Saturday, February 26, 2011

આજથી શિવરાત્રિ મેળાનો પ્રારંભ, સવારે ધ્વજારોહણ.

જૂનાગઢ, તા.૨૫
ભવનાથ તળેટીમાં શિવરાત્રિના મેળાનો માહોલ ધીમે ધીમે ઉભો થઈ રહ્યો છે. આવતીકાલે શનિવારે સવારે આઠ વાગ્યે ભવનાથ મંદિર ખાતે સાધુ-સંતો અને આગેવાનો તથા અધિકારીઓની હાજરીમાં ધ્વજારોહણ થયા બાદ શિવરાત્રિનાં મેળાનો પ્રારંભ થશે. મૂખ્ય મંદિર બાદ મેળામાં ભાગ લેનાર ત્રણ મૂખ્ય અખાડા જૂના અખાડા, આવાહન અખાડા અને અગ્નિ અખાડામાં ધ્વજા રોહણ કરાશે. મેળામાં મૂખ્ય મહત્વ ધરાવતા દિગમ્બર સાધુઓ તેના નિયત સ્થળો પર ધુણા ધખાવીને અલખની આરાધનાની તૈયારીઓ કરી રહ્યા છે.
  • ૩૫૦થી વધુ અન્નક્ષેત્રો ધમધમી ઉઠયા : ભાવિકા પ્રવાહ શરૂ 
શિવરાત્રિના મેળા દરમિયાન વિવિધ આશ્રમો, જ્ઞાતિ સમાજ અને સંસ્થાઓ દ્વારા સાડા ત્રણસોથી વધુ અન્નક્ષેત્રો શરૂ કરવામાં આવે છે.  હાલમાં આ કાર્યકરો અને ભાવિકો મળીને આશરે રપ હજાર જેટલા લોકો ભવનાથ તળેટીમાં એકત્ર થઈ ગયા છે. મેળા માટે વન વિભાગ દ્વારા સુકા લાકડાનું વિતરણ શરૂ કરી દેવામાં આવ્યું છે. મનોરંજન માટે તથા ખાણી-પીણીના સ્ટોલ શરૂ કરી દેવામાં આવ્યા છે.
આવતીકાલથી મેળાનો માહોલ જામવા માંડશે
જૂનાગઢ એસ.પી. નિલેશ ઝાંઝડીયાના માર્ગદર્શન હેઠળ પાંચ ડીવાયએસપી, પીઆઈ, ૪૯ પીએસઆઈ, ૬પ૦ કોન્સ્ટેબલ, પ૦૦ હોમગાર્ડ સહિતનો કાફલો મેળાના બંદોબસ્તમાં ગોઠવી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત સીસીટીવી કેમેરાનું ખાસ સુરક્ષા કવચ મેળાને આપવામાં આવ્યું છે. તથા મેળાને ૬ ઝોનમાં વિભાજીત કરીને સુરક્ષા વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. બીજી તરફ મેળામાં રાહત દરે સુકા લાકડા પુરા પાડવાની સાધુ-સંતોની માગણી સંદર્ભે વનવિભાગ દ્વારા ૧૦૦ ટન સુકા લાકડા પુરા પાડવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
Source: http://www.sandesh.com/sandesh_article.aspx?newsid=266300

No comments: