Friday, January 31, 2020

સાવજોએ સીમાડા વધાર્યા, પ્રથમ વખત વાઘની જેમ સિંહોની ગણતરી થશે, 2 હજાર ગણતરીકારો ફિલ્ડવર્કમાં જોડાશે

Divyabhaskar.Com

Jan 02, 2020, 10:22 AM IST
લીલીયા: આગામી મે માસમાં સૌરાષ્ટ્રની શાન સમા સાવજોની વસતિ ગણતરી થવા જઇ રહી છે. આ સાવજો પોતાના સીમાડાઓ સતત વધારી રહ્યાં છે ત્યારે પાંચ વર્ષ પછી યોજાનારી આ વસતિ ગણતરી હવે 15 હજાર સ્કવેર કિમી વિસ્તારને બદલે 25 હજાર સ્કવેર કિલોમીટર વિસ્તારમાં થવા જઇ રહી છે. વળી અગાઉ જૂનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર જિલ્લામાં થતી ગણતરી હવે સાત જિલ્લામાં થશે. તંત્રએ તે માટેની તૈયારી શરૂ કરી દીધી છે. સિંહની ગણતરી માટે આ વખતે વાઘની ગણતરીની તર્જ પર કામ કરવા વાટાઘાટો ચાલી રહી છે. 
સાવજોની વસ્તિ સતત વધી
વર્ષ 2015માં 2 મેથી 5મી મે દરમિયાન સાવજોની પ્રાથમિક ગણતરી હાથ ધરવામાં આવી હતી. ત્યારબાદ બીજી અને આખરી તબક્કાની ગણતરી કરાઇ હતી. 2015ની સાલમાં કુલ 15 હજાર સ્કવેર કિમી વિસ્તારમા સિંહ ગણતરી કરાઇ હતી. પરંતુ ત્યારબાદ સાવજોની વસતિ સતત વધી છે. 
7 જિલ્લામાં 25 હજાર સ્ક્વેર કિમીમાં 8 હજારથી વધુ કેમેરાની મદદથી ગણતરી
2020ની સિંહની ગણતરી દરમિયાન સાવજોની દરેક મુવમેન્ટની નોંધ રાખવા 8 હજારથી વધુ કેમેરાનો ઉપયોગ કરાશે. સુત્રોના જણાવ્યા મુજબ દસેક હજાર કેમેરાનો પણ ઉપયોગ થઇ શકે છે. આવનારી ગણતરી આધુનિક ટેકનોલોજીથી સભર હશે. ગણતરીમા આર્ટિફિશ્યલ ઇન્ટેલીજન્સનો ઉપયોગ કઇ રીતે થઇ શકે ? તેની ચર્ચા ચાલી રહી છે. આવનારી સિંહ ગણતરીમા 1500 થી 2000 જેટલા લોકોને ફિલ્ડ વર્ક આપવાનુ આયોજન હાથ ધરવામાં આવી રહ્યું છે.
વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટી. સાથે ચર્ચા ચાલે છે
સરકાર અને વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટયુટ વચ્ચે સિંહ ગણતરીની પધ્ધતિઓ અને ઉપયોગમા લેવાનારા આધુનિક સાધનો અંગે ચર્ચા ચાલે છે.- વાય.વી.ઝાલા, વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટીટયુટ
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/for-the-first-time-a-lion-will-be-counted-like-a-tiger-126410251.html

No comments: