
- Bhaskar News, Amreli
- Apr 01, 2016, 18:31 PM IST
ગીધ ધીમે ધીમે નામશેષ થઇ રહ્યા છે. અમરેલી જીલ્લામાં રાજુલા અને જાફરાબાદ પંથકને બાદ કરતા હવે ભાગ્યે જ ક્યાય ગીધ જોવા મળે છે. દરીયાકાંઠાના વિસ્તારમાં ઘણી વખત તે છુટાછવાયા નઝરે પડી જાય છે. રાજુલાના નીંગાળા ગામની સીમમાં ગીધનું એક ઝુંડ આજે સાવજના વધેલા મારણની જયાફત ઉડાવવા આવી પહોંચ્યુ હતું. નીંગાળા ગામની સીમમાં ગઇરાત્રે ચાર સાવજો મારણની ખોજમાં નિકળ્યા હતાં અને એક ગાય નઝરે પડી જતા સાવજોએ આ ગાયનું મારણ કર્યુ હતું.
સાવજોએ ભરપેટ ભોજન લીધા બાદ પણ ગાયના અવશેષો અહીં વધ્યા હતાં. આજે સવારે આ વધેલી અવશેષો ખાવા માટે 20 થી 22 જેટલા ગીધ આકાશમાંથી અહિં ઉતરી આવ્યા હતાં. સાવજોએ નિંગાળાના રાજાભાઇ રામભાઇ શીયાળની ગાયનું મારણ કર્યુ હતું. સીમમાં ગીધનું વિશાળ ઝુંડ નઝરે પડતા પ્રકૃતિ પ્રેમીઓ ભગવાનભાઇ વાજા, ભાવેશભાઇ ધાપા, કિશોરભાઇ, વિપુલભાઇ સાંખટ વિગેરે અહિં દોડી ગયા હતાં. વન વિભાગને જાણ કરાતા ગોંડલીયાભાઇ, મંગાભાઇ ધાપા વિગેરે અહિં દોડી આવ્યા હતાં અને ગીધને કોઇ કનડગત ન થાય તેવી વ્યવસ્થા કરી હતી.
No comments:
Post a Comment