Wednesday, May 15, 2013

ગિરમાં તૃણભક્ષીની સંખ્યા લાખને વળોટી, ૧૮.૪૦ ટકાનો વધારો.

ગિરમાં તૃણભક્ષીની સંખ્યા લાખને વળોટી, ૧૮.૪૦ ટકાનો વધારો
Jitendra Mandaviya, Sasan  |  May 15, 2013, 00:44AM IST
- વનવિભાગ દ્વારા બે દિવસીય ગણતરીની કામગીરી પૂર્ણ બાદ આંકડો જાહેર : ૨૦૧૦માં તૃણભક્ષી પ્રાણીઓ ૮૨૧૬૮ હતા તેમાં ૧૭૩૦૦ વધતા ૯૯૪૬૮ સંખ્યા પહોંચી :  દિવ્ય ભાસ્કરે અગાઉ આપેલો અંદાજ આખરે સાચો ઠર્યો : ત્રણ વર્ષમાં ૧૮.૪૦ ટકાનો વધારો તૃણભક્ષી પ્રાણીઓમાં જોવા મળ્યો

ગીરજંગલમાં સિંહ-દપિડાનાં ખોરાક બની વિહરતા તૃણભક્ષી પ્રાણીઓની વસ્તીનો અંદાજ મેળવવા વનવિભાગે સમગ્ર ગીર જંગલમાં ગત તા.૭,૮ મે દરમિયાન કરેલ પ્રાણીઓની ગણતરી પૂર્ણ થયા બાદ વનવિભાગે આજે ગણતરી બાદ પ્રાણીઓની સંખ્યાનાં સત્તાવાર આંકડા જાહેર કર્યા જેમાં ર૦૧૦માં તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યા ૮૨૧૬૮ હતી તેમાં ૧૭૩૦૦ પ્રાણીઓનો ઉમેરો થતા સંખ્યા ૯૯૪૬૮ એટલે એક લાખ સુધી પહોંચી છે.

જ્યારે તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યામાં વાર્ષિક ૬.૧૩ ટકાથી ત્રણ વર્ષમાં ૧૮.૪૦ ટકાનો વધારો થયો એ ગીરનું જંગલ સિંહો સહિતની વન્યજીવ સૃષ્ટીનું તંદુરસ્ત જંગલ હોવાનો સબળ પુરાવો છે. ઉલ્લેખનીય એ છે કે, આ ગણતરી સમયે તૃણભક્ષી પ્રજાતિના નાના બચ્ચાઓ જોવા મળ્યા હતા અને દિવ્ય ભાસ્કરે આ વખતની ગણતરીમાં તૃણભક્ષીની સંખ્યા એક લાખે પહોંચશે તેવો અંદાજ અહેવાલમાં આપ્યો હતો તે આજે સાચો ઠર્યો છે.

વનવિભાગ દ્વારા ગત ૭,૮ એમ બે દિવસ દરમિયાન ગીર અભ્યારણ રાષ્ટ્રીય ઉદ્યાન આરક્ષીત અભ્યારણ સહિત પૂર્વ અને પશ્ચિમ ગીર વિભાગનાં ૧૪૧૨ ચો.કી.મીમાં વસવાટ કરતા તૃણભક્ષી પ્રાણીઓની ગણતરી કરવામાં આવી હતી. જેમાં ૧૯ રૂટો બનાવાયા હતા અને રોડ સાઈડ કાઉન્ટ પધ્ધતિ અને કગિ્સ મેથડ પધ્ધતિથી વનસરક્ષકથી લઈ વનવિભાગનાં ગાડ સુધીનાં કર્મીઓ આ ગણતરીમાં તેનાત રહ્યાં હતા.

આ ગણતરી બાદ અવલોકન પ્રક્રિયા અને ૧૯ રૂટોનું પૃથ્થકરણ કરી આજે વનવિભાગે સત્તાવાર વિગતો બહાર પાડતા જેમાં તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યામાં ૧૭૩૦૦ પ્રાણીઓનો ઉમેરો જોવા મળેલ છે. અને સંખ્યા એક લાખ સુધી પહોંચી ગઈ છે. તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યામાં થઇ રહેલી સારી વૃદ્ધી પાછળ વન વિભાગ દ્વારા ગીરનાં જંગલની જમીનોમાં ઉગતા કુવાડીયા અને લેન્ટીના (વાડ) જમીનમાંથી કાઢી નાખવા કરાયેલી જબરજસ્ત કામગીરી છે.

કુવાડીયા અને વાડ જ્યાં જમીનમાં હોય ત્યાં ખળ કે ઘાસ ઉગતુ નથી વન વિભાગ છેલ્લા ઘણા સમયથી કુવાડીયાકઢાવવા અને તેની જગ્યાએ વધુ ઘાસ પેદા થાય તે પ્રકારની સઘન કામગીરી કરી છે. આ કામગીરીથી ગીરજંગલમાં ઘાસ વધુ પેદા થવા લાગ્યુ અને તૃણભક્ષી પ્રાણીઓને ખોરાક પુષ્કળ પ્રમાણમાં પ્રાપ્તથવા લાગતા પ્રાણીઓની સંખ્યા પુરતા ખોરાક અને યોગ્ય સંરક્ષણથી વધી રહી છે.

ગણતરીની આંકડાકીય વિગતો આપતા સાસણ વન્યપ્રાણી વિભાગનાં ડીએફઓ ડૉ.સંદપિકુમારે જણાવેલ કે ગીર મેનેજમેન્ટ પ્લાન મુજબ દરેક વન્યજીવ પ્રજાતીની સાર સંભાળ રાખી તેમની સંખ્યા વધારો કરવાની કામગીરી મોટાભાગે સફળ બની છે. તૃણભક્ષી પ્રાણીઓ માટે જંગલમાં ઘાસ-પાણી પુરતા પ્રમાણમાં ઉપલબ્ધ હોય પ્રાણીઓની સંખ્યામાં વૃદ્ધી સારી થઇ રહી છે. આમ જંગલમાં વિચરતી વન્યજીવ પ્રજાતીની સંખ્યામાં ઉતરોત્તર વધારો થતો રહેવો તે આદર્શ જંગલ હોવાનું પુરવાર થાય છે.

- સિંહ સ્થળાંતર મુદ્દેની અપીલમાં તૃણભક્ષીની  સંખ્યા દર્શાવાઈ

ગીરનાં સિંહોને મધ્યપ્રદેશમાં ખસેડવા દેશની સર્વોચ્ચ અદાલતે આપેલા ચુકાદાની સામે ગુજરાત સરકારે રીવીઝન અપીલ સુપ્રીમ કોર્ટમાં દાખલ કરી તો અપીલની સાથે ગત તા.૭ અને ૮નાં રોજ તૃણભક્ષી પ્રાણીઓની ગણતરી થઈ અને તે ગણતરીમાં કેટલા તૃણભક્ષી પ્રાણીઓ નોંધાય તે વિગતો અપીલ સાથે જોડવામાં આવી છે.

ગીરમાં વસતા સિંહોનાં મુખ્ય ખોરાક તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યા ગીરનાં જંગલમાં પુષ્કળ હોય ગીરમાં વસતા સિંહોને પુરતા પ્રમાણમાં ખોરાક પ્રાપ્ત થતો હોય તેની સામે મધ્યપ્રદેશનાં જંગલોમાં સિંહોના ખોરાક ગણાતા પ્રાણીઓની સંખ્યા નહીવત છે.

ગીરનાં સિંહોને ખોરાકની કોઈ ખામી નથી તે દર્શાવવા સુપ્રીમ કોર્ટમાં તૃણભક્ષી પ્રાણીઓની સંખ્યાના તાજેતરના આંકડા સિંહ સ્થળાંતર અટકાવવાની રીવીઝન અપીલ સાથે જોડવામાં આવ્યા હોવાનું વનવિભાગના સુત્રોએ જણાવ્યું છે. આમ તાજેતરમાં ગુજરાતની શાન સમા સોરઠનાં સાવજોને સ્થળાંતર કરવાનો મામલો અને તેની સામે ઉઠેલા વિરોધ વચ્ચે તૃણભક્ષીની સંખ્યામાં થયેલો વધારો પણ સુપ્રિમ કોર્ટની અપીલનાં દસ્તાવેજમાં પહોંચ્યો છે.

- રાષ્ટ્રીય પક્ષી મોર ૪૪૩૧ વધ્યા

ગીર જંગલમાં તૃણભક્ષી સમાન ગણાતા રાષ્ટ્રીય પક્ષી મોરની સંખ્યામાં ૪૪૩૧ મોરનો વધારો થતા મોરની સંખ્યા ૨૭૪૨૫ સુધી પહોંચી છે.

No comments: