Tuesday, May 31, 2016

ગીર જંગલમાં વસતા સાવજોનાં કમોતની ઘટના વધી : સુરક્ષા વધારો

ગીર જંગલમાં વસતા સાવજોનાં કમોતની ઘટના વધી : સુરક્ષા વધારો
  • DivyaBhaskar News Network
  • May 17, 2016, 03:35 AM IST
ગીરજંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. અમરેલી જિલ્લામા પણ અનેક વિસ્તારોમાં સાવજોએ વસવાટ કર્યો છે. અહી છેલ્લા કેટલાક સમયથી સિંહોના કમોતની ઘટનાઓ પણ બની રહી છે. ત્યારે સિંહોની સુરક્ષા માટે વનવિભાગ દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામા આવે તે પ્રશ્ને લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા મામલતદાર મારફત રાજયપાલને આવેદન પાઠવી રજુઆત કરવામા આવી છે.

લાયન નેચર ફાઉન્ડેશનના ભીખુભાઇ બાટાવાળા સહિતે રાજયપાલને પાઠવેલા આવેદનમાં જણાવાયું હતુ કે એશિયાની શાન સમા અને ગુજરાતની ઓળખ અને ટુરીઝમ ક્ષેત્રે દેશ અને દુનિયામા નામના મેળવનાર ગીરના સિંહોને સુરક્ષિત બનાવવા જરૂરી છે. સિંહોના રહેઠાણ સમુ ગુજરાતનુ જંગલ દિનપ્રતિદિન સંકોચાઇ રહ્યું હોવાના કારણે તેમજ ગીરના સિંહોની વસતી વધતી હોવાના કારણે ગીરના સિંહોને જાણે જંગલ સાંકડુ પડી રહ્યું હોય તેમ બૃહદગીર વિસ્તાર અને રેવન્યુ વિસ્તારમા સાવજોએ વસવાટ કરવાની ફરજ પડી રહી છે.

તેમણે રજુઆતમાં વધુમાં જણાવ્યું હતુ કે સિંહોની સંખ્યા વધવાની સાથે જંગલ ખાતામા સ્ટાફ વધારવાના બદલે સ્ટાફની વ્યાપક ઘટ અને બેજવાબદાર રોજમદારો તેમજ ફરજ નિષ્ઠ અધિકારીઓના કારણે સિંહ પ્રજાતિ અસલામત બની હોય તેમ છેલ્લા દોઢ માસમા 12 જેટલા સિંહોના મોત થયા છે. સિંહોના મોત કમોતના બનાવોને સિંહપ્રેમીઓ અને વન્યપ્રાણીઓ જે ગંભીરતા અને અનુકંપાની લાગણી અનુભવે છે તેવી લાગણી વનવિભાગના અધિકારીઓ ગંભીરતાથી લેતા હોય તેવુ જોવા મળી રહ્યું છે. જયારે સિંહોના મોત કમોતના બનાવો બને ત્યારે વનવિભાગ પોતાનો બચાવ કરે છે. ત્યારે સિંહોની સુરક્ષા વધારવામા આવે તેમજ જે વિસ્તારોમાં સિંહોના મોતના બનાવો બને તે વિસ્તારના જવાબદાર અધિકારીઓ કર્મીઓ સામે કાયદાના પરિઘમા આવતી સજા કરી સસ્પેન્ડ કરી અન્ય જિલ્લામા બદલી સહિતના પગલા ભરાઇ તેવી માંગણી કરાઇ હતી.

કમોતને લઇ દિન-પ્રતિદિન સાવજોની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે }ભાસ્કર

લાયન નેચર ફાઉન્ડેશન દ્વારા રાજ્યપાલને રજૂઆત કરાઇ

No comments: