Saturday, February 28, 2015

વનતંત્રનાં જડ નિયમો સામે ગિર-કનકાઇ બચાવો સમિતીની રચના.

Bhaskar News, Visavadar Feb 26, 2015, 00:55 AM IST
વનતંત્રનાં જડ નિયમો સામે ગિર-કનકાઇ બચાવો સમિતીની રચના
- 84 જ્ઞાતિનાં લોકો સવાર-સાંજની આરતીનો લાભ લઇ શકે તે માટે લડતની તજવીજ
- માતાજી કુળદેવી હોવાથી લાખો ભાવિકો આવે છે

વિસાવદર: ગિર જંગલની મધ્યે આવેલું કનકાઇ માતાજીનું મંદિર લાખ્ખો ભાવિકોની આસ્થાનું કેન્દ્ર છે. 84 જ્ઞાતિનાં કુળદેવી ગણાતા કનકાઇ માતાજીનાં દર્શને આવતા લોકોને અને હાલાકી વેઠવી પડે છે. પરિણામે આજે માતાજીનાં પાટોત્સવ નિમીતે એકઠા થયેલા ભાવિકોની ઉપસ્થિતીમાં આ માટેની લડત ચલાવવા એક કમિટીની રચના કરવામાં આવી હતી.

મધ્યગિરમાં બિરાજતા કનકેશ્વરી માતાજીનું મંદિર ખુબજ પૌરાણિક છે. 84 જ્ઞાતિઓનાં તે કુળદેવી હોવાથી લાખ્ખો ભાવિકો અહીં આવે છે. પરંતુ તે ગિર અભયારણ્યની વચ્ચોવચ આવેલું હોવાથી ભાવિકોને અવારનવાર વનતંત્રની બેધારી નિતીનો ભોગ બનવું પડે છે. માતાજીનાં અનુયાયીઓ દેશ-વિદેશમાં વસે છે. તેઓ વર્ષ દરમ્યાન યોજાતા ઉત્સવોમાં અવારનવાર આવતા હોય છે. હજારો કિમી છેટેથી આવતા ભાવિકોને વનતંત્રની જડતાને લીધે સવાર કે સાંજની આરતીનો લાભ મળતો નથી. વળી જે નાકેથી પ્રવેશ્યા હોય ત્યાંથીજ પરત ફરવું એવા નિયમોને લીધે પણ યાત્રાળુઓને 50 થી લઇને 100 કિમીનો લાંબો ફેરો થાય છે.

જે લોકો વિસાવદરથી કનકાઇ જાય છે તેઓને ત્યાંથી સોમનાથ કે તુલસીશ્યામ જવું હોય તો છોડવડી નાકેથી નજીક થાય. તેને બદલે તેઓએ ફરી વિસાવદર આવી ત્યાંથી પાછો સોમનાથ કે તુલસીશ્યામનો રસ્તો પકડવો પડે છે. એજ રીતે સામેની બાજુથી આવતા લોકોને સત્તાધાર જવું હોય તો પણ પાછા છોડવડી નાકે જઇ ત્યાંથી સત્તાધારનો રસ્તો પકડવો પડે છે. વર્ષો પહેલાં કનકાઇમાં રાત્રિ રોકાણની છૂટ હતી. પણ વનતંત્રનાં જડ નિયમોને લીધે તેના પર હવે પ્રતિબંધ આવી ગયો છે. આથી યાત્રિકોમાં રોષ ફાટી નિકળ્યો છે. જેના કારણે આજે કનકાઇ માતાજીનાં પાટોત્સવ પ્રસંગે એકઠા થયેલા ભાવિકોએ ગિર-કનકાઇ બચાવો સમિતીની રચના કરી હતી. અા સમિતીનાં નેજા હેઠળ જડ નિયમો સામે કાયદાકિય લડત કરવી અને જરૂર પડ્યે વનતંત્રનાં નિયમોનો સામુહિક ભંગ કવો પડે તો પણ લડત આપવાનો નિર્ણય કરાયો છે.

છોડવડીનાં રસ્તાથી ભારે હાલાકી

કનકાઇ જવા માટે વિસાવદરથી મેઇડી આઇ ચેક પોષ્ટથી કનકાઇ સુધીનો રોડ ચાલુ વર્ષે બે વખત રીપેર થયો હોવાથી સારો છે. પણ સામે છેડે છોડવડી નાકેથી આવતા યાત્રિકો ખરાબ રસ્તાથી ભારે હાલાકી વેઠી રહ્યા છે. જેના કારણે અવારનવાર અકસ્માતો પણ સર્જાય છે. આવા અકસ્માતો અવારનવાર સર્જાય છે. આથી આ રસ્તો તાકીદે રીપેર કરવાની માંગ પણ ઉઠી છે.

No comments: