Tuesday, May 31, 2016

અમરેલી: વધુ એક ખેડૂત પર સિંહણે કર્યો હુમલો, મહિનામાં ચોથો બનાવ

સારવાર કરી રહેલા ડોક્ટર
  • Hirendrasinh Rathod, Khambha
  • May 29, 2016, 20:17 PM IST
સારવાર કરી રહેલા ડોક્ટર
અમરેલી/ ખાંભાઃ ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં વધુ પ્રમાણમાં આંટાફેરા મારતા જોવા મળી રહ્યાં છે. આ ઉપરાંત સાવજો દ્વારા માણસ પરના હુમલાની ઘટનાઓ પણ વધી હોવાનુ જોવા મળી રહ્યું છે. ત્યારે આજે બપોરના સુમારે ખાંભા તાલુકાના કોદીયા ગામની સીમમાં આવેલ એક વાડીમાં સિંહણે એક યુવક પર હુમલો કરી ઘાયલ કરી દીધો હતો.
 
સિંહણ દ્વારા યુવક પર હુમલાની આ ઘટના ખાંભા તાલુકાના કોદીયા ગામે બની હતી. અહી ચંદુભાઇ લાખાભાઇ વાળા (ઉ.વ.30) નામનો યુવક પોતાની વાડીએ હતો. ચંદુભાઇ પોતાની વાડીએ બપોરના સાડા ચારેક વાગ્યાના સુમારે લીંબુ વિણતા હતા તે દરમિયાન અહી અચાનક એક સિંહણ ધસી આવી હતી અને સીધો જ ચંદુભાઇ પર હુમલો કરી દીધો હતો. બાદમાં હાકલા પડકારા કરતા સિંહણ નાસી છુટી હતી. ચંદુભાઇને સારવાર માટે ખાંભા દવાખાને ખસેડવામા આવ્યા હતા.

ઘટનાને પગલે અહી વનવિભાગના સાહિદખાન પઠાણ, બી.ડી.વાળા, મુકેશભાઇ, આરએફઓ ઝાલા, માળવી સહિત અહી દોડી આવ્યા હતા અને સિંહણનુ લોકેશન જાણવા તજવીજ હાથ ધરી હતી. સિંહણ દ્વારા યુવક પર હુમલાની ઘટનાથી આસપાસ વાડી ખેતરોમાં કામ કરી રહેલા ખેડૂતો અને મજુરોમાં ફફડાટ ફેલાયો હતો.
 
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા ધારીના આંબરડી પાર્ક નજીક એક સિંહે યુવકને ફાડી ખાધાની ઘટના બની હતી. રેવન્યુ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સાવજો આંટાફેરા મારતા હોય અને માણસ પરના હુમલાની ઘટનાઓ પણ વધી રહી હોય લોકોમાં ભય જોવા મળી રહ્યો છે.
 
પ્રથમ બનાવ: નરભક્ષી સાવજે આધેડને ફાડી ખાધો હતો 
 
ધારીના આંબરડીમાં વાડીમા સુતેલા આંકડીયા ગામના આધેડને સાવજે ફાડી ખાધા બાદ વનવિભાગ દ્વારા આ નરભક્ષી સિંહને પકડવા ત્રણ પાંજરા ગોઠવવામા આવ્યા હતા. જેમાં સિંહ પાંજરે પુરાઇ ગયો હતો. સિંહને સાસણ ખાતે મોકલી આપવામા આવ્યો હતો. સાવજ જો એક વખત માણસનું લોહી ચાખી જાય તો પછી તે જોખમી બની જાય છે. સામાન્ય રીતે સિંહ માણસનો શિકાર કરતો નથી પરંતુ જો એક વખત માણસનો શિકાર કરે તો તેની આદત બની જવાની શકયતા છે. આવા સંજોગોમા નરભક્ષી સિંહ બીજા માણસોનો પણ શિકાર કરી શકે છે. નરભક્ષી સિંહ આઝાદ ઘુમતો હોય ખેડૂતો વાડીએ જતા પણ ડરતા હતા.
 
બીજો બનાવ: વાડીમાં સુતેલા 11 વર્ષનાં કિશોરને સિંહે ફાડી ખાધો હતો
 
આંબરડી ગામની સીમમાં સરપંચની વાડીમાં ખેતી કરતા પરિવારના 11 વર્ષના કિશોરને રાત્રીના સમયે સાવજે ફાડી ખાધો હતો. સવારે કિશોરના મૃતદેહના કેટલાક ટૂકડા છૂટાછવાયા મળી આવ્યા સિંહોના માનવ પરના હુમલા વધતા વન વિભાગ દ્વારા 13 સાવજોને પાંજરે પૂરવામાં આવ્યા હતા. અમરેલીના આંબરડીમાં સિંહ દ્વારા માણસને ફાડી ખાવાના ઉપરાછાપરી બનાવના પગલે વસાહતીઓમાં ભય ફેલાયો હતો. આંબરડી વિસ્તારને સિંહ મુક્ત બનાવવાનું અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. આ વિસ્તારમાં નજીકના ભવિષ્યમાં તો સિંહનો વસવાટ ન રહે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. જેના પગલે સિંહનો વર્ષો જૂનો વસવાટ છે તે આંબરડી ખાલી થઇ જશે. બીજી તરફ સિંહ દ્વારા માણસ ઉપર હુમલો કરી ફાડી ખાવાના કિસ્સા કેમ વધ્યા અને સિંહની વર્તણૂકમાં આ ફેરફાર કેમ આવ્યો તેનું સંશોધન-અભ્યાસ પણ વન વિભાગ દ્વારા વૈજ્ઞાનિકોની મદદથી હાથ ધરવામાં આવશે.
 
ત્રીજો બનાવ: કોડિનાર પંથકમાં સિંહે વૃદ્ધાને ફાડી ખાધા હતા 
 
કોડીનાર પંથકના વડનગર ગામમાં ગુરુવારે સાંજે વાડીએ કામ કરી રહેલી વૃદ્ધ મહિલાને સિંહે ફાડી ખાધી હતી. ગુરુવારે સાંજે 70 વર્ષનાં વલાયબહેન લખણોત્રા તેમની વાડીએ કામ કરી રહ્યાં  હતાં ત્યારે સિંહે તેમની પર હુમલો કર્યો હતો અને તેમનું ગળું જકડી લીધું હતું. તેમની ચીસથી આસપાસનાં લોકો ત્યાં દોડી આવ્યા હતા, પરંતુ ત્યાં સુધીમાં સિંહે તેમને ફાડી ખાધાં હતાં. કોડીનાર પંથકમાં સિંહના હુમલાથી મોતનો આ પ્રથમ બનાવ હતો. વૃધ્ધાને મોતને ઘાટ ઉતારી સિંહ નાસી ગયો હતો.
 
આગળ ક્લિક કરો અને જુઓ ઘટનાની વધુ તસવીરો..
 
તમામ તસવીર: હિરેન્દ્રસિંહ રાઠોડ, ખાંભા

No comments: