાત એ છે કે, વન વિભાગમાં ફરજ દરમિયાન મૃત્યુ પામનાર કર્મચારી માટે ખાસ વળતર ચૂકવવાની કોઈ જોગવાઈ નથી. પરિવારથી અલગ રહી રાષ્ટ્રીય સંપત્તિનું રક્ષણ કરતાં નાના કર્મચારીઓના મૃત્યુ બાદ તેમના

જંગલમાં દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ ગીરના જંગલમાં અનેક સ્થળે દેશી દારૂની ભઠ્ઠીઓ ધમધમે છે અને તેના પરિણામે આગ લાગવાના બનાવો બનતા રહે છે. ગીરમાં સાવજોના શિકાર થયા પછી તંત્ર દ્વારા કડક પગલાં લેવાયાના દાવા થઈ રહ્યા છે પરંતુ વાસ્તવમાં અંદર બધુ પોલંપોલ હોવાનું ચર્ચાઈ રહ્યું છે.