Tuesday, March 31, 2020

સિંહણે બે માસના સિંહબાળને ત્યજ્યું, હિમોગ્લોબીન ઘટતા ઝૂમાં લાવ્યા હતા, સ્વસ્થ થતા માતા પાસે મુક્યું તો તરછોડ્યું

  • 2.3 ટકા હિમોગ્લોબીન હોય બચ્ચાનું રેસ્ક્યુ કરી સક્કરબાગમાં લાવી સારવાર આપવામાં આવી હતી
  • સિંહબાળનું નામ ખ્યાતિ રાખવામાં આવ્યું, ઉત્તર ડુંગર રેન્જના ખડિયા રાઉન્ડ પાસે આ બચ્ચું વિખૂટું પડ્યું હતું

દિવ્ય ભાસ્કર

Mar 16, 2020, 10:29 AM IST

જૂનાગઢ: માનવીની જીંદગી માટે જે રીતે 108 આશીર્વાદરૂપ થઇ છે એ જ રીતે ગિરના સિંહોને બચાવવા ખાસ લાયન્સ એમ્બ્યુલન્સ કાર્યરત કરાઇ છે. આ એમ્બ્યુલન્સે થોડા વખત પહેલાં જૂનાગઢના ખડિયા નજીકના જંગલમાંથી 2 માસના બિમાર સિંહણબાળનું રેસ્ક્યુ કરી સારવાર માટે સક્કરબાગ ઝૂ લાવવામાં આવ્યું હતું. તેને સારવાર આપ્યા બાદ ફરી માતા સાથે મિલન કરાવવા ગિરનારના જંગલમાં છોડ્યું. પણ સિંહણે તેને સ્વીકાર્યું જ નહીં. આથી તેને ફરી સક્કરબાગ ઝૂમાં લાવવામાં આવ્યું. આ સિંહબાળ અત્યારે 11 માસનું થઇ ગયું છે. અને તેની સંભાળ ઝૂમાં જ થઇ રહી છે.

15 દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી

સામાન્ય રીતે સિંહણ તેના બચ્ચાને તરછોડતી નથી. પરંતુ 2-3 બચ્ચામાંથી એક જો બિમાર હોય તો તેની સંભાળ તે ઓછી રાખે છે. જેના કારણે બિમાર બચ્ચું વિખૂટું પડી જાય છે. ગત જૂન 2019ના દિવસે ઉત્તર ડુંગર રેન્જના ખડિયા રાઉન્ડ પાસે આ બચ્ચું વિખૂટું પડ્યાની જાણ થયા બાદ સક્કરબાગના વેટરનરી ડોક્ટર સાથેની ટીમે તેનું રેસ્ક્યુ કરી સારવાર માટે સક્કરબાગ લાવી હતી. તેનામાં હિમોગ્લોબીન ઓછું હોવાને કારણે 15 દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી. 15 દિવસ બાદ ફરી તેની માતા સાથે મિલન કરાવવા જંગલમાં છોડ્યું તો માતા તેની પાસે આવી જ નહીં. અને બચ્ચાનો સ્વીકાર જ ન ર્ક્યો. હવે જો કે, આ બચ્ચું તંદુરસ્ત છે.

ઝૂમાં નામ મળ્યું ખ્યાતિ

જંગલના જે તે રાઉન્ડ અને વિસ્તારમાંથી સિંહનું બચ્ચું મળી આવે તેના પ્રથમ અક્ષર પરથી તેનું નામ રાખવામાં આવે. ખડિયાથી મળ્યું હોવાથી તેનું નામ ખ્યાતિ રખાયું છે. ત્યારબાદ તેના બચ્ચાના નામો પણ માતાના નામના પ્રથમ અક્ષર પરથી રખાય છે. જેથી તેના બ્રિડીંગ વખતે વંશવેલાનો ખ્યાલ આવે. -ડો.આર. એફ. કડીવાલ, વેટરનરી તબીબ

2.3 ટકા હિમોગ્લોબીન હોય સારવાર અપાઇ

2.3 ટકા હિમોગ્લોબીન હોય સારવાર અપાઇ જે બચ્ચાનું રેસ્ક્યુ કરી સક્કરબાગમાં લાવવામાં આવ્યું હતું. 2.3 ટકાથી પણ હિમોગ્લોબીન ઓછું હતું. આથી તેને તાત્કાલીક સારવાર માટે સક્કરબાગ ઝૂમાં લઇ આવવામાં આવ્યું અને 15 દિવસ સુધી સારવાર આપવામાં આવી હતી. એમ ઝૂના સુત્રોએ જણાવ્યું હતું.

સિંહ માટે પણ 108 જેવીજ એમ્બ્યુલન્સ

સક્કરબાગ ઝૂ પાસે લાયન એમ્બ્યુલન્સ છે. જેમાં સ્વયં સંચાલિત પાંજરૂ, એનેસ્થેસિયા મશીન, માઇક્રોસ્કોપ, તમામ પ્રકારની ઇમરજન્સી મેડીસીન, ઓક્સિજન સપ્લાય, પોર્ટબલ બ્લડ એનેલાઇઝર, રેપિડ ડિસીઝ ડાયેગ્નોસ્ટીક કીટ્સથી સજ્જ કરવામાં આવી છે. વન્ય પ્રાણીને સ્થળ પર સારવાર મળે છે.

(સરમન ભજગોતર, જૂનાગઢ)
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/junagadh/news/two-month-old-lion-cub-leave-from-her-mother-lioness-in-junagadh-126985852.html

No comments: