Monday, March 30, 2015

30 મિનિટનાં લાયન શોના દિલધડક દ્રશ્યો: 11 સાવજોનાં ટોળાંએ કર્યું મારણ .

Bhaskar News, Khambha
  • Mar 16, 2015, 10:28 AM IST
ખાંભા: ગીર જંગલમાં વસતા સાવજો હવે રેવન્યુ વિસ્તારમાં મોટા પ્રમાણમાં આંટાફેરા મારતા નજરે પડી રહ્યાં છે. એક તરફ વનવિભાગ સિંહો સલામત હોવાના બણગા ફુંકી રહી છે ત્યારે ખાંભાના ઉના હાઇવે પર આવેલ રાહાગાળા વિસ્તારમાં એક માલિકીના ખેતરમાં 11 સિંહોના ટોળા દ્વારા એક બળદનુ મારણ કરવામા આવ્યું હતુ. અડધી કલાક સુધી અહી લોકોના ટોળા એકઠા થયા હતા. નજીવી રકમ ખર્ચી સિંહોને બળદનુ મારણ અપાયા હોવાની પણ વ્યાપક ચર્ચાઓ ઉઠી છે.
 
- લાયન શો: ખાંભામાં 11 સાવજોનાં ટોળાએ એક બળદનું મારણ કર્યું, નજીવી રકમ ખર્ચી મારણ નાખ્યાની ચર્ચા, સિંહ દર્શન માટે ટોળે વળ્યા
- ખાંભામા ગઇકાલની મારણની ઘટના શું લાયન શો હતો ?
- 11 સાવજોનાં ટોળાએ એક બળદનું મારણ કર્યુ
- અડધો કલાક સુધી લોકો સિંહ દર્શન માટે એકઠા થયા : નજીવી રકમે બળદ ખર્ચી મારણ નાખ્યા હોવાની જોરશોરથી ચર્ચા

ખાંભા પંથકમાં છેલ્લા કેટલાક સમયથી  વીડીમાંથી રેવન્યુ વિસ્તારમાં સિંહ, દિપડા સહિતના વન્યપ્રાણીઓના આંટાફેરા વધી ગયા છે. હજુ થોડા દિવસ પહેલા ભાડ ગામે ગેરકાયદે લાયન શો કરતા શખ્સોને વનવિભાગે ઝડપી લીધાની ઘટના તાજી છે.
 
ત્યારે અહીના રાહાગાળા વિસ્તારમાં ગઇકાલે સાંજના સુમારે એક માલિકીની વાડીમાં 11 જેટલા સાવજો દ્વારા એક બળદનું મારણ કરવામા આવતા અહીં લોકો સિંહ દર્શન માટે એકઠા થયા હતા. અહીં લોકોએ અડધી કલાક સુધી મારણની તસ્વીરો અને વીડીયો કલીપ ઉતારી હતી. એવી પણ ચર્ચાઓ ઉઠી હતી કે આ બળદને નજીવી રકમ ખર્ચી ખરીદ કરી અહીં મારણ માટે નાખવામા આવ્યો હતો. ઘટના અંગે વનવિભાગને કોઇ પ્રકારની જાણ ન હતી.

ખાંભા પંથકમા કયાં કેટલા સિંહો આંટાફેરા મારે છે ?
 
ખાંભા તાલુકાના રેવન્યુ વિસ્તારમાં હાલમાં રાહાગાળામા 11, ભાવરડીપરા વિસ્તારમાં 4, ભાડમા 5, કોદીયામા 2, રબારીકામા 5 સહિતના વિસ્તારોમાં સિંહોના આંટાફેરા મારી રહ્યાં છે.
ઘટના અંગે તપાસ કરીશ- ડીએફઓ
 
ડીએફઓ અંશુમન શર્માએ જણાવ્યું હતુ કે ખાંભાની ઘટના અંગે મને જાણ થઇ છે. ઘટના અંગે તપાસ કરાવીશ.
 
સ્ટાફ સહિત ઘટના સ્થળે દોડી ગયા હતા: આરએફઓ
 
તુલશીશ્યામ રેંજના આરએફઓ ઝાલાએ જણાવ્યું હતુ કે મારણની ઘટના અંગે રાત્રે સાડા આઠ વાગ્યે જાણ થઇ હતી અને સ્ટાફ સાથે સાડા સાત વાગ્યે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

No comments: