Friday, December 13, 2013

સર્જાયા ડિસ્કવરીના દ્રશ્યો: સિંહોએ ભેંસોને ફાડી ખાધી,માણી મીજબાની.

સર્જાયા ડિસ્કવરીના દ્રશ્યો: સિંહોએ ભેંસોને ફાડી ખાધી,માણી મીજબાની
Bhaskar News, Talala   |  Dec 11, 2013, 13:18PM IST
- મંડોરણામાં છ ભેંસનો કર્યો શિકાર
- તાલાલા પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહો ટોળારૂપે ઘૂમી રહ્યા છે
- ગામનું પાદર પરોઢીયે સાવજોની ડણકોથી ગુંજી ઉઠયું

તાલાલાનાં મંડોરણા (ગીર) સામે આજે પરોઢીયે આઠ સાવજોએ આવી ચઢી પાદરમાં છ ભેંસનો શિકાર કરી નિરાંતે મારણની મીજબાની માણતાં ગામમાં ભયનો માહોલ છવાઇ ગયો હતો. ગીર પંથકનાં મંડોરણા ગામે ભરતભાઇ પરસોતમભાઇ ડોબરીયાનાં ખેતરમાં નજીકનાં પાણીકોઠા ગામેથી ચરીયાણમાં નિકળેલી હનીફભાઇ દોસમામદભાઇ મકરાણીની છ ભેંસો આંબાવાડી પાસે ચરતી હતી ત્યારે ત્રણ સિંહણ, બે સિંહ અને ત્રણ બચ્ચા સાથેનું આઠ સિંહનું ટોળુ આવી ચઢેલ અને ચરી હુમલો કરી ચાર પાડી અને બે પાડાને મોતને ઘાટ ઉતારી નિરાંતે મારણની મીજબાની માણી હતી.
પરોઢીયે સાવજોની ડણકથી પાદર ગુંજી ઉઠયું હતું. આ ઘટનાથી ગામમાં ભયનો માહોલ પ્રસરી ગયો હતો. આ અંગે આંકોલવાડી રેન્જને જાણ કરતા આરએફઓ ડી.એન.પટેલ સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયેલ ત્યારે એક સિંહણ મારણ ઉપર જોવા મળી હતી.

જયારે સવાર પડતા અન્ય સિંહો મારણ પડતુ મૂકી વાડી વિસ્તાર તરફ ચાલ્યા ગયા હતાં. તાલાલા પંથકનાં ગ્રામ્ય વિસ્તારોમાં સિંહોનાં ટોળા ફરી રહ્યા હોય અને માનવ વસાહત તરફ આવી ચઢતાં હોવાનું ઘણા સમયથી જોવા મળી રહયું છે.

એકી સાથે શિકારની ઘટનાથી એસીએફ દોડી ગયા
 
એકી સાથે છ માલઢોરનાં શિકારની ઘટના મળતાં જ એસીએફ કંડોરીયા મંડોરણા ગામે દોડી ગયાં હતાં અને આ સિંહ ગૃપનું લોકેશન મેળવવા કવાયત હાથ ધરી છે.



કોડીનાર પાસેથી સિંહબાળનો મૃતહેદ મળતા શંકા-કુશંકા.

Bhaskar News, Kodinar   |  Dec 13, 2013, 03:47AM IST
- કોટડા બંદર પાસેથી સિંહ બાળનો મૃતદેહ મળ્યો
કોડીનાર પાસેથી સિંહબાળનો મૃતહેદ મળતા શંકા-કુશંકા
- શંકા - કુશંકા : બાવળની ઝાડીમાં ફસાવાથી અથવા બિમારીને કારણે મોતનું પ્રાથમિક તારણ
વન વિભાગ લાકડાની ચોરી મુદ્દે પેટ્રોલીંગ હતો ત્યારે વાસથી ખબર પડી
- ત્રણ વર્ષ આસપાસનો સિંહ બાળનો મૃતદેહ મળી આવતા સ્થળ પર જ પીએમ કર્યુ


કોડીનાર તાબાનાં કોટડા બંદરનાં જંગલમાંથી ત્રણ વર્ષીય બાળ સિંહનો મૃતદેહ મળી આવતાં વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે. સિંહ બાળનું મોત બાવળની ઝાડીમાં ફસાવાથી અથવા બિમારીથી થયાનાં પ્રાથમિક તારણ વચ્ચે અનેક શંકા-કુશંકાઓ જાગી છે.

પ્રાપ્ત માહિ‌તી મુજબ, કોડીનારથી ૨પ કિ.મી. દૂર કોટડાના જંગલમાં ગઢડા ફોરેસ્ટ વિભાગ લાકડાની ચોરી અંગે પેટ્રોલીંગ કરી રહ્યો હતો. ત્યારે કોટડા બંદર પાસે આવેલા જંગલમાં બાવળની ઝાડીમાં વાસ આવતાં વન કર્મીઓએ અહીં તપાસ કરી હતી. જેમાં આશરે ત્રણ વર્ષનાં સિંહબાળનો મૃતદેહ જોવા મળ્યો હતો. આ અંગે જામવાળા ફોરેસ્ટમાં જાણ કરાતાં આરએફઓ એલ. ડી. પરમાર સ્ટાફ સાથે છારા બીટ અને સાસણ વેટરનરી ડોકટરની ટીમ સાથે ઘટનાસ્થળે પહોંચ્યા હતા. અને મૃતક સિંહબાળનું ઘટનાસ્થળેજ પીએમ કરવામાં આવ્યું હતું.

સિંહબાળનો મૃતદેહ વિખેરાયેલી સ્થિતીમાં હોઇ તેને આજે સાંજે ઘટનાસ્થળેજ અગ્નિ‌દાહ આપવામાં આવ્યો હતો.બીજી બાજુ હાલ તો પીએમની કાર્યવાહી બાદ વિશેરા લઇ જવાયા છે. તેનાં પરિક્ષણ બાદ સિંહબાળનાં મોતનું કારણ જાણવા મળશે.પરંતુ જામવાળા આરએફઓએ બિમાર અથવા બાવળની ઝાડીમાં ફસાવાથી આવું બન્યું હોય એવું પ્રાથમિક તારણ આપ્યું હતું.

Tuesday, December 10, 2013

અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનને બેસ્ટ પ્રોટેકટેડ એરીયા ૨૦૧૩ એવોર્ડ મળ્યો.

અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉદ્યાનને બેસ્ટ પ્રોટેકટેડ એરીયા ૨૦૧૩ એવોર્ડ મળ્યો
Bhaskar New, Talala | Dec 10, 2013, 02:59AM IST
- મહેનત ફળી : સેન્ચુરી એવોર્ડ ગીરનાં ફાળે
- મુંબઇમાં જૂનાગઢનાં મુખ્ય વન સંરક્ષકએ બહુમાન સ્વિકાર્યુ : વન કર્મી - લોકોમાં આનંદ


ગુજરાતની શાન ગણાતા એશિયાટીક સિંહો સહિ‌ત વન્યજીવો જ્યાં વસવાટ કરે છે તે ગીર અભયારણ્ય અને રાષ્ટ્રીય ઉઘાનને સેન્ચુરી મેગેઝીન દ્વારા નેશનલ સેન્ટર સેન્ટર ફોર પરફોમીંગસ બદલ બેસ્ટ પ્રોટેકટીક એરીયા ૨૦૧૩ નો બેસ્ટ સેન્ચુરી એવોર્ડ એનાયત કરવામાં આવતા વન વિભાગ સાથે ગીરમાં વસતા માલધારીઓ અને સ્થાનિક લોકોમાં આનંદની લાગણી પ્રસરી છે. આ પુરસ્કાર ગુજરાતનાં ચીફ વાઇલ્ડ લાઇફ બોર્ડ અને અગ્ર મુખ્ય વન સંરક્ષક ડો.સી.એન.પાંડે વતી વન્યગણી વર્તુળ જૂનાગઢનાં મુખ્ય વન સંરક્ષક આર.એલ.મીનાએ સ્વીકારેલ હતો.

સીસીએફ આર.એલ.મીનાએ જણાવેલ કે, આ એવોર્ડ સંરક્ષક અને સંવર્ધનનાં સતત પ્રયત્નોની ઓળખ છે. જે ગીરનાં અધિકારીઓ, કર્મચારીઓ અને ગીરની આસપાસ રહેતા તેમજ સમગ્ર સૌરાષ્ટ્રનાં લોકો સિંહ અને વન્યજીવોની પરિવારનાં સભ્યોની જેમ સંભાળ લે છે તેની પ્રતીતી કરાવે છે. સિંહોની સંખ્યા ૨૦૧૦ નાં વસ્તી અંદાજે પ્રમાણે ૪૧૧ થઇ માત્ર સિંહ અને અન્ય વન્યજીવોની સંખ્યા જ નથી વધી પરંતુ ખૂબ મોટા વિસ્તારનું મજબૂત, સામાજિક, સાંસ્કૃતિક વારસા સાથે સિંહનાં નિવસન તંત્રનું સ્ટેનેબલ વ્યવસ્થાપન કરવામાં આવ્યું છે. આ એવોર્ડ થી બાયોડાયવર્સીટી કન્ઝર્વેશન એન્ડ રૂરલ લાઇવલી હુડ ઇમ્પ્રુવમેન્ટ પ્રોજેકટ (બીસીઆરએલઆઇપી) એ વચન નિભાવે છે કે વન્ય જીવોની વસ્તી વધતા સ્થાનિક લોકો અને સમુદાયોને પણ આજીવીકાની તકો વધારવાનો લાભ મળનાર છે.

અહીં સિંહ પ્રેમ સરાહનીય છે

ગીરનાં સિંહોને મધ્યપ્રદેશમાં ખસેડવા બાબતે ગીરનાં માલધારીઓએ વિરોધ કર્યો હતો. ગીરનાં જંગલમાં સિંહોની સાથે આ માલધારીઓનાં ૬૦૦૦ માલઢોર પણ રહેછે. તેમ છતાં સિંહો પ્રત્યેનો તેમનો લગાવ-પ્રેમ સરાહનીય છે. ગીરનું જંગલ ૧૯૬પ માં અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું. ધીમે-ધીમે સિંહોની સંખ્યા વધતી ગઇ સિંહો જંગલની બહારનાં વિસ્તારમાં ભ્રમણ કરતા થયા આથી ૧૯૮૯ માં પાણીયા અભયારણ્ય ૨૦૦૪ માં મીતીયાળા અભયારણ્ય અને ૨૦૦૮ માં ગીરનાર અભયારણ્ય જાહેર કરવામાં આવ્યા આજે સિંહો ૧૦ હજાર વર્ગ કિ.મી.થી વધુ વિસ્તારમાં ભ્રમણ કરી રહ્યા છે.
http://www.divyabhaskar.co.in/article/SAU-JUN-award-of-best-product-area-to-sanctuary-and-national-park-4459496-NOR.html

Monday, December 9, 2013

કાગવદર નજીક ટ્રક હડફેટે બે મોર અને એક ઢેલનું મોત.


કાગવદર નજીક ટ્રક હડફેટે બે મોર અને એક ઢેલનું મોત
Bhaskar News, Amreli | Dec 08, 2013, 02:09AM IST
- ઉના-ભાવનગર હાઇવે પર વહેલી સવારે બનેલી ઘટના

પુરપાટ ઝડપે દોડતા વાહનોના અકસ્માતમાં માણસના મોતની ઘટનાઓ અવાર નવાર બની રહી છે. વાહન હડફેટે પાલતુ તથા વન્ય પશુઓના મોતની ઘટના પણ વારંવાર બને છે. પરંતુ આજે જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક અજાણ્યા ટ્રક હડફેટે ચડી જતા બે રાષ્ટ્રીય પક્ષી મોર અને એક ઢેલનું મોત થયુ હતું.

વાહન હડફેટે ચડી જવાથી મોરના મોતની ઘટના જવલ્લે જ બનતી હોય છે. પરંતુ આજે આવી એક ઘટના જાફરાબાદ તાલુકાના કાગવદર ગામ નજીક બની હતી. આ ગામ ઉના-ભાવનગર હાઇવે પર આવેલુ ગામ છે અને કોસ્ટલ હાઇવે પર આખો દિવસ ટ્રાફીક પણ સતત ધમધમતો રહે છે. આજે સવારે કથીરવદર નજીક કોઇ અજાણ્યા ટ્રક ચાલકે બે મોર અને એક ઢેલને કચડી નાખતા ત્રણેયનું મોત થયુ હતું.
આ વિસ્તારમાં વન્ય પ્રાણીઓની પણ મોટી વસતી છે. અવાર નવાર વાહન હડફેટે નિલગાય પણ ચડી જાય છે. અગાઉ સાવરકુંડલા પંથકમાં વાહન હડફેટે ચડી જતા દિપડાનું તથા ખાંભા પંથકમાં વાહન હડફેટે ઝરખનું મોત થયુ હતું. ત્યારે હવે કાગવદર નજીક ટ્ક હડફેટે એક સાથે ત્રણ ત્રણ રાષ્ટ્રીય પક્ષી મોરના મોતની ઘટના બની છે. ઘટનાની જાણ થતા કાગવદર અને નાગેશ્રીના લોકો અહિં દોડી આવ્યા હતાં. જો કે અકસ્માત સર્જનાર ટ્ક ચાલક નાસી છુટયો હતો.

સાપ યુગલ ભુલ્યુ ભાન, પ્રેમમાં કરતા કરતા ખાબક્યું કૂવામાં.

સાપ યુગલ ભુલ્યુ ભાન, પ્રેમમાં કરતા કરતા ખાબક્યું કૂવામાં
Bhaskar News, Amreli   |  Dec 08, 2013, 01:25AM IST
- પ્રેમાલાપમાં મસ્ત સાપ યુગલ કુવામાં ખાબક્યું
- સાવરકુંડલાના વીજપડી ગામની સીમમાં ખેડૂતની વાડીમાં
-
સર્પ સંરક્ષક મંડળે બન્નેને બચાવી લઇ કુવામાંથી બહાર કાઢયા

સાવરકુંડલા તાલુકાના વિજપડી ગામની સીમમાં એક ખેડૂતની વાડીમાં ખડચિત્તલ પ્રજાતીનો સાપ માદા સાથે પ્રેમાલાપમાં મસ્ત હતો ત્યારે અકસ્માતે બન્ને ઉંડા કુવામાં ખાબક્યા હતાં. જો કે સર્પ સંરક્ષક મંડળના સભ્યોએ બે કલાકની જહેમત બાદ નર અને માદા સાપને કુવામાંથી બહાર કાઢી પુન: મુક્ત કરી દીધા હતાં.

સામાન્ય રીતે ખડચિતલ (રસેલ્સ વાઇપર) પ્રજાતીના સાપ ખડકાળ પ્રદેશમાં રહે છે. પરંતુ સાવરકુંડલાના વિજપડીની સીમમાં નર અને માદા સાપ કનુભાઇ ભીમાણીની વાડીના કુવામાં જોવા મળ્યા હતાં. એવું મનાઇ છે કે નદીમાં તણાઇને આ સાપ આ વિસ્તારમા આવી ચડયા હશે. નર અને માદા બન્ને પ્રણયમાં વ્યસ્ત હતાં તે વખતે બન્ને કનુભાઇની વાડીના કુવામાં ખાબક્યા હતાં.

દરમીયાન ઉંડા કુવામાં નર અને માદા સાપ હોવાની જાણ થતા રાજુલા સર્પ સંરક્ષક મંડળના પ્રમુખ અશોકભાઇ સાંખટ અને તેની ટીમના સભ્યો ત્યાં પહોંચી ગયા હતાં. તેમણે કુવામાં ઉતરી બે કલાકની ભારે જહેમત બાદ બન્નેને બહાર કાઢ્યા હતાં અને ફરી તેમના પ્રાકૃતિક આવાસમાં મુક્ત કરી દીધા હતાં.

આ પ્રજાતીનો સાપ માણસને કરડે તો સારવાર ન લેવાય તો સાતથી આઠ દિવસમાં માણસનું મોત થાય છે. વળી આ સાપનો અવાજ કુકરની સીટી વાગતી હોય તેવો હોય છે.

Saturday, December 7, 2013

સોરઠમાં દસકામાં ૧૮.પ૩ લાખ વૃક્ષો વધ્યા.


સોરઠમાં દસકામાં ૧૮.પ૩ લાખ વૃક્ષો વધ્યા
Sarman ram, Junagadh | Dec 07, 2013, 01:34AM IST
- બિન જંગલ વિસ્તારમાં વૃક્ષોની ગણતરી કરાઇ : ગાંડા બાવળ સૌથી વધુ, બીજા ક્રમે આંબાનાં ઝાડ

ટ્રી આઉટસાઇડ વન વિભાગે બિન જંગલ વિસ્તારમાં આવેલા વૃક્ષોની ગણતરી કરી હતી. દર પાંચ વર્ષે વૃક્ષોની ગણતરી કરવામાં આવતી હોય છે. વર્ષ ૨૦૧૩માં કરવામાં આવેલી ત્રીજી બિન જંગલ વિસ્તારની વૃક્ષ ગણતરીનાં આંકડા વન વિભાગે જાહેર કર્યા છે. આ ગણતરી દરમ્યાન સોરઠમાં ૧૮૯.૯૧ લાખ વૃક્ષ હોવાનું માલુમ પડયું છે. જેમાં સૌથી વધારે વૃક્ષ ગાંડા બાવળનાં ૨૯.૭પ લાખ છે. બીજા ક્રમે આંબાનાં ૨૦.૬૪ લાખ છે. છેલ્લા ૧૦ વર્ષમાં સોરઠમાં ૧૮.પ૩ લાખ વૃક્ષનો વધારો થયો છે.

સોરઠની એક બાજુ સમુદ્ર અને બીજી બાજુ લીલી વનરાજી આવેલી છે. કૃદરતી સાંૈદર્યથી સોરઠ ભરપુર છે. સોરઠનાં બે ભાગ પડી જાય છે. એક જંગલ વિસ્તાર અને બીજો બીન જંગલ વિસ્તાર. ટ્રી આઉટસાઇડ ફોરેસ્ટ ( ટીઓએફ) દ્વારા દર પાંચ વર્ષે બિન જંગલ વિસ્તારમાં વૃક્ષોની ગણતરી કરવામાં આવે છે. વર્ષ ૨૦૦૩, ૨૦૦૮ અને છેલ્લે ૨૦૧૩માં બિન જંગલ વિસ્તારમાં આવેલા વૃક્ષોની ગણતરી કરવામાં આવી હતી. સોરઠમાં મુખ્ય આંબા, ગાંડા બાવળ, નાળિયેરી, દેશી બાવળ અને લીમડાનાં મુખ્ય વૃક્ષો છે. છેલ્લા દસકામાં સોરઠમાં સરેરાશ ૪૪ ઇંચ વરસાદ થયો છે. જેનાં કારણે વૃક્ષોની સંખ્યામાં પણ વધારો થયો છે. બિન જંગલ વિસ્તારમાં કરવામાં આવેલી વૃક્ષોને છેલ્લી ગણતરીમાં સોરઠમાં નોંધપાત્ર પ્રમાણમાં વૃક્ષોની સંખ્યા વધી છે. વર્ષ ૨૦૧૩ની ગણતરીમાં વૃક્ષોની કુલ સંખ્યા ૧૮૯.૯૧ લાખ નોંધાઇ છે. જેમાં સૌથી વધારે ૨૯.૭પ લાખ ગાંડા બાવળ અને તેની પ્રજાતીનાં છે. જ્યારે બીજા ક્રમે ૨૦.૬૪ લાખ આંબાનાં વૃક્ષ આવેલા છે. જેમાં ગ્રામ્ય વિસ્તારમાં ૧,૮૬,૨૭,૨૯૦ વૃક્ષ છે. અને શહેરી વિસ્તારમાં ૩,૬૩,૮૬૦ વૃક્ષ નોંધાયા છે.તેમજ કોસ્ટલ એરીયામાં ગાંડા બાવળ તથા માંગરોળ પંથકમાં નાળિયેરીનાં વૃક્ષો વધારે છે. જ્યારે ગાંડા બાવળની સંખ્યામાં ઘટાડો થયો છે.

પાંચ વર્ષમાં આંબાનાં ઝાડ વધ્યા
સોરઠની કેસર કેરી વિશ્વભરમાં પ્રસિધ્ધ છે. કેસર કરીનુ સૌથી વધારે ઉત્પાદન સોરઠમાં થાય છે. ત્યારે છેલ્લા પાચ વર્ષમાં આબાનાં વૃક્ષોમાં નોંધપાત્ર સંખ્યાનો વધારો થયો છે.

સોરઠમાં આંબાનાં વૃક્ષ સૌથી વધારે
સોરઠ કેસર કેરીનો ગઢ ગણાય છે. રાજયમાં સોરઠમાં સૌથી વધારે આંબાનાં ૨૦.૬૪ લાખ વક્ષ્² છે. જયારે બીજા ક્રમે ૧૬.૪૮ લાખ સાથે નવસારીનો સમાવેશ થાય છે. તમામ વૃક્ષોની સૌથી વધારે સંખ્યા સુરેન્દ્ર નગર જિલ્લામા ૧૨,૮૦૦ વૃક્ષોની છે. જયારે રાજયમાં પાંચમા ક્રમે આંબાનાં વક્ષ્² છે. રાજયમાં કુલ આંબાનાં વૃક્ષ ૧૩૧.૬૬ છે.

સોરઠમાં કયાં કેટલા વૃક્ષ ?
વૃક્ષ સંખ્યા ( લાખમાં)
ગાંડા બાવળ ૨૯.૭પ
આંબા ૨૦.૬૪
નાળિયેરી ૧પ.૮૪
દેશી બાવળ ૧૧.૩પ
લીમડો ૧૦.૪૪
સુબાવળ ૮.૬૯
ગોરસ આંબલી ૬.૬૩
સીતાફલ પ.૩૧
શરૂ ૪.પ૦
ખાખરા ૪.૧૦
અન્ય ૭૨.૬૭
કુલ ૧૮૯.૯૧

ગિરનાર પર હતું સોનાનું મંદિર, રા’માંડલીકે મઢયું’તું સુવર્ણથી.

ગિરનાર પર હતું સોનાનું મંદિર, રા’માંડલીકે મઢયું’તું સુવર્ણથી
Arjun Dangar, Junagadh   |  Dec 07, 2013, 03:47AM IST
- સદીઓ પૂર્વે ગિરનાર પર નેમિનાથ મંદિરને રા’માંડલીકે સુવર્ણથી મઢયું’તું
- સોમનાથ શિખરને સુવર્ણથી સજાવાઇ રહ્યું છે ત્યારે
- ૧૧ મી સદીમાં સોમનાથ મંદિરમાં ૨૦૦ મણ સોનાનાં ઘંટ સહિતની સમુદ્ધિ શોભતી હતી
વિશ્વ પ્રસિદ્ધ સોમનાથ મંદિરનાં શિખરને સુવર્ણથી મઢવાનું કાર્ય આરંભાયું છે. ત્યારે આ મંદિરનો સમૃદ્ધ અને ભવ્ય સુવર્ણકાળ હવે ફરીથી જીવંત થઇ રહ્યો છે. ઈતિહાસમાં ડોકિયું કરીએ તો સદીઓ પૂર્વે જૂનાગઢનાં ચુડાસમા વંશનાં રાજા રા’માંડલીક પહેલાએ ગિરનાર પર નેમિનાથ મંદિરને પણ સુવર્ણથી સુશોભિત કર્યું હોવાનો ઈતિહાસમાં ઉલ્લેખ છે.

સોમનાથ મંદિરનાં શિખરને ૧૦ કિલો સોનાથી મઢવાનું કાર્ય શરૂ થયું છે.ત્યારે સદીઓ પૂર્વે મંદિરોની સમુદ્ધિ વિશે પરિમલ રૂપાણી કહે છે કે, ગિરનાર પર્વત પર પ્રથમ ટૂંકમાં જૈન દેવાલયો આવેલા. જેમાંના મુખ્ય ભગવાન અરિષ્ટ નેમિનાં સાંપ્રત કાલીન મંદિરનો પુરાણો ભાગ ગૂર્જર નરેશ જયસિંહદેવ સિદ્ધરાજ દ્વારા નિયુકત દંડનાયક સજજન (ઇ.સ.૧૧૨૯)નાં ઉદધારક સમયનો છે. ગિરનાર પરનાં રા’માંડલીક ત્રીજાનાં શિલાલેખમાં ઉલ્લેખ મુજબ રા’માંડલીક પહેલા (ઇ.સ.૧૩૦૬)એ તેના સમયગાળામાં નેમિનાથના મંદિરને સુવર્ણથી સુશોભિત કર્યું હતું.

એવી જ રીતે ૧૧મી  સદીના પ્રવાસી અલબેરૂની અને તેરમી સદીનાં પ્રવાસી માર્કો પોલોએ સોમનાથને મહત્વનાં વેપાર કેન્દ્ર તરીકે ગણાવ્યું હતું. એ ઉલ્લેખ મુજબ, સોમનાથ મંદિર અકલ્પનીય ધનવાન હતુ. તેનાં નિભાવ માટે દસ હજાર ગામડાંઓ આપવામાં આવેલા.અને ત્યાં ૨૦૦ મણ સોનાના ઘંટ સહિત કિંમતી વસ્તુઓ લગાવેલી હતી.

જે નિયત સમયે દર્શાવવામાં આવતી. તેની બાજુમાં ગ્રહની અંદર હિરા રત્નો જડિત સોના-ચાંદીની મૂર્તિઓ રાખવામાં આવતી. આ મંદિરની સમુદ્ધિ જોઇ મહમદ ગઝનીએ સોમનાથ પર ચડાઇ કરી હતી.


અમરેલી: સરકારી ચોપડે પરપ્રાંતિયનો હિ‌સાબ જ નથી.

અમરેલી: સરકારી ચોપડે પરપ્રાંતિયનો હિ‌સાબ જ નથી
Bhaksar News, Amreli | Dec 07, 2013, 01:18AM IST
- તંત્ર જાગે : ગીરકાંઠાના ગામોમાં વસતા પરપ્રાંતિયો દ્વારા વન્ય પ્રાણીઓનો શિકાર ?
- લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા પગલા લેવા ઉચ્ચ કક્ષાએ રજૂઆત: તત્કાળ પગલાં લેવા માંગ


ભુતકાળમાં પરપ્રાંતિય શિકારી ગેંગે ગુજરાતની શાન સમા સાવજોનો શિકાર કરી હાહાકાર મચાવ્યો હતો. ત્યારબાદ પણ વહીવટીતંત્ર જાગ્યુ ન હોય તેવી સ્થિતિ છે. હાલમાં ખાંભા-ધારી પંથકમાં ધાવડીયા પરપ્રાંતિય મજુરોના ધાડેધાડા ઉતર્યા છે. લાયન નેચર ફાઉન્ડેશને આજે મુખ્ય વન સંરક્ષક અને જીલ્લા પોલીસ વડાને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે આ પરપ્રાંતિય શખ્સો દ્વારા સસલા, મોર, હોલા, તેતર જેવા જીવોનો શિકાર કરવામાં આવી રહ્યો છે. સરકારી ચોપડે અહિં આવતા પરપ્રાંતિયોનો કોઇ હિ‌સાબ નથી.

તે અંગે તાત્કાલીક પગલા લેવાવા જોઇએ.લાયન નેચર ફાઉન્ડેશનના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાએ આજે રાજ્યના અગ્ર મુખ્ય વન સંરક્ષક અને અમરેલી જીલ્લા પોલીસ વડાને આજે આ બારામાં રજુઆત કરી હતી. તેમણે કરેલી રજુઆતમાં જણાવાયુ હતું કે ગીર જંગલ તથા આસપાસના વિસ્તારમાં વન્ય પ્રાણીઓની સુરક્ષા થવી ખુબ જ જરૂરી છે. આ વિસ્તારમાં હાલમાં મોટી સંખ્યામાં પરપ્રાંતિય લોકો આવીને વસ્યા છે. ખાંભા તથા ધારી તાલુકાના ગામડાઓમાં ગીર કાંઠાના વિસ્તારમાં સરકારી કામોમાં તથા વાડી-ખેતરોમાં ખેતીકામમાં આ પરપ્રાંતિય લોકો રોકાયેલા છે. તેઓ અહિં ક્યારે આવે છે અને જાય છે તેની દરકાર રાખનારૂ કોઇ નથી.

ગીર કાંઠાના ગામડાઓમાં વસતા કેટલાક પરપ્રાંતિય માંસાહારના શોખીન હોય તેતર, હોલા, મોર, સસલા, રોઝ અને સુરવ સહિ‌તના પ્રાણીઓનો ખુલ્લેઆમ શિકાર કરવામાં આવી રહ્યો છે. ભુતકાળમાં ગીરના અમુલ્ય સાવજોની પરપ્રાંતિય શખ્સોએ હત્યા કરી હતી. હાલમાં પણ આ વિસ્તારમાં ગેરકાયદે શિકારની પ્રવૃતિ ખુબ મોટા પ્રમાણમાં ફુલીફાલી છે. તેમણે એવી માંગ ઉઠાવી છે કે ગેરકાયદે શિકારની પ્રવૃતિ કરનારા આવા તત્વો સામે તંત્ર દ્વારા આકરા પગલા લેવામાં આવે. વળી પરપ્રાંતિય મજુરોને કામે રાખવા છતાં વહીવટીતંત્રને જાણ કર્યા વગર આશરો આપનારા સામે પણ પગલા લેવાવા જોઇએ.

માંસભક્ષીઓને ગીરકાંઠામાંથી ખદેડી મૂકો
ભીખુભાઇ બાટાવાળાએ સરકારને કરેલી રજુઆતમાં જણાવ્યુ છે કે ગીર કાંઠામાં આ પરપ્રાંતિય શખ્સોના વસવાટના કારણે વન્ય પ્રાણીઓ સલામત નથી. જેથી વહેલામાં વહેલી તકે નામ-ઠામ કે ઓળખ વગર રહેતા આ પરપ્રાંતિયોને ગીરકાંઠાના વિસ્તારમાંથી ખદેડી મુકવા જોઇએ.

Friday, December 6, 2013

શિકારી ખુદ શિકાર હો ગયા: નાનકડી શાહુડીએ કર્યો ખૂંખાર દીપડાનો શિકાર.


શિકારી ખુદ શિકાર હો ગયા: નાનકડી શાહુડીએ કર્યો ખૂંખાર દીપડાનો શિકાર
Bhaskar News, Khmbha   |  Dec 06, 2013, 03:40AM IST
- શિકારને જડબામાં લઈને ઝાડ પર ચડી જતો દીપડો શેઢાડી સામે માર્યો ગયો
- જીવ સટોસટના જંગમાં શેઢાડીનું અણીદાર પીંછું છેક હૃદયમાં ઘૂસી ગયું
- શાહુડીનો શિકાર કરવા જતા ખૂંખાર દીપડો શિકાર થઈ ગયો

દીપડાની શક્તિ અમર્યાદ હોય છે. ગાય કે હરણ જેવા વજનદાર પ્રાણીનો શિકાર કર્યા બાદ તેને જડબાથી પકડી વૃક્ષ ઉપર ચડી જતો દીપડો ગમે તેવો ખૂંખાર હોય તો પણ કયારેક નાના પ્રાણીઓ સામે પણ પરાજયનો સ્વાદ ખમવો પડે છે. એટલું જ નહીં ખાંભાના માલકનેસની સીમમાં તો શેઢાડીનો શિકાર કરવા તત્પર બનેલા એક દીપડાનું એ જંગમાં મૃત્યુ પણ નિપજયું હતું.

ખાંભાના માલકનેસની સીમમાં શિકારની શોધમાં નિકળેલા દિપડાએ શેઢાડી સાથે બાથ તો ભીડી પરંતુ ખોરાકને બદલે દિપડાને મોત મળ્યુ. શેઢાડીનું પીછુ દિપડાના શરીરમાં ઘુસી હ્દયમાં પેસી જતા તેનો જીવ નિકળી ગયો. કુદરતે શિકારી પ્રાણીઓ બનાવ્યા તો તેની સામે શિકારને બચવા માટે પણ જાતજાતના હથીયારો આપ્યા.

શેઢાડીના શરીર પર શિકારી પ્રાણીઓથી બચવા માટે ધારદાર મજબુત પીછાઓ ઉગી નિકળે છે. આ પીછાઓએ જ ખાંભાના માલકનેસની સીમમાં એક દિપડાનો ભોગ લઇ લીધો. વન વિભાગના સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર તુલશીશ્યામ રેન્જની રબારીકા બીટમાં ભીમભાઇ દેવાયતભાઇની બીડમાં આ ઘટના બની હતી.

શિકારની શોધમાં નિકળેલા એક દિપડાની નઝરે શેઢાડી ચડતા જ શિકાર પર તેણે તરાપ મારી હતી. જો કે શેઢાડીનો શિકાર કરવાના પ્રયાસમાં તેનું એક પીંછુ દિપડાની છાતીમાં ઘુસી ગયુ હતું. જેને પગલે દિપડાનું તરફડીને ઘટના સ્થળે જ મોત થયુ હતું. ઘટનાની જાણ થતા ડીએફઓ અંશુમન શર્માની સુચનાને પગલે આરએફઓ એન.બી. પરડવા, સ્ટાફના ડી.બી. વાળા, પરમારભાઇ, અમીત ઠાકર, વેટરનરી ડો. હિ‌તેષ વામજા વિગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતાં.અને ખાંભા ખાતે દિપડીનું પોસ્ટ ર્મોટમ કર્યુ હતું.ખૂંખાર દીપડાનું હદય વીંધાઈ ગયું
દિપડાની છાતીમાં શેઢાડીનું પીછુ ખુપી જતા તેણે શેઢાડીને પડતી મુકી દીધી હતી અને બાદમાં આ પીંછુ કાઢવા માટે દિપડાએ ધમપછાડા કરતા પીંછુ વધુ ઉંડે સુધી છાતીમાં ખુપ્યુ હતું. આ પીંછાએ દિપડાના હદયની દિવાલ તોડી નાખતા તેનું તરફડીને મોત થયુ હતું.

ખાંભામાં વાડીમાં ૯ સિંહે રોઝનું કર્યુ મારણ.


ખાંભામાં વાડીમાં ૯ સિંહે રોઝનું કર્યુ મારણBhaskar News, Khmabha   |  Dec 04, 2013, 00:57AM IST- ફફડાટ : ગ્રામ્ય વિસ્તારોમાં અવાર-નવાર સાવજો આવી ચઢતા મારણની ઘટના વધી
- વાડી માલિક દ્વારા વનવિભાગને જાણ કરવા છતા તંત્ર ડોકાયુ નથી


ખાંભામા જુના ગામથી સાતપડા નજીક આવેલ એક વાડીમાં ગતરાત્રીના નવ સાવજો આવી ચડયા હતા. આ સાવજોએ અહી એક રોઝડાનુ મારણ કરી મિજબાની માણી હતી. આ અંગે વાડી માલિક દ્વારા વનવિભાગને જાણ કરવામા આવી હતી. પરંતુ હજુ સુધી વનવિભાગના કર્મચારીઓ અહી ડોકાયા નથી. હાલ તો આ પંથકમાં નવ સાવજો આવી ચડતા ખેડુતો અને મજુરો વાડી ખેતરોમા જતા ભય અનુભવી રહ્યાં છે. નવ સાવજો દ્વારા રોઝના મારણની ઘટના ગતરાત્રીના ખાંભામા બની હતી. અહી જુના ગામથી સાતપડા નજીક આવેલ ભોજુભાઇ જીવાભાઇ જાંજડાની વાડીમા બે સાવજ, ત્રણ સિંહણ અને બે બચ્ચા સહિ‌તનો પરિવાર અહી આવી ચડયો હતો. આ સાવજોએ અહી એક રોઝનુ મારણ કર્યુ હતુ.

આ અંગે ભોજુભાઇએ વનવિભાગને જાણ કરી હતી. પરંતુ હજુ સુધી વનવિભાગના કર્મચારીઓ અહી ડોકાયા ન હતા. અને કોઇ કાર્યવાહી હાથ ધરી ન હતી. હાલ તો વાડીમા સાવજો દ્વારા મારણની ઘટના બનતા લોકો પણ સિંહ દર્શન માટે આમથી તેમ હડીયાપાટી મચાવી રહ્યાં છે. આ ઉપરાંત આ વિસ્તારમાં નવ સાવજો આવી ચડતા ખેડુતો અને મજુરો પણ રાત્રીના સમયે વાડી ખેતરોમાં જતા ભય અનુભવી રહ્યાં છે. અત્રે ઉલ્લેખનીય છે કે ખાંભા પંથકના ગ્રામ્ય વિસ્તારોમાં અવારનવાર જંગલમાંથી સાવજો આવી ચડે છે અને દુધાળા પશુઓનુ મારણ કરવાની ઘટનાઓ બનતી રહે છે.

ડાંગાવદરના પાદરમાં પાંચ સાવજોએ ધણખુંટ અને વાછરડાનું મારણ કર્યુ
સાવજોના ટોળા દ્વારા મારણની આ ઘટના આજે વહેલી સવારે ધારી તાલુકાના ડાંગાવદર ગામે બનવા પામી હતી. આ ગામ આંબરડી અભ્યારણ્ય નજીક આવેલુ ગામ છે. આંબરડી અભ્યારણ્યમાં રહેતા સાવજો અહિં અવાર નવાર આવી ચડે છે. આજે વહેલી સવારે એક સાથે પાંચ સાવજોનું ટોળુ ગામના પાદરમાં આવી ચડયુ હતું. ભુખ્યા સાવજોનું આ ટોળુ શીકારની શોધમાં હતું. અહિં એક વાછરડુ અને ત્રણ ધણખુંટ તેની ઝપટે ચડી જતા સાવજોએ તેના રામ રમાડી દીધા હતાં. બન્ને પશુને મારી સાવજના આ ટોળાએ પોતાનું પેટ ભર્યુ હતું. સવારે ગામલોકોને બન્ને પશુ અર્ધ ખવાયેલી હાલતમાં જોવા મળ્યા હતાં. સીમમાં સાવજોની હાજરીને પગલે ખેડૂતોમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

સિંહનાં બે બચ્ચાં કૂવામાં ખાબક્યા, બચાવવા આદર્યું રેસ્ક્યુ ઓપરેશન.


Bhaskar News, Veraval   |  Dec 01, 2013, 03:25AM IST
- ચોરવાડમાં કુવામાંથી બે સિંહનાં બચ્ચાને ઉગારવા રેસ્કયુ ઓપરેશન
સિંહનાં બે બચ્ચાં કૂવામાં ખાબક્યા, બચાવવા આદર્યું રેસ્ક્યુ ઓપરેશન- કાંઠા વગરનાં કુવામાં અઢી વર્ષની ઉંમરનાં સિંહ બાળ ખાબક્યા હતા : વેરાવળ વનવિભાગ પહોંચ્યું હતું

ચોરવાડ નજીકનાં બાસરની ભા વિસ્તારમાં આવેલ ખેતરનાં કુવામાં આજે વ્હેલી સવારે અઢી વરસની ઉંમરનાં સિંહનાં બે બચ્ચા પડી જતાં વન વિભાગે બંને બચ્ચાઓને રેસ્કયુ હાથ ધરી હેમખેમ બચાવી લઇ બચ્ચાની માતા સિંહણ સાથે મિલન કરાવેલ હતું.

આ ઘટના અંગે વેરાવળ રેન્જનાં આરએફઓ ડીડીયાએ જણાવેલ હતુ કે, ચોરવાડ નજીકનાં બાસરની ભા વિસ્તારમાં ખેડૂત ગોવિંદ રાઠોડનું ખેતર આવેલ છે આજે વ્હેલીસવારે તે વિસ્તારમાં ટહેલતી બે સિંહણત અને તેના બે બચ્ચા ફરી રહેલ હતા.

સિંહનાં બે બચ્ચાં કૂવામાં ખાબક્યા, બચાવવા આદર્યું રેસ્ક્યુ ઓપરેશનત્યારે આ ખેતરનાં કાંઠા વગરનાં કુવા નજીકથી પસાર થતાં અકસ્માતે સિંહણનાં બંને બચ્ચા કુવામાં ખાબકી ગયેલ હતા. દરમિયાન આઠેક વાગ્યે એક માલધારી તે વિસ્તારમાંથી પસાર થતા તેની નજરે કુવામાં બે બચ્ચા પડેલ હોવાનું જણાતા તેમણે ખેડૂતને જાણ કરેલ હતી અને ત્યારબાદ ખેડૂતે વેરાવળ વન વિભાગનાં અધિકારીઓને ઘટનાની જાણ કરતા વન વિભાગનો સ્ટાફ તુરંત ઘટનાસ્થળે દોડી જઇ સિંહણનાં બંને બચ્ચાઓને કુવામાંથી બહાર કાઢવા રેસ્કયુ ઓપરેશન હાથ ધરેલ હતું. ઓપરેશન દરમિયાન વનકર્મીઓ કુવામાં ઉતરી ટીપણામાં સિંહણનાં બંને બચ્ચાઓને હેમખેમ બહાર કાઢેલ હતા.
બંને બચ્ચાઓને બહાર કાઢી તેઓનું વન વિભાગનાં તબીબો પાસે તપાસ કરાવતા બચ્ચાઓને કોઇપણ જાતની ઇજા કે નુકશાન થયેલ ન હોવાનું જણાવેલ હતું. સિંહણનાં બંને બચ્ચાઓને બહાર કાઢયા બાદ દસેક વાગ્યા આસપાસ બચ્ચાઓનું તેમની માતા સિંહણ સાથે મિલન કરાવવામાં આવેલ હતું અને આજે દિવસભર બચ્ચા તથા તેમની માતા સિંહણ પર વન વિભાગનાં ફોરેસ્ટર દ્વારા નજર રાખવામાં આવેલ હોવાનું જણાવેલ હતું.

દીપડાનો વધતો ત્રાસ, તલાલામાં માસુમ બાળકીને ફાડી ખાધી.

દીપડાનો વધતો ત્રાસ, તલાલામાં માસુમ બાળકીને ફાડી ખાધી
Bhaskar News, Talala   |  Nov 30, 2013, 01:20AM IST
- નિદ્રાધીન ભાઇના માથામાં પંજો મારી પાંચ વર્ષની માસૂમને ઉપાડી ગયો
-તાલાલાના સુરવામાં દીપડાએ માસૂમ બાળકીને ફાડી ખાધી

તાલાલાનાં સુરવા ગામે દીપડાએ પાંચ વર્ષની બાળકીને ફાડી ખાતા ફફડાટ ફેલાયો છે.તાલાલાનાં સુરવા(ગીર) ગામે હડમતીયા રોડ પર ધીરૂભાઇ ભીમજીભાઇ ચોવટીયાનાં ખેતરમાં શેરડીમાંથી ગોળ બનાવવા રાબડો શરૂ કરવામાં આવ્યો હોવાથી મધ્યપ્રદેશનાં અલીરાજપુત જિલ્લાનાં ચોકી ગામથી ૨૦ જેટલા શ્રમિકોનો સમુહ આવેલ છે.

ગતરાત્રિનાં ખેતરમાં બનાવેલા કાચા ઝુંપડામાં સુતા હતા ત્યારે મધરાતે ચાર વાગ્યાની આસપાસ દીપડો અહીંયા આવી ચઢેલ અને પ્રતાપભાઇ કલછાની પાંચ વર્ષની પુત્રી રેખાને નિંદ્રાધીન અવસ્થામાંજ મોઢામાં દબોચી ઉપાડી જવા લાગતાં બહેનની ચીસથી બાજુમાં જ સુતેલો તેનો ભાઇ હીરૂ (ઉ.વ.૧૮) જાગી જતાં દીપડાએ તેના માથા પર તીક્ષ્ણ ન્હોરવાળો પંજો મારી ઘાયલ કરી દીધો હતો અને બાળકીને ઉપાડી નજીકનાં શેરડીનાં વાડમાં નાસી છુટેલ.
આ ઘટનાને પગલે પરપ્રાંતિય શ્રમિકોમાં ભારે રોક્કળ સાથે દેકારો બોલી ગયેલ. આ બનાવને પગલે વાડી માલીક ધીરૂભાઇએ દોડી આવી વિગતો જાણી તાલાલા રેન્જ કચેરીને જાણ કરતાં એસીએફ કંડોરીયા, આરએફઓ બી.કે. પરમાર કાફલા સાથે દોડી ગયેલ. તપાસમાં નજીકમાંજ આવેલ રસીકભાઇ વલ્લભભાઇ નસીતની વાડીનાં શેરડીના પાકમાંથી માસુમ બાળાનો મોઢુ અને ખંભો ખવાઇ ગયેલ અર્ધમૃતદેહ મળી આવતાં શ્રમિક પરિવાર ભાંગી પડયો હતો. દીપડાથી ઘાયલ યુવાનને પ્રથમ તાલાલા અને ત્યાંથી વધુ સારવાર માટે જૂનાગઢ રીફર કરાયો હતો.
પહેલા જવાબદારી નક્કી કરો પછી જ મૃતદેહનો કબજો
દીપડાથી મોતને ભેટેલી બાળાનાં મૃતદેહનો વનવિભાગ કબજો લેવાની તૈયારી કરતું હતું ત્યારે અહીંયા મોટી સંખ્યામાં ઉપસ્થિત ખેડૂતોએ અધિકારીઓને અટકાવી પહેલા જવાબદારી નક્કી કરો કે અમારી માલિકીનાં ખેતરમાં વન્યપ્રાણી હૂમલા કરે તો તેની જવાબદારી કોની ? આ ઉપરાંત ખેતરમાં પાંજરા મુકવામાં પાકને નુકસાન પણ થાય છે. આ મુદ્દે ઘર્ષણ વધવા લાગતાં આંકોલવાડી ઓપીનાં જમાદાર અમરસિંહભાઇ રાઠોડ અને કિસાન સંઘનાં પ્રમુખ ભરતભાઇ સોજીત્રાએ ખેડૂતોને સમજાવ્યા બાદ પીએમ માટે મૃતદેહને લઇ જવા દીધો હતો.બાળકને ફાડી ખાવાની આ પાંચમી ઘટના
તાલાલા પંથકમાં એક વર્ષ દરમિયાન ભોજદે, ગુંદરણ, ચીત્રોડ, સાસણ અને હવે સુરવામાં માસુમને દીપડાએ ફાડી ખાધાની આ પાંચમી ઘટના ઘટી છે. સુરવા, હડમતીયા, આંકોલવાડી, માધુપુર, જશાપુર સહિ‌તનાં ગામોમાં છેલ્લા ત્રણ વર્ષથી સિંહ - દીપડા જેવા વન્ય પ્રાણીઓની રંજાડ વધી છે.

આદમખોરને કરાયો પાંજરામાં કેદ
આ બનાવને પગલે વન વિભાગે પાંજરા ગોઠવી દેતાં શેરડીની વાડમાં છુપાયેલો આ માનવભક્ષી દીપડો મારણની લાલચે ફરી આવી ચઢી પાંજરામાં કેદ થઇ જતાં ખેડૂતો, શ્રમિકો અને વન વિભાગે રાહતનો શ્વાસ લીધો હતો.

વંથલીમાં અધુરું મારણ ખાવા આવેલો દીપડો ઓરડીમાં કેદ.


વંથલીમાં અધુરું મારણ ખાવા આવેલો દીપડો ઓરડીમાં કેદ
Bhaskar News, Vanthali | Nov 29, 2013, 23:42PM IST
-ફફડાટ : પંથકમાં દીપડાની રંજાડથી ભયનું સામ્રાજ્ય
-
સાંતલપુરની ગારીમાં વાડીએ પાડરડાનો શિકાર કર્યો હતો

વંથલીનાં સાંતલપુરની ગારીમાં આવેલી વાડીમાં ગતરાત્રિનાં દીપડાએ ભેંસનાં બચ્ચાનો શિકાર કર્યા બાદ આજે પરોઢીયે અધુરૂ મારણ ખાવા આવતાં ઓરડીમાં પુરાઇ ગયો હતો. ત્યારબાદ વનવિભાગે તેને બેભાન કરી પાંજરામાં કેદ કર્યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ વંથલીનાં સાંતલપુરની ગારી પાસે ઉબેણ નદીનાં કાંઠે સ્મશાનની પાછળ અનવરભાઇ મહંમદભાઇ બડુની વાડી આવેલી છે. ગત રાત્રિનાં અરસામાં આ વાડીમાં દીપડાએ આવી ચઢી ઓરડીમાં રહેલા ભેંસનાં બચ્ચાનો શિકાર કરી મારણની મિજબાની માણી હતી. આ બનાવનાં પગલે વન વિભાગનાં સ્ટાફે સ્થળ પર દોડી જઇ જરૂરી રોજકામ પણ કર્યુ હતું. જોકે દીપડો અધુરૂ મારણ મુકી ચાલ્યો ગયો હતો. આ અધુરૂ મારણ ખાવા દીપડો પરોઢીયે પરત ઓરડીમાં પહોંચી ગયો હતો.

 દરમિયાન વહેલી સવારનાં અનવરભાઇ ભેંસોને દોહવા માટે વાડીએ જતાં ઓરડીમાં લાઇટ જેવો પ્રકાશ જોતા અને નરી આંખે નિહાળતાં દીપડો હોવાનો ખ્યાલ આવતાં તાત્કાલીક ઓરડીનું બારણું વાસી દઇ સાંકળ મારી દીધી હતી અને ઘરે પહોંચી વન વિભાગને જાણ કરતાં ખાન, મકવાણા સહિ‌તનો સ્ટાફ ૧૧ વાગ્યે સ્થળ પર દોડી ગયેલ અને દોઢ કલાકની જહેમતથી રેસ્કયુ ઓપરેશન કરી દીપડાને ટ્રાન્કવીલાઇઝરથી બેભાન કરી પાંજરે પુરવામાં સફળતા મેળવી હતી. વંથલી પંથકમાં ત્રણેક જેટલા દીપડા હોય અને સીમ વિસ્તારમાં અવર જવર કરતા રહેતા હોવાથી ખેડૂતો સવારે વાડીએ જતાં ડર અનુભવી રહયાં છે. ત્યારે વન વિભાગે લોકેશન મેળવી તેને પાંજરે પુરવા કાર્યવાહી થાય એવી લોકોમાંથી માંગણી ઉઠી છે.

દીપડીથી વિખૂટુ પડેલું બચ્ચુ મા પાસે પહોંચી ગયું.


દીપડીથી વિખૂટુ પડેલું બચ્ચુ મા પાસે પહોંચી ગયું
Bhaskar News, Junagadh | Dec 02, 2013, 01:42AM IST
-શનિવારે સાંજે ખોરાસા-ગડુ રોડ પર દીપડીએ બચ્ચા સાથે ધામા નાંખ્યા હતા

શનિવારે સાંજનાં સમયે માળીયાહાટીના તાલુકાનાં ખોરાસા-ગડુ રોડ પર એક દીપડીએ બચ્ચા સાથે ધામા નાંખ્યા હતા. જેમાં એક બચ્ચુ અલગ પડી ગયું હતું. જો કે, બાદમાં વન વિભાગનો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો એ દરમિયાન વિખુટુ પડેલુ બચ્ચુ પોતાની માતા પાસે પહોંચી ગયું હતું.
શનિવારે સાંજનાં સમયે ખોરાસા-ગડુ રોડ પર આવેલા પેટ્રોલપંપ પાસે એક દીપડી અને બચ્ચા આવી ચઢયા હતા. આ વિસ્તારનાં રહીશ તપનભાઇ ઉપાધ્યાયે જણાવ્યું હતું કે, લાંબો સમય સુધી દીપડી ત્યાં જ બેસી રહી હતી. જેમાંથી એક બચ્ચુ થોડુ આગળ જતાં અલગ પડી ગયું હતું. જો કે વન વિભાગનાં અપરનાથીભાઇએ કહ્યુ કે, દીપડી અને બચ્ચા રોડ પર આવ્યાની વાત મળતા અમારો સ્ટાફ ત્યાં પહોંચ્યો હતો બાદમાં વિખુટુ પડેલ બચ્ચુ પણ દીપડી પાસે પહોંચી ગયું હતું અને જંગલ તરફ જતાં રહ્યા હતા.