Tuesday, September 30, 2014

દાઢીયાળીની સીમમાં ઝોકમાં ઘુસી દીપડાએ 5 બકરાનું મારણ કર્યુ.

Bhaskar News, Dhari/ Khambha | Sep 22, 2014, 00:06AM IST
વારંવાર દિપડો ગામમા ઘુસી આવતો હોય લોકોમાં ફફડાટ

ધારી,ખાંભા: ખાંભા તાલુકાના દાઢીયાળી ગામની સીમમાં ગઇરાત્રે શિકારની શોધમાં નીકળેલા એક દિપડાએ ભરવાડની ઝોકમાં ખાબકી એકસાથે પાંચ બકરાને મારી નાખતા માલધારીઓમાં ફફડાટ ફેલાયો છે. આ ગામમા દિપડો અવારનવાર દેખાતો હોય તેને પાંજરે પુરવામા આવે તેવી માંગ ઉઠી છે. સિંહ અને દિપડા જેવા વન્યપ્રાણીઓ દ્વારા માલધારીઓના ઉપયોગી પશુઓના મારણની ઘટના સતત વધતી જ જાય છે. અમરેલી જિલ્લામાં સિંહ અને દિપડાની વસતી જેમજેમ વધતી જાય છે તેમતેમ આવી ઘટનાઓ વધી રહી છે. ગઇરાત્રે ખાંભા તાલુકાના દાઢીયાળી ગામે દિપડા દ્વારા પાંચ  બકરાના મારણની ઘટના બની હતી.

દાઢીયાળીના વાઘાભાઇ ગોકળભાઇ ભરવાડ દ્વારા ગામના પાદરમાં ઝોક બનાવવામા આવી છે. જેમાં 50 બકરા કાયમ બાંધેલા રહે છે. ગઇરાત્રે એક દિપડો શિકાર માટે વાડ કુદી અંદર ઘુસ્યો હતો અને પાંચ બકરા  મારી નાખ્યા હતા. આ અંગે સવારે વનવિભાગને જાણ કરવામા આવતા આરએફઓ બી.જે.ઝાલાની સુચનાથી સ્ટાફના એ.કે.વાળા, બી.વી.વાળા વિગેરે  ઘટના સ્થળે દોડી ગયા હતા. ગામમા આ રીતે શિકારની શોધમાં અવારનવાર દિપડો ચડી આવતો હોય તેને પાંજરે પુરવામા આવે તેવી ગામલોકોએ માંગ ઉઠાવી છે.

No comments: