Tuesday, September 30, 2014

ગિરનાર પરિક્રમાનાં પ્રવેશ માર્ગે પ્રકૃતિ મિત્ર યાત્રાળુઓને કાગળ-શણની થેલી આપશે.

Bhaskar News, Junagadh | Sep 28, 2014, 01:17AM IST
ગિરનાર પરિક્રમાનાં પ્રવેશ માર્ગે પ્રકૃતિ મિત્ર યાત્રાળુઓને કાગળ-શણની થેલી આપશે
- ઇકો ફ્રેન્ડલી |ગિરનાર પરિક્રમાનાં રૂટ પર પ્લાસ્ટીક જતું રોકવા
- સમગ્ર શહેરમાં હોર્ડીંગ્ઝ-બેનરો લગાવાશે : દર વર્ષે પરિક્રમા બાદ 10 થી 15 હજાર કિલો કચરો એકઠો કરાય છે

જૂનાગઢ: ગિરનારની પાવનકારી પરિક્રમામાં દર વર્ષે લાખ્ખો ભાવિકો આવે છે. અને સાથે લાવેલી ખાદ્ય સામગ્રી તેમજ અન્ય પોલિથીન બેગ જ્યાં ત્યાં ફેંકે છે. જેને લીધે પરિક્રમા બાદ એનજીઓનાં સાથની વનવિભાગ સફાઇ અભિયાન શરૂ કરી ટનબંધ પ્લાસ્ટીક એકઠું કરે છે. આ બાબતને લઇને જૂનાગઢની પ્રકૃતિ મિત્ર નામની સંસ્થાએ આ વખતે પરિક્રમાનાં પ્રવેશ માર્ગ પર જ ભાવિકોને કાગળ અને શણની થેલીનું વિતરણ કરી પ્લાસ્ટીકની થેલી ત્યજીને જ ભાવિકો જંગલમાં પ્રવેશે એ માટેનું અભિયાન શરુ કર્યું છે. દરમ્યાન આ બાબતને લઇને શહેરની વન મેન આર્મી સંસ્થાએ આ મામલે જાહેર હિતની અરજી કરવાની તૈયારી પણ દર્શાવી છે.

 જૂનાગઢમાંથી દર વર્ષે યોજાતી ગિરનારની પરિક્રમામાં યાત્રાળુઓ પ્લાસ્ટીકની બેગ ત્યજીને જંગલમાં પ્રવેશે તે માટે બહાઉદ્દીન વિજ્ઞાન કોલેજનાં પ્રો. ચિરાગ ગોસાઇ દ્વારા પ્રકૃતિ મિત્ર નામની સંસ્થાનાં બેનરતળે ઝૂંબેશ હાથ ધરાઇ છે. જે મુજબ, દાતાઓ પાસે કાગળ અને શણની થેલી તૈયાર કરાવી પરીક્રમાનાં પ્રવેશમાર્ગ પર ભાવિકોને તેનું વિતરણ કરવામાં આવશે. આ માટે શહેરમાં હોર્ડીંગ્ઝ અને બેનરો પણ લગાવાશે.

 દરમ્યાન વનમેન આર્મીનાં સંયોજક અને એડવોકેટ કિરીટ બી. સંઘવીએ જણાવ્યું છે કે, પરિક્રમાનાં રૂટ પર પ્લાસ્ટીકની વસ્તુઓનાં કારણે ગિરનારનાં જંગલનાં પર્યાવરણમાં ન પૂરી શકાય એવું નુકસાન થઇ રહ્યું છે. ખાસ કરીને ગિરનારનાં જંગલને અભયારણ્ય તરીકે જાહેર કરાયું છે ત્યારે કાયદાની જોગવાઇ મુજબ પણ પ્લાસ્ટીકની વસ્તુઓ લઇ જવા પર પ્રતિબંધ છે. પરંતુ વનવિભાગ અને પોલીસ આ બાબતે ગંભીર હોતા નથી. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી સિવાય તેઓ આ બાબતે આવનાર યાત્રાળુઓની કોઇ તપાસ કરતા નથી. આ તેમણે સરકારનાં સંબંધિત ખાતાઓમાં એકશન પ્લાન તૈયાર કરવા વિનંતી કરતો પત્ર પાઠવ્યો છે. જો વનવિભાગ અને પોલીસનો સહયોગ નહીં સાંપડે તો આ એક્શન પ્લાન માટે પર્યાવરણ બચાવવા હાઇકોર્ટમાં જાહેર હિતની અરજી કરવાની તૈયારી પણ તેમણે દાખવી છે.
http://www.divyabhaskar.co.in/news/SAU-JUN-girnar-parikrama-start-in-junagadh-latest-news-4759074-NOR.html

No comments: