Friday, April 29, 2016

અમરેલીઃ ખડાધારમાં યુરીયાવાળું પાણી પી જતાં આઠ નિલગાયનાં મોત


અમરેલીઃ ખડાધારમાં યુરીયાવાળું પાણી પી જતાં આઠ નિલગાયનાં મોત

  • Hirendrasinh Rathod, Khambha
  • Apr 16, 2016, 15:06 PM IST
ખાંભાઃ ખાંભા તાલુકાના ખડાધાર ગામે આવેલ એક વાડીમાં એકસાથે આઠ નિલગાયના મૃતદેહ પડયા હોય આ અંગે વનવિભાગને જાણ થતા અધિકારીઓ સહિત સ્ટાફ અહી દોડી આવ્યો હતો. વનવિભાગની તપાસમાં આ આઠેય નિલગાયોના મોત યુરીયાવાળુ પાણી પીવાથી થયાનુ ખુલ્યુ હતુ. વનવિભાગે વાડી માલિકની અટકાયત કરી પુછપરછ હાથ ધરી હતી. આઠ નિલગાયના મોતની આ ઘટના ખાંભા તાલુકાના ખડાધાર ગામની સીમમાં બની હતી.
 
- મૃતદેહ મળતા વનવિભાગે વાડી માલિકની અટકાયત કરી પુછપરછ શરૂ કરી
 
અહી આવેલ રમેશભાઇ જીવાભાઇ તલસરીયાની વાડીમાં એકસાથે આઠ નિલગાયના મૃતદેહ પડયા હોવાની વનવિભાગને જાણ થઇ હતી. જેને પગલે ધારીથી ડીએફઓ કરૂપ્પાસામી, રાણપરીયા, હેરમાભાઇ, દોઢીયારભાઇ, વાળા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. વનવિભાગે મૃતદેહોનું પોસ્ટમોર્ટમની પ્રક્રિયા હાથ ધરી હતી. 
 
વનવિભાગે વાડી માલિક રમેશભાઇની પુછપરછ કરી હતી. આરએફઓ માળવીએ જણાવ્યું હતુ કે વાડી માલિક રમેશભાઇએ વાડીમા યુરીયાવાળુ પાણી હોવાની કબુલાત આપી હતી. વનવિભાગ રમેશભાઇને આવતીકાલે કોર્ટમા રજુ કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે વાડી ખેતરોમાં અવારનવાર વન્યપ્રાણીઓ યુરીયાવાળુ પાણી પીવાથી મોતને ભેટવાની ઘટનાઓ બની રહી છે. ગીરકાંઠા વિસ્તારોમા પણ અનેક વખત આવી ઘટનાઓ ભુતકાળમા પણ બની ચુકી છે.
 
 જિલ્લાના અનેક ગામોમા નિલગાયોની સંખ્યા વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે મોટેભાગે નિલગાયો વાડી ખેતરોમાં જ આંટાફેરા મારતી હોય છે. જેને પગલે આવી ઘટનાનો ભોગ બનતી જોવા મળી રહી છે. ખેડૂતો પોતાના વાડી ખેતરોમાં કુંડીઓમાં યુરીયાવાળુ પાણી ભરતા હોય અને મોટેભાગે કુંડીઓ ખુલ્લી હોય અનેક વખત પ્રાણીઓ આવુ પાણી પી મોતને ભેટવાની ઘટનાઓ બનતી રહે છે.
 
વાડી માલિકે કબુલાત આપી- આરએફઓ

આરએફઓ માળવીએ જણાવ્યું હતુ કે વાડી માલિક રમેશભાઇએ પોતાની વાડીમાં જ યુરીયાવાળુ પાણી પી નિલગાયો મોતને ભેટયાની કબુલાત આપી છે. રમેશભાઇને આવતીકાલે કોર્ટમા રજુ કરાશે.

No comments: