Wednesday, August 10, 2011

જ્યારે પૂરના ધસમસતા પાણીમાં આખો સિંહ પરિવાર ફસાઇ ગયો.


 
Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:51 AM [IST](27/07/2011)
અમરેલી પંથકમાં ધોધમાર વરસાદ પડવાના કારણે અનેક નદીઓમાં ઘોડાપૂર આવવા પામ્યા હતા. આવા એક પુરમાં એક સિંહ પરિવાર
ફસાઇ જવાની ઘટના બહાર આવવા પામી છે.
લીલીયા તાલુકાના ક્રાંકચ વિસ્તારમાં છેલ્લા ૩૬ કલાક દરમ્યાન સાતથી આઠ ઇંચ જેવો ભારે વરસાદ પડતા આ વિસ્તારની તમામ નદીઓમાં ભારે ઘોડાપૂર આવ્યા હતા. તેમાં ગાંગડિયા નદીના ખારાપાટ વિસ્તારમાં પાણી ફરી વળતા આ વિસ્તારમાં વસવાટ કરતો એક સિંહ પરિવાર બાવળના જંગલ તરફ પરત ન જઇ શકતા તે આ પાણીમાં ફસાઇ જવા પામ્યો હતો.
સિંહના આ પરિવારમાં બે નર, એક સિંહ તથા ત્રણ બચ્ચાનો સમાવેશ થાય છે. પાણીનો પ્રવાહ વધી જતાં તેઓ પાણીની વચ્ચે આવેલા એક ટીલા પર ચઢી ગયા હતા. જ્યાં તેઓ હાલ સુરક્ષિત છે. જોકે, રાતભર ગ્રામજનોને આ પરિવારના ઘુરકવાના અવાજો સતત સાંભળવા મળ્યા હતા.

અમરેલી નજીક સાવજોએ ચાર પશુઓને ફાડી ખાધા.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:38 AM [IST](30/07/2011)
- બે ગાય, એક બળદ અને એક પાડી સાવજનો કોળીયો
એક બાજુ ચોમાસાનો માહોલ છે ત્યારે જંગલના સાવજોને પણ મારણ મેળવવામાં મુશ્કેલી પડીરહી છે. જેને પગલે સાવજો હવે મારણ માટે ગ્રામ્ય વિસ્તારમાં માલધારીઓના માલઢોર પર નિર્ભર થઇ રહ્યા છે. સાવજોએ ગઢીયા, જીરા અને મીંઢા નેસમાં મળી ચાર પશુઓનું મારણ કર્યું હતુ.
ધારી તાલુકાના ગઢીયા ગામના ઇશુભાઇ વાળાના એક બળદ અને એક ગાયનું ગઇસાંજે એક સાવજ દ્વારા મારણ કરવામાં આવ્યુ હતુ. ગાય અને બળદ પાળતના રસ્તે ચરતા હતા ત્યારે આવી ચડેલા સાવજે બન્ને ના રામ રમાડી દીધા હતા. બનાવ અંગે જંગલખાતાના અધિકારીઓને જાણ કરવામાં આવતા વન કર્મચારીઓ અહિં દોડી આવ્યા હતા.
અન્ય એક ઘટનામાં ધારી તાલુકાના જીરા ગામે મેરામભાઇ નામના માલધારીની એક ગાભણી ગાયને પણ ગઇસાંજે એક સાવજે ફાડી ખાધી હતી. જ્યારે જસાધાર રેન્જમાં આવેલા મીંઢાનેસમાં રહેતા ભુપતભાઇ નામના માલધારીની એક પાડીનું મારણ પણ સાવજ પરિવાર દ્વારા કરવામાં આવ્યુ હતુ. વનતંત્ર દ્વારા ત્રણેય કિસ્સામાં કાગળ પરની જરૂરી કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ચોમાસાની સીઝન ચાલી રહી છે ત્યારે સાવોજો મારણની શોધમાં ગામડાઓ સુધી પહોંચી રહ્યા છે. જેથી માલધારીના માલઢોરના મારણની ઘટના વધી રહી છે.

પેટની ભુખ ભાંગવા સાવજોએ બે ગાયોને ફાડી ખાધી.

Source: Bhaskar News, Khambha   |   Last Updated 12:17 AM [IST](02/08/2011)
- ખાંભાનાં ભાડ ગામે સાવજોએ બે ગાયોને ફાડી ખાધી
- સવારમાં ગ્રામજનોએ સિંહ દર્શનનો લાભ લીધો
ખાંભા તાલુકાના ભાડ ગામે આજે વહેલી સવારે વરસતા વરસાદમાં બે સાવજો પેટની ભુખ ભાંગવા આવી ચડયાં હતા. સાવજોએ ગામમાં ઘુસી ચોરા નજીક બેઠેલી બે ગાયને ફાડી ખાધી હતી.
ગતરાત્રીના ભાડ ગામે વરસાદ વરસતો હોય ત્યારે રાત્રીના ત્રણથી ચાર વાગ્યાના સુમારે ગામમાં સુમસામ વાતાવરણ હોય ત્યારે લાપાળાના ડુંગર તરફથી બે સાવજો ગામમાં આવી ચડયાં હતાં અને ચોરા નજીક બેઠેલી બે રેિઢયાળ ગાયોનું મારણ કર્યું હતું. ચાલુ વરસાદ હોય ગ્રામજનો ઘરમાં હોય સિંહ આવી ગયાની જાણ ગ્રામજનોને થઇ ન હતી.
બે ગાયોનું મારણ કરી સિંહોએ નિરાંતે મજિબાની માણી હતી સવારમાં લોકો જાગી જતા અને આ બનાવ અંગેની જાણ થતા ગામ લોકો સિંહ દર્શન કરવા માટે આવી ગયા હતાં. થોડીવાર માટે ગ્રામજનોએ સિંહ દર્શનનો લાભ લીધો હતો બાદમાં સિંહોએ ત્યાંથી ચાલતી પકડી હતી અને ફરી લાપાળાના ડુંગર તરફ જતા રહ્યાં હતાં. ખાંભા તાલુકામાં સિંહોનો ત્રાસ દિન-પ્રતિદનિ પશુપાલકો માટે ચિંતાનો વિષય બની ગયો છે.

ચાર સિંહોએ ગામમાં ઘુસીને છ પશુઓનું મારણ કર્યું.

Source: Bhaskar News, Dhari   |   Last Updated 12:01 AM [IST](06/08/2011)
મોટા બારમણ-દલખાણીયામાં બનેલી ઘટનાના કારણે ફફડાટ ફેલાયો
ગામડાઓમાં સિંહ પરિવારો ઘુસી જતા ફફડાટ

ખાંભાના નાના અને મોટા બારમણ ગામોમાં ગતરાત્રીના ચાર સિંહોએ માલધારીઓના ઘરમાં ઘુસી બે વાછરડા એક ભેંસ તેમજ એક બળદનું મારણ કરતા ગામમાં ફફડાટ ફેલાયો હતો આ ઉપરાંત ધારીના દલખાણીયામાં સિંહ પરિવારે એક ગાયનું મારણ કર્યું હતુ અને ડાંગાવદર ગામે પણ સિંહે બળદનું મારણ કર્યું હતું.
પ્રાપ્ત વિગત અનુસાર ખાંભાના નાના અને મોટા બારમણ ગામમાં ગતરાત્રીના ચાર સિંહો ઘુસી અને ગામમાં રહેતા લાખાભાઇ ઉકાભાઇના ઘરમાં ઘુસી વાછરડાનું મારણ કર્યું હતું ત્યાંથી થોડેદુર બચુભાઇના ઘરમાં ઘુસી વાછરડાનું મારણ કર્યું હતું અને મિજબાની માણી હતી.
સિંહોની ભુખ સંતોષાઇ ન હોય તેમ મોટા બારમણ ગામે જઇ ગામમાં રહેતા કાળુભાઇ હડીયાના ઘરમાં એક બળદ અને એક ભેંસનું મારણ કર્યું હતું. સવાર સુધી સિંહોએ ગામમાં આંટાફેરા માર્યા હતાં ગામ લોકોએ સિંહ દર્શનનો લ્હાવો લીધો હતો.
આ ઉપરાંત ધારીના દલખાણીયા ગામે ગતરાત્રીના બે વાગ્યાના સુમારે સિંહ અને સિંહણ આવી પહોંચ્યા હતા અને હરજિનવાસ પાસે એક ગાયનું મારણ કરી મીજબાની માણી હતી ગ્રામજનોને વાતની જાણ થતા સિંહ દર્શનનો લાભ લીધો હતો. તેમજ ધારીના ડાંગાવદર ગામે પણ રાત્રીના સમયે શાર્દુલભાઇ આહિરની વાડીએ બાંધેલ બળદનું મારણ કરી મજિબાની માણી હતી.

4 વર્ષથી ગળામાં ‘ભાર’ લઇ ફરતી સિંહણનો રેડીયો કોલર હટાવાયો.

 Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:36 AM [IST](07/08/2011)
- દિવ્ય ભાસ્કરમાં આ અંગે થયેલા અહેવાલે તંત્ર જાગ્યું
લીલીયા તાલુકાનાં ક્રાંકચ વિસ્તારને પોતાનું ઘર બનાવી પરિવાર વસાવનાર સિંહણનાં ગળામાંથી વર્ષો પછી ભાર હળવો થયો છે. વર્ષો પહેલા સિંહણનાં ગળામાં આઇડી કોલર લગાવાયા બાદ પાછલા ચાર વર્ષથી આ આઇડી કોલર બંધ હતો.
સિંહણ ગળામાં નકામો ભાર લઇને ફરતી હોવા અંગે થોડા સમય પહેલા દિવ્ય ભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થયા બાદ જાગેલા વનતંત્રએ ચાર દિવસ પહેલા સિંહણનાં ગળામાંથી આ નકામો આઇડીકોલર હટાવી દીધો હતો.
એક દાયકા પહેલા ગીર જંગલમાંથી બહાર નીકળેલી સિંહણ સૌ પ્રથમ ક્રાંકચ વિસ્તારમાં પહોંચી હતી. હાલમાં અહિં રર થી વધુ સિંહ-સિંહણ અને બચ્ચા વસે છે પરંતુ અહિં સૌ પ્રથમ ડગ માંડનારી આ સિંહણ હતી. વનતંત્ર દ્વારા વર્ષો પહેલા આ સિંહણનાં ગળામાં આઇડી કોલર લગાવવામાં આવ્યો હતો.
આ વિસ્તારનાં જાણકાર પ્રકૃતિ પ્રેમીઓના કહેવા મુજબ ચાર વર્ષથી સિંહણના ગળાનો આ આઇડીકોલર બંધ હતો. સિંહણ કારણ વગર આ ભાર લઇને ફરતી હોવા છતાં વનતંત્રએ તેના તરફ ધ્યાન જ આવ્યુ ન હતું.
આ અંગે થોડા સમય પહેલા દિવ્યભાસ્કરમાં અહેવાલ પ્રસિધ્ધ થતા વન તંત્રની આંખો ખુલ્લી હતી.સ્થાનિક અધિકારીઓ દ્વારા આ અંગે સાસણ રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
જેને પગલે ચાર દિવસ પહેલા મેવાસામાં આ સિંહણને પકડી તેનો રેડીયોકોલર દૂર કરવામાં આવ્યો હતો. અહિં વસતો સિંહ પરિવાર આ સિંહણનો જ પરિવાર છે. ભારે આક્રમક સ્વભાવની આ સિંહણ ગમેતેની પાછળ દોડતી હોય લોકો તેનાથી દૂર રહેવાનુ પસંદ કરે છે.

મારણ કરતા સિંહને પથ્થર મારતા યુવાનોનો વન સંરક્ષક પર હુમલો..

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:45 AM [IST](09/08/2011)
- ખાંભાના ત્રણ યુવાનો સામે પોલીસ ફરિયાદ
ખાંભાની રાણીંગપરાની સીમમાં ગઇસાંજે સાવજ દ્વારા એક મારણ કરવામાં આવ્યુ હતુ. આ સમયે લોકોની ભીડ ત્યાં એકઠી થઇ ગઇ હોય અને ખાંભાના ત્રણ યુવાનો સાવજોને પથ્થર મારી પરેશાન કરતા હોય તેમને ટપારનાર વન સંરક્ષક પર ત્રણેય યુવાનોએ હુમલો કરી માર મારી ઇજા પહોંચાડી હતી.
આ અંગે ખાંભામાં રહેતા અને વન સંરક્ષક તરીકે નોકરી કરતા રાજેશ કનૈયાલાલ જાનીએ ખાંભાના હિતેશ શેલડીયા અને તેના બે અજાણ્યા મિત્રો સામે ફરજમાં રૂકાવટ અને હુમલો કરવા સબબ પોલીસ ફરીયાદ નોંધાવી છે. ગઇસાંજે રાણીંગપરા ગામ નજીક સિંહો દ્વારા એક પશુનું મારણ કરવામાં આવ્યુ હતુ. આ સમયે ત્યાં લોકો એકઠા થઇ ગયા હતા. હિતેશ શેલડીયા અને તેના મિત્રો સિંહને પથ્થરના ઘા મારી પરેશાન કરતા હોય ત્યાં પહોંચેલા રાજેશ જાનિએ ત્રણેયને તેમ કરવા ના પાડી હતી. જેથી ઉશ્કેરાઇ ગયેલા ત્રણેય લોકોએ તેને ગાળો દઇ ઢીકાપાટુનો માર મારી ફરજમાં રૂકાવટ કરી હતી. પોલીસે આ બારામાં ત્રણેય શખ્સોની ધરપકડ કરવા તજવીજ હાથ ધરી છે.
સાવરકુંડલા તાલુકાના જેઝાદ ગામની મંજુલાબેન બોઘાભાઇ દેવીપૂજક નામની મહિલાને શેરીમાં બકરીઓ બાંધવાના મુદે બોલાચાલી કરી રાજા કાળા ભરવાડ અને બેચર દેવા ભરવાડ નામના શખ્સોએ માથામાં કુહાડીનો ઘા મારી ઇજા પહોંચાડતા તેમણે આ અંગે વંડા પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે.

ચાર બહેનોના એકના એક ભાઇને એરુ આભડી ગયો..


Source: Bhaskar News, Talala   |   Last Updated 12:08 AM [IST](27/07/2011)
- સાસણ (ગીર)માં કોળી પરિવારનો નાનો ભાઇ ચાર બહેનોની વચ્ચે સૂતો હતો
તાલાલાનાં સાસણ (ગીર)માં રહીને મજુરી કામ કરતા ધનજીભાઇ ગોહેલને પાંચ સંતાન છે. ચાર પુત્રી અને એક નાનો પુત્ર હીતેશ (ઉ.૧૨) છે. ગતરાતે જમીને ચારેય બહેનો સાથે હિતેશ ઘરનાં ઓરડામાં સુતો હતો. ઓરડાનો દરવાજો અંદરથી બંધ હતો તે દરમ્યાન મોડી રાત્રે દરવાજા નીચેથી સાપ ઓરડામાં ચઢી આવેલ અને ચારેય બહેનો વચ્ચે સુતેલા હીતેષને કાળોતરાએ દંશ દેતાં હિતેષ સફાળો જાગી ઉઠ્યો હતો અને પિતાને જાણ કરી હતી.
તેથી તેને તાત્કાલિક સારવારમાં ખસેડાયો હતો પરંતુ કાળોતરાનાં ઝેરની સામે સારવાર કારગત ન નીવડતા હીતેશનું મોત થયુ હતું. એકનાં એક ભાઇનાં મોતનાં સમાચારથી ચારેય બહેનોમાં આક્રંદ વ્યાપી ગયો હતો.

સંવનન મિજાજમાં છલાંગ લગાવતા જ દીપડો કૂવામાં ખાબક્યો.



Source: Bhaskar News, Sutrapada   |   Last Updated 6:33 AM [IST](26/07/2011- છલાંગ લગાવતા જ દીપડો કૂવામાં ખાબક્યો
- સૂત્રાપાડાનાં અમરાપુરમાં એક વાડીના મકાનના છાપરાં ઉપર નર-માદા ચઢી ગયા હતા
હાલ વર્ષાઋતુ એટલે વન્યપ્રાણીઓનો સંવનન કાળ આ સમયમાં નર-માદા મસ્તી કરતાં જોવા મળે છે. ત્યારે આવા જ સંવનનનાં મિજાજમાં દીપડી પાછળ છલાંગ લગાવવામાં દીપડો કૂવામાં ખાબકી ગયો હતો. સુત્રાપાડાનાં અમરાપુર ગામની સીમમાં એક વાડીનાં મકાનનાં છાપરા પર ચઢી જઇ નર-માદા મસ્તીમાં મગj બન્યા હતા. ત્યારે અકસ્માતે કુવામાં પડી ગયેલા દીપડાને વનવિભાગે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી બચાવી દીધો હતો.
આ દીલધડક ઘટનાની મળતી વિગત મુજબ રવિવારના રાત્રીનાં સમયે સુત્રાપાડા તાલુકાનાં અમરાપુર ગામની સીમમાં ખીમાભાઇ ભગાભાઇ સરવૈયાની વાડીનાં મકાનનાં છાપરા પર ચઢી જઇ દીપડો-દીપડી સંવનનની મસ્તીએ ચઢ્યા હતા. ત્યારે અચાનક દીપડીએ છાપરા પરથી છલાંગ લગાવી કૂવાનાં પીલોર પર પગ રાખી નાસતાં તેની પાછળ દીપડો પણ છલાંગ લગાવી ભાગવા જતાં સીધો કૂવામાં ખાબકી ગયો હતો.
સવારે વાડી માલિકે દીપડાને કૂવામાં પડેલો જોતાં વનવિભાગને જાણ કરતાં સાસણથી રેસ્કયુ ટીમે દોડી આવી સાડા પાંચ કલાકની જહેમત બાદ દીપડાને કુવામાંથી સહીસલામત બહાર કાઢી પાંજરામાં પુરી એનીમલ કેર સેન્ટરમાં લઇ ગયા હતાં. આ દિલધડક દ્દષ્યને જોવા આસપાસનાં ગામોમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા. ધામળેજનાં આરએફઓ પરસાણા, એન.એચ.પટેલ, વનવિભાગ સ્ટાફ અને સાસણની રેસ્કયુ ટીમે જહેમત ઉઠાવી હતી.
મીઠાપુર ગામેથી દીપડી પાંજરે પૂરાઇ -
વેરાવળ: પ્રભાસપાટણ પંથકનાં મીઠાપુર ગામની સીમમાં માનસીંગભાઇ ઝાલાની વાડીમાં વનવિભાગે પાંજરૂ ગોઠવી દીપડીને કેદ કરી હતી. આરએફઓ પરસાણા, વિનુભાઇ અપારનાથી સહિતનાં સ્ટાફે જહેમત ઉઠાવી હતી. દીપડી પાંજરે પુરાતાં ગામ લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

તાલાલા નજીક વાછરડીનું મારણ કરતા ડાલામથ્થાઓ.

Source: Bhaskar News, Talala   |   Last Updated 5:16 AM [IST](04/08/2011)
- બે સિંહો ગામ સુધી પહોંચી જતા ગ્રામજનોમાં ફફડાટ
જંગલ બોર્ડર નજીકનાં ગામડાઓમાં વન્યપ્રાણીઓનાં આંટાફેરા વધવા લાગ્યા છે ત્યારે તાલાલાનાં બામણાસા ગીર ગામે બે સિંહોએ શિવ મંદિર પાસે વાછરડીનું મારણ કરતા ગ્રામજનોમાં ભય ફેલાઇ ગયો હતો.
તાલાલા તાલુકાનું બામણાસા ગીર ગામ જંગલ બોર્ડર નજીકનું હોય અવાર નવાર હિંસક પ્રાણીઓ ચડી આવતા હોય છે. અને માલીકીના અથવા રેઢીયાળ પશુઓનો શિકાર કરતા હોય છે. ત્યારે ગત રાત્રીનાં બે ડાલામાથ્થા ગામમાં ચડી આવ્યા હતા અને શિવ મંદિરની પાસે ફરતી રેઢીયાળ વાછરડી ઉપર હુમલો કરી મારણ કર્યું હતું. બે સિંહો ગામમાં ચડી આવતા ગ્રામજનોમાં પણ ભય ફેલાયો હતો.રેઢીયાળ પશુનો શિકાર થતા માલીકો બીલાડીના ટોપની જેમ ફૂટી નિકળે -
જંગલ વિસ્તારની આજુ બાજુનાં ગામડાઓમાં રેઢીયાળ પશુઓનો શિકાર સિંહ-દીપડા કરતા હોય છે. ત્યારે વન વિભાગ પાસેથી વળતર મેળવવા માટે રેઢીયાળ પશુઓના માલીકો બીલાડીના ટોપની જેમ ફૂટી નિકળે છે અને સ્થાનિક ગામનાં હોદેદારો નકલી કાગળ બનાવી રૂપિયા મંજૂર કરી લેતા હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે.

'સિંહ સંવર્ધનમાં ગીરનાં લોકોની ભૂમિકા ચાવીરૂપ' .

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:46 AM [IST](04/08/2011)
સાસણમાં વન્યપ્રાણીઓનાં સંરક્ષણ-સંવર્ધનમાં સમુહ માધ્યમોની ભૂમિકા વિષય ઉપર યોજાયેલા પ્રેસ સેમિનારમાં સાસણ વન વિભાગનાં નાયબ વન સંરક્ષક ડૉ.સંદિપ કુમારે જણાવ્યું હતુ કે, ગીરમાં અનેક લોકોનાં સહયોગ અને સંકલનથી સિંહ સુરક્ષિત થયા છે અને સિંહ સંવર્ધનમાં ગીર વિસ્તારનાં લોકોની ભૂમિકા ચાવીરૂપ છે.
રાજકોટ પ્રાદેશિક માહિતી કચેરી, સાસણ વન વિભાગ દ્વારા જૂનાગઢ જિલ્લા માહિતી કચેરીનાં સહયોગથી પ્રેસ સેમિનાર યોજાયો હતો. જેમાં વન્ય પ્રાણી વર્તુળનાં સીસીએફ આર.એલ.મીનાએ જણાવ્યું હતુ કે, હકારાત્મક સમાચારો સાથે સુધારાત્મક સુચનોવાળા સમાચારની અમે પણ નોંધ લઇએ છીએ અને વન્ય પ્રાણીઓનાં સંવર્ધનમાં લોકોનાં રસનાં વિષયો બદલાયા છે.જૂનાગઢ રેન્જનાં ડીઆઇજી બી.કે.શ્રીમાળીએ જણાવ્યું હતુ કે, ૧૯૦૪થી માંડી ૧૯૧૧ સુધી ગીરનાં ઈતિહાસમાં સિંહને બચાવવાની ચળવળ શરૂ થઇ હતી.
સિંહને બચાવવાથી માંડીને એ ગુજરાતની એક એવી ઓળખ બને કે જે એક ઝુંબેશ બની રહે તે માટે મીડીયા મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે. આ કાર્યક્રમમાં રાજકોટનાં સંયુક્ત માહિતી નિયામક એન.એ.પરમાર, જૂનાગઢ નાયબ માહિતી નિયામક કે.વી.ભગોરા, કોલમસ્ટિ પરેશ દવે, વી.કે.બસીયા, જે.ડી.ત્રિવેદી સહિતનાં હાજર રહ્યા હતા.
સાસણ નાયબ વનસંરક્ષકે ચારણ કન્યા રજુ કરી -
સાસણનાં નાયબ વન સંરક્ષક ડૉ.સંદિપકુમારે મીડીયાકર્મીઓનાં સેમિનારમાં રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની પ્રસિધ્ધ કૃતિ ચારણ કન્યા કાવ્યાત્મક શૈલીમાં રજૂ કરી હતી.

કોડીનાર નજીક વિચિત્ર પક્ષી અને તેના ૩૫ બચ્ચાં મળી આવ્યાં.



Source: Bhaskar News, Kodinar   |   Last Updated 12:47 AM [IST](03/08/2011)
- એક કુવામાંથી પક્ષી અને તેનાં ૩૫ બચ્ચાં મળી આવ્યાં
કોડીનારનાં દેવળી (દેદાની) ગામે ઝાંપાનાં કુવામાંથી કોમડક (નકટો) પ્રજાતિનાં દુર્લભ પક્ષીઓ મળી આવ્યા છે.
કોડીનારનાં દેવળી (દેદાની) ગામનાં ઝાંપાનાં કુવામાં કચરા પર વિચીત્ર પક્ષીઓ જોવા મળતા પ્રકૃતિ નેચર ક્લબનાં પ્રમુખ દિનેશ ગૌસ્વામી, જીજ્ઞેશ ગોહિલ ઘટનાસ્થળે દોડી જઇ જામવાળા વન વિભાગને વાકેફ કરતા ફોરેસ્ટર એમ.એમ.ભરવાડ અને એમ.એ.પરમાર પણ ત્યાં પહોંચી ગયા હતા અને કુવામાંથી મહા મહેનતે એક પક્ષી અને તેનાં ૩૫ બચ્ચાને બહાર કાઢવામાં આવ્યા હતા.
આ પક્ષીઓ દુર્લભ એવા કોમડક (નકટો) પ્રજાતિનાં હોવાનું માલુમ પડ્યું હતુ. ઇન્ચાર્જ આરએફઓ એલ.ડી.પરમારનાં માર્ગદર્શન હેઠળ આ પક્ષીઓને જંગલનાં વેટલેન્ડ વિસ્તારમાં પહોંચાડવા વનવિભાગે કાર્યવાહી હાથ ધરી છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-komadaks-durlabh-animals-got-near-kodinar-2319194.html

ઉના નજીક સીમમાં ખેતરમાં તારના કરંટે વન્ય પ્રાણીનો ભોગ લીધો.

 Source: Bhaskar News, Una   |   Last Updated 12:53 AM [IST](05/08/2011)
- પાકનાં રક્ષણ માટે ખેતર ફરતે જીવંત વાયરથી સર્જાતી ઘટના : ઝરખ, શિયાળ અને ભુંડનાં ઘટનાસ્થળે જ રામશરણ
ઊનાથી ર૦ કી.મી. દૂર આવેલ જાફરાબાદ તાલુકાનાં ટિંબી ગામની સિમમાં આવેલ એક ખેડૂતે પોતાના પાકનાં રક્ષણ માટે ખેતરની ફરતે ખુલ્લાતાર મુકી અને આ તારમાં ઇલેકટ્રીક શોક રાખેલો હોય ગત રાત્રીના અહીં ઝરખ તેમજ શિયાળ અને એક ભુંડ આ તાર ઓળંગવા જતા ઇલેકટ્રીક શોક લાગવાથી આ ત્રણેયનાં મોત નિપજતા વન્યપ્રાણી પ્રેમીઓમાં પણ અરેરાટી ફેલાઇ જવા પામેલ છે.
આ ઘટના બનતા વનખાતુ ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી છે. આ બનાવની જાણવા મળતી વિગત મુજબ ટિંબી શાણાવાકીયા રોડ પર ઇશ્વરભાઇ રણછોડભાઇ ભાલાળાની વાડી આવેલ હોય અને પોતાના ખેતરમાં વાવણી કરેલ હોય અને વાવણીને કોઇ જનાવર કે વન્યપ્રાણી નુકશાન ન કરે તે માટે ઇશ્વરભાઇએ પોતાના ખેતરમાં ફરતે લોખંડના ખુલ્લા તાર મુકી અને તારમાં ઇલેકટ્રીક પ્રવાહ પસાર કરી ઇલે. શોક મુકેલ હોય અને રાત્રીના સમયે એક શિયાળ એક ઝરખ તથા એક ભુંડ વાડીમાં પ્રવેશ કરવા જતા આ લોખંડનાં વાયરને અડી જતા જોરદાર ઇલેકટ્રીક શોક લાગતા બે વન્યપ્રાણી તથા એક ભુંડનું સ્થળ પર જ મોત નિપજેલ હતુ અને આ બનાવની જાણ રાજુલા જાફરાબાદ વિસ્તારનાં આર.એફ.ઓ. મોરાભાઇને થતાં તુરત જ વનખાતાનો સ્ટાફ તથા વેટરનિટી ડોક્ટર મકવાણાને લઇ ઘટના સ્થળે પહોચી જઇ પી.એમ.વન્ય પ્રાણીઓનું પી.એમ.કરેલ હતુ અને ત્યારબાદ ઇશ્વરભાઇના ખેતરેથી ખુલ્લા વાયરોનો કબ્જો લઇ જરૂરી કેઇસ પેપરો કરી તૈયાર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી વાડી માલીક ઇશ્વરભાઇની ધરપકડ કરવાના ચક્રોગતિમાન કર્યા હોવાનું આર.એફ.ઓ.એ. ટેલીફોનીક વાતમાં જણાવેલ હતું.
ઉલ્લેખનીય એ છે કે, થોડા સમય પહેલા ઊના પંથકના ઉમેજ ગામમાંખેતર ફરતે રાખેલી ફેન્શીંગમાં ગોઠવેલા વીજ કરંટથી ત્રણ ગાયોના મોત થયા હતા. ત્યારે નજીકના ટિંબીમાં આવી ઘટનાનું પૂનરાવર્તન થતા વન વિભાગ દ્વારા કાર્યવાહી થવી જોઇએ તેવી માંગ વન્યપ્રેમીઓમાં ઉઠી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-forest-animal-dies-accidently-in-timbis-farm-2326424.html

મેંદરડાનાં આંબલા ગામની સીમમાં કુવામાં પડેલા દીપડાને બચાવાયો.

Source: Bhaskar News, Mendarda   |   Last Updated 12:49 AM [IST](08/08/2011)

- વન વિભાગનું સફળ રેસ્કયુ ઓપરેશન
મેંદરડા તાલુકાનાં આંબલા ગામની સીમમાં એક કુવામાં શનિવારની રાત્રીનાં ખાબકી ગયેલા દીપડાને વન વિભાગે આજે રેસ્કયુ ઓપરેશન હાથ ધરી બચાવી લીધો હતો. દીપડાને પાંજરામાં પુરી સાસણ એનિમલ કેર ખાતે મોકલી અપાયો હતો.
આ બનાવની મળતી વિગત મુજબ મેંદરડાનાં આંબલા ગામની સીમમાં આવેલ હરીભાઇ ડાયાભાઇ પાઘડાળનાં ખેતરનાં કુવામાં ગત રાત્રીનાં આશરે સાતથી આઠ વર્ષનો નર દીપડો અકસ્માતે પડી ગયો હતો. આજે સવારે વાડી માલિકને જાણ થતા ડેડકીયાળ રેન્જને વાકેફ કરતા આરએફઓ ડી.કે.પરમાર સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને બે કલાકની જહેમત બાદ કુવામાંથી દીપડાને સહી સલામત બહાર કાઢી લેવાયો હતો. . આંબલા ગામની સીમમાં કુવામાં પડી ગયા બાદ આ દીપડો પાંજરે પુરાતા ગામ લોકોએ પણ રાહતનો શ્વાસ લીધો હતો.
અત્રે ઉલ્લેખનીય એ છે કે, છેલ્લા ત્રણ માસમાં સોરઠના અલગ અલગ વિસ્તારોમાં વન્ય પ્રાણીઓ કુવામાં અને ટાંકામાં ખાબક્યાના બનાવો બન્યા છે. જો કે, રેસ્કયુ ઓપરેશનથી આ પ્રાણીઓને બચાવાયાં છે.

Source:  http://www.divyabhaskar.co.in/article/SAU-lion-save-to-well-near-mendarda-2336613.html

ગિર જંગલની બોર્ડર ઉપર ૩ સિંહોનો યુવાન પર હૂમલો.

Source: Bhaskar News, Malia Hatina   |   Last Updated 2:47 AM [IST](09/08/2011)
ગિર જંગલની બોર્ડર ઉપર આવેલી બાબરાવીડી નજીકનાં પાણકવા ગામે ગઇકાલે રાત્રે ૩ વનરાજો વંડી ટપી એક ઘરનાં ફિળયામાં ઘૂસ્યા હતા. અને વાછરડીનું મારણ કર્યું હતું. જોકે, ઘરનાં લોકો જાગતા હોઇ હાકોટા પાડતાં એક સિંહે પરિવારનાં એક યુવાનને પંજો મારી નાસી છૂટયો હતો.
આ અંગેની વીગતો આપતાં માળિયા હાટીનાનાં આર.એફ.ઓ. આર. ડી. વંશે જણાવ્યું હતું કે, ગિરબોર્ડરને અડીને આવેલી બાબરાવીડી પાસેનાં પાણકવા ગામે ગઇકાલે રાત્રે ૧૦ થી ૧૧ વાગ્યાનાં અરસામાં ૩ સિંહો આવી ચઢ્યા હતા.
આ સાવજો ગામનાં દેવશીભાઇ નારણભાઇ પટાટનાં ઘરની વંડી ટપી ફિળયામાં આવી ચઢ્યા હતા. અને એક વાછડાનું મારણ કર્યું હતું. એ વખતે ઘરનાં સભ્યો એ ફિળયામાં આવી હાકોટા પાડતાં બે સાવજો વંડી ઠેકી પાછા જતા રહ્યા હતા. જ્યારે એક ડાલામથ્થો ઝડપથી દીવાલ ન કૂદી શકતાં તે ભૂરાંટો થયો હતો. દરમ્યાન દેવશીભાઇનાં પરિવારજનોનાં હાકોટા ચાલુ હોઇ સિંહે દેવશીભાઇનાં પુત્ર જગદીશ (ઉ.૨૭) નાં પગની પાછળ પંજો મારતાં તેને એક ન્હોરનો ઉઝરડો પડી ગયો હતો. જોકે, ત્યારબાદ સિંહ પણ વંડી ટપી નાસી ગયો હતો. જગદીશને સારવાર માટે વેરાવળની સીવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે, બાદમાં તેને પ્રાથમિક સારવાર આપી રજા આપી દેવાઇ હતી.બનાવને પગલે માળિયા આર.એફ.ઓ. આર.ડી. વંશ, રાઉન્ડ ફોરેસ્ટર એચ. વી. શીલુ સહિતનો સ્ટાફ ઘટનાસ્થળે દોડી ગયો હતો. અને વીગતો મેળવી હતી. અત્રે નોંધનીય છે કે, બાબરાવીડીમાં હાલ ૧૪ સિંહોનો વસવાટ છે. પાણકવા ગામે વજરાજોની અવરજવર પણ નિયમિતપણે હોય છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-3-lion-attack-on-man-in-gir-jungle-border-2340084.html