Monday, March 30, 2015

ધારી નજીક ખોડિયાર ડેમ પાસે પશુબલીની વાતે પોલીસને દોડાવી.

- વિજ્ઞાન જાથાએ જાણ કરી પણ અવશેષ ન મળતા પોલીસ વિલામોઢે પાછી ફરી
- પોલીસે મામલો દબાવી દીધા હોવાનો આક્ષેપ
- જાથા દ્વારા આજે કલેકટરને આવેદન અપાશે

ધારી: ધારી નજીક આવેલ ખોડિયાર ડેમ પાસે ગળધરા ખોડિયાર મંદિરથી થોડે દુર નદી નજીક એક ધાર્મિક જગ્યા પર નડીયાદ પંથકમાંથી બે બસમા આવેલા કેટલાક લોકો દ્વારા પશુઓની બલી ચડાવાઇ રહી હોવાની વિજ્ઞાન જાથાને જાણ થતા તેના દ્વારા ધારી પોલીસને જાણ કરાઇ હતી. પોલીસ કાફલો તાબડતોબ ખોડિયાર ડેમ પર દોડી ગયો હતો જો કે પોલીસ સુત્રોએ જણાવ્યું હતુ કે અહી પશુબલી ચડાવાઇ હોય તેવુ કશુ નજરે ચડયુ ન હતુ. તો બીજી તરફ પોલીસ ઢાંકપીછોડો કરતી હોવાના આક્ષેપ સાથે આવતીકાલે જાથા દ્વારા કલેકટરને આવેદન પાઠવવામા આવશે.

21મી સદીના આધુનિક યુગમા પણ હજુ પશુ બલી ચડાવવાનો રિવાજ કયાંકને કયાંક જીવંત જોવા મળે છે. ધારીના ખોડિયાર ડેમ પર આવેલા ખોડિયાર મંદિરે દરરોજ સેંકડો શ્રધ્ધાળુઓ દર્શનાર્થે આવે છે. આસપાસના વિસ્તારમા અનેક નાના મોટા ધર્મસ્થાનો છે. આજે નડીયાદ પંથકમાંથી બે બસ સહિત ત્રણ વાહનમાં શ્રધ્ધાળુઓ અહી આવ્યા હતા અને આ શ્રધ્ધાળુઓ દ્વારા અહી ગળધરા મંદિરથી થોડે દુર આવેલા એક ધર્મસ્થાન પાસે તેમના દ્વારા પશુ બલી ચડાવાઇ રહી હોવાની એક વનકર્મી મારફત વિજ્ઞાન જાથાના જયંત પંડયાને જાણ થઇ હતી.
જેને પગલે ધારીના પીએસઆઇ કોલાદ્રા સ્ટાફ સાથે ઘટના સ્થળે દોડી ગયા હતા.

જો કે પોલીસને અહી પશુ બલી ચડાવાઇ હોય તેવા કોઇ પુરાવા હાથ લાગ્યા ન હતા. કે અન્ય કોઇ અવશેષો પણ મળ્યાં ન હતા. પોલીસ સુત્રોએ જણાવ્યા મુજબ અહી સ્થળ પર નીલ પંચનામુ કરવામા આવ્યું હતુ. જો કે પોલીસ દ્વારા વાહન ચાલકો સામે એનસી કેસ કરવામા આવ્યા હતા. પોલીસ અહી પહોંચે તે પહેલા પશુબલીના અવશેષો સગેવગે કરી દેવાયાની પણ આજે ધારીમાં ચર્ચા ઉઠી હતી. તો બીજી તરફ પોલીસ દ્વારા મામલો દબાવવાનો પ્રયાસ કરાયા હોવાના આક્ષેપ સાથે વિજ્ઞાન જાથા દ્વારા આવતીકાલે સવારે 11 કલાકે અમરેલી જિલ્લા કલેકટરને આવેદનપત્ર પાઠવવામા આવશે. ઉલ્લેખનીય એ છેકે, ડેમ પાસે મંદિરમાં પશુઓની બલી ચડાવ્યાની વાત પોલીસનાં કાને પહોંચે તે પહેલા અહિંથી અવશેષો સગેવગે કરી દીધા હોવાની ચર્ચા ઉઠી છે. 

No comments: