Friday, February 28, 2014

સિંહના મોતની ઘટનામાં પગલા લેવાના બદલે ટ્રેનોની માહિ‌તી મેળવવામા ગુંચવાયું તંત્ર.

સિંહના મોતની ઘટનામાં પગલા લેવાના બદલે ટ્રેનોની માહિ‌તી મેળવવામા ગુંચવાયું તંત્ર
Bhaskar News, Amreli | Feb 24, 2014, 01:29AM IST
- ભંમરમાં સાવજના મોત સમયે અહીથી સાત માલગાડી પસાર થઇ હતી

સાવરકુંડલા તાલુકાના ભંમર ગામની સીમમાં ગઇકાલે વહેલી સવારે માલગાડી હડફેટે એક સાવજના મોતની ઘટના બાદ આ માટે કોઇની જવાબદારી નકકી કરવાના બદલે વનતંત્ર અહીથી પસાર થયેલી ટ્રેનોની માહિ‌તી એકઠી કરવામા ગુંચવાયેલુ છે. તંત્ર દ્વારા આ બારામાં હજુ સુધી કોઇની સામે ગુનો નોંધાયો નથી. માત્ર આસપાસના ખેડુતો, ગેંગમેન વિગેરેના નિવેદન લેવાયા છે. અહી આ સમયગાળા દરમિયાન સાત માલગાડી પસાર થઇ હતી. દેશની અમુલ્ય ધરોહર સમા સાવજોનુ ટ્રેન હડફેટે મોત થાય છતા વન તંત્ર દ્વારા આ માટે કોઇને પણ જવાબદાર ગણવામા ન આવે તેનાથી બીજી મોટી કરૂણા શું હોઇ શકે ?

અગાઉ જે રીતે ભેરાઇ નજીક બે સિંહણોના મોતની ઘટનામા કોઇ કાર્યવાહી થઇ ન હતી તેવી જ રીતે હવે ભંમરમાં માલગાડી હડફેટે સિંહના મોતની ઘટનામા પણ વનતંત્રની ઢીલીનિતી ખુલીને સામે આવી રહી છે. વનવિભાગ દ્વારા આ ઘટનામાં હજુ સુધી કોઇની સામે ગુનો નોંધવામા આવ્યો નથી. જરૂરી કાગળો તૈયાર કરવામા આવ્યા છે પરંતુ આ ઘટનામા કોઇની જવાબદારી નકકી કરવામા આવી નથી.

સ્થાનિક આરએફઓ ભાલોડીયાએ જણાવ્યુ હતુ કે તંત્ર દ્વારા પંચરોજકામ કરાયુ છે ઉપરાંત આસપાસના ખેડુતો અને ફરજ પરના ગેંગમેનનુ નિવેદન નોંધવામા આવ્યુ છે. જમીન રેલવે તંત્રની છે અને પ્રાણીઓ વનવિભાગના છે. આ નિતી વિષયક નિર્ણય છે માટે જરૂરી કાગળો કોર્ટને સોંપી દેવાશે.

અકસ્માતના સમયે સાત ટ્રેનો પસાર થઇ હતી

સાવજના મોતની ઘટનામા હજુ તો વનતંત્ર કઇ ટ્રેનની હડફેટે આ સિંહનુ મોત થયુ તે શોધવાની ગુંચવણમાં પડયુ છે. બનાવ વખતે રાતના બારથી સવારના નવ વાગ્યા દરમિયાન આ રેલવે ટ્રેક પર સાત ટ્રેનોની આવનજાવન થઇ હતી. ત્યારે વનવિભાગ દ્વારા કયા કયા સમયે આ ટ્રેનો પસાર થઇ ? તેના ડ્રાઇવર કોણ હતા ? વિગેરે માહિ‌તી એકઠી કરવા તજવીજ શરૂ કરી છે.

No comments: