Wednesday, November 30, 2011

સિંહણનાં મોતનાં કિસ્સામાં બે ખેડૂતોની આખરે ધરપકડ.


ઉના તા.૨૯:
ઉના તાલુકાનાં ધોકડવાની સીમમાં સિંહણનાં મોતને અકસ્માતમાં ખપાવી દેનારા બે ખેડુતોની ઘરપકડ કરવામાં આવી છ. બંનેને રિમાન્ડની માંગણી સાથે ઉના કોર્ટમાં રજુ કરવામાં આવ્યા છે. દરમિયાન, ઈલે. શોક આપીને સિંહણને માતને ઘાટ ઉતારવામાં વપરાયેલો ઈલે.વાયર પણ કબ્જે કરાયો છે.
  • રિમાન્ડની માગણી સાથે બન્નેને ઉનાની કોર્ટમાં રજૂ કરાયા
વિગત અનુસાર ધોકડવાની સીમમાં વાડી ધરાવતા જગદીશભાઈ વીરાભાઈ માલવીના ખેતરના અવાવરૂ કુવામાં સિંહણનો મૃતદેહ લટકતો હોવાની જાણ જંગલ ખાતાને કરવામાં આવતા જંગલ ખાતાના સ્ટાફ દ્વારા સિંહણના મૃતદેહનો કબ્જો લઈ પી.એમ. કરાવવામાં આવ્યું હતું.
સિંહણનું મોત ઈલે. શોકનાં કારણે થયુ હોવાનું બહાર આવતા જંગલ ખાતાએ તપાસને વેગવંતી બનાવી હતી. જે કુવામાંથી મૃતદેહ મળ્યો હતો, તે કુવાથી થોડે દુર સણોસરાના જશા ભગવાન બલદાણીનું ખેતર છે. ખેતરમાં રહેલા પાકને પ્રાણીઓથી બચાવવા માટે ખેતર ફરતે લોખંડની વાડ બનાવી હતી.
રાતના સમયે તેમાં ઈલે. શોક પસાર કરાવવામાં આવતો હતો. આ શોકના કારણે જ સિંહણનું મોત નિપજયાનું બહાર આવ્યુ છે.
આ બનાવને છૂપાવવા માટે જસાના ભાઈ ભીખા ભગવાને પણ મદદગારી કરી હોવાનું બહાર આવતા બંનેની ઘરપકડ કરવામા આવી છે. બન્નેને રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=13228

સાવરકુંડલામાં સાવજે ઝાડ સાથે બાંધેલા બળદનું કર્યું મારણ.

Source: Bhaskar News, Savarkundala   |   Last Updated 6:09 AM [IST](30/11/2011)

સાવરકુંડલા પંથકમાં વસતા સાવજો આજે છેક સાવરકુંડલાના પાદર સુધી પહોંચી ગયા હતા. અહિં વિજ સબ સ્ટેશન નજીકની વાડીમાં ઘુસી સાવજોએ ઝાડ સાથે બાંધેલા બળદનું મારણ કર્યું હતુ. આઅંગે વન તંત્રને જાણ કરાઇ હતી.
સાવજો હવે છેક સાવરકુંડલાના દરવાજે દસ્તક દઇ રહ્યા છે. આજે સાવરકુંડલાના જેસર રોડ પર વજિ સબ સ્ટેશન પાસે આવેલી ભીખાભાઇ પરશોત્તમભાઇ જીયાણીની વાડીમાં સાવજોએ એક બળદનું મારણ કર્યું હતુ. અહિં બળદને લીમડાના ઝાડ નીચે બાંધવામાં આવ્યો હતો. વહેલી સવારે ચારેક વાગ્યાના સુમારે અહિં ચડી આવેલા સાવજે બળદના રામ રમાડી દીધા હતા.
આ ઘટના સાવરકુંડલાથી માત્ર દોઢેક કી.મી.ના અંતરે બની હતી. ઘટના સમયે વાડીમાં કોઇ હાજર ન હતુ. સવારે આજુબાજુના વાડી માલીકોએ આ અંગે વાડી માલીકને જાણ કરી હતી.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-hunt-oxe-at-savarkundala-2603411.html

હવે અહીં તમને મળશે સો ટકા શુધ્ધ ઔષધીઓ.


Source: Bhaskar News, Rajkot   |   Last Updated 2:27 AM [IST](30/11/2011) રાજકોટમાં વન વિકાસ નિગમનો શો-રૂમ શરૂ થશે
રાજ્ય સરકારના સાહસ ‘ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિમિટેડ’ દ્વારા ઉત્પાદિત આયુર્વેદિક દવાઓ હવે રાજકોટમાં પણ ઉપલબ્ધ બનશે. રાજકોટમાં આગામી તા.૧લી ડિસેમ્બરે ‘ધનવંતરિ’ના નામે ગુ.રા. વન વિકાસ નિગમનો અધિકૃત શો-રૂમ શરૂ થઈ રહ્યો છે. આ સુવિધાને કારણે લોકોને સો પ્રતિશીત શુધ્ધ અને પ્રમાણિત આયુર્વેદિક દવાઓ મળતી થશે.
ગુ.રા.વન વિકાસ નિગમ લિ. દ્વારા ૧૯૮૫થી ‘ધનવંતરિ’ બ્રાન્ડ નેમ હેઠળ દવાઓ બનાવવામાં આવે છે. ગુજરાતના જંગલોમાં આદિવાસીઓ તથા જાણકારો દ્વારા જડીબુટ્ટીઓ એકત્ર કરી, વડોદરા ખાતે નિગમની ફેકટરીમાં દવાઓ બનાવવામાં આવે છે. નિગમ દ્વારા મધ, જામ્વાદી ચૂર્ણ, હલચલ ચૂર્ણ, ત્રફિળા ચૂર્ણ, રસાયણ ચૂર્ણ, નયી ચેતના ચૂર્ણ, હરડે સહિત કુલ ૫૭ ઔષધો બનાવવામાં આવે છે તે પૈકીના ૧૪ ઔષધોની ધનવંતરિના નામે પેટન્ટ મેળવેલ છે. ડાયાબિટીસ, વા, સાંધા, કમર, ગોઠણના દુ:ખાવા, કબજિયાત, ગેસ, એસિડિટી સહિતની અનેક બીમારીઓમાં અસરકારક દવાઓ નિગમ દ્વારા તૈયાર કરી વેચવામાં આવે છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, હાલમાં મોટી સંખ્યામાં લોકો આયુર્વેદિક ઉપચાર પધ્ધતિ તરફ આકષૉયા છે. મધ, ચ્યવનપ્રાશ વગેરે તો સામાન્ય સંજોગોમાં પણ ઉપયોગમાં લેતાં હોય છે ત્યારે હવે રાજકોટમાં લોકોને તે શુધ્ધત્તમ સ્વરૂપે પ્રાપ્ય બનશે. રાજકોટમાં તા.૧ને ગુરુવારે સવારે ૧૧-૩૦ કલાકે સરદારનગર મેઈન રોડ પર, વિકાસ મેડિકલ સ્ટોર્સની બાજુમાં માયા કોમર્શિયલ કોમ્પલેકસમાં નિગમના ચેરમેન કે.ટી. ભીલના હસ્તે આ ‘ધનવંતરિ’ શો-રૂમનું ઉદ્દઘાટન થશે. એ પ્રસંગે નિગમના વહીવટી નિયામક એ.કે. શર્મા ખાસ ઉપસ્થિત રહેશે.
સૌરાષ્ટ્રમાં ત્રીજો શો-રૂમ
નિગમના વડોદરા સ્થિત સંયુક્ત વહીવટ નિયામક એસ.એસ. ત્યાગી તથા જુનાગઢના સબ ડિવિઝન મેનેજર વૈષ્ણવના જણાવ્યા મુજબ નિગમના અત્યાર સુધી જામનગર અને જુનાગઢ ખાતે શો-રૂમ હતા. નિગમનું કુલ વાર્ષિક ટર્નઓવર અઢી કરોડનું છે તેમાંથી ૪૦ ટકા હિસ્સો સૌરાષ્ટ્રનો છે. રાજકોટમાં હવે સૌરાષ્ટ્રનો ત્રીજો શો-રૂમ શરૂ થઈ રહ્યો છે. લોકોને શુધ્ધ સ્વરૂપે આયુર્વેદિક ઔષધો પ્રાપ્તથાય એ હેતુસર નિગમ દ્વારા તબક્કાવાર વેચાણ કેન્દ્રોનો વ્યાપ વધારવામાં આવે છે.
ભળતા નામથી દવાનું વેચાણ થાય છે
ગુજરાત રાજ્ય વન વિકાસ નિગમ લિ. દ્વારા ઉત્પાદિત દવાઓ ખૂબ જ અસરકારક સાબિત થઈ છે. એની એ લોકપ્રિયતાનો લાભ લેવા કેટલાક લેભાગુ કંપનીઓ દ્વારા ભળતા નામે દવાઓનું વેચાણ કરવામાં આવે છે. અત્યાર સુધી લોકો છેતરાતાં રહ્યા છે. પણ, હવે નિગમનો અધિકૃત શો-રૂમ જ શરૂ થઈ રહ્યો છે ત્યારે લોકો એ જ શો-રૂમમાંથી દવા મેળવે તે સલાહભર્યું છે.

Tuesday, November 29, 2011

ગિર પંથકમાં પીપળાના વૃક્ષ પર લટકતો મળ્યો સિંહણનો મૃતદેહ

ઈલેકટ્રીક કરંટથી સિંહણના મૃત્યુ બાદ મૃતદેહ કૂવામાં ધકેલી દેવા પ્રયાસ

ઉના,ધારી,તા.૨૮
ઉનાના ધોકડવા ગામ નજીક નદી કાંઠે આવેલ વાડી પાસેથી વીજ શોકથી મોતને ભેટેલી સિંહણનો મૃતદેહ પીપળાના ઝાડ ઉપર લટકતી હાલતમાં મળી આવતા વનવિભાગનો કાફલો હાંફળો ફાંફળો દોડી ગયો હતો. જયારે ધારી ગીરપૂર્વની જસાપર રેન્જના સણોસરી વિસ્તારમાંથી પણ સિંહણનો શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળતા તપાસ હાથ ધરાઈ છે.
ઉનાના ધોકડવા ગામ નજીક મળી આવેલા સિંહણના મૃતદેહની માફક ધારીના સણોસરા ગામ પાસેથી સિંહણનો શંકાસ્પદ મૃતદેહ મળી આવતા હાથ ધરાતી તપાસ
આ બનાવની વનસૂત્રોમાંથી જાણવા મળતી વિગત મુજબ ઉના તાલુકાનાંમ ધોકડવા ગામની સીમમાં રાહી નદી કાંઠા વિસ્તારમાંના સામેની તરફ આવેલી વાડી પાસે આવેલ અવાવરૃ કુવા નજીક જે જેમની આસપાસ પીપળનાં ઝાડ ઉપર એક છ વર્ષની સિંહણનો મૃતદેહ લટકતો હોવાની ચોકાવનારી જાણ થતાં વન્ય વિભાગનાં જશાધાર રેન્જનાં અધીકારી ઘટના સ્થળે દોડી ગયેલ અને ઝાડ પર લટકતી છ વર્ષની સિંહણનો મૃતદેહ ઝાડપરથી નીચે ઉતારી તાકીદે આ સિંહણનું મોત વન ખાતાનાં અધીકારીને શંકાસ્પદ જણાતા ફોરેસ્ટ વિભાગની ડોકટરની પેનલ ટીમને બોલાવી મોત અંગે તપાસ હાથ ધરી હતી.
તપાસમાં સિંહણનું મૃત્યુ વાડી ફરતે પાકને બચાવવા ગોઠવાયેલા જીવંત વીજ વાયરને સ્પર્શી જતા વીજશોક લાગતા મૃત્યુ થયું હોવાનું જણાયું હતું. તથા સિંહણરાત્રે વીજ શોકથી તરફડીને મૃત્યુ પામતા તેના મોતને છુપાવવા માટે મૃતદેહને ઢસડી અવાવરૃં કૂવામાં નાખવાનો પ્રયાસ કરાયો હોવાનું તથા મૃતદેહ કૂવાને બદલે કૂવા ફરતે આવેલા પિપળાના વૃક્ષ ઉપર લટકી રહ્યો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. જે સ્થળેથી સિંહણનો મૃતદેહ મળ્યો તે જગ્યાએથી થોડે દૂર આવેલી વાડીમાં વીજ વાયરના પુરાવા જોવા મળતા વનવિભાગ ચોકી ઉઠયું હતું. અને આ વિસ્તારમાં વન અધિકારીઓનો કાફલો તપાસ માટે ઉતરી આવ્યો છે.
ધારી ગીરપુર્વના જસાધાર રેન્જના સણોસણી, વિસ્તારમાં ૭થી ૮ વર્ષની સિંહણનો મૃતદેહ શંકાસ્પદ રીતે મળી આવતા ધારી વનવિભાગનો સ્ટાફ દોડી ગયો હતો અને મૃતદેહનો કબ્જો સંભાળીને પી.એમ.ની કાર્યવાહી હાથ ધરી છે. આ સિંહણના પગમાં પંચર પડી ગયેલ છે. તેમજ વાડી વિસ્તારમાંથી મૃતદેહ મળી આવ્યો છે જેથી અનેક શંકાઓ ઉપજે છે. ડી.એફ.ઓ.એ પણ સિંહણના મૃત્યુ શંકાસ્પદ જણાવી બે ડોકકટરની પેનલ દ્વારા પી.એમ. કરાવી તથા તેમજ જૂનાગઢ ફોરેન્સીક લેબોરેટરીમાં તપાસ માટે અવશેષો મોકલાયા હોવાનું જણાવ્યું હતું.
Source: http://www.gujaratsamachar.com/20111129/gujarat/ahd3.html

ઉનાનાં ધોકડવાની વાડીએ વીજ શોક લાગવાથી સિંહણનું મોત.


ઉના, તા. ૨૮
ઉનાના ધોકડવા ગામની સીમમાં સિંહણનો મૃતદેહ મળી આવતા જંગલ ખાતાનાં કાફલાએ ઘટના સ્થળે દોડી જઇ તપાસ હાથ ધરી હતી. ધોકડવાની સીમમાં શાહી નદી કાંઠા વિસ્તારમાંનાં સામેની તરફ આવેલ જગદિશભાઇ વિરાભાઇ માળવીની વાડી પાસે એક અવાવરૃ કૂવા નજીક પીપળનાં ઝાડ ઉપર એક છ વર્ષની સિંહણનો મૃતદેહ લટકતો હોવાની ચોંકાવનારી વિગતની જાણ વન્ય વિભાગને થતા જસાધાર રેન્જના અધિકારી ઘટના સ્થળે દોડી ગયા હતા. ઝાડ પર લટકતો છ વર્ષની સિંહણનો મૃતદેહ ઝાડ પરથી નીચે ઉતારાયો હતો. સિંહણનું મોત વન ખાતાનાં અધિકારીને શંકાસ્પદ જણાતા ફોરેસ્ટ વિભાગની ડોકટરની પેનલ બોલાવી આ સિંહણના મોત અંગેની તપાસ હાથ ધરી મોત પાછળનું કારણ શોધવા પ્રયત્ન હાથ ધર્યા હતા.
  • સિંહણનો મૃતદેહને કૂવામાં નાખી બનાવ છૂપાવવા પ્રયાસ કર્યો પણ..
વનરક્ષકોના જણાવ્યા મુજબ ધોકડવાની સીમમાં શાહી નદીનાં કાંઠે વાડી ધરાવતા પંચોળા પરિવારનાં બે ભાઇઓની જમીન આવેલી હોય આ જમીનમાં શિયાળુ પાકનું વાવેતર કરવામાં આવ્યું હોઈ પાકને જંગલી ભૂંડના ત્રાસથી સુરક્ષિત રાખવા વાડી ફરતે જીવતા વાયર મૂકવામાં આવ્યા હતા. ગત રાત્રીના આ વિસ્તારમાં આવી ચડેલી છ વર્ષની સિંહણ જીવંત વીજ વાયરને સ્પર્શી જતા જોરદાર ઇલે. શોક લાગવાથી સિંહણનું ઘટના સ્થળે તરફડીને મોત નિપજ્યું હતું. આ સિંહણનાં મોતને છુપાવવા આ વિસ્તારનાં ખેડૂતે આ સિંહણનાં મૃતદેહને ઢસડી બાજુમાં અન્ય વાડી નજીક અવાવરૃ કૂવામાં નાખી, બનાવ પર પડદો પાડી દેવાનાં પ્રયત્ન કર્યો હતો. પરંતુ સિંહણનો મૃતદેહ કૂવામાં ન પડતા કૂવાની આસપાસ ઝાડ પર આ લટકતો રહ્યો હતો. રાત્રીનાં સમયે વન વિભાગનાં અધિકારી એ.સી.એફ. ધામી ડી.એફ.ઓ. રાજા તેમજ જસાધાર રેન્જના આર.એફ.ઓ. આહીર ઘટના સ્થળે દોડી જઇ આ બનાવના મૂળ સુધી પહોંચવા કવાયત હાથ ધરી હતી. આ બનાવની તપાસ હાથ ધરતાં જે સ્થળેથી સિંહણનો મૃતદેહ મળ્યો હતો. એ જગ્યાએથી થોડે દૂર એક વાડીમાં ઇલેકટ્રીક વાયરો જેવા પુરાવા જોવા મળતા અને આ ઘટના ઇલેકટ્રીક વાયરના શોક સરકીટના કારણે બની હોય તેવું સ્પષ્ટ દેખાઇ આવતાં અને સિંહણનાં પગનાં નિશાનો પણ આ વિસ્તારની હદમાં જોવા મળતાં આ ઘટના સમગ્ર વનવિભાગ ચોંકી ઉઠયો હતો. સિંહણના મોત અંગે ઘટના સ્થળેથી પી.એમ. કરવાનું શરૃ થયું છે. વિવિધ પ્રકારનાં નમૂના લઇ એફ.એસ.એલ.ની મદદથી આ બનાવનો ભેદ ઉકેલવા પ્રયાસ હાથ ધરાશે.
પાપ ઝાડ પરથી પોકાર્યુ !
ઉના : સિંહણનો ભોગ લેવાયાનાં બનાવ પર ઢાંક પીંછોડો કરવા સિંહણને કૂવામાં નાખવાનું હીન કૃત્ય કર્યુ હતું. સિંહણને ઢસડી હોવાના અને નિશાન તથા ઇલેકટ્રીક વાયરો મૂકવાનાં નિશાન પણ વન ખાતાની નજરે ચડયા હતા. સિંહણનું મોત શોર્ટ સરકીટનાં કારણે થયું હતું અને ગુનાને દબાવી દેવા ખેડૂત દ્વારા પ્રયત્ન કરાયો હતો. સિંહણનો મૃતદેહને અવાવરૃ કૂવામાં નાખવા જતા કૂવાની ફરતે ઝાડ હોવાનાં કારણે સિંહણનો મૃતદેહ ઝાડ પર લટકતો રહ્યો હતો.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=12844

ગીર જંગલમાં ૧૭ કિ.મી.ની સફાઇ કરતા છાત્રો.


Source: Bhaskar News, Visavadar   |   Last Updated 12:50 AM [IST](29/11/2011)
 - ‘દિવ્ય ભાસ્કર’ આયોજીત અભિયાનમાં મેલડી આઇ ચેકપોસ્ટથી કનકાઇ સુધીમાં પ્લાસ્ટીકનો કચરો દૂર કરાયો
વિસાવદર ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા આયોજીત સફાઇ અભિયાનમાં મેલડી આઇ ચેકપોસ્ટથી કનકાઇ મંદિર સુધી ૧૭ કિ.મી. નાં જંગલની સફાઇ કરવામાં આવી હતી. આ અભિયાનમાં વિસાવદર નગરપાલિકા હાઇસ્કૂલનાં વિદ્યાર્થીઓ, શિક્ષકો તેમજ વન વિભાગનાં કર્મચારીઓ જોડાયા હતાં.
વિસાવદર ‘દિવ્ય ભાસ્કર’ દ્વારા આજે જંગલ સફાઇ અભિયાન હાથ ધરવામાં આવ્યુ હતું. જેમાં વિસાવદર નગરપાલિકા હાઇસ્કૂલનાં શિક્ષકો અને ૫૫ વિદ્યાર્થીઓ સાથે વનવિભાગનાં કર્મચારીઓ પણ જોડાયા હતાં. આ અભિયાન અંતર્ગત જંગલનાં પ્રવેશ દ્વાર મેલડી આઇ ચેક પોસ્ટથી ગીર મધ્યમાં આવેલા કનકાઇ મંદિર સુધીનાં ૧૭ કિ.મી. જંગલમાં પડેલા વેફર્સ, પાણી, પાન-માવા અને ગુટખાનાં પાઉચ સહિત વન્ય પ્રાણીઓને હાનિકર્તા ૩૦ કિલો જેટલો કચરો એકઠો કરવામાં આવ્યો હતો.
જે નગરપાલિકાની સતાધાર રોડ પર આવેલી ડમ્પીંગ સાઇટ પર નાંખવામાં આવ્યો હતો. આજે સવારનાં ૮:૪૫ વાગ્યાથી અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું જે બપોરે ૧૨:૧૫ વાગ્યાનાં અરસામાં કનકાઇ મંદિર સુધી સફાઇ કરી પૂર્ણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ કનકાઇ મંદિરનાં સંચાલક દેવાંગભાઇ ઓઝા દ્વારા બપોરે સફાઇ અભિયાન દરમિયાન ન.પા. બરોનાં પ્રમુખ મનિષભાઇ રબિડીયાએ છાત્રોને બિસ્કીટ, પીપરમેન્ટ આપી તેમને પ્રોત્સાહન પુરૂ પાડ્યું હતું.
તમામને ભોજન - પ્રસાદ આપવામાં આવ્યો હતો. આ કાર્યક્રમને સફળ બનાવવા નગરપાલિકા હાઇસ્કૂલનાં શિક્ષક રમેશભાઇ હરખાણી, ડૉ. મયુરભાઇ ઉંધાડ, ડોબરીયા સાહેબ અને વાળા સાહેબ સહિત આર.એફ.ઓ. એન.એમ. જાડેજા તેમજ વર્માભાઇ, ભાલિયાભાઇ, મકવાણાભાઇ, ભટ્ટીભાઇ, પઠાણભાઇ અને મોરીભાઇ સહિત વન વિભાગનાં કર્મચારીઓએ જહેમત ઉઠાવી હતી.
એ.સી.એફ.નું માર્ગદર્શન મળ્યું -
‘દિવ્ય ભાસ્કર’ આયોજીત અભિયાનનાં આમંત્રણને માન આપી જામવાળા રેન્જનાં એ.સી.એફ. ડૉ. અંશુમન પણ ઉપસ્થિત રહ્યા હતાં. ડૉ. અંશુમને વિદ્યાર્થીઓને જંગલમાં રહેલા કચરાથી વન્ય સૃષ્ટિને થતાં નૂકશાન અંગે માહિતી આપી હતી. તેમજ વિદ્યાર્થીઓને વ્યસનથી થતા રોગો અંગે માર્ગદર્શન આપી વ્યસન મૂકત થવાની સલાહ પણ આપી હતી. જ્યારે ‘દિવ્ય ભાસ્કર’નાં આ અભિયાનને અભિનંદન પાઠવી આ પ્રવૃતિ કરવા બદલ આભાર પણ માન્યો હતો.

ધોકડવાની સીમમાં કૂવામાંથી સિંહણનો મૃતદેહ મળ્યો.

Source: Bhaskar News, Una   |   Last Updated 1:02 AM [IST](29/11/2011)
ઊનાના ધોકડવા ગામની સીમમાં શાહી નદી કાંઠા વિસ્તારના સામેના ભાગે આવેલી જગદીશભાઈ વીરાભાઈ માળવીની વાડી પાસેનાં એક અવારૂ કુવામાં સિંહણનો મૃતદેહ હોવાની જાણ થતા વનવિભાગ જશાધાર રેન્જનાં અધિકારી સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી જઈ મૃતદેહને બહાર કાઢી તપાસ હાથ ધરી છે.
દરમિયાન આ વિસ્તારમાં પંચોળી પરિવારનાં બે ભાઈઓની જમીન આવેલી હોય તેમાં શિયાળુ પાકનું વાવેતર કરાયું છે. અને ભૂંડ-રોઝ જેવા જંગલી જાનવરોના ત્રાસથી પાકને સુરક્ષીત રાખવા વાડી ફરતે વીજ વાયર મુકવામાં આવ્યા હતા. અને રાત્રિના સમયે વીજ પ્રવાહ શરૂ કરી વહેલી સવાર સુધી વીજ પ્રવાહ ચાલુ રહેતો હતો.
ગત રાત્રિનાં સમયે છ વર્ષની સિંહણ આવી ચડી હોય અને જીવંત વીજવાયરને સ્પર્શી જતા જોરદાર ઈલે.શોર્ટ લાગવાની ઘટના સ્થળે જ તરફડીને મોતને ભેટી હતી. સિંહણના મોતને છુપાવવા મૃતદેહને ઢસડી કુવામાં ફેંકી દીધો હતો.
સિંહબાળનું મોત નપિજાવનાર એક ઝડપાયો -
સિંહબાળનાં મોત અંગે વનવિભાગે સઘન તપાસ હાથ ધરી હતી. જેમાં સિંહનો મૃતદેહ મળી આવ્યો તે કુવાની બાજુમાં વાડી ધરાવતા શખ્સે વાડીમાં ઇલે.શોક મૂકતો હોવાનું જાણવા મળ્યું હતું. જેથી વાડી માલિક સણોસરીનાં જસા ભગવાન બલદાણીયાની અટક કરી આગવી ઢબે પૂછતાછ કરતાં તેને ગુન્હો કબુલી લીધો હતો. જ્યારે તેને મદદ કરનાર તેનો ભાઇ ભીખા ભગવાન નાસી છુટ્યો હોય તંત્રએ તેને ઝડપી લેવા ચક્રો ગતિમાન કર્યા છે. વનવિભાગે ઘટના સ્થળેથી ફેન્સિંગ વાયર તેમજ ઘટના બાદ તે અંગે રહિર્સલ કરાવી તેની વિડીયોગ્રાફી કર્યાનું પણ જાણવા મળ્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lioness-dead-body-got-into-well-in-dhokadvas-farm-2600396.html?OF5=

Monday, November 28, 2011

ખેતરમાં આવી ચડેલી મગર ત્રણ કલાકે માંડ ઝડપાઇ.

કેશોદ તાલુકાના અજાબ ગામની સીમમાં
જૂનાગઢ, તા. ૨૭
કેશોદ તાલુકાના અજાબ ગામની સીમમાં ગઇકાલે એક સાડા પાંચ ફૂટ લાંબી મગર ચડી આવી હતી. આ અંગે વન વિભાગને જાણ કરવામાં આવતા તેઓએ આવી ત્રણેક કલાકનો રેસ્કયુ ઓપરેશન બાદ મગરને પકડી લઇ સાસણ ખસેડી હતી.
વન તંત્રએ યુવાનોની મદદથી મગરને મહામહેનતે પકડીને સાસણ લઇ જતાં ગ્રામજનોને હાશકારો
આ અંગેની વધુ વિગત મુજબ કેશોદ તાલુકાના અજાબ ગામની સીમમાં આવેલા બાબુભાઇ કમાણીના ખેતરમાં એક મગર ચડી આવી હતી. ખેતરમાં કામ કરતા લોકોની નજરે મગર ચડી જતા તેઓએ વાડી માલિકને જાણ કરી હતી. અને બાદમાં વાડી માલિકે કેશોદ વન વિભાગને જાણ કરતા વન તંત્રના સ્ટાફે આવી. રેસ્કયુ ઓપરેશન હાથ ધર્યું હતું. વન તંત્રનો સ્ટાફ અમુક સેવાભાવી સંસ્થાના કાર્યકરો તથા ગામના યુવાનોએ અંદાજે ત્રણ કલાક કરેલી જહેમત બાદ મગર પકડાઇ હતી.
મગર પકડાયા બાદ તેને પીપળામાં નાખી લઇ જવા પ્રયાસ કરવામાં આવ્યો હતો. પરંતુ એકવાર તે નિષ્ફળ નિવડયો હતો અને ફરીથી મગરને પીપળામાં પુરી તેને સાસણ ખાતે લઇ જવામાં આવી હતી. આમ ત્રણ કલાકની જહેમત બાદ મગર ઝડપાઇ જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. મગર પકડાઇ ગયાના સમાચાર સાંભળી મોટી સંખ્યામાં ગ્રામજનો મગર જોવા ઉમટી પડયા હતા.
Source: http://www.gujaratsamachar.com/20111128/gujarat/sau1.html

ઘેટાઓમાં ભેદી રોગચાળો ફાટી નિકળ્યો, ૩૦નાં મોત.


બગસરા,તા.ર૬
બગસરા તાલુકાના રફાળામાં પશુઓમાં ગંભીર રોગચાળો ફેલાતા ૩૦ જેટલાં ઘેટાઓના મોત નિપજયા છે. જયારે બીજા અનેક બિમારીમાં સપડાયા છે. જેનાથી માલધારી સમાજ ચિંતાતુર બની ગયો છે. તેમજ તાત્કાલિક સારવાર માટે સરપંચે માગણી કરી છે.
  • ૪૦થી વધુ ઘેટાઓ બિમાર : તંત્ર તત્કાલ પગલાં ભરે તેવી માંગ
બગસરા તાલુકાના રફાળામાં પશુઓમાં રોગચાળો ફેલાયો છે. જેમાં ગામનાં ઘેટાઓને સૌથી વધુ અસર થવા પામી છે. રોગચાળામાં ઘેટાઓના મોત પણ થવા લાગ્યા છે. રોગચાળાને લીધે ઘેટાના મોઢા પર સોજો આવે છે અને બિમાર પડી જાય છે.
આ રોગ સાત દિવસની અંદર સારવાર આપવા છતાં મૃત્યુ પામે છે. આ રોગના કારણે છેલ્લા એક સપ્તાહમાં જ ગામના માલધારી પરીવારના મૈયા હીરાના ૧પ ઘેટા, જગુ નાથાના પ ઘેટા, સવજી નાથાના ર ઘેટા, કરશન કાનાના ૪ ઘેટા, અને અન્યના મળી ૩૦ જેટલાં ઘેટાઓ મરી ગયા છે. ગામમાં કુલ ૪૦ જેટલાં ઘેટા બિમાર છે. જેની હાલત પણ ગંભીર ગણાવાઈ રહી છે. આ ગામમાં થયેલા રોગચાળાને પગલે બગસરાના પશુ ડોકટર દ્વારા સારવાર આપવા છતાં રોગચાળો કાબુમાં આવ્યો નથી. જેથી રફાળા ઉચ્ચ અધિકારીઓ આવી કેમ્પ કરે તેવી માંગ ગામના સરપંચ પુનાભાઈ દ્વારા કરવામાં આવી છે. હાલ, રફાળામાં માલધારી પંદર કુટુંબો વસે છે. જેમની પાસે ૭૦૦ જેટલાં ઘેટા-બકરા છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=12329

ગિરનારમાંથી ૪૦ હજાર કિલો પ્લાસ્ટીક મળ્યું.


 જૂનાગઢ, તા.૨૬
ગરવા ગિરનારની ગોદમાં યોજાતી પરિક્રમામાં આવેલા લાખો પરિક્રમાર્થીઓએ જંગલમાં પ્લાસ્ટીકનો ઉપયોગ કર્યો હતો. પરિક્રમા પુરી થયાના ૧પ દિવસ બાદ પણ હજુ અડધુ જંગલ જ સાફ થઈ શક્યુ છે. પરિક્રમા બાદ વિવિધ સ્વૈચ્છીક સંસ્થાઓ અને અગ્રણીઓ દ્વારા પ્લાસ્ટીક એકત્ર કરવાનું સફાઈ અભિયાન હાથ ધરાયુ હતું. આશરે ૧પ દિવસના સફાઈ અભિયાન બાદ ગિરનાર જંગલમાંથી આશરે ૪૦ હજાર કિલો પ્લાસ્ટીક એકત્ર કરાયું છે. જો કે આ સફાઈ અભિયાનમાં હજૂ અડધો કચરો જ સાફ થયો છે. ત્યારે બહાર કઢાયેલા પ્લાસ્ટીકના કચરા જેટલો જ કચરો જંગલમાં હોવાનું સુત્રોમાંથી જાણવા મળી રહ્યુ છે.
  • કામદારોએ ગિરનાર જંગલની સફાઈ કરી ચાર ટ્રેક્ટર કચરો એકત્ર કર્યો : હજૂ શુદ્ધિકરણ અભિયાન શરૂ જ રહેશે
પરંપરાગત યોજાતી ગિરનાર પરિક્રમામાં આવતા યાત્રિકોને પ્લાસ્ટીક લઈ જવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવે છે. આમ છતા દર વર્ષે પરિક્રમા બાદ જંગલમાંથી ઢગલા મોઢે પ્લાસ્ટીક એકત્ર કરવામાં આવે છે. જંગલના પ્રાણીઓ, પક્ષીઓ અને વનસ્પતિને પ્લાસ્ટીક નુકશાન કર્તા હોવાથી વનવિભાગ પરિક્રમા બાદ વિવિધ સંસ્થાઓ અને અગ્રણીઓને સાથે રાખી સફાઈ અભિયાન હાથ ધરે છે.
ચાલુ વર્ષે દેશ-વિદેશ અને દુર-સુદુરથી પરિક્રમામાં આશરે ૮ લાખ ભાવિકો જોડાયા હતાં. આ પરિક્રમાર્થીઓએ પરિક્રમા દરમિયાન જંગલમાં બેફામ પ્લાસ્ટીકનો ઉપયોગ કર્યો હતો. અને ટન મોઢે પ્લાસ્ટીકનો કચરો જંગલમાં જ છોડીને ચાલ્યા ગયા હતાં. ત્યારે પરિક્રમા બાદ તરત જ અનેક સ્વૈચ્છીક સંસ્થાઓએ પરિક્રમા રૂટ પર સફાઈ અભિયાન હાથ ધર્યુ હતું. જેમાં સૌ પ્રથમ ભારત સાધુ સમાજે કરેલા સફાઈ અભિયાનમાં ૩ ટ્રક, સર્વોદય નેચર ક્લબે ૪ ટ્રેકટર અને ગઈકાલે સીટુ સહિતની વિવિધ સંસ્થાઓ કરેલા સફાઈ અભિયાનમાં બીજા ૪ ટ્રેકટર પ્લાસ્ટીક એકત્ર કરાયું હતું.
સુત્રોના જણાવ્યા અનુસાર ૧ ટ્રકમાં આશરે ૬ થી ૭ ટન અને ૧ ટ્રેકટરમાં આશરે ર ટન જેવું પ્લાસ્ટીક સમાઈ શકે છે. આ ગણતરી અનુસાર ૩ ટ્રકના ર૧ ટન અને ૮ ટ્રેકટરના ૧૬ ટન એટલે કે, ૩૭ ટન પ્લાસ્ટીક એકત્ર કરવામાં આવ્યું છે.ગઈકાલે સીટુ સહિતની સંસ્થાઓએ મેકસ કામદાર યુનિયન, ક્રિએટીવ કાસ્ટીંગ યુનિયન, ઓસ્ટીન, ગુજરાત કિસાન સભા, ખેતમજદુર યુનિયન અને નૌજવાન સભાના આશરે ૧૦૦ જેટલા કામદારોએ સુરજકુંડ વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરી ૪ ટ્રેકટર પ્લાસ્ટીકનો કચરો એકત્ર કરી બીજી ગંદકી પણ સાફ કરી હતી. આ અભિયાનમાં ભારત સાધુ સમાજના પ્રમુખ મહંત ગોપાલાનંદજી, અંબાજી મહંત તનસુખગીરીબાપુ, મુક્તાનંદગીરીબાપુ, બટુકભાઈ મકવાણા, જીસાન હોલેપોત્રા વગેરે આગેવાનો જોડાયા હતાં.
ગરવા ગિરનારની ગોદમાં દર વર્ષે યોજાતી પરિક્રમામાં આવતા પરિક્રમાર્થીઓ દ્વારા પાણીના પાઉચ, પાન-માવા, ગુટખા, પાણીની બોટલ, સાબુના રેપર સહિત વિવિધ રીતે પ્લાસ્ટીક જંગલમાં પહોંચાડે છે. વર્ષોથી યોજાતી પરિક્રમામાં આવતા પરિક્રમાર્થીઓ જંગલમાં પ્લાસ્ટીક છોડીને ચાલ્યા જવાથી એક તબક્કે જંગલનો નાશ થવાની ભીતી પર્યાવરણપ્રેમીઓ વ્યકત કરી રહ્યા છે.
૧૮ કી.મી.ના કેડી માર્ગમાં હજુ પણ સેંકડો ટન પ્લાસ્ટીકનો પથારો
પરીક્રમા બાદ છેલ્લા ૧પ દિવસથી વિવિધ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા પરીક્રમા રૂટ ઉપર સફાઈ અભિયાન હાથ ધરાયુ છે. આમ છતા પરિક્રમા રૂટના ૩૬ કી.મી વિસ્તારમાંથી માત્ર ૧૮ કી.મી. રૂટ જ સાફ થયો છે. અત્યાર સુધી કરાયેલ સફાઈ અભિયાન માત્ર વ્હીકલ જઈ શકે તેવા જ વિસ્તારોમાં સફાઈ કરાઈ છે. જ્યાં વાહનો જઈ શકે તેમ નથી તેવા જીણાબાવાની મઢીથી બોરદેવી સુધીના ૧૮ કી.મી.ના કેડી માર્ગમાં પ્લાસ્ટીક એકત્ર કરવાનું બાકી છે. માત્ર ૧૮ કી.મી.માં જ ૪૦ ટન પ્લાસ્ટીક એકત્ર કરાયું છે. ત્યારે અન્ય ૧૮ કી.મી. વિસ્તારમાં બીજુ ૪૦ ટન પ્લાસ્ટીક હોવાનું પણ સુત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે. ગિરનાર પરિક્રમા માર્ગ પર બાકી રહેલા પ્લાસ્ટિકના કચરાને સત્વરે દૂર કરવામાં આવે તે જરૂરી બની ગયું છે. અત્રે ઉલ્લેખનીય છે કે વનવિભાગ દ્વારા દર વર્ષે દાખવાતી જાગૃતિના કારણે પ્લાસ્ટિકના કચરામાં ઘટાડો થઈ રહ્યો છે. પરંતુ આ દૂષણ નાબુદ નથી થયું.
કેવા કેવા વન્ય જીવો અને વનસ્પતિઓ ગિરનારમાં છે ??
ગરવા ગિરનારમાં ૬પ૦ વનસ્પતિ છે. જેમાં ૧પ૮ ઔષધિય વનસ્પતિ છે. તેમજ ર૮ જાતના સસ્તન પ્રાણીઓ, ૩ર જાતના પેટે ચાલતા પ્રાણીઓ, રપ સિંહ અને ગિરનાર જંગલમાં પ૧ તેમજ રેવન્યુ વિસ્તારમાં ૩૦ દિપડાઓ છે. ત્યારે પરિક્રમા દરમિયાન ઉપયોગમાં લેવાતું પ્લાસ્ટીક વન્ય પ્રાણીઓ અને વનસ્પતિઓ માટે નુકશાનકર્તા હોવાનું આર.એફ.ઓ. જે.ડી.ગોજીયાએ જણાવ્યું છે.
પ્લાસ્ટીકથી પ્રાણીઓ અને પર્યાવરણને શુ નુકશાન થશે ?
પરિક્રમા દરમિયાન પરિક્રમાર્થીઓ દ્વારા જંગલમાં છોડાતું પ્લાસ્ટીક જંગલની વનસ્પતિઓ અને વન્ય પ્રાણીઓને નુકશાન કર્તા હોવાનું જણાવી પર્યાવરણ વીદ આર.કે.દેસડીયાના જણાવ્યા અનુસાર જે તે જમીનમાં પ્લાસ્ટીક દટાઈ રહેવાથી જમીનની ફળદ્રુપતા ઘટે છે. જમીનમાં વરસાદનું પાણી ઉતરી શકતુ નથી. અને જમીન રીચાર્જ થઈ શકતી નથી. પ્લાસ્ટીક ૧૦૦ વર્ષ સુધી સડતું ન હોવાથી જે જમીનમાં પ્લાસ્ટીક દટાયેલુ રહેવાથી ત્યાં વવાતા બીજ ઉગી શકતા નથી. પરિણામે વનસ્પતિનો નાશ થાય છે. તેમજ વન્ય પ્રાણીઓ પ્લાસ્ટીકમાં ફેંકાયેલી ખાદ્ય સામગ્રી ખાવા જતા પ્લાસ્ટીક પણ તેના પેટમાં જાય છે. જેનાથી વન્ય પ્રાણીઓની હોજરીમાં ગઠા જમા થાય છે. અને કયારેક આ કારણે વન્ય પ્રાણીઓની જાન પણ જોખમમાં મુકાય શકે છે. તેમજ જંગલમાં રહેતા પ્લાસ્ટીકને કારણે ઝેરી વાયુ ઉત્પન થાય છે. આ વાયુ પ્રાણીઓ અને વનસ્પતિ માટે હાનિકારક છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=12299

સા.કુંડલા: ત્રીસ ફૂટ ઉંચા ઝાડ પરથી ઇન્ડિયન પાઇથોન પકડાયો.

 Source: Bhaskar News, Savarkundla   |   Last Updated 1:27 AM [IST](27/11/2011)
 - અજગર ત્રીસ ફૂટ ઉંચા ઝાડ પરથી પકડાયો
સાવરકુંડલા તાલુકાના આદસંગ ગામની સીમમા આજે એક વાડીમાં ઇન્ડીયન પાયથન જાતીનો એક અજગર ત્રીસ ફુટ ઉંચા ઝાડ પર ચડી જતા વાડી માલીકે આ અંગે વન વિભાગને જાણ કરતા વન વિભાગ અને વાઇલ્ડ લાઇફ નેચર ક્લબના સભ્યોએ આ અજગરને સલામત રીતે ઉતારી તેના પ્રાકૃતિક આવાસમાં મુકત કરી દીધો હતો.
સાવરકુંડલા અને ખાંભા તાલુકામાં વિવિધ પ્રકારના અજગરની વસતી સતત વધતી જાય છે. મધ્યગીરમાં જોવા મળતા અજગરો હવે ગ્રામ્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યા છે. આજે સાવરકુંડલા તાલુકાના આદશંગ ગામની સીમમાં વનરાજભાઇ ખુમાણની વાડીમાં એક અજગર ત્રીસ ફુટ ઉંચા લીમડાના ઝાડ પર ચડી ગયો હતો.
વાડી માલીક દ્વારા આ અંગે વન વિભાગના સાવરકુંડલા રેંજના કર્મચારી બી.ડી. જોષી તથા વાઇલ્ડ લાઇફ નેચર ક્લબના પ્રમુખવિજય વિંજુડાને જાણ કરવામાં આવતા તેમણે ત્યાં પહોંચી જઇ આ અજગરને સલામત રીતે ઝાડ પરથી ઉતાર્યો હતો અને આરક્ષીત પ્રજાતિના આ અજગરને તેના પ્રાકૃતિક આવાસમાં મુકત કરી દીધો હતો.
- તસ્વીર - અમીતગીરી ગૌસ્વામી

રમળેચી (ગીર)માં સિંહ યુગલે કર્યું ત્રણ ગાયનું મારણ.


Source: Bhaskar News, Talala   |   Last Updated 12:53 AM [IST](28/11/2011)
- ખેડૂત પાછળ સિંહણે દોટ મૂકી : ફફડાટ
તાલાલાનાં રમળેચી (ગીર) ગામે વન્યપ્રાણીઓ સિંહ- દિપડાનો આંતક વધ્યો છે. ચાર દિવસ પહેલા દપિડો ખેડૂતનાં મકાનની વંડી ઠેકી વાછરડીનું મારણ કરી ગયો હતો. તો ગામની સીમમાં ફરતા સિંહ યુગલે બે દિવસમાં ત્રણ ગાયોનાં શિકાર કરતા ખેડૂતો ફફડી ઉઠ્યા છે. અધુરામાં આજે સવારે એક ખેડૂતની પાછળ સિંહણે દોટ મુકતા લોકો ભયભીત બની ગયા છે.
રમળેચીની સીમમાં આંબાવાડી ઓમાં ફરતા રહેતા સિંહ યુગલે ગૌશાળાની એક ગાય અને શનિવારે વહેલી સવારે ખેડૂત જેન્તીભાઇ માધાભાઇ ગામીની માલિકીની ગાયનું મારણ કર્યું હતું. રવિવારે સવારે ગ્રામ પંચાયતનાં સદસ્ય પ્રફુલભાઇ સંતોકીનાં બગીચામાં તેમની ગાયનો શિકાર કર્યો હતો.
બગીચામાં સિંહ યુગલ મારણ વહેલી સવારે ખાઇ રહ્યા હતાં તે દરમિયાન ખેડૂત પ્રફુલભાઇ વાડીએ જતા મારણ ઉપરથી ઉભી થઇ સિંહણે ખેડૂત પ્રફુલભાઇની પાછળ દોટ મુકતા ખેડૂતે વાડી બહાર ભાગવુ પડ્યું હતું. રમળેચી (ગીર) નાં ખેડૂતોનાં કિંમતી દુધાળા માલઢોરનાં વન્યપ્રાણીઓ શિકાર કરતા હોય ખેડૂતો ચિંતાતુર બની ગયા છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-lion-couple-hunted-three-cow-in-gir-2597024.html?OF15=

કેસર કેરીના ફૂલ ખીલવા લાગ્યા.


Source: Bhaskar News, Talala   |   Last Updated 1:45 AM [IST](28/11/2011)
 - તાલાલા પંથકમાં આંબામાં મોર ભાદરવા - આસોને બદલે કારતક માસમાં ફૂટતા કેરીની સિઝન એક મહિનો મોડી થશે
ગીરની વિશ્વ પ્રસિદ્ધ કેસર કેરીનાં ફૂલ ખીલવાનું તાલાલા પંથકમાં શરૂ થઇ ચુકયુ હોય ગીર પંથકની આંબાવાડીઓમાં કેરીનાં નવા મોર ફૂટવા લાગ્યા છે. દર વર્ષ કરતા ચાલુ સાલ મોર ફૂટવાની પ્રક્રિયા મોડી શરૂ થઇ હોય કેસર કેરી ખાવાનાં શોખીનોએ કેસર કેરી ખાવામાં થોડી રાહ વધુ જોવી પડશે.
ગીર પંથકની આર્થિક કરોડજજુ ગણાતી કેસર કેરી તેનાં સ્વાદ, સુગંધથી લોકોમાં ફળોની મહારાણી તરીકે સ્થાન પામી છે. કેસર કેરીનાં ગઢ ગણાતા તાલાલા (ગીર) પંથકની આંબાવાડીઓમાં કેરીનાં મોર ફૂટવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી છે. દર વર્ષે ચોમાસા બાદ ભાદરવો અને આસો મહિનામાં કેરીનાં આંબામાં કોર (નવા પાન) આવી જતા હોય છે અને કારતક માસમાં મોર ફૂટવાનું શરૂ થઇ જતુ હોય છે. પરંતુ ચાલુ સાલ પ્રતિકુળ હવામાનનાં લીધે ભાદરવા, આસો માસમાં આવતો ‘કોર’ કારતક માસનાં અંતમાં મોર માગસર માસનાં પ્રારંભે ફૂટવાનું શરૂ થયું છે.
સાથે ઠંડીનાં અભાવે મોર ફૂંટવાની પ્રક્રિયા ધીમી ગતિથી શરૂ થઇ હોય કેરીનું આગમન બજારોમાં એક મહિના જેટલું મોડુ થશે. જેથી ‘કેસર’ નાં શોખીનોએ કેરી ખાવા થોડી રાહ વધુ જોવી પડશે તેમ કેરી ઉત્પાદક ખેડૂતો જણાવી રહ્યા છે. તાલાલા પંથકમાં દર વર્ષે આઠ લાખ મેટ્રીક ટનથી વધુ કેસર કેરીનું ઉત્પાદન થાય છે.
ઘરઆંગણે તાલાલા માર્કેટિંગ યાર્ડમાં સંભવત કેરીનું આગમન ચાલુ સાલ એપ્રીલ માસનાં અંતમા થશે. આ વર્ષે ગીર પંથકની કેસર કેરી ખરીદવા ‘કોર્પોરેટ કંપની’ ઓએ અગાઉથી કરારો કર્યા હોય કેરીનું ઉત્પાદન કેટલું થશે તેના ઉપર કેરીનાં ભાવનો આધાર રહેશે.
કેરીનાં બંધારણ ઉપર ઉત્પાદનનો આધાર -
તાલાલાનાં ધાવા (ગીર) ની આંબાવાડીમાં મોર ફૂંટવાની વહેલી શરૂઆત થઇ ચુકી હોય ખેડૂત હરેશભાઇ દેવદાસભાઇ રામાણીનાં ૭૦૦ આંબાનાં બગીચામાં ૪૦૦થી વધુ આંબાઓમાં મોર ફૂટયા છે. ખેડૂતોનાં મતે મોર ફૂટયા બાદ કેરીનું બંધારણ (મગીયો) કેવુ બંધાય છે તેનાં ઉ૫ર કેરીનાં ઉત્પાદનનો આધાર રહેશે. આ ઉપરાંત બોરવાવ - રમરેચી - આંકોલવાડી - જશાપુર - મોરૂકા - બામણાસા - વીરપુર - માધુપુર સહિતનાં ગામોની આંબાવાડીઓમાં મોર ફૂંટવાની પ્રક્રિયા શરૂ થઇ ચુકી હોવાનું જાણવા મળે છે.

ગીરને એક રાતમાં જ ૧૩ આંચકાએ ધ્રુજાવ્યું, લોકોમાં ભયનું મોજું.


Source: Bhaskar News, Talala   |   Last Updated 1:32 AM [IST](28/11/2011)
- મધરાતે ૩ વાગ્યે ૩.૧ સહિત ૨ થી ઉપરની તીવ્રતાનાં ૬ આફ્ટરશોક
ગીર પંથકમાં શનિવારે રાતથી રવિવારે સવાર સુધીનાં ચૌદ કલાકનાં ગાળામાં ધરતીકંપનાં આવેલા ૧૩ આંચકાથી ગીર પંથક ખળભળી ઉઠ્યો હતો. શનિવારે મોડી રાત્રે ૩.૧નાં ભારે ધડાકા સાથે આવેલા તીવ્ર આંચકાથી લોકો નિંદ્રા અવસ્થામાં હલબલિ ઉઠતા જીવ બચાવવા ઘર બહાર ભાગવા લાગ્યા હતાં. દરેક આંચકાનાં એપી સેન્ટર તાલાલાથી ઉત્તર - પશ્ચિમ દિશામાં ૧૦ થી ૧૨ કિ.મી.નાં વિસ્તારોમાં નોંધાયા હતાં. ૩.૧નાં તીવ્ર આંચકાનું એપી સેન્ટર જેપુર (ગીર) ગામ બન્યું હતું.
ગીરમાં સક્રિય ધરતીકંપની ફોલ્ટલાઇનમાં ભૂસ્તરીય હીલચાલ વધી હોય તેમ તાલાલા પંથકમાં ફરીથી તીવ્ર આંચકા આવવાનું શરૂ થતા લોકોનાં જીવ ઉચક થઇ ગયા છે. શનિવારે રાત્રે ૭:૧૭ કલાકે - ૨.૦૦ ની તીવ્રતાનાં આવેલ આંચકા બાદ સમયાંતરે આંચકાથી ધરા સતત ધ્રુજી રહી હતી. મોડી રાત્રે ૧૦:૧૦ - ૧.૬, ૧૧:૧૭ - ૧.૫, ૧૧:૨૦ - ૧.૧, ૧૨:૦૨ - ૧.૪, ૨:૨૩ - ૧.૩ હળવા આંચકા આવેલા પણ મધરાતે ૩ વાગ્યે ૩.૧નો ભારે આંચકો પ્રચંડ ધડાકા સાથે આવતા લોકો નિંદરમાંથી ઉઠી બહાર ભાગ્યા હતાં.
બાદમાં ૩ :૨૫ કલાકે - ૧.૧, ૬:૨૨ કલાકે - ૧.૯નાં હળવા આફ્ટરશોક આવેલ. રાત્રે ભૂકંપનાં ભારે આંચકાથી રાત બગડી હોય ત્યાં સવારે પણ ૮:૩૫ કલાકે ૨.૪, ૮:૩૯ કલાકે ૨.૧, ૯:૦૦ કલાકે - ૨.૧, ૯:૩૫ કલાકે - ૨.૩ની તીવ્રતાનાં વધુ ચાર તીવ્ર આંચકાથી લોકોનો દિવસ બગડી ગયો હતો. તીવ્ર ભૂકંપનાં આંચકા તાલાલા ઉપરાંત જેપુર, હરીપુર, ખીરધાર, ચીત્રાવડ, ધણેજ, રમળેચી, વીરપુર, ગુંદરણ, બોરવાવ, ધાવા સહિતનાં ગામોમાં ભારે અસરથી અનુભવાયા હતાં. ભૂકંપનાં તીવ્ર આંચકાઓથી ગીર પંથક હચમચી રહ્યો હોય તાલાલા પંથકનું જનજીવન ભયભીત બની ગયું છે.
કચ્છનાં ભચાઉમાં પણ તીવ્ર આંચકો -
સૌરાષ્ટ્રનાં ગીર પંથકમાં આવેલા ભૂકંપનાં ૧૩ આંચકા સાથે કચ્છ જિલ્લામાં પણ ભૂકંપનાં આંચકાથી ધરા ધ્રુજેલ હતી. શનિવારે રાત્રે ૯:૩૦ કલાકે ભચાઉ પંથકમાં ૨.૯નો આંચકો આવ્યો હતો જેનું એપી સેન્ટર ભચાઉથી ૨૦ કિ.મી. નોર્થ - વેસ્ટ દિશામાં નોંધાયું હતું.
ગીરમાં ભૂકંપ ઓછી ઊંડાઇથી આવવા લાગતા તીવ્રતા વધી -
તાલાલા પંથકમાં છેલ્લા બે દિવસથી આવતા ભૂકંપનાં આંચકાઓની તીવ્રતા વધી હોઇ લોકો ભારે અસરથી આંચકાની અનુભૂતિ કરી રહ્યા છે. બે દિવસથી આવતા આંચકાઓ ગીર પંથકનાં પેટાળમાં ઓછી ઊંડાઇ (ડેપ્થ) થી આવવા લાગ્યા હોવાનું જોવા મળેલ છે. શનિવારે બપોરે આવેલ ૪:૪૫ કલાકે ૨.૮નો ભારે આંચકો જમીનમાં ૪.૪ કિ.મી.ની ઉંડાઇએથી ઉદ્ભવ્યો હતો.
મધરાતે આવેલ ૩.૧ની તીવ્રતાનો ભૂકંપ જમીનમાંથી ૬.૧ કિ.મી.ની ઉંડાઇએથી ઉદ્ભવ્યો હતો. જ્યારે ગત ૨૦ ઓક્ટોબરે આવેલ ૫.૩ની તીવ્રતાનો ભારે ભૂકંપ ૧૦.૨ કિ.મી. ઉંડાઇએથી આવ્યો હતો. એમ દિવસો જતા ભૂકંપનું ઉદ્ભવ કેન્દ્રનું અંતર ઉપર તરફ આવી રહ્યુ હોય હળવા આંચકા પણ તીવ્રતાથી અનુભવાય છે. આ સ્થિતિથી માલ-મિલ્કતને વધુ નુકશાન થવા લાગ્યુ હોય લોકો પણ ભૂકંપનાં ડરથી બેચેની અનુભવી રહ્યા છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-13-quakes-in-talala-gir-people-fearing-2597987.html?OF4=

Saturday, November 26, 2011

નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલે તમામ જવાબદારોને નોટીસ ફટકારી.


Source: Bhaskar News, Kodinar   |   Last Updated 2:15 AM [IST](25/11/2011)
૬ જાન્યુ. સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ: અસરગ્રસ્ત ગામોનાં લોકો દ્વારા વિરોધ ઉઠાવી ટ્રીબ્યુનલમાં ઘા નાખી હતી
કોડીનાર તાલુકાની છારા તથા સરખડી ગામનાં દરિયા કાંઠે શાપુરજી પાલોનજી ગૃપ દ્વારા બનનારા હરિયાળા બંદર અને ૧૩૨૦ મે.વો. ના બે થર્મલ પ્રોજેક્ટ સ્થાપવા તજવીજ હાથ ધરી છે. ત્યારે તેની સામે આ વિસ્તારના અસરગ્રસ્ત ગામોનાં લોકો દ્વારા વિરોધનો વંટોળ ઉઠ્યો છે.
ગ્રામજનો દ્વારા નવી દિલ્હી ખાતેની નેશનલ ગ્રીન ટ્રીબ્યુનલમાં એક રીટ અરજી દાખલ કરેલ જેની તા. ૨૨ નવેમ્બરે સુનાવણી હાથ ધરાતા ટ્રીબ્યુનલે તમામ જવાબદારોને નોટીસ પાઠવી હતી અને ૬ જાન્યુ. ૨૦૧ર સુધીમાં જવાબ રજૂ કરવા આદેશ જારી કર્યા છે. કોડીનાર તાલુકાનાં છારા અને સરખડી ગામ વિસ્તારમાં જ્યાં આ પ્રોજેક્ટ હાથ ધરાનાર છે ત્યાં થર્મલ પાવરની રાખ અને તાપમાનથી પર્યાવરણીય ગંભીર ખતરો ઉભો થનાર છે.
ગ્રામજનોએ ગ્રીન ટ્રીબ્યુનલનાં ધ્યાન ઉપર આ વાત મૂકી છે કે, હજારો કરોડનાં આ પ્રોજેક્ટથી ગીરનાં સિંહો જે આ કોસ્ટલ બેલ્ટ ઉપરનાં રક્ષિત જંગલોમાં મુકત રીતે ફરે છે તેનો માઇગ્રેશન રૂટ કપાઇ જવાની પુરી શક્યતા છે. વળી આ પ્રોજેક્ટ વિસ્તાર નજીક બે વિશાળ બંધારા તથા ત્રણ રક્ષિત જંગલો પણ આવેલા છે.
જે આ પ્રોજેક્ટથી સંપુર્ણ નાશ પામી પર્યાવરણનું ધનોત પનોત નોતરશે જેમાં કોઇ શંકા નથી ત્યારે મુઢ્ઢીભર લોકોનાં સ્વાર્થ ખાતર આવનારા આ પ્રોજેક્ટ અંગે દિલ્હીની ગ્રીન ટ્રીબ્યુનલમાં રીટ અરજી કરાતા ગ્રીન ટ્રીબ્યુનલે ભારતનાં વન અને પર્યાવરણ મંત્રાલય, ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડનાં સભ્ય સચિવ, જૂનાગઢ જિલ્લા કલેક્ટર તેમજ શાપુરજી પાલોનજી એન્ડ કંપનીને નોટીસ ઇસ્યુ કરવામાં આવી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-national-green-tribunal-against-a-notice-to-all-responsible-2591033.html

ગીરમાં ભૂકંપને શાંત કરવા ૨૫ દંપતિ-૧૦૧ બ્રાહ્નણોની યજ્ઞવિધી.


 
 Source: Bhaskar News, Talala   |   Last Updated 1:43 AM [IST](26/11/2011)
- હરિપુર (ગીર)માં ભૂમિશાંતિ યજ્ઞમાં શ્રધ્ધાની હેલી
- ૨૫ દંપતિએ આહુતી આપી : ૧૦૧ બ્રાહ્નણોએ યજ્ઞવિધી કરાવી
- મહામૃત્યુંજય મંત્રનાં જાપ સાથે દિવસભર યજ્ઞવિધી ચાલી
ગીર પંથકમાં ભૂકંપનાં આંચકાથી ધ્રુજતી ધરાને શાંત કરવા તાલાલાના ધારાસભ્ય યજમાન પદે ભૂમિશાંતિ યજ્ઞમાં આજે ગીર પંથકનાં પંદર હજારથી વધુ લોકોએ ભાગ લીધો હતો. સવારે શરૂ થયેલા યજ્ઞમાં ૨૫ નવદંપતિઓએ ધાર્મિક મંત્રોચ્ચાર સાથે ધરતીમાતાને આહુતી આપી હતી.
તાલાલા પંથકનાં ૧૧ ગામોનાં સરપંચો અને હરીપુર - હીરણવેલનાં મળી કૂલ ૨૫ દંપતિઓએ યજ્ઞકાર્યમાં ભાગ લીધો હતો. રમણીકભાઇ નારણભાઇ મીંજરોલા (સરપંચ - હરીપુર), ભગવાનજીભાઇ પુનાભાઇ મકવાણા (સરપંચ - હીરણવેલ), દેવરાજભાઇ ખોડાભાઇ પાતર (સરપંચ - સાંગોદ્રા), દેવાભાઇ કરશનભાઇ ચુડાસમા (માજી સરપંચ - ખીરધાર), લખમણભાઇ મૂળજીભાઇ મજેઠીયા (રમરેચી), વાલજીભાઇ કાનજીભાઇ ગોહીલ (ઉપસરપંચ - ભોજદે), રાજુભાઇ બાવચંદભાઇ પરમાર (ઉપસરપંચ - ચીત્રોડ), રામભાઇ વાલાભાઇ જેઠવા (સરપંચ - ભાલછેલ), દેવેન્દ્રસિંહ કરશનભાઇ ડોડીયા (ઉપસરપંચ - ધણેજ), પ્રવિણભાઇ રામભાઇ વાડીયા (ઉપસરપંચ - જેપુર), લખમણભાઇ મોહનભાઇ ધોકીયા (સરપંચ - સાસણ), રામશીભાઇ ઉકાભાઇ ગાધે (ચીત્રાવડ) સહિતનાં લોકોએ ૨૧ કુંડી લઘુરૂદ્ર માં યજ્ઞવિધી કરી હતી.
ભૂમિશાંતિ યજ્ઞની શરૂઆતથી જ ભાવિકોનો પ્રવાહ હરીપુર (ગીર) ભણી વહેવા લાગ્યો હતો. સવારથી ઉમટેલા ભાવિકો બ્રાહ્નણો દ્વારા થતા મહામૃત્યુંજય મંત્રનાં જાપમાં જોડાયા હતાં. બપોર સુધી યજ્ઞ કાર્ય ચાલ્યા બાદ સાંજે પ વાગ્યે યજ્ઞમાં બીડું હોમવા વખતે પંદર હજારથી વધુ ભાવિકોએ કરેલા બિલેશ્વર દાદાનાં જયઘોષ સાથે યજ્ઞ કાર્ય સંપન્ન થયું હતું. યજ્ઞ કાર્ય બાદ દરેક ભાવિકોએ સમુહ પ્રસાદનો લાભ લીધો હતો.
યજ્ઞ કાર્યનાં પ્રારંભથી જ યજમાન તાલાલાનાં ધારાસભ્ય ભગવાનભાઇ બારડ મંદિરનાં પટાંગણમાં ભગવાનનાં સ્મરણ સાથે યજ્ઞથી ધ્રુજતી ધરા શાંત થાય તે માટે લોકો સાથે પ્રાર્થના કરતા હતાં. પોરબંદર - સોમનાથ - આજોઠા - તાલાલાનાં બ્રાહ્નણોએ શાસ્ત્રી દેવુબાપા ભટ્ટ, શાસ્ત્રી અનીલભાઇ ભટ્ટ, શાસ્ત્રી અતુલભાઇ જોષી (હરીપુર) નાં વડપણ હેઠળ યજ્ઞકાર્ય કરાવેલ. બિલેશ્વર મહાદેવનાં મહંત ભીખનગીરી રામગીરી મેઘનાથીએ યજ્ઞ માટે આવેલા સૌ ભાવિકોને આવકાર્યા હતાં. યજ્ઞ બાદ રાત્રે લોકડાયરામાં ભાવિકો મોટા પ્રમાણમાં મંદિર ખાતે રોકાઇ ગયા હતાં.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-25-couples-and-101-brahmin-done-yagn-for-peace-of-girs-quakes-2593471.html?OF1=

પોરબંદરમાં ઇકો ટુરીઝમ ક્ષેત્રે વિપુલ તકો.

Source: Bhaskar News, Porbandar   |   Last Updated 1:09 AM [IST](26/11/2011)
- જિલ્લાભરમાં ર૧ થી પણ વધુ જળપ્લાવિત વિસ્તારો આવેલા હોવાથી સૌથી વધુ વિદેશી પક્ષીઓ મહેમાન બને છે
પ્રકૃતિને બચાવીને ગ્લોબલ વોર્મિંગ સામે લડત આપી શકાય તેમ છે, તેની સાથે પ્રવાસનનો પણ વિકાસ કરી શકાય છે. પોરબંદર જીલ્લો તેની ભૌગોલિક પરિસ્થિતીને લીધે ઇકો ટુરીઝમ ક્ષેત્રે સારો એવો વિકાસ સાધી શકે તેમ છે. આ બાબતે પોરબંદર બર્ડ કન્ઝર્વેશન સોસાયટીએ મુખ્યમંત્રીને રજુઆત કરી છે. પોરબંદર અને આસપાસના વિસ્તારોમાં આવેલા પક્ષી અભ્યારણ્ય અને જળપ્લાવીત વિસ્તારોમાં ઇકો ટુરીઝમનો વિકાસ કરી શકાય તેમ છે.
સુદામાજી અને ગાંધીજી થી પ્રખ્યાત પોરબંદરમાં સુદામા મંદિર, કીર્તીમંદિર, હરીમંદિર સહીતના દર્શનીય સ્થળો તો છે જ. સાથોસાથ અનેક વિશેષતાઓ રહેલી છે. આ ઉપરાંત ઈકોટુરીઝમ ક્ષેત્રે પણ વિપુલ તકો રહેલી છે. આ બાબતે પોરબંદર બર્ડ કન્ઝર્વેશન સોસાયટીના પ્રમુખ ભરતભાઈ રૂઘાણી, યુ.વી. જોષી તેમજ નરભેશંકરભાઈએ એવું જણાવ્યું હતું કે, નયનરમ્ય દરિયા કિનારો, શહેરની મધ્યમાં સ્થિત પક્ષી અભ્યારણ્ય તથા શહેરની આસપાસ ૨૧ જેટલા જળપ્લાવીત સ્થળો કે જ્યાં દર વર્ષે વિદેશી પક્ષીઓ લાખોની સંખ્યામાં આવે છે. આ યાયાવર પક્ષીઓ માટે પોરબંદરનું સમતાપી વાતાવરણ, વિદેશી પક્ષીઓ માટે માઇગ્રેટરી હાઇવે તથા આસપાસના જળાશયોનો કાદવવાળો વિસ્તાર.
આ તમામ પરિસ્થિતીઓ ભારતીય તથા વિદેશી પક્ષીઓ માટે ખુબ જ અનુકુળતા ભરી છે. આ તમામ પક્ષીઓ માટે પોરબંદરમાં અનુકુળ વાતાવરણ અને પુરતા પ્રમાણમાં ખોરાક ઉપલબ્ધ છે. ઉપરાંત તેમના પ્રજનન માટે પણ પુરતી અનુકુળતાઓ રહેલી છે. આવા વાતાવરણમાં પક્ષીઓ વસવાટ કરીને તેની પ્રજાતિને આગળ વધારી શકે છે. લાખોની સંખ્યામાં વિદેશી પક્ષીઓ પોરબંદરમાં અંદાજે ચાર માસ જેવો સમય વિતાવે છે. શહેરની મધ્યમાં અને માનવ વસ્તીથી તદન નજીક મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ અન્ય કોઇ જગ્યાએ જોવા મળતાં નથી.
પક્ષીવિદ્દો અને સંશોધકો માટે પોરબંદર પક્ષી અભ્યારણ્ય મહત્વનું અને મોડેલ સ્થાન રહયું છે. લાખોની સંખ્યામાં આવતાં વિદેશી પક્ષીઓને જોઇએ લોકો રોમાંચીત બની જાય છે. ઐતિહાસિક અને ધાર્મિક પ્રવાસનની સાથો સાથ પોરબંદરને જો ઇકોટુરીઝમ તરીકે પણ વિકસાવવામાં આવે તો પોરબંદર સમગ્ર વિશ્વમાં અદ્રિતીય બની શકે તેમ છે. પોરબંદરને બર્ડ સીટી તરીકે જાહેર કરીને સરકારે પક્ષી નગરીની મહોર તો લગાવી દીધી છે. ત્યારે ટુરીઝમ વિભાગે પણ આ બાબતે રસ દાખવી પોરબંદરમાં ઇકો ટુરીઝમનો વિકાસ કરે તો સ્થાનિક લોકોને પણ રોજગારીની નવી તકો ઉભી થઇ શકે તેમ છે. ગુજરાત સરકાર ઇકો ટુરીઝમને પ્રોત્સાહન આપે છે ત્યારે પક્ષીઓના તીર્થ સમાન પોરબંદરમાં ઇકો ટુરીઝમ માટે સરકારે વિકાસના કાર્યો હાથ ધરવા જોઇએ.
પોરબંદરમાં આવનાર વિદેશી પક્ષીઓમાં કુંજ પક્ષીની સંખ્યા સૌથી વધુ છે. તેથી જ તેનો શિકાર પણ વધારે થાય છે. કારણકે તેનાં ૮૦૦થી ૧૦૦૦ રૂપિયા ઉપજે છે.
વન વિભાગ સક્રિય બને -
શિયાળો શરૂ થતાંની સાથે જ વિદેશી યાયાવર પક્ષીઓ પોરબંદરના મહેમાન બને છે. આવા સમયે શિકારીઓ પણ સક્રિય બને છે. લાખોની સંખ્યામાં આવતાં વિદેશી પક્ષીઓનો શિકાર પણ મોટા પ્રમાણમાં થાય છે. ત્યારે આ બાબતે વન વિભાગે સક્રિય દાખવીને વિદેશી પક્ષીઓનો બેરોકટોક થતો શિકાર રોકવા માટેના પ્રયત્નો હાથ ધરવા જોઇએ.
જાણિતા પર્યાવરણવિદ્દોએ પણ નોંધ લીધી હતી, રીસર્ચ કર્યું હતું -
પીટર જેકસન નામના પર્યાવરણવિદ્દ જ્યારે પોરબંદર આવ્યા હતા ત્યારે શહેરની મધ્યમાં હજારોની સંખ્યામાં ફલેમીંગો જોઇને તેઓ અભિભૂત બની ગયા હતા. અને તેમણે ભારત સરકારને પત્ર લખ્યો હતો કે માનવ વસ્તીથી તદન નજીક આટલી મોટી સંખ્યામાં વિદેશી પક્ષીઓ માત્ર પોરબંદરમાં જ જોવા મળે છે. પોરબંદરમાં ઇકો ટુરીઝમની વિપુલ તકો રહેલી છે. સરકારે આ બાબતે વિચાર કરીને વિકાસ કરવો જોઇએ. ઉપરાંત હંગેરી અને જર્મનીના પર્યાવરણવિદ્દોએ પોરબંદરમાં જ સૌથી વધુ પ્રમાણમાં વિદેશી પક્ષીઓ કેમ આવે છે તેના પર રીસર્ચ કર્યું હતું.
પોરબંદરમાં ક્યા ક્યા પક્ષીઓ આવે છે -
પોરબંદરની આસપાસના વિસ્તારોમાં ફલેમીંગો, પેલીકન, તિલીયાળી બતક, સુરખાબ, સિસોટી બતક, કુંજ પક્ષી, વિવિધ બગલાઓ, ગુલાબી અને રૂપેરી પેણ, જલમુઘીઁ, ગજપાવ, લીલો મધખાઉ, કલકલીયા, રોઝી સ્ટરલીંગ(વૈયા) જેવા પક્ષીઓ તો સામાન્ય રીતે જોવા મળે જ છે. ઉપરાંત અલભ્ય જાતિના રાજહંસ, સારસ, સ્પોટેડ ઇગલ અને ઇવોસેટ પણ પોરબંદરમાં જોવામાં આવે છે.અંદાજે ૨૫૦ જેટલી પ્રજાતિઓના પક્ષીઓ જોવા મળે છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-abundant-opportunities-for-eco-tourism-in-porbandar-2593509.html?OF10=

Friday, November 25, 2011

ગિરના જંગલ વિસ્તારમાં ૧૫૦ સિંહ બાળનો જન્મ.

ચોમાસાની ઋતુમાં સિંહોના મેટીંગ પિરીયડ બાદ

જૂનાગઢ,તા.૨૪
ચોમાસાની ઋતુમાં સિંહોના સંવનન કાળ બાદ મોટા ભાગની પુખ્તવયની સિંહણ ગર્ભવતી બની હતી. અને હાલ એક અંદાજ પ્રમાણે ૧૫૦ જેટલા સિંહ બાળકનો જન્મ થયો છે. સાસણ નજીકના પ્રવાસન ઝોન વિસ્તારમાં દસથી બાર તેમજ કમલેશ્વર ડેમ સાઈટ પર પાંચેક સિંહ બાળ જોવા મળ્યા છે.
સાસણ નજીકના પ્રવાસન ઝોન વિસ્તારમાં દસથી બાર તથા કમલેશ્વર ડેમ સાઈટ પર ચારથી પાંચ બચ્ચા જોવા મળ્યા
૧૫ જૂનથી સત્તાવાર રીતે ચોમાસાનો પ્રારંભથાય છે અને સિંહોનો સંવનન કાળ પણ આ સમય દરમિયાન જ હોય છે.એટલા માટે ૧૫ જૂનથી ૧૬ ઓકટોબર દરમિયાન વનરાજોનું વેકેશન શરૃ થાય છે અને તેઓને કોઇ ખલેલ ન પહોંચે એ માટે પ્રવાસીઓ માટે જંગલમાં જવા પર પ્રતિબંધ મુકવામાં આવે છે. ગિર જંગલ વિસ્તારમાં ૧૬૭ જેટલી સિંહણો છે. તેમાંથી ૧૨૦ જેટલી પુખ્ત વયની સિંહણ ગર્ભવતી બની હતી. સિંહણનો ગર્ભાવસ્થાનો સમય ૧૦૦થી ૧૦૫ દિવસના હોય છે. તેમાં હાલ મોટાભાગની સિંહણોએ સિંહ બાળને જન્મ આપતાં હાલ જંગલમાં સિંહ બાળની સંખ્યા અંદાજે ૧૫૦ જેટલી થઇ ગઇ છે. આ અંગે સાસણના ડી.સી.એફ. ડો. સંદીપકુમારે જણાવ્યું હતું કે સિંહોના સંવનન કાળ બાદ હાલ કમલેશ્વર ડેમ સાઇટ પર પાંચેક બચ્ચાં તેમજ સાસણ નજીકના પ્રવાસન ઝોન વિસ્તારમાં દસથી બાર સિંહ બાળ જોવા મળ્યા છે.
સાસણ જંગલ વિસ્તાર ઉપરાંત વિસાવદર, ગિરનાર જંગલ, ઉના, તાલાલા સહિતના વિસ્તારોમાં પણ સિંહબાળનો કિલકિલાટ સંભળાવા લાગ્યો છે. જેથી સિંહ પ્રેમીઓમાં આનંદ છવાયો છે.
પ્રવાસન ઝોન વિસ્તારમાં દસથી બાર સિંહ બાળ જોવા મળ્યા છે. સાસણ જંગલ વિસ્તાર ઉપરાંત વિસાવદર, ગિરનાર જંગલ, ઉના, તાલાલા સહિતના વિસ્તારોમાં પણ સિંહબાળનો કિલકિલાટ સંભળાવા લાગ્યો છે. જેથી સિંહ પ્રેમીઓમાં આનંદ છવાયો છે.
Source: http://www.gujaratsamachar.com/20111125/gujarat/ahd1.html

ભેટાળી ગામની વાડીમાં પાંચ વર્ષનો દીપડો પાંજરે પુરાયો.

વેરાવળ તા.૨૪
વેરાવળ તાલુકાના ભેટાળી ગામે વાડી વિસ્તારમાં ગોઠવેલા પાંજરામાં મારણની લાલચે દિપડો વ્હેલી સવારે પાંજરે પુરાઇ ગયો હતો. આ દિપડાને સાસણગીર એનીમલ હેલ્થ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો.
  • દીપડાને સાસણ ગીર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડાયો
તાલાળા પંથકમાં ધરતીકંપના આંચકા રોજ અનુભવી રહ્યાં છે.ત્યારે વેરાવળ પંથકમાં દિપડાઓ ભય ફેલાવી રહયા છે.વધારામાં હાલ ગોળના રાબડા અને શેરડીની કટાઇ ચાલુ હોય આ વાડોમાં દિપડાઓ પડયા પાર્થયા રહે છે.શેરડીના વાડમાં પરપ્રાંતિય મજુરો મજુરીકા કરી રાત્રે વાડીમા ઝુંપડામાં સુઇ જતા હોય જેના કારણે દિપડાઓ વાડીમાં આ લોકો પર હુમલો કરે છે.આજે તાલુકાના ભેટાળી ગામે છેલ્લા કેટલાક દિવસથી દિપડો ભય ફેલાવતો અને આંટાફેરા કરતો હતો.વનવિભાગે આ જગ્યાએ ધીરૂભાઇની વાડીમાં પાંજરૂ મુકી મારણ મુકતા હતા ત્યારે આજે વ્હેલી સવારે પાંચ કલાકે દિપડો મારણની લાલચે આબાદ ઝડપાઇ જતા ગામલોકોએ હાશકારો અનુભવ્યો હતો.દિપડી પોંચ વર્ષની ઉંમરની ત્રણ ફુટ લાંબી અને છ ફુટ લંબાઇ ધરાવતી હતી.આ દિપડીને વનવિભાગ દ્વારા સાસણગીર એનિમલ કેર સેન્ટર ખાતે ખસેડવામાં આવી હતી.
હજુ પણ બોળાશ અને ઇશ્વરીયા ગામે પાંજરા ગોઠવાયેલા છે.વનવિભાગ દ્વારા જ્યાં દિપડા રંજાડતા હોય તેના સમાચાર મળતા દોડી જઇ પાંજરૂ મુકવાની કાર્યવાહી હાથ ધરી છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=11626

રેવન્યુ વિસ્તારોમાં વસતા સાવજોનો કાળો કહેર.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:33 AM [IST](25/11/2011)
ધારી, સાવરકુંડલા તાલુકામાં સાવજોએ સાત પશુનું મારણ કર્યું
સાવજોની વસતી જેમ જેમ વધતી જાય છે તેમ તેમ આ સાવજો અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં તેનો વ્યાપ વધારતા જાય છે. વાત માત્ર આટલેથી અટકતી નથી પરંતુ આ સાવજો પોતાના પેટની ભુખ ભાંગવા માલધારીઓ અને ખેડૂતોના ઉપયોગી માલઢોરનું મારણ પણ કરતા રહે છે.
પાછલા ૨૪ કલાકમાં ધારી તાલુકાના કોટડા, સાવરકુંડલાના ઠવી અને ભેંકરા ગામની સીમમાં સાવજોએ જુદી જુદી ચાર ઘટનામાં સાત પશુઓનું મારણ કર્યું હતુ. બૃહદ ગીરમાં જેનો સમાવેશ થઇ જાય છે તે અમરેલી જીલ્લાના રેવન્યુ વિસ્તારમાં વસતા સાવજો હવે પશુઓના મારણ કરી કાળો કેર વર્તાવી રહ્યા છે પાછલા ૨૪ કલાકમાં મારણની આવી જુદી જુદી ચાર ઘટના બની છે.
ધારી તાલુકાના કોટડા ગામની સીમમાં બે સાવજોએ અહિંના ગોકળભાઇ હરખાણીની એક પાડીનું મારણ કરી નિરાંતે પોતાનું પેટ ભયું હતુ. આવી જ રીતે ધારી તાલુકાના ઝરપરા ગામની સીમમાં પણ બે સાવજોએ જાફરભાઇના બળદનું મારણ કર્યું હતુ. મારણની અન્ય એક ઘટના સાવરકુંડલા તાલુકાના ઠવી ગામની સીમમાં બની હતી.
ઠવી ગામની સીમમાં બે સાવજોએ ભાનુભાઇ વાઘેલાના ચાર ઘેંટા મારી નાખ્યા હતા. વળી સાવરકુંડલા તાલુકાના જ ભેંકરા ગામની સીમમાં એક સિંહે મેઘાભાઇ બગડાની એક દુજણી ગાયને મારી નાખી હાહાકાર મચાવ્યો હતો. સાવરકુંડલા, ધારી, ખાંભા, લીલીયા અને અમરેલી તાલુકામાં આ રીતે સાવજો દ્વારા દરરોજ કોઇને કોઇ પશુનું મારણ કરવામાં આવે છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-revenue-in-the-black-areas-in-lions-2591011.html

ડિસેમ્બરમાં પણ સાસણ રહેશે ફેવરિટ ડેસ્ટિનેશન.

Source: Falguni Daraji, Ahmedabad   |   Last Updated 1:02 AM [IST](25/11/2011)
એશિયાટિક લાયન સાથે મેમોરેબલ ટ્રિપ માણવાનો શ્રેષ્ઠ સમય, શહેરવાસીઓ ઉત્સાહમાં
વિચારો કે તમે ચાંદની રોશનીમાં આકાશ સામે જોઇને બેઠા હોવ, ફુલ ગુલાબી ઠંડી હોય અને અચાનક જ સિંહની ગર્જના સંભળાય આ વિચાર માત્રથી મનમાં રોમાંચ ઉદ્ભવે છે, પરંતુ તમે પણ આવો અનુભવ કરવા માંગતા હોવ તો સાસણગીર જઇને તમે આવો અનુભવ કરી શકો છો. શહેરના સેંકડો લોકો આ અનુભવ લઈ ચૂક્યા છે અને ડિસેમ્બરમાં પણ સાસણગીર શહેરવાસીઓનું ફેવરિટ ડેસ્ટિનેશન રહેશે.
તાજેતરમાં જ સાસણગીરની મુલાકાત લઇને આવેલા પંકજભાઇ શાહે જણાવ્યું કે, અમે પ્રથમ વખત સાસણગીરની મુલાકાતે ગયા હતા, પરંતુ ખરેખર આ મુલાકાત ખૂબ જ યાદગાર રહી. ટેન્ટમાં રહીને ચાંદનીમાં રહેવાનો મોકો પણ પહેલી વાર મળ્યો. જ્યારે પારુલ બહેને જણાવ્યું કે, ખુશ્બૂ ગુજરાત કી જોયા પછી સાસણ ગીરની ખૂબસૂરતી વિશે જોવા મળ્યું. ત્યારબાદ અમે આ વખતે સાસણગીરની ટૂર કરી હતી. સાસણ ગીરનો અનુભવ રોમાંચક રહ્યો. સિંહ જોવાની સાથે રાત્રે ત્યાં રહેવાનો અનુભવ પણ ખૂબ જ સારો રહ્યો.
મજા આવશે છકડાની રાઇડમાં
આ વર્ષે સાસણ ગીરના પેકેજમાં દરેક મુસાફરને ખાસ રાઇડ કરાવવામાં આવે છે. સૌરાષ્ટ્રની શાન એવા છકડામાં દરેક ટૂરિસ્ટને રાઇડ કરાવવામાં આવે છે. આ વખતે સાસણ ગીરની મુલાકાતે ઘણા-બધાં ફોરેનર્સ પણ આવી રહ્યાં છે. ફોરેનર્સ પણ છકડાની રાઇડનો આનંદ ઉઠાવી રહ્યાં છે. તમે પણ છકડાની રાઇડ કરીને એક અલગ અનુભવ લઇ શકો છો.
એનઆરઆઈનો વધારો
ટૂરિઝમ ડેવલપમેન્ટ સોસાયટીના ચેરમેન મનીષ શર્માએ જણાવ્યું કે, નવેમ્બરથી જાન્યુઆરી મહિના દરમિયાન સાસણ ગીરની મુલાકાત માટે શ્રેષ્ઠ સમય છે. ગયા વર્ષે આ ત્રણ મહિના દરમિયાન ૧૫ થી ૨૦ હજાર ટૂરિસ્ટે સાસણગીરની મુલાકાત લીધી હતી. જ્યારે આ વર્ષે દિવાળીમાં જ ૫૦ હજાર જેટલા ટૂરિસ્ટો સાસણની મુલાકાત લઇ ચૂક્યા છે. આગામી ૩૧ ડિસેમ્બર સુધી લગભગ તમામ બુકિંગ થઇ ગયું છે. આ વખતે ભારતના બેંગલોર, હૈદ્રાબાદ, પુના , દિલ્હીથી વધારે લોકો ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. જ્યારે એનઆરઆઇ સીઝનમાં ફોરેનર્સની સંખ્યામાં પણ વધારો થશે.
કાચી કેરીનો બાફલો પીરસવામાં આવે છે
સાસણમાં ખાસ ટૂરિસ્ટ માટે એસી ટેન્ટ તૈયાર કરવામાં આવ્યા છે. આ પ્રવાસનું પેકેજ બે રાત્રિ અને ૩ દિવસનું હોય છે. જેમાં જમવા સહિત સફારીનો પણ સમાવેશ થાય છે. રાત્રે ચાંદનીમાં રાજસ્થાનનો કાલબેલિયા ડાન્સ, લાંગા અને સિદ્દી ડાન્સ પરર્ફોમ કરવામાં આવે છે. આની સાથે-સાથે દરેક ટૂરિસ્ટને કાચી કેરીનો બાફલો આપવામાં આવે છે.
Source: http://www.divyabhaskar.co.in/article/MGUJ-december-will-be-a-favorite-destination-sasan-2590809.html?HFL-17=

ભેંસાણના સામતપરાની સીમમાં ૧૪ સિંહોએ ઊંટનું મારણ કર્યું.

 Source: Bhaskar News, Bhensan   |   Last Updated 12:06 AM [IST](25/11/2011)
ભેંસાણ તાલુકાનાં સામતપરા ગામની સીમમાં આવેલી વીડીમાં એકી સાથે ૧૪ સાવજોનાં પરિવારે એક ઊંટનું મારણ કરી આરામથી ભોજન કર્યું હતું.
ગઇકાલે ઉત્તર ડુંગર રેન્જમાં રણશીવાવ નાકેથી ૧૪ સિંહોનો આખો પરિવાર એક ઊંટની પાછળ પડ્યો. આખરે સાવજોએ સામતપરા ગામની સીમમાં આવેલી વીડીમાં ઊંટને પછાડવામાં સફળતા મેળવી હતી અને સિંહ પરિવારે ભરપેટ ભોજન કરી જંગલની વાત પકડી હતી.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-camel-of-killer-had-14-lions-2590064.html?HFL-11=

અરે! આ પેન તો પ્રાણીનું નામ પણ બોલે છે!


Source: Bhaskar News, Surat   |   Last Updated 1:26 AM [IST](25/11/2011)
કોઈ પેનને તમે બોલતાં સાંભળી છે? તેને ચોપડીની અંદરના પ્રાણી પર મૂકતાં તેનું નામ બોલે છે? નહીં ને પણ સુરત મહાનગરપાલિકા દ્વારા આયોજિત મોન્ટેસોરી વર્લ્ડ દ્વારા ઇ-પેન લોન્ચ થઈ છે. આ પેનને સાથે આપેલી ચોપડીમાં કોઈ પણ જગ્યાએ મૂકો તો તે ચિત્રનું નામ બોલે.
પ્લે ગ્રુપની ચોથા ધોરણના બાળક માટે ગમ્મત સાથે જ્ઞાન મેળવવા આ પેન ઉત્તમ છે. સિંગાપોરના મોન્ટેસોરી વર્લ્ડ દ્વારા બનાવવામાં આવેલી આ પેનનું નામ ઇ-પેન છે. જેનો અવાજ નાના બાળક જેવો જ હોય છે. આ અંગે વડોદરાના મોન્ટેસોરી વર્લ્ડના માલિક મનીષ શાહ કહે છે, ‘આ પેન અમે સિંગાપુરથી ઇમ્પોર્ટ કરીએ છીએ. ગઇકાલે જ અમે આ પેન લાવ્યા છીએ. આ પેનને મેજિક પેન પણ કહી શકાય, સાથે આપેલા બુક સેટની ઉપર ગમે ત્યાં પેન મૂકતાં પેન તે વસ્તુ, સ્થળ, વ્યક્તિ, પ્રાણીનું નામ બોલે.’
પેનનું બટન ઓન કરતાં પેન ઓટોમેટિક ચાલવા લાગશે. આ પેનની સાથે દુનિયાના ૩૨ નકશા અને આઠ અલગ અલગ બુકસ આવે છે જે ધોરણ ૪ સુધી ઉપયોગી હોય છે.
પેન વિશે મનીષ શાહ કહે છે, ‘આ પેન ચાર્જેબલ છે તેમાં યુ.એસ.બી કનેકશન આપ્યું છે તેને કલેકટ કરતાં તે ચાર્જ થઈ જશે અને ચાર જીબીનું સ્ટેજ હોવાથી તેમાં કોઈ પણ પ્રકારના સોફ્ટવેર પણ નાંખી શકાય છે. ઘેનમાં ગેમ પણ આવે છે જો કોઈ વિદ્યાર્થી એટલસ પર આ પેન રાખે અને ગેઇમનું બટન દબાવે તો પેન એક સવાલ પૂછે છે સાચા જવાબોના વખાણ કરે છે અને ખોટા જવાબ માટે ટ્રાયલ અગેઇન કહે છે. આ પેનલની વધુ ખાસિયત એ છે કે એમાં પી થ્રી પ્લેયર પણ છે. આમાં સોંગ અપલોડ કરીને તેને વગાડી પણ શકાય છે.’ આ પેનની કિંમત R ૬૦૦૦ છે પરંતુ ફેરમાં R પ૧૦૦માં વેચાય છે.

Source: http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-e-pan-launch-in-surat-2590333.html?HFL-9=

Thursday, November 24, 2011

આશ્રમમાં પૂજા-અર્ચન સમયે ઝેરી મધમાખીનું ઝૂંડ ત્રાટકતાં નાસભાગ.


સાવરકુંડલા,તા.ર૩:
સાવરકુંડલા તાલુકાનાં સેંજળ આશ્રમ ખાતે પૂજા-અર્ચન સમયે ઝેરી મધમાખીનું ઝૂંડ ત્રાટકતા નાસભાગ મચી હતી. ઝેરી મધમાખીએ સાત વ્યકિતને ડંખ મારતા સાત પૈકી ચારને હોસ્પિટલે ખસેડાયા હતા. ડંખનો ભોગ બનેલા રસોયાએ તો બળતરાંથી બચવા માટે એક કિ.મી. દોડી પાણીના અવેડામાં ઝંપલાવી દીધું હતું.
  • સાતને ડંખ માર્યા : રસોયાએ એક કિ.મી. દોડી પાણીનાં અવેડામાં ઝંપલાવ્યું
વિગત અનુસાર સાવરકુંડલાના સેંજળ ધ્યાનસ્વામીબાપા આશ્રમ ખાતે સાંજે પૂજા અર્ચના સમયે અચાનક ઝેરી મધમાખીના મોટા ઝુંડે આક્રમણ કરી પુજારી, રસોયા સાથે અન્ય સાતેક વ્યકિતઓના હાથ, મોં અને પગના ભાગે ડંખ મારતા ભારે નાસભાગ મચી જવા પામેલ હતી. જયારે રસોયા દાદા એક કિ.મી. દૂર સુધી દોડી પ્રાથમિક શાળાની સ્કૂલ સુધી પહોંચી ગયા હતા અને પાણીના અવેડામાં ખાબકી ઝેરી ડંખની બળતરાથી થોડી ઘણી રાહત અનૂભવી હતી.
ઝેરી મધમાખીના આતંકનો ભોગ બનેલાઓને સાવરકુંડલા સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતાં. જેમાં નાજભાઈ લખુભાઈ ખાચર (ઉ.વ.૬૫) અનકભાઈ સાર્દુળભાઈ ખુમાણ, લાલજી ભાઈ ડાયાભાઈ કાનાણી, સમાધિ આશ્રમના રસોયા નટુદાદા જોષીને સારવાર આપવામાં આવી હતી.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=11297

વેરાવળના ઇશ્વરીયામાં દિપડાનો પરપ્રાંતિય મહિલા ઉપર હુમલો.



વેરાવળ તા.૨૩
 વેરાવળ પંથકમાં દિપડાનો ત્રાસ ફરી વધી રહ્યો છે. વાડીમાં ખુલ્લા ઝુંપડામાં મીઠી નિંદર માણી રહેલા એક પરિવારની મહિલા પર હુમલો કરી આંખ અને હોઠ પર ગંભીર ઇજાઓ કરતા દેકારો મચી જતા નાસી છુટયો હતો.આ મહિલાને વેરાવળ હોસ્પિટલે ખસેડવામાં આવી હતી.વનવિભાગે આ જગ્યાએ પાંજરૂ ગોઠવી દીધુ છે.
  • મહિલાને આંખ અને હોઠના ભાગે ઇજા કરી નાસી છૂટયોઃવનવિભાગે પાંજરૂ ગોઠવ્યુ
ઇશ્વરીયા ગામે ઉકા કરશન જાદવની વાડીમાં ખુલ્લા ઝુંપડા બાંધી મજુરી કામ કરતા લોકો રહે છે અને મજુરી કરી પેટીયુ રળે છે. પરપ્રાંતિય મહિલા રેખાબેન રમેશભાઇ સુમારીયા (ઉ.વ.૩૫) નામની મહિલા ખુલ્લામાં સુતી હતી ત્યારે લાઇટ પણ ન હોય અંધારામાં દિપડાએ આવી હુમલો કરતા આંખ અને હોઠ પર નહોર ભરાવી દીધા હતા.અચાનક જ થયેલા હુમલાથી પરિવારજનો અને આજુબાજુના લોકોએ જાગીને દેકારો મચાવતા આ દિપડો અંધારામાં જ નાસી ગયો હતો.
મહિલાને ગંભીર ઇજાઓ પંહોચાડતા આંખની હોસ્પિટલે અને બાદમાં પ્રાઇવેટ હોસ્પિટલમાં ખસેડી ઓપરેશન હાથ ધરાયુ હતુ. આ અંગે વનવિભાગને જાણ કરતા વનવિભાગે આ વાડીમાં પાંજરૂ ગોઠવી દીધુ છે. હાલ શેરડીની કટાઇ ચાલતી હોય દિપડાના હુમલા અને પાંજરે પુરાવાના બનાવોમાં સવિશેષ વધારો થશે કારણ કે આ વિસ્તારમાં દિપડાને ખાવાનુ, છુપાવવાનુ ખેતરો અને કોતરો તથા પથ્થરો અને હિરણનુ પીવાનુ પાણી ત્રણેય મળતા તે સ્થાયી થઇ જાય છે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=11290

લીલીયા પંથકમાં વસતા હરણોને ખતરો.

Source: Bhaskar News, Liliya   |   Last Updated 12:47 AM [IST](24/11/2011)
- ૧૫ વર્ષ પહેલા આ વિસ્તારને હરણના અભ્યારણ તરીકે જાહેર કર્યો હતો
- પીવાના પાણી સહિત કોઇપણ પ્રકારની સુવિધા નથી
આમ તો અમરેલી જીલ્લાના લગભગ તમામ રેવન્યુ વિસ્તારમાં હરણનો વસવાટ છે. પરંતુ લીલીયા તાલુકાના અંટાળીયા, સાજણટિંબા વગેરે ગામની સીમમાં એક સાથે ૧૫૦ થી ૧૬૦ જેટલા હરણ કાયમી ધોરણે વસી રહ્યા છે.
સરકારે પંદર વર્ષ પહેલા આ વિસ્તારને હરણના અભ્યારણ્ય તરીકે જાહેર કર્યો હતો પરંતુ અહિં હરણ માટે પિવાના પાણીથી લઇને કોઇ જ પ્રકારની સુવિધા નથી. આ અંગે વન પ્રકૃતપિ્રેમીઓમાં ભારે કચવાટ જોવા મળી રહ્યો છે.
લીલીયા તાલુકાના અંટાળીયા, સાજણટિંબા, લુવારીયા અને જાત્રુડા ગામની સીમમાં દાયકાઓથી નાજુકડા હરણોનો વસવાટ છે. આ વિસ્તાર હરણને માફક આવી ગયો હોય તેની વસ્તી ફુલીફાલી રહી છે. અહિંથી થોડાક કી.મી. દુર સાવજોનો પણ વસવાટ છે. પરંતુ સાવજો મહદ અંશે હરણના વિસ્તારમાં આવતા ન હોય તેઓ નિર્ભયપણે ફુલીફાલી રહ્યા છે.
હાલમાં આ વિસ્તારમાં ૧૫૦ થી ૧૬૦ જેટલા હરણનો વસવાટ છે. નિર્દોષ ભાવે આમથીતેમ ઉછળકુદ કરતા હરણોને નિહાળવા તે પણ અદભુત લ્હાવો છે. રાજ્ય સરકાર દ્વારા દોઢેક દાયકા અગાઉ અહિં અભ્યારણ્ય જાહેર કરવામાં આવ્યુ હતુ. પરંતુ ત્યારબાદ તેના વિકાસ માટે કોઇ પગલા લેવાયા નથી. અહિં હરણને પિવાનું પાણી મળી રહે તે માટે પવનચક્કી બનાવવામાં આવી હતી. પરંતુ આજે આ પવનચક્કીનું નામોનિશાન પણ નથી.
અહિં વસતા હરણો સલામત રહી શકે અને કોઇ જ પ્રકારના ખલેલ વગર તેની વસતી વધતી રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા ઉચીત પગલા લેવામાં આવે તેવી પ્રકૃતિ પ્રેમીઓએ માંગ ઉઠાવી છે. અન્યથા માણસોની સતત ખલેલ વચ્ચે આ હરણો અહિં સલામત નહી રહે તે નક્કી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-danger-to-deer-who-is-lived-in-liliya-2587326.html

ધારીના જીરામાં દેવીપૂજક મહિલા પર દીપડાનો હુમલો.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 12:06 AM [IST](24/11/2011)
- સામાન્ય ઇજા સાથે મહિલાને સારવાર માટે ખસેડાઇ
અમરેલી જિલ્લામાં જેમ જેમ દીપડાની સંખ્યા વધતી જાય છે તેમ તેમ દીપડા દ્વારા માણસ પર હુમલાની ઘટના પણ વધતી જાય છે. આજે વહેલી સવારે ધારી તાલુકાના જીરા ગામે દીપડાએ એક દેવીપૂજક મહિલા પર હુમલો કર્યો હતો. સામાન્ય ઇજા સાથે આ મહિલાને સારવાર માટે ધારી દવાખાને ખસેડાઇ હતી.
દીપડા દ્વારા મહિલા પર હુમલાની આ ઘટના ધારી તાલુકાના જીરા ગામે વહેલી સવારે બની હતી. જીરા ગામની મુકતાબેન ચંદુભાઇ ચારોલા નામની દેવીપૂજક મહિલા આજે વહેલી ઉઠી ફળીમાં ધરકામ કરતી હતી ત્યારે ક્યાકથી ચડી આવેલા દીપડાએ તેના પર હુમલો કરી દીધો હતો. જો કે આ મહિલાએ રાડારાડ કરતા તેનો પતિ જાગી ગયો હતો. મુકતાબેનના પતિ ચંદુભાઇએ દોડી આવી પ્રતિકાર કરતા દીપડો નાસી છુટ્યો હતો.
અલબત દીપડાના હુમલામાં મુકતાબેનને કોઇ ગંભીર ઇજા પહોંચી ન હતી. તેમને સારવાર માટે ધારીના સરકારી દવાખાને ખસેડવામાં આવ્યા હતા. ફોરેસ્ટર નિલેષભાઇ વેગડા વગેરેએ દવાખાને દોડી જઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી હતી. અમરેલી જીલ્લામાં દીપડાઓની વધતી સંખ્યા સાથે માણસ પર હુમલાઓની ઘટના પણ વધતી જાય છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-leopards-attack-on-dharis-jira-village-on-women-2587323.html

લોકફાળાથી નિર્મીત ‘પક્ષીઘર’નું કામ અધુરૂં.

Source: Bhaskar News, Talala   |   Last Updated 1:35 AM [IST](24/11/2011)
 - તાલાલા પંથકના ધાવા (ગીર)માં સરકારી તંત્રનાં અધિકારીઓની નીતિને લીધે કામ અધુરૂં
- સીડમની યોજનામાં સર્વે કરી આવરી લેવામાં તંત્રનાં ઠાગા ઠૈયાથી લોક રોષ
તાલાલાનાં ધાવા (ગીર) ગામે ગ્રામપંચાયત અને ગ્રામજનોએ પક્ષીઓને આશ્રય, ખોરાક મળી રહે તે હેતુથી અંદાજે પાંચ લાખનાં ખર્ચે ગામમાં ‘જટાયુ પક્ષીઘર’ બનાવેલ છે.
તે પક્ષીઘર હેઠળ સત્સંગ હોલ સહિતનાં કામો બાકી હોય રાજ્ય સરકારે ગ્રામપંચાયતોમાં વિકાસની તંદુરસ્ત હરીફાઇ થાય અને ગામડાઓમાં સારા કામો થાય તે હેતુથી ૧૩માં નાણાપંચમાં સીડમની યોજના હેઠળ ગામડાઓમાં થતી સારી કામગીરીનો સર્વે કરી તે કામોને પુરસ્કાર રકમ આપવાનું નક્કી કરેલ. પરંતુ તાલાલા તાલુકા પંચાયતનાં અધિકારી અને જિલ્લા પંચાયતનાં જવાબદાર અધિકારીઓ ધાવા (ગીર) માં બનેલ પક્ષીઘરનો સર્વે કરવા અવાર - નવાર રજુઆતો બાદ પણ આવતા ન હોય સરકારી તંત્રની બેદરકારીભરી નીતિથી પક્ષીઘરનું અધુરૂ કામ આગળ થઇ શકતુ ન હોય ધાવા (ગીર)નાં ગ્રામજનો અને ગ્રામપંચાયત શાસકો અન્યાય થયાની લાગણી અનુભવે છે.
રાજ્યની તમામ પંચાયતોને સરકારે સીડમ ગ્રાન્ટ આપી હીરફાઇની ભાવના ઉભી કરી સારી કામગીરી કરનાર ગ્રામ પંચાયતને પ્રોત્સાહક પુરસ્કાર આપવાનું નક્કી થયેલ જિલ્લા પંચાયત દ્વારા ધાવા ગામને કેટેગરી - ૨ હેઠળ ૨૦૧૦/૧૧ નાં વર્ષ માટે ૭૫૦૦૦ ની સીડમ ગ્રાન્ટ આપેલ જેમાં ધાવાનાં ગ્રામજનોએ ૪,૬૮,૯૬૮ નો લોકફાળો કરી સાડા પાંચ લાખનાં ખર્ચે પંચાયત પરીસરમાં પક્ષીઘર બનાવેલ જેનાં વહિવટીપણે તલાટી મંત્રી મારફત સમય મર્યાદામાં સરકારમાં મોકલી આપેલ. પરંતુ આજ સુધી જિલ્લા કે તાલુકાનાં જવાબદાર અધિકાીઓ દ્વારા ધાવા ગામમાં બનેલ પક્ષીઘરનો સર્વે કરવામાં આવેલ નથી.
પક્ષીઘર હેઠળ ગામનાં લોકો માટે સત્સંગ ભવનનું કામ કરવાનું બાકી હોય પરંતુ સરકારી તંત્ર થયેલ કામગીરીનું સર્વે કરી ગ્રામપંચાયતને પુરસ્કાર રૂપે રકમ મળે તેમાં ભારે આળસ દાખવતું હોય ધાવા (ગીર) નાં ગ્રામજનોમાં અધિકારીઓની નીતિ સામે ભારે લોકરોષ ઉઠ્યો છે. ધાવા (ગીર) નાં અગ્રણી અને તાલુકા ભાજપ મહામંત્રી વિજય કનેરીયાએ જણાવેલ કે તાલાલા તાલુકા વિકાસ અધિકારી અને જિલ્લા વિકાસ અધિકારીને અવાર-નવાર મૌખિક રજુઆતો કરવાં છતા ધાવા (ગીર) માં સર્વે થતો ન હોય સરકારીતંત્ર ગ્રામપંચાયતો સાથે રાગદ્વેષથી કામ કરે છે. ધાવા (ગીર) નાં ‘પક્ષીઘર’ નું તાકિદે સર્વે કરવા ગ્રામજનોમાંથી ઉગ્ર લોકમાંગ ઉઠી છે.
‘પક્ષીઘર’ બેનમૂન હોવાનું મંત્રીએ સ્વીકારેલ છે –
ધાવા (ગીર) નાં ગ્રામજનોએ બનાવેલ પક્ષીઘર બેનમૂન હોવાનું પક્ષીઘર નિહાળી સરકારનાં મંત્રી વાસણભાઇ આહીરે સ્વીકારેલ છતાં સરકારીતંત્રને ગ્રામજનોની સારી કામગીરી દેખાતી ન હોય તેમ સર્વે કરવા ઠાગા ઠૈયા કરતા પક્ષીઘરનું અધુરૂ કામ અટકી પડ્યું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-birds-house-works-is-not-completed-which-was-created-by-peoples-contribution-2588399.html?OF5=

પક્ષીઓના અભાવે ખીજડિયા સૂનુસૂનુ.


Source: Bhaskar News, Jamnagar   |   Last Updated 12:51 AM [IST](24/11/2011)
- નવેમ્બર પૂરો થવા આવ્યો છતાં યોગ્ય વાતાવરણ નિર્માણ નહીં થતા વિદેશી મહેમાનોના આગમનમાં વિલંબ
વર્લ્ડ બર્ડ વોચર્સ કોન્ફરન્સથી વિશ્વભરમાં જાણીતું બનેલું જામનગર નજીકનું ખીજડીયા પક્ષી અભિયારણ્ય આ વર્ષે નવેમ્બર પુરો થવા આવ્યો હોવા છતાં વિદેશી પક્ષીઓનાં આગમનનાં અભાવે સુનુસુનુ ભાસી રહ્યું છે.
સામાન્ય રીતે નવેમ્બરનાં પ્રારંભથી જ અહીં વિદેશી પક્ષીઓનું આગમન શરૂ થઇ જાય છે અને ડિસેમ્બર સુધીમાં તો અહીં જાતજાતનાં અનેભાત ભાતનાં મનમોહક પક્ષીઓ હજારોની સંખ્યામાં ઉતરી પડે છે. જે છેક માર્ચના પ્રારંભ સુધી એટલે કે શિયાળો પૂર્ણ થતા સુધી અહીં રોકાણ કરે છે. પરંતુ આ વખતે હજુ સુધી શિયાળાની બરાબર જમાવટ થઇ નથી. જેને કારણે અનુકૂળ વાતાવરણ નહીં થતા વિદેશી મહેમાનો ખીજડીયા અભયારણ્યથી દુર રહ્યા છે. જિલ્લાના અન્ય જળપ્લાવિત ક્ષેત્રોની સ્થિતિ પણ આવી જ હોવાનું વન વિભાગનાં સુત્રોએ જણાવ્યું છે.
જામનગરથી ૧ર કી.મી. દુર કચ્છના અખાતની ખાડીને અડેલા સાડા છ ચોરસ કી.મી.નાં વિસ્તારમાં પથરાયેલા ખીજડીયા પક્ષી અભયારણ્યમાં રર૦ જાતનાં દેશી વિદેશી પક્ષીઓ જોવા મળે છે. વિશ્વમાં લૂ’ થઇ રહેલા અને જેની સંખ્યા માત્ર પ૦૦ થી જ હોવાનું માનવામાં આવે છે તેવા બ્લેક નેકડ સ્ટોર્ક રપ થી વધુ સંખ્યામાં અહીં વસવાટ કરે છે અને દર વર્ષે બે થી ત્રણ માળાઓ અહીં જોવા મળે છે.
ઉપરાંત પેન્ટેડ સ્ટોક, ફલેમિંગો, કિંગફિશર, ક્રેઇન, કુટ, નકટો, પોચાર્ડ જેવા અનેક પક્ષીઓ પણ અહીં માળા બાંધી પોતાની પ્રજાતી આગળ ધપાવે છે. મીઠાં અને ખારા પાણીના મિશ્રણને કારણે અહીં ભરપૂર માત્રામાં ખોરાક અનેયોગ્ય વાતાવરણ મળી રહેતું હોય દુનિયાભરનાં પક્ષીઓ ખીજડીયા તરફ આકષૉતા રહે છે. પરંતુ નવેમ્બરમાં પક્ષીઓથી મહેકતું આ અભયારણ્ય પક્ષીઓની ઓછી સંખ્યાને કારણે સુનુસુનુ લાગી રહ્યું છે. પરિણામે અહીં બર્ડ વોચિંગ અને અભ્યાસ માટે આવતા પક્ષી પ્રેમીઓને હાલતુર્ત નિરાશા સાંપડી રહી છે. જોકે ધીમે ધીમે હવે શિયાળાની જમાવટ થવા લાગતા આગામી દિવસોમાં અહીં વિશાળ સંખ્યામાં પક્ષીઓ ઉતરી પડે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે.
લાખોટાને પણ ઇંતઝાર છે રૂપકડા સીગલનો –
ખીજડીયા જેવી જ હાલત જામનગરનાં મીની અભયારણ્ય જેવા લાખોટા તળાવની છે. હજારોની સંખ્યામાં ઉડાઉડ કરતા અને પાણીમાં વહિરતા રૂપકડા સફેદ સીગલની ઓછી સંખ્યા શહેરનાં પક્ષી પ્રેમીઓ અને સહેલાણીઓને ખટકી રહી છે. અલબત પ્રદુષણ અને તળાવમાં વ્યા’ ગંદકી પણ સીગલને અન્ય સ્વચ્છ સ્થાન તરફ પડાવ નાખવા મજબુર કરતા હોવાનું તજજ્ઞોનું માનવું છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-still-foreign-birds-not-coming-in-khijadiya-2587309.html?OF8=

અમિત જેઠવાના પિતાએ સાંસદ વિરુદ્ધ ૫૦૦ પાનાંના પુરાવા આપ્યા.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 12:26 AM [IST](24/11/2011)
- હાઇકોર્ટે નીમેલી તપાસ ટીમના સુરેન્દ્રનગરના એસપી ખાંભા પહોંચ્યા
- આ હત્યામાં સાંસદની સંડોવણીના આક્ષેપ સાથે હાઇકોર્ટમાં દાદ માગી હતી
આરટીઆઇ એક્ટીવીસ્ટ અમીત જેઠવા હત્યા કેસમાં મૃતકનાં પિતાએ જૂનાગઢનાં સાંસદ દિનુ સોલંકીની સંડોવણીના આક્ષેપ કરતી હાઇકોર્ટમાં કરેલી રીટનાં પગલે કોર્ટે નીમેલી ટીમે તપાસનો ધમધમાટ શરૂ થયો ત્યારે સુરેન્દ્રનગર એસપીએ આજે ખાંભા પહોંચી મૃતકનાં પિતા અને અમીતનાં મિત્રો સહિતનાં નિવેદનો લેતા આ પ્રકરણ પુન: ચર્ચામાં આવ્યું છે. ઉલ્લેખનીય એ છે કે, ગત રવિવારથી જ સુરેન્દ્રનગર પોલીસની એક ટીમનાં કોડીનારમાં જ ધામા છે.
રાજ્યભરમાં બહુચર્ચીત અમીત જેઠવા હત્યા કેસમાં મૃતકનાં પિતા ભીખાભાઇએ આ હત્યામાં જૂનાગઢનાં સાંસદ દિનુ સોલંકીની સંડોવણીનાં આક્ષેપ સાથે આ તપાસ સીઆઇડી અથવા સીટને સોંપાઇ તે માટે હાઇકોર્ટમાં ઘા નાખી હતી. થોડા દિવસ પૂર્વે હાઇકોર્ટે આ મુદ્દે એડશિનલ આઇજીના વડપણ હેઠળ એક ટીમની રચના કરી ૨૮મી નવેમ્બર સુધીમાં હાઇકોર્ટમાં રીપોર્ટ આપવા આદેશ કર્યો છે. આ ટીમમાં સુરેન્દ્રનગરનાં એસપી રાઘવેન્દ્ર વત્સનો પણ સમાવેશ કરાયો હોવાથી ગત રવિવારથી સુરેન્દ્રનગર પોલીસની એક ટીમે પહોંચી ખાંભા અને કોડીનાર પંથકમાં ખનીજ ચોરીનાં ગુન્હા સહિતની તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
દરમિયાન આજે સવારે સુરેન્દ્રનગરનાં એસપી રાઘવેન્દ્ર વત્સ ખાંભા પહોંચી મૃતકનાં પિતા ભીખાભાઇને પણ મળી તેમના તથા પરિવારજનોનાં અને મૃતક અમીતનાં મિત્રોનાં નિવેદનો લીધા હતાં. હાઇકોર્ટમાં આ અંગે રીપોર્ટ માટે ૨૮ તારીખ નજીક આવતી હોય ત્યારે તપાસ કાર્યવાહી પણ વેગવંતી બની છે. બીજીબાજુ આ પ્રકરણ ફરી રાજકીય વર્તુળમાં ચર્ચાનો વિષય બન્યુ છે.
પૂરતા સબૂત આપ્યા છે : ભીખુભાઇ
મૃતકનાં પિતા ભીખુભાઇએ આજની કાર્યવાહી અંગે જણાવ્યું હતું કે, સુરેન્દ્રનગર એસપીને ખાણ- ખનિજ, કોડીનારની હોસ્પિટલનો રોડ, મુળ દ્વારકા જેટી સહિત ૫૦૦ પાનાનાં પુરાવા અમોએ સાંસદ વિરૂધ્ધ રજૂ કર્યા છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-amit-jethwas-father-gives-500-pages-evidence-against-sansad-2587356.html

Wednesday, November 23, 2011

પક્ષીનું રક્ષણ અને પ્રકૃતિનું જતન’ કાર્યક્રમ અંતર્ગત ‘નળ સરોવર’ ખાતે ગઇકાલે સરોવરના...










‘પક્ષીનું રક્ષણ અને પ્રકૃતિનું જતન’ કાર્યક્રમ અંતર્ગત ‘નળ સરોવર’ ખાતે ગઇકાલે સરોવરના શુદ્ધિકરણ માટે થઇને ‘નો પ્લાસ્ટીક ઝોન’ બનાવવાનો કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો. વન વિભાગ નળ સરોવર, ટાટા નેનો અને માનવ સેવા સાણંદના ૪૦ જેટલા વોલેન્ટિયર્સ દ્વારા પ્રવાસીઓ દ્વારા ફેંકાયેલા પ્લાસ્ટીક ને કિનારા પર અને પાણીમાંથી વીણવામાં આવ્યું હતું. દર સોમવારે આ વોલેન્ટર્સ કિનારાને શુદ્ધ કરવા પ્લાસ્ટીક ઉઠાવવાની કામગીરી કરશે. આ ઉપરાંત ૯૦ જેટલી હોડીઓમાં કાયમી ડસ્ટબીન મૂકવામાં આવ્યા છે જેને લઇને થતી અભ્યારણની મુલાકાતે આવતા પ્રવાસીઓ જયાં ત્યાં પ્લાસ્ટીક નાંખી ને સરોવરમાં પ્રદુષણ ન વધારે. ફાસ્ટ ફુડના વિવિધ પેકેટની પ્લાસ્ટીકની કોથળીઓથી નળ સરોવરમાં ફેલાઈ રહેલા પ્રદુષણને ડામવા નેચર પ્રેમીઓની પહેલ પછી આ અભ્યારણ શુદ્ધ અને સ્વચ્છ બનશે. (તસવીર ઃ સુરેશ મિસ્ત્રી)
Source: http://www.gujaratsamachar.com/20111123/gujarat/gujhome.html

તાલાલા પંથકમાં ફરી ૨.૫નો આંચકો, નાસભાગ.


તાલાલા તા. ૨૨
તાલાલા વિસ્તારમાં એક પણ દિવસ ખાલી રહ્યા વગર ભૂકંપના આંચકાઓ અવિરત ચાલુ રહ્યા છે. સોમવારની રાતે આ વિસ્તારમાં ૧૨-૪૪ કલાકે ૨.૫ની તીવ્રતાવાળો જોરદાર ભૂકંપ આવતા લોકોમાં ભારે નાસભાગ મચી ગઈ હતી. સૂતેલા લોકો ઉંઘમાંથી ઉઠી પથારી છોડી નાસવા લાગ્યા હતા.
  • એપી સેન્ટર પૂર્વ તરફ : આંકોલવાડી વિસ્તારમાં પણ અસર વર્તાઈ
ગાંધીનગર સિસ્મોલોજી સેન્ટરના જણાવ્યા મુજબ સોમવારે મોડી રાતે ભૂકંપ આવ્યો હતો. એપી સેન્ટર તાલાલાથી દશ કિલોમીટર દુર ઉતર પૂર્વ દિશામાં નોંધાયું હતુ. ભૂકંપના આંચકાની દિશાનું એપી સેન્ટર પૂર્વ તરફ લંબાતા આંચકાની અસર આંકોલવાડી ઉપરાંત પૂર્વ ઉતર દિશામાં આવેલા ગામોમાં અને ઉતર દિશામાં આવેલા ચિત્રાવડ ગીર સહિતના કુલ ૨૦ ગામોમાં અસર વર્તાઈ હતી. સોમવાર બાદ મંગળવારે પણ આંચકાઓ આવ્યા હતા. જેમાં મંગળવરે બપોરે ૨-૨૧ કલાકે ૧.૪ની તીવ્રતા અને સાંજે ૫-૧૭ કલાકે ૧.ની તીવ્રતાવાળા સહિત મંગળવારે નાના મોટા આંચકાઓ અવિરત ચાલુ જ રહ્યા હતા.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=10995

અમરેલી: બે ઘાયલ સિંહણોને પાંજરે પુરાઇ



Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:33 AM [IST](23/11/2011)
 
ગીર પૂર્વ વન વિભાગના વિસ્તારમાંથી બે ઘાયલ સિંહણોને પાંજરે પુરાઇ

ગીર પૂર્વની જસાધાર રેન્જમાં મુંડીયા જંગલ વિસ્તારમાં મેલડી માતાના સ્થાનક પાસે કપાળના ભાગે ઘાયલ થયેલી એક સિંહણ આંટા મારતી હોવાની બાતમી મળતા આરએફઓ બી.ટી. આહિર તથા સ્ટાફે તેને પાંજરે પુરી હતી. આ સિંહણ શિકારની ખેંચતાણમાં કપાળના ભાગે અન્ય સિંહ કે સિંહણના નહોરથી ઘાયલ થયાનું મનાઇ રહ્યુ છે. સિંહણની જીભ અડી ન શકે તેવી જગ્યાએ ઘાવ હોય તે વકરતો જતો હતો. રેસ્કયુ ટીમની મદદથી સિંહણને પકડી લેવાયા બાદ વેટરનરી ડોક્ટર હિતેષ વામજાએ તેની સારવાર કરી હતી અને આ સિંહણને જસાધારના એનીમલ કેર સેન્ટરમાં લઇ જવાઇ હતી.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-two-injured-lioness-in-cage-2585851.html

Tuesday, November 22, 2011

બળદનો શિકાર કર્યા બાદ ૧૪ સિંહણોની મીજબાની.



અમરેલી તા.ર૧
સિંહોના ટોળા ન હોય પણ હવે, આ યુગમાં સિંહ અને સિંહણોના ટોળા પણ જોવા મળે છે. અસ્તિત્વની લડાઈ હોય કે, ખોરાકની શોધ હોય હવે, સંગઠીત થવું એ જ એક ઉપાય હોવાનો હવે, પ્રાણીઓને પણ અહેસાસ થઈ ગયો હોય તેમ ધારીના વીરપુર ગઢીયા ગામની સીમમાં એક સાથે ૧૪ સિંહણોએ સંપીને બે બળદનો શિકાર કર્યો હતો.

  • જૂના પાતળાની સીમમાં બે દિવસ પૂર્વે બે બળદનો શિકાર કર્યો'તો
બાદમાં નિરાંતે સૌએ સાથે મળી મિજબાની માણી હતી. ૧૪ સિંહણોના એક ગ્રુપે ગઈ કાલે રાત્રે ધારીના વીરપુર ગઢીયા ગામની સીમમાં ચકોદર વિસ્તારમાં એક બળદ ઉપર હુમલો કરી, પછાડી શિકાર કર્યો હતો. બાદમાં મારણ ફરતે સિંહણોએ વીંટળાઈને આખી રાત મિજબાની માણી હતી. બે દિવસ પૂર્વે જૂના પાતળાની સીમમાં આ સિંહણોએ બે બળદોને મારી મિજબાની માણી હતી.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=10583

બોરદેવી વિસ્તારમાંથી ૪ ટ્રેક્ટર ભરાય એટલો પ્લા. કચરો એકત્ર.


જૂનાગઢ, તા.૨૦:
ગિરનારની પરિક્રમા પૂર્ણ થયા બાદ આજે બીજી વખત હાથ ધરાયેલા સફાઈ અભિયાનમાં એક માત્ર બોરદેવી વિસ્તારમાંથી જ ચારેક ટ્રેક્ટર જેટલો પ્લાસ્ટિકનો કચરો એકત્ર કરવામાં આવ્યો છે. હજૂ પણ પરિક્રમા માર્ગ પર વ્યાપક પ્રમાણમાં પ્લાસ્ટિકનો કચરો પડયો હોય આગામી એક મહિના સુધી સતત આ સફાઈ અભિયાન ચલાવવાનો નિર્ધાર સર્વોદય નેચર ક્લબ દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.
·        હજૂ પણ વ્યાપક પ્રમાણમાં કચરો : એક મહિનો અભિયાન ચાલશે
ગિરનારની પરિક્રમામાં ઉમટી પડેલા લાખ્ખો યાત્રિકોના કારણે જંગલ વિસ્તારમાં ટનબંધ પ્લાસ્ટિક સહિતનો કચરો એકત્ર થયો છે. ગત રવિવારે સાધુ-સંતોની આગેવાની હેઠળ હાથ ધરાયેલા સફાઈ અભિયાનમાં ત્રણ ટ્રક જેટલું પ્લાસ્ટિક જીણાબાવાની મઢી અને બોરદેવી વિસ્તારમાંથી એકત્ર કરવામાં આવ્યું હતું. દરમિયાનમાં આજે સવારથી જ સર્વોદય નેચર ક્લબના કાર્યકરો અને બામણાસા ઘેડના વિદ્યાર્થીઓ દ્વારા બોરદેવી વિસ્તારમાં સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું. ધારાસભ્ય મહેન્દ્ર મશરૂ તેમજ અમૃત દેસાઈ, અનિલ વ્યાસ, મનિષ આચાર્ય, મનિષ ગરેજા સહિતના કાર્યકરો આ સફાઈ અભિયાનમાં જોડાયા હતાં.
વનવિભાગના સ્ટાફને સાથે રાખીને સાંજ સુધીમાં ચારેક ટ્રેક્ટર જેટલો પ્લાસ્ટિકનો કચરો બોરદેવી વિસ્તારમાંથી એકત્ર કરીને અહી જ તેનો નાશ કરવામાં આવ્યો હતો. સર્વોદય નેચર ક્લબના જણાવ્યા અનુસાર ગિરનાર જંગલમાં હજૂ પણ વ્યાપક પ્રમાણમાં કચરો પડયો છે. માટે આગામી એક મહિના સુધી જુદા જુદા સ્થળો પર જઈને દર રવિવારે વિવિધ શાળાના વિદ્યાર્થીઓને પણ સાથે રાખીને ગિરનારની સફાઈ ઝૂંબેશ શરૂ જ રાખવામાં આવશે.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=10291

રોપ-વે : ભેસાણ તરફના વિકલ્પની પણ ચકાસણી.


જૂનાગઢ, તા.૨૦
ગિરનાર રોપ વે ના અભ્યાસ માટે આવેલી સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીની ટીમે આજે ભેસાણ તરફના વિકલ્પ અંગેની ચકાસણી કરી હતી. ત્યાર બાદ વનવિભાગના ટોચના અધિકારીઓ સાથે દોઢેક કલાક સુધી ચર્ચાઓ કરીને કમિટીએ વિદાય લીધી છે.
·        કમિટીનાં સભ્યોએ જૂનાગઢથી નિકળી સાસણ પહોંચ્યા
ગઈકાલે બપોરે જૂનાગઢ આવી પહોંચેલી સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીના ચેરમેન સહિતના ત્રણ સભ્યોની ટીમે ગિરનાર રોપ વે ની મૂખ્ય સાઈટ તેમજ દાતાર પર્વત તરફની વૈકલ્પિક સાઈટનો અભ્યાસ કર્યો હતો. આજે સવારે ૧૧ વાગ્યાના અરસામાં આ ટીમે જૂનાગઢ નજીકના બામણગામ ખાતે પહોંચી જઈને ભેસાણ તરફના વિકલ્પ અંગેની ચકાસણી કરી હતી. જો કે આ તરફનો વિકલ્પ ગિરનાર પર્વતથી છેક ર૦ કિ.મી. જેટલો દૂર હોવાથી કમિટીના સભ્યોએ પ્રાથમિક તપાસ કરી હતી. ત્યાર બાદ ભવનાથમાં ફોરેસ્ટ ગેસ્ટહાઉસ ખાતે ગાંધીનગરથી આવેલા વનવિભાગના રાજ્યના ટોચના અધિકારીઓ અને કમિટીના સભ્યો વચ્ચે ચર્ચાઓ થઈ હતી. જેમાં જૈન સમાજનો વિરોધ, ડોળીવાળા અને ગિરનારી ગીધ મુખ્ય મુદ્દા તરીકે રહ્યા હતાં. રાજ્યના વનવિભાગના અધિકારીઓએ આ ત્રયેણ મુદ્દા ઉકેલાઈ ગયા હોવાના અને તેની તકેદારી અંગેના જવાબો કમિટી સમક્ષ સંતોષકારક રીતે રજૂ કર્યા હતાં.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=10289

ડોળીવાળા અને ગિરનારી ગીધ અંગેની વિગતો મેળવતી કમિટી.


જૂનાગઢ, તા.૨૦:
ગિરનાર રોપ વે પ્રશ્ને જૂનાગઢની મૂલાકાતે આવેલી સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીએ તમામ પ્રશ્નો અને રજૂઆતો અંગેની વિસ્તૃત ચર્ચા જૂનાગઢના આગેવાનો સાથે કરી હતી. ગિરનારી ગીધ તેમજ ડોળીવાળા અને જૈન સમાજના વિરોધ સહિતના મામલે આ કમિટીના સભ્યોએ આગેવાનો સાથે ચર્ચા કરીને વિગતો મેળવી હતી.

  • પ્રજાની લાગણી જોડાયેલી હોઈ હકારાત્મક વલણ દાખવવા અપિલ
ગઈકાલે બપોરે સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટીના ચેરમેન સહિતના ત્રણ સભ્યોની ટીમ ગિરનાર રોપ વે સંદર્ભે જૂનાગઢ આવી પહોંચી હતી. આ ટીમે સાઈટ વિઝીટ કર્યા બાદ જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્રભાઈ મશરૂ, અમૃતભાઈ દેસાઈ, એડવોકેટ અશ્વિનભાઈ મણિયાર વગેરે સાથે વિવિધ પ્રશ્નો અંગે ચર્ચાઓ કરી હતી. આશરે રર મિનિટ જેટલા સમય માટે કરેલી ચર્ચાઓમાં દરેક પાસાઓને આવરી લેવામાં આવ્યા હતાં. ડોળીવાળાની રોજી રોટી અંગે તેમજ ગિરનારી ગીધ વિશેની વિસ્તૃત વિગતો આ કમિટીએ મેળવી હતી.
ગિરનાર રોપ વે માટે અત્યારે જમીન સંપાદિત થઈ ચૂકી હોવાથી હવે અન્ય વિકલ્પો શક્ય ન હોવાની રજૂઆતો આગેવાનો દ્વારા કરાઈ હતી. આ ઉપરાંત સ્થાનિક કક્ષાએ જૈન સમાજ દ્વારા પણ રોપ વે મામલે કોઈ વિરોધ ન હોવાની વિગતો આ કમિટીને આપવામાં આવી હતી. ચર્ચાઓને અંતે કમિટીએ પણ હકારાત્મક વલણ દાખવ્યું હતું. ખાસ કરીને રોપ વે સાથે પ્રજાજનો લાગણી જોડાયેલી હોય આગેવાનોએ આ અંગે કમિટીનું ધ્યાન દોર્યું હતું.
Source: http://www.sandesh.com/article.aspx?newsid=10145

લીલીયા પંથક પર પોતાની આણ વર્તાવી રહેલા વનરાજો.


Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:56 AM [IST](21/11/2011)
શેત્રુંજીનાં પટમાં એક સાવજે નિરાંતે આરામ ફરમાવ્યો
સાવજ એ માત્ર જંગલનો રાજા નથી. સૌરાષ્ટ્રમાં ગીરમાંથી બહાર નીકળેલા સાવજોએ જુદા જુદા વિસ્તારમાં પોતાના પગદંડો જમાવ્યા બાદ આ વાત સાચી સાબિત થઇ છે. હવે લીલીયા પંથક પર સાવજો પોતાની આણ વર્તાવી રહ્યા છે. શેત્રુંજીના કાંઠાળ વિસ્તારોમાં સાવજોએ પોતાનું ઘર વસાવ્યુ છે. ગઇકાલે શેત્રુંજીના પટમાં એક સાવજ નિરાંતે આરામ કર્યા બાદ બિલકુલ બિન્દાસ બની રેતીમાં આળોટતો જોઇ સિંહ પ્રેમીઓ ખુશ ખુશાલ થઇ ગયા હતા.
સાવજો જ્યાં રહે ત્યાં હંમેશા રાજાની જેમ રહે છે. પછી તે ગીરના જંગલને બદલે લીલીયા પંથકમાં શેત્રુંજીનો કાંઠાળ વિસ્તાર કેમ ન હોય. આ વિસ્તારમાં વસતુ સાવજ ગૃપ કોઇપણ પ્રકારના ડર કે ભય વગર કુદરતે આપેલા એક રાજાને શોભે તેવા સ્વભાવ મુજબ હરતુ ફરતુ રહે છે. આસપાસમાં ગમે તેટલા માણસોની અવર જવર હોય તો પણ આ સાવજોને જાણે કશો ફર્ક પડતો નથી.
અહિં વસતા સાવજો વાહનોની સતત અવર જવરથી પણ ટેવાઇ ગયા છે.આજુબાજુમાં ગમે તેટલા માણસો હોય તો પણ આ સાવજો નિરાંતે આરામ કરતા રહે છે. વાહનોનો હોર્નના અવાજની પણ તેઓ દરકાર કરતા નથી. ગઇરાત્રે લીલીયાના ક્રાંકચની સીમમાં શેત્રુંજી નદીના પટમાં આરામ કરતા એક સાવજને જોવા અનેક લોકો એકઠા થઇ ગયા હતા.
જો કે લોકોની દરકાર કર્યા વગર અહિં સાવજ લાંબો સમય આરામ કરતો પડયો રહ્યો હતો અને બાદમાં આળસ મરડી રેતીમાં આમતેમ આળોટ્યો પણ હતો. આ દ્રષ્ય જોઇ સિંહ પ્રેમીઓ ખુશ ખુશાલ થઇ ગયા હતા.
અગીયાર સાવજોએ નિલગાયનું મારણ કર્યું
ક્રાંકચની સીમમાં વસતા વિશાળ સાવજ ગૃપ પૈકી અગીયાર સાવજોના ટોળાએ ગઇકાલે એક નિલગાયનું મારણ કર્યું હતુ અને બાદમાં નિરાંતે પોતાનું પેટ ભયું હતુ. અહિં વસતા સાવજો અવાર નવાર માલધારીઓ અને ખેડૂતોના માલઢોરનું પણ મારણ કરતા રહે છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-thus-in-his-diocese-sleeping-of-lion-2580341.html

ત્રણ સાવજોએ ભેંસનું કર્યું મારણ.

Source: Bhaskar News, Amreli   |   Last Updated 2:08 AM [IST](22/11/2011)
-ભેંસ આંબા-ચાંદગઢ વચ્ચેના ગિર વિસ્તારમાં ચરતી હતી ત્યારે ત્રણ સાવજોએ તેનું મારણ કર્યું
લીલીયા તાલુકાનાં આંબા ગામના ભલાભાઇ ભુરાભાઇ જાફડાની ભેંસ આંબા-ચાંદગઢ વચ્ચેના ગિર વિસ્તારમાં ચરતી હતી તે દરમિયાન ત્રણ સાવજોએ તેનું મારણ કર્યું હતું. ઘટના દરમિયાન ફોરેસ્ટ અધિકારી એ.પી.પટેલ દોડી આવ્યા હતા. - તસવીર મનોજ જોષી

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-three-lion-killed-buffalo-2582986.html

ગિરનાર રોપ-વે : ભવનાથ સાઈટ પર ટીમનો ઝોક વધ્યો.

Source: Bhaskar News, Junagadh   |   Last Updated 1:37 PM [IST](21/11/2011)
એમ્પાવરમેન્ટ કમિટીએ આજે ભેંસાણ અને રામનાથ સાઈટ નિહાળી : આજે રવાના થશે
રાજ્ય સહિત જુનાગઢ વાસીઓ જેની ભારે રાહ જોઈ રહ્યાં છે તે ગિરનાર રોપ-વેને લઈને ગઈકાલથી આવેલી સુપ્રિમકોર્ટની સેન્ટર એમ્પાવરમેન્ટ કમિટીએ આજે વધુ બે સાઈટની મુલાકાત લઈ તમામ પાસા ચકાસ્યા હતા જ્યારે આજની બે સાઈટની મુલાકાત પછી ભવનાથ સાઈટ પર રોપ-વેનો એલાઈમેન્ટ નક્કી થાય તેવો સુચિતાર્થ પણ પ્રાપ્ત થઈ રહ્યો છે. જો કે, કમિટીએ આ અંગે કશું કાંઈ કહ્યું નથી.
સેન્ટર એમ્પાવરમેન્ટના ચેરમેન ડૉ.પી.વી.જયક્રિષ્ણન, જીવરાજીકા અને મહેન્દ્ર વ્યાસ તેમ ત્રણ સભ્યોની બનેલી ટીમ ગઈકાલથી જુનાગઢ આવી પહોંચી હતી. ગઈકાલે વનવિભાગનું પ્રેજેન્ટેશન અને વિલીગ્ડંન ડેમ અને ભવનાથ સાઈટની મુલાકાત લીધા બાદ આજે આ ટીમ ઉષા બ્રેકો કંપનીના જનરલ મેનેજર મનોજ પવાર અને વન સચિવ એસ.કે.નંદા સહિત સાથે ભેંસાણ તથા રામનાથ સાઈટની મુલાકાત લઈ રોપ-વે માટેનું નિરીક્ષણ કર્યું હતું.
અંદાજે ત્રણ કલાક સુધીના આ નિરીક્ષણ બાદ આ ટીમ પુન: વનવિભાગના ગેસ્ટહાઉસમાં આવી પહોંચી હતી પરંતુ સત્તાવાર રીતે આજે પણ આ ટીમે કશું જણાવ્યું નથી. જ્યારે બે દિવસની ટીમ દ્વારા એલાઈમેન્ટની મુલાકાત બાદ સૌથી વધુ ભવનાથ વિસ્તાર તરફ ઝોક વધ્યો હોવાનું પણ જાણવા મળ્યું છે. દરમિયાન આવતીકાલે આ ટીમ રવાના થવાની છે ત્યારે આગામી બે થી ત્રણ સપ્તાહમાં ગિરનાર રોપ-વેનું ભાવિ નક્કી થાય તેવા સંકેતો સાપડી રહ્યાં છે.
Source: http://www.divyabhaskar.co.in/article/SAU-tendency-on-the-team-bhavnath-site-of-girnar-rop-way-2580254.html

સુરતની બદલાશે 'સૂરત', દરિયાકાંઠે 10 હજાર કરોડનો થીમ પાર્ક!


Source: Bhaskar News, Surat   |   Last Updated 8:12 AM [IST](22/11/2011

સુરતથી ૨૦ કિ.મી.ના અંતરે આવેલા સુંવાલીના દરિયા કાંઠે મુંબઈની રીઅલ એસ્ટેટ કંપની એટલાન્ટા ઇન્ફ્રાસ્ટ્રકચર ડેવલેપમેનટના રૂપિયા ૧૦,૦૦૦ કરોડના થીમ પાર્ક પ્રોજેક્ટને ગુજરાત સરકાર દ્વારા લીલીઝંડી મળી જતાં હવે આ પ્રોજેક્ટ શરૂ કરવાનો માર્ગ મોકળો બની ગયો છે.
સુરતના ટુરીઝમ માટે આ પ્રોજકટ દુઝણી ગાય સાબિત થશે.સુંવાલીના દરિયા કાંઠે નેચર પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, બીચ પાર્ક , સ્કેટિંગ અને સ્કીઇંગ ડોમ જેવા પાંચ થીમ પાર્કનું નિર્માણ થવાનું છે. સુરતથી ૪૫ લાખની વસ્તી હોવા છતા અહીંયા સમ ખવા પુરતું એક પણ એવું ફરવા લાયક સ્થળ નથી જેને કારણે પર્યટકો સુરત આવી શક.
પબ્લીક પ્રાઇવેટ પાર્ટનરશીપ હેઠળ સુરતમાં ટુરીસ્ટ સ્પોટવિકસાવવાનું વર્ષો પહેલાં રાજ્ય સરકારે નક્કી કર્યું હતું અને સુંવાલીના દરિયાકાંઠાને આઇડેન્ટીફાય કરાયો હતો. મુંબઈના રીઅલ એસ્ટેટ કંપનીએ આમાં ઝુંકાવ્યું હતું. ગુજરાત ઇન્ડટ્રીઅલ ડેવલપમેન્ટ બોર્ડ અને ગુજરાત ટુરીઝમ  બોર્ડે આ પ્રોજેક્ટને મંજુરીની મહોર મારી દીધી છે. હવે માત્ર સ્ટેટ કેબીનેટની ફાયનલ મંજુરી બાકી છે, જે એકાદ સપ્તાહમાં મળી જશે એમ જાણવા મળ્યું છે.
થીમ પાર્કનો વિકાસ કેવી રીતે થશે...
સુંવાલીના દરિયાંકાંઠે સાકાર થનારા થીમ પાર્ક પ્રોજકટ કુલ ચાર તબકકામાં પુરો થશે.પહેલો તબક્કો એપ્રિલ ૨૦૧૨માં શરૂ થશે. પ્રોજક્ટ ૧૩ સ્કવેર કિલો મીટર વિસ્તારમાં બનશે.જેમાં નેચર પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, વોટર પાર્ક, બીચ પાર્ક, આઇસ સ્ટકેટિંગ અને સ્કીઇંગ ડોમ, રેસ્ટોરાં, હોટલ્સ, સ્ટુડીઓઝ, ફોરેસ્ટ વિલા, બીચ વિલા વગેરે બનશે.

Source: http://www.divyabhaskar.co.in/article/DGUJ-SUR-gujarat-govt-approves-2-billion-theme-park-in-surat-2583125.html?HT2=

Saturday, November 19, 2011

લીલિયા પંથકમાં વધુ એક સિંહણે બે બચ્ચાંને જન્મ આપ્યો.


Source: Bhaskar News, Liliya   |   Last Updated 1:47 AM [IST](18/11/2011)
અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં સાવજોની સંખ્યા ધીમે ધીમે વધતી જ જાય છે. ખાસ કરીને લીલીયા તાલુકામાં પાછલા ત્રણ મહિનાના ગાળામાં ત્રણ સિંહણોએ બચ્ચાને જન્મ આપ્યા બાદ હવે વધુ એક સિંહણે બવાડી ગામની સીમમાં બે સિંહ બાળને જન્મ આપ્યાનું બહાર આવતા સિંહ પ્રેમીઓ ખુશ થયા છે.
લીલીયા પંથકમાં સાવજોની વસતી કુદકેને ભુસકે વધી રહી છે. અહિં વસતા વિશાળ સાવજ ગૃપમાં હવે વધુ બે સિંહ બાળનો ઉમેરો થયો છે. ગીર જંગલમાંથી નીકળતી શેત્રુંજી નદીના કાંઠે આગળ વધતા વધતા સાવજો છેક લીલીયા તાલુકાના ખારાપાટ વિસ્તાર સુધી પહોંચી ગયા છે. પાછલા એક દાયકાથી અહિં સાવજોનો વસવાટ છે અને તેવી વસતીમાં ઉત્તરોત્તર વધારો થતો જ જાય છે. આ વિસ્તારમાં હવે ૨૫થી પણ વધુ સાવજો હોવાનું કહેવાય છે.
ક્રાંકચ તથા આજુબાજુના વિસ્તારમાં બાવળની કાંટનું વિશાળ જંગલ આવેલુ છે. આ ઉપરાંત શેત્રુંજી નદીના કોતરો સાવજોને માફક આવી ગયા છે. અહિં શિકાર, પાણી અને આશ્રયસ્થાનની ભરમાર હોય સાવજોને આ નવું ઘર ખુબ જ પસંદ પડયુ છે. જેને પગલે અહિંનો સાવજ પરિવાર સતત વિસ્તરતો જાય છે. લીલીયા તાલુકાના બવાડી ગામની સીમમાં થોડા દિવસ પહેલા એક સિંહણે બે બચ્ચાને જન્મ આપ્યો હતો. સિંહ પરિવારમાં બે સભ્યોના ઉમેરાથી સિંહ પ્રેમીઓ ભારે ખુશખુશાલ છે.
બચ્ચાં સાથે સિંહણ ખાલપરની બીડમાં પહોંચી -
આ સિંહણના બચ્ચા હાલમાં ૨૫ દિવસ જેટલી ઉંમરના કહેવાય છે. બવાડી ગામની સિમમાંથી બન્ને બચ્ચા સાથે આ સિંહણ હાલમાં ખાલપર ગામની સીમમાં બીડ વિસ્તારમાં સ્થળાંતર કરી ગઇ છે. આ અંગે જાણકારી મળતા વનતંત્રએ આ સિંહણને શોધવા તજવીજ હાથ ધરી છે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-more-one-lioness-born-two-baby-lion-in-liliya-2572839.html

અમરેલી જિલ્લામાં યાયાવર પક્ષીઓનું આગમન વિલંબમાં


Source: Bhaskar News, Amreli   |   Last Updated 1:22 AM [IST](18/11/2011)
- દર વર્ષની તુલનામાં જૂજ પંખીડાં આવ્યાં
અમરેલી જીલ્લાના દરીયાકાંઠે તથા વિવિધ જળાશયોમાં દરવર્ષે લાખોની સંખ્યામાં યાયાવર પક્ષીઓ શિયાળો ગાળવા માટે આવે છે. અડધો નવેમ્બર પસાર થાય ત્યાં સુધીમાં તો ખુબ મોટી સંખ્યામાં અહિં પક્ષીઓ આવી ચુક્યા હોય છે પરંતુ ચાલુ સાલે આ પ્રવાસી પક્ષીઓની સંખ્યા ઓછી રહી છે. હજુ આકરી ઠંડી પડી ન હોય આ પક્ષીઓ આવ્યા ન હોવાનું કહેવાય છે. જેવો કડકડતી ઠંડીનો માહોલ શરૂ થશે તે સાથે જ મોટી સંખ્યામાં પ્રવાસી પક્ષી આવશે અને જીલ્લાનો દરીયાકાંઠો તથા જળાશયો પક્ષીના કલરવથી ગુંજી ઉઠશે.
દર શિયાળામાં અમરેલી જીલ્લામાં રાજુલા, જાફરાબાદ પંથકનો દરીયાકાંઠો પ્રવાસી પક્ષીઓના કલરવથી ગુંજી ઉઠે છે. પરંતુ ચાલુ સાલે પ્રવાસી પક્ષીઓની સંખ્યા ઘણી પાંખી જોવા મળી રહી છે. દર વર્ષે પીપાવાવના દરીયાકાંઠા ઉપરાંત ચાંચ બંદર, જાફરાબાદ વગેરેના દરીયાકાંઠે લાખોની સંખ્યામાં પેલીકન, કુંજ, કરકરા વગેરે પ્રવાસી પક્ષીઓ લાખોની સંખ્યામાં આવે છે અને અહિં શિયાળો ગાળી ઉનાળાની શરૂઆત થતા પરત ઉડી જાય છે.
ચાલુ સાલે ઠંડી મોડી છે. હજુ સુધી ઠંડીનો રાઉન્ડ આવ્યો નથી જેને પગલે પુરતી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ પણ હજુ સુધી આવ્યા નથી. જેવું ઠંડીનો મોજુ ચાલુ થશે તે સાથે જ બે-ત્રણ દિવસમાં જ લાખોની સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ દરીયાકાંઠે તથા જુદા જુદા જળાશયોમાં ઉતરી આવશે. હાલમાં ખાંભાના મોભનેશ ડેમ ઉપર ડુંગર નજીકના તળાવમાં રાયડી ડેમ પર અમરેલીના વડી ડેમ પર વગેરે સ્થળે થોડી થોડી સંખ્યામાં પ્રવાસી પક્ષીઓ આવ્યા છે.
ક્યાં ક્યાં પ્રવાસી પક્ષીઓ આવશે -
અમરેલીના પર્યાવરણ પ્રેમી જીતેન્દ્રભાઇ તળાવીયા તથા પ્રવિણભાઇ ગોહિલે જણાવ્યુ હતુ કે અહિં પેલીનક, કુંજ અને કરકરા ઉપરાંત વૈયા, ૩૫ થી ૪૦ જાતની બતકો, ધોમડા, વાબગલી, કીચડીયા, ગડવાલ, પોચાડ વગેરે પક્ષીઓ આવશે.
કાશ્મીર અને ઉત્તર ભારતના પ્રવાસી પક્ષીઓ પણ આવશે -
સૌરાષ્ટ્રના સાગર કાંઠે સાયબીરીયાના પક્ષીઓ ઉપરાંત કાશ્મીર તથા ઉત્તર ભારતમાંથી પણ પેલીકન, ચાતક, કાશ્મીરી રોલર, હુંપો વગેરે પક્ષીઓ અહિં શિયાળો ગાળવા આવે છે. ઠંડી શરૂ થતા આગામી દિવસોમાં આ પ્રવાસી પક્ષીઓ પણ દેખાશે.

Source: http://www.divyabhaskar.co.in/article/SAU-wandering-birds-came-in-amreli-districts-2572757.html

વિદ્યાર્થીને સિંહના પાંજરા પર હાથ મુકવો ભારે પડ્યો.


Source: Bhaskar News, Vadodara   |   Last Updated 2:00 AM [IST](19/11/2011)
શહેરના સયાજી બાગ પ્રાણી સંગ્રહાલયમાં મિત્ર સાથે ગયેલા યુનિ.ના વિધાર્થીએ પાંજરાના સળિયા પર ટેકવેલા હાથ પર સિંહે બચકુ ભરી લીધુ હતું. સિંહે હાથ મોઢામાં લઇ લીધા બાદ વિધાર્થીએ ભારે મથામણ કરતા છુટકારો થયો હતો. વિધાર્થીને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીના હાથ પર બચકું ભરી લેનાર સિંહ ‘કુંવર’ને તાજેતરમાં જ જુનાગઢથી લવાયો છે.
બનાવની વિગતો અનુસાર શહેરના હરણી વારસિયા રિંગ રોડ પર આવેલી કુષ્ણ લીલા સોસાયટીમાં રહેતા અશોકભાઇ ગોહીલ ટેલરિંગનો વ્યવસાય કરે છે. તેમનો ૨૨ વર્ષીય પુત્ર ધ્રુવ મ.સ.યુનિ.ની સાયન્સ ફેકલ્ટીમાં બાયોકેમસ્ટ્રીનો અભ્યાસ કરે છે. શુક્રવારે ધ્રુવ અને હોસ્ટેલમાં રહીને અભ્યાસ કરતો તેનો મિત્ર ચેતન અમીન સાંજે સયાજીબાગમાં ફરવા માટે ગયા હતા. જ્યાં બંને મિત્રો પ્રાણી સંગ્રહાલયમાં ગયા હતા.
જ્યાં સાડા ચાર વાગ્યાના અરસામાં સિંહના પાંજરા પાસે ઉભા હતા. દરમિયાન ધ્રુવે તેનો હાથ પાંજરાના સળિયા પર ટેકવ્યો હતો. જેની પર સિંહની નજર પડતા તેને ઝપટ મારી ધ્રુવનો હાથ મોઢામાં લઇ લીધો હતો. બંને મિત્રોએ બૂમાબૂમ કરતા નજીકમાં ઉભેલા સિકયુરિટી ગાર્ડ દોડી આવ્યા હતા.
ગાર્ડે પોતાનો દંડો પાંજરા પર અથાડી સિંહને ડરાવવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ સિંહે મચક આપી ન હતી. બીજી બાજુ યુવકે તેનો હાથ બચાવવા સિંહ સાથે ખેંચતાણ કરી હતી આખરે તેમાં સફળતા મળતા હાથ સિંહના મોઢામાંથી છુટી ગયો હતો. ઇજાગ્રસ્ત યુવકને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલમાં ખસેડાયો હતો. ઉલ્લેખનીય છે કે વિદ્યાર્થીના હાથ પર બચકું ભરી લેનાર સિંહ ‘કુંવર’ને તાજેતરમાં જ જુનાગઢથી અત્રે લવાયો છે.
Source: http://www.divyabhaskar.co.in/article/MGUJ-VAD-hands-bite-learner-a-lion-killed-in-vadodara-2574708.html?HF-8=

Thursday, November 17, 2011

ગિરનાર રોપ-વે મામલે સુપ્રિમ કોર્ટની એમ્પાવર્ડ કમિટી ૧૯મીએ જૂનાગઢમાં

જૂનાગઢ, તા.૧૬
જૂનાગઢના ગિરનાર રોપ-વે અંગેના ક્લીયરન્સ સર્ટિફિકેટ મામલે આગામી તા. ૧૯ના સુપ્રિમ કોર્ટની એમ્પાવર્ડ કમિટી જૂનાગઢમાં આવનાર છે. આ કમિટી મુલાકાત લે એ પૂર્વે હાલ ધારાસભ્યએ દિલ્હીમાં કમિટીના સભ્યો સાથે મુલાકાત કરી હતી અને રોપ-વેને ક્લીયરન્સ સર્ટિફિકેટ મળે તે અંગે ચર્ચા કરી હતી. જ્યારે મેયર પણ રોપ-વે મળે તે માટે કમિટી સમક્ષ પ્રેઝન્ટેશન રજૂ કરશે.
કમિટી મુલાકાત લેએ પૂર્વ ધારાસભ્યએ કરી દિલ્હીમાં રજૂઆત, સાસણ ખાતે મેયર કમિટી સમક્ષ રજૂ કરશે પ્રેઝન્ટેશન
જૂનાગઢમાં ચાર દાયકાથી અધ્ધરતાલ ગિરનારના રોપ-વે પ્રોજેક્ટને વન અને પર્યાવરણ સહિતના વિભાગો દ્વારા મંજૂરી મળી ગઈ હતી અને મંજૂરીના અંતિમ તબક્કામાં સુપ્રિમ કોર્ટની એમ્પાવર્ડ કમિટી સમક્ષ આ પ્રક્રિયા પહોંચી છે જેમાં કમિટીએ સાઈટ મુલાકાત બાદ ક્લીયરન્સ સર્ટિફિકેટ આપવાની વાત કરી હતી અને આગામી તા. ૧૯ના બપોરે સુપ્રિમ કોર્ટની એમ્પાવર્ડ કમિટીના ચેરમેન પી.વી. જયક્રિષ્નન, સભ્ય જી.કે. જીરાવાલા અને મહેન્દ્ર વ્યાસ જૂનાગઢ આવી રોપ-વે સાઈટની મુલાકાત લેશે. આ કમિટી ૧૯મીએ જૂનાગઢ આવી ગિરનાર રોપ-વે સાઈટની મુલાકાત લે એ પૂર્વે આજે જૂનાગઢના ધારાસભ્ય મહેન્દ્ર મશરૃ તથા અન્ય કાર્યકરોએ દિલ્હી જઈ સેન્ટ્રલ એમ્પાવર્ડ કમિટી સમક્ષ રજૂઆત કરી હતી અને અગાઉ રોપ-વે ઝુંબેશ અંતર્ગત તૈયાર કરાયેલી એક લાખ નગરજનોની સહીઓ ધરાવતો રક્ત છાંટણાયુક્ત સહીગ્રંથ કમિટીના ચેરમેનને સુપ્રત કર્યા અને લોકોની લાગણીને ધ્યાને રાખી રોપ-વે યોજનાને ક્લીયરન્સ સર્ટિફિકેટ આપવા રજૂઆત કરી હતી.
આ ઉપરાંત કમિટીના સભ્યો જૂનાગઢની મુલાકાત બાદ સાસણ ખાતે જનાર છે અને ત્યાં રાત્રી રોકાણ કરશે તેથી ત્યાં જૂનાગઢના મેયર રોપ-વે મળે તે હેતુથી એક પ્રેઝન્ટેશન રજૂ કરશે. આમ ૧૯મીએ સુપ્રિમ કોર્ટની એમ્પાવર્ડ કમિટીની મુલાકાત બાદ રોપ-વેનું ભવિષ્ય નક્કી થશે.

જો પુરતો વિકાસ કરી સુવિધા વિકસાવાય તો
પોરબંદરનો રમણીય દરિયા કિનારો ગોવા, દીવને પણ ટક્કર મારી શકે
પોરબંદર, તા. ૧૬
પોરબંદરથી ૩-૪ કિ.મી. નજીકના વિસ્તારમાં આવેલા રમણીય સમુદ્ર કાંઠાનો વિકાસ કરવા માટે તંત્ર હકારાત્મક અભિગમ દાખવે તો અહીંયા સુંદર પર્યટન સ્થળ વિકસાવી શકાય છે.
બોટીંગ, પેરાગ્લાઇડીંગ જેવી પ્રવાસીઓને આકર્ષતી સુવિધાની જરૃર
શહેરના ઇન્દિરાનગર નજીકના સુંદર સાગરકાંઠે પ્રવાસીઓને વધુને વધુ આકર્ષવા માટે સરકારે અલગથી ગ્રાન્ટ ફાળવીને જુદા જુદા વિકાસના કામો કરાવવા જોઇએ એ પ્રકારની માગણી પોરબંદરમાંથી ઉઠી છે. માત્ર ૩-૪ કિ.મી.ના વિસ્તારમાં આવેલ આ રમણીય સમુદ્રકિનારો પ્રવાસીઓ માટે ભારે આકર્ષણનું કેન્દ્ર એટલા માટે બની રહેશે કે અહીંયા ભેખડો નથી તેથી સમુદ્ર સ્નાન કરવા માટેના શોખીનોને પણ અહીંયા ખેંચી લાવી શકાય છે. સમુદ્રના મોજાં સીધા જ રેતી સુધી પહોંચી જાય છે. પથ્થરો અને ભેખડો નહીં હોવાને કારણે દરિયાના મોજા અફડાવવાના અને અકસ્માત સર્જાવાના બનાવો અહીંયા ભાગ્યે જ બને છે કેમ કે ખૂબ જ છીછરો દરિયાકિનારો હોવાથી ડુબવાના બનાવો બનતા નથી.
જો દીવના નાગવા બીચની જેમ અહીંયા બોટીંગ અને પેરેગ્લાઇડરીંગની સગવડો તંત્ર દ્વારા વિકસાવવામા આવે તથા રમણીય સમુદ્ર કિનારે બાળમનોરંજનના સાધનો સહિત બગીચાનો ઉછેર કરવામાં આવે તો પ્રવાસીઓ આપોઆપ અહીંયા ઉમટી પડશે. પર્યટકો માટે બેઠક વ્યવસ્થા ઉપરાંત ખાણીપીણીની સુવિધા વધારાય તો સહેલાણીઓને પણ આકર્ષી શકે તેવા આ દરિયાકિનારે લોકોને ફરવાની મજા ડબલ થઇ જશે. આ અંગે વહીવટી તંત્ર તથા રાજય સરકારે પ્રવાસન સ્થળોના વિકાસની રકમમાંથી ચોક્કસ ગ્રાન્ટ ફાળવીને યોગ્ય પ્રોજેકટ તૈયાર કરીને મુકવો જોઇએ જેથી પ્રવાસીઓને આકર્ષવામાં સરળતા રહે તે પ્રકારનું સુચન થયું છે.
Source: http://www.gujaratsamachar.com/20111117/gujarat/sau4.html

ખીજડીયા પક્ષી અભયારણ્યને રૃપકડા પંખીઓનો ઈંતેઝારી.

શિયાળો ન જામતા વિદેશી પક્ષીઓની પાંખી હાજરી
જામનગર, તા.૧૬
સામાન્ય સંજોગોમાં દિવાળી પછી ઠંડીની શરૃઆત થતી હોય છે પરંતુ આ વર્ષે દિવાળીના વીસ પછી પણ ઠંડીની શરૃઆત ન થવાથી પ્રખ્યાત ખીજડીયા પક્ષી અભ્યારણમાં પક્ષીઓ ઓછા પ્રમાણમાં આવ્યા છે.
કૂંજ અને પેલીકનનો જ્યા પક્ષીમેળો ભરાય છે ત્યાં અત્યારે જૂજ પક્ષીઓ
દર વર્ષ કરતા આ વર્ષે શિયાળાની શરૃઆતમાં વિલંબ થવાથી અને ઠંડી નહીં પડવાથી જામનગરથી ૧૨ કિ.મી. દુર આવેલા પ્રખ્યાત ખીજડીયા પક્ષી અભ્યારણમાં યાયાવાર પક્ષીઓ દર વર્ષ કરતા ઓછા પ્રમાણમાં આવ્યા છે. સામાન્ય રીતે દર વર્ષે સપ્ટેમ્બરની ૧૫થી ૨૦ તારીખ વચ્ચેના સમયમાં કુંજ મોટા પ્રમાણમાં ખારા અને મીઠા પાણીના સમન્વયવાળા ખીજડીયા અભ્યારણમાં આગમન થાય છે. કુંજના આગમન બાદ નોર્ધન સેવેલર, પીન્ટેલ, કોમન ટીલ, કોમન પોચાર્દ, પેલીકન, વિઝીયન જેવા વિદેશી પક્ષીઓનું આગમન થાય છે.
પરંતુ આ વર્ષે શિયાળાની મોડી શરૃઆતને કારણે એક માસ મોડુ થતા કુંજ ઓક્ટોબર માસમાં આગમન થયું છે. તેમજ કુંજ હજારોની સંખ્યામાં આવે છે. પરંતુ આ વર્ષે કુંજની સંખ્યામાં પણ ઘટાડો જોવા મળ્યો છે. તેનું બીજુ કારણ એ પણ છે કે જિલ્લામાં મગફળીનું વાવેતર ઘટયું છે. અગાઉ ખીજડીયા અભ્યારણમાં ૪૦ હજાર જેટલી કુંજની હાજરી નોંધવામાં આવી છે. પરંતુ આ વર્ષે તો ગત વર્ષ કરતા પણ ઘણી ઓછી સંખ્યામાં કુંજના આગમનથી પક્ષીવિદોમાં ચિંતા વ્યાપી ગઈ છે. કુંજ સાથે સાથે પેલીકન પણ મોટી સંખ્યામાં આવે છે. તેમની સંખ્યામાં આ વર્ષ ઘટાડો જોવા મળ્યો છે.
ગત વર્ષ કરતા આ વર્ષે હાલના સમયમાં દિવસ દરમ્યાન તડકો અને રાત્રીના પણ હજી સુધી ઠંડીની શરૃઆત જોઈએ તેટલા પ્રમાણમાં થઈ નથી. ઠંડીની મોડી શરૃઆતના કારણે પક્ષી અભ્યારણમાં યાયાવર પક્ષીના આગમનમાં વિલંબ થવાથી પ્રવાસીઓમાં ઘટાડો જોવા મળ્યો છે.
ખીજડીયામાં ફરજ બજાવતા વનવિભાગના કર્મચારીના જણાવ્યા અનુસાર દર વર્ષે સપ્ટેમ્બર માસમાં ધીમે ધીમે પક્ષીઓ આવવાની શરૃઆત થતી હોય છે. પરંતુ આ વર્ષે એક માસ ઠંડીની શરૃઆત મોડી થવાથી પક્ષીઓના આગમનમાં વિલંબ થયો છે. પરંતુ હવે ધીમે ધીમે પક્ષીઓની આવક શરૃ થઈ છે.
http://www.gujaratsamachar.com/20111117/gujarat/sau4.html