Wednesday, May 31, 2017

સાવરકુંડલા: વન્ય વિસ્તારમાં ખડકાઇ આડેધડ પવનચક્કીઓ, સિંહોની સુરક્ષા સામે ખતરો

Bhaskar News, Savarkundla | May 09, 2017, 02:02 AM IST
સાવરકુંડલા: વન્ય વિસ્તારમાં ખડકાઇ આડેધડ પવનચક્કીઓ, સિંહોની સુરક્ષા સામે ખતરો,  amreli news in gujarati
સાવરકુંડલા પંથકમાં સિંહોની સંખ્યામાં પણ વધારો થયો
સાવરકુંડલા:છેલ્લા ત્રણ દાયકામાં વન વિભાગ દ્વારા સિંહોની સુરક્ષાની કામગીરી નોંધપાત્ર બની છે. સાવરકુંડલા પંથકમાં સિંહોની સંખ્યામાં પણ વધારો જોવા મળ્યો છે. ત્યારે આ વિસ્તારમાં ઉભી થઇ રહેલી આડેધડ પવનચક્કીઓથી સિંહોની સુરક્ષા સામે ખતરો ઉભો થતાં સરકારી તંત્ર સામે રોષ ઉભો થયો છે.
 
પશુઓનું જીવન જોખમી બની ગયું
 
આ વિસ્તારમાં ખાનગી કંપની દ્વારા આડેધડ ઉભી રાઇ રહેલી પવનચક્કીઓથી સિંહ – મોર અને અન્ય પશુઓનું જીવન જોખમી બની ગયું છે. આ વિસ્તાર ઇકો સેન્સિટિવ ઝોનથી આરક્ષિત છે. ખાસ કરીને સાવરકુંડલા તાલુકાના જ પીઠવડી, ભેકરા, છાપરી, મેવાસા, સેજળ – વડાળબીડમાં આશરે 24 જેટલાં સિંહો કાયમી વસવાટ કરે છે. જ્યારે 3 હજાર ઉપર મોરનું રહેઠાણ છે. પર્યાવરણવિદ્ મંગળુભાઇ ખુમાણના જણાવ્યા અનુસાર સિંહ ઉપરાંત મોર, ચિંકારા, હરણ, ઇન્ડીયન પાઇથન, પેલીકન કુંજ, રાજહસ તથા વિદેશી પ્રવાસી પક્ષી સારસ આ વિસ્તારમાં જોવા મળે છે.
 
હજારો પશુ પક્ષીઓનાં જીવનનો ખતરો
 
હાલમાં 8 જેટલાં નાના સિંહબાળ અહી ઉછરી રહ્યાં છે. આ વિસ્તારના આઠ ગામડાઓમાં વિન્ડ ફાર્મ – પાવર ઉત્પાદન વીજ ટ્રાન્સફોર્મરો ખડકાતા આ હાઇવોલ્ટેજ વિજ એકમો હજારો પશુ પક્ષીઓનાં જીવનનો ખતરો બની રહ્યું છે. જ્યારે આ વિસ્તારમાંથી પવનચક્કીઓનાં ખડકલા દૂર કરવામાં આવે તો તમામને અન્યત્ર સલામત સ્થળે ખસેડવા માંગ ઉભી થઇ છે. હવે જોવાનું એ રહ્યું છે કે, આ મહાકાય કંપનીઓ સામે સરકારી તંત્રતો વામણું પુરવાર થાય છે કે, ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર સિંહોની સુરક્ષા કરી શકશે કે કેમ?
સાવજોને પહોંચશે ખલેલ

વિન્ડફાર્મ અવાજ અને વીજ પ્રવાહથી  સિંહોના જીવનનો પૂરો ખતરો છે. સામાન્ય રીતે અવાજ અને ગંધના માધ્યમથી આ પ્રાણીઓ શિકાર કરતાં હોય છે. ત્યારે વિન્ડફાર્મના અવાજથી તેને ખલેલ પહોંચશે. પરિણામે તેના ખોરાક અને જીવન પર ખતરો છે.

No comments: