Saturday, October 31, 2015

મોતનાં મુખમાંથી પિતાએ દિકરાને બચાવ્યો : મેંદરડામાં દિપડાનો કિશોર ઉપર હુમલો

મોતનાં મુખમાંથી પિતાએ દિકરાને બચાવ્યો : મેંદરડામાં દિપડાનો કિશોર ઉપર હુમલો
Bhaskar News, Mendarda/Rajula

Oct 18, 2015, 00:43 AM IST
- ઘરમાં સુતેલા સાત વર્ષનાં બાળક પર ત્રાટકયો હતો
 
મેંદરડા : મેંદરડાનાં અંબાળા ગામે શુક્રવારનાં રાત્રીનાં ઘરમાં સુતેલા સાત વર્ષનાં બાળકને દીપડો ઢસડીને લઇ જતો હતો ત્યારે પિતાએ હિંમતપુર્વક સામનો કરી પુત્રને મોતનાં મુખમાંથી બચાવી લીધો હતો. મેંદરડાનાં અંબાળા ગામે દેવીપુજક ચનાભાઇ જીવરાજભાઇ સોલંકી મજુરી કામ કરી પરિવારનું ગુજરાન ચલાવતા હોય શુક્રવારનાં રાત્રીનાં પરિવાર ઘરમાં નિંદ્રાધીન હતો ત્યારે 11 વાગ્યાની આસપાસ દીપડો ઘરમાં ઘુસી આવેલ અને સાત વર્ષનાં અજયને ડોક પાસેથી પકડીને ઢસડીને લઇ જતો હતો ત્યારે અજયે બુમાબુમ કરી મુકતા પરિવારનાં સભ્યો જાગી ગયેલ.

દીપડો અજયને ઘરની બહાર સુધી ખેંચી ગયેલ પરંતુ પિતા ચનાભાઇએ બહાદુરીપુર્વક સામનો કરી દીપડાનાં જડબામાંથી પુત્રને છોડાવવામાં સફળ રહયાં હતાં. જયારે દીપડો નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત અજયને 108નાં પાયલોટ પ્રકાશ અગ્રાવત અને ડો.મનીષ ડોબરીયાએ મેંદરડા હોસ્પિટલે ખસેડેલ જયાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ જૂનાગઢ અને અહિંયાથી રાજકોટ રીફર કરાયેલ હોવાનું જાણવા મળે છે. અત્રે નોંધનીય બની રહેશે કે, ગીર વિસ્તારનાં ગામોમાં વન્ય પ્રાણીઓ આવી ચઢી માનવ ભક્ષી બની હુમલા કરતા હોય લોકોમાં ભયનો માહોલ પ્રસર્યો છે.
 
- રાજુલાના માંડરડીની સીમમાંથી ખુંખાર દીપડો પાંજરે પૂરાયો : દિપડાના ભયથી ખેડૂતો સીમમાં જતા પણ ડરતા હતાં

રાજુલા : રાજુલા તાલુકાના માંડરડી ગામની સીમમાં દિપડાની રંજાડ હોય ખેડૂતો દ્વારા અવાર નવાર વનતંત્રને રજુઆત કરાતા પાંજરૂ ગોઠવવામાં આવ્યુ હતું અને આજે વહેલી સવારે આ દિપડો પાંજરે પુરાઇ જતા ખેડૂતોએ રાહતનો દમ લીધો હતો. આ દિપડાને કાનમાં જીવાત પડી ગઇ હોય તેની સારવાર શરૂ કરાઇ હતી.

રાજુલા પંથકમાં દિપડાની વધી રહેલી સંખ્યાથી સીમમાં વાડી-ખેતરોમાં કામ કરતા લોકોમાં ભારે ભય પ્રવર્તી રહ્યો છે. રાજુલાના માંડરડીની સીમમાંથી દિપડાના ત્રાસની ફરીયાદ ઉઠતા વનતંત્ર પણ દોડતુ થયુ હતું. અગાઉ આ વિસ્તારમાં દિપડાએ એક ખેડૂત પર હુમલો પણ કર્યો હતો. જેના કારણે ખેડૂતો સીમમાં જવાનું પણ ટાળતા હતાં. દિપડાના ભયથી ફફડતા ખેડૂતો દ્વારા વનતંત્રને વારંવાર આ દિપડો પાંજરે પુરવા રજુઆત કરાઇ હતી. જેને પગલે ગામના માજી સરપંચ ભુપતભાઇ મકવાણાની વાડીમાં પાંજરૂ ગોઠવવામાં આવ્યુ હતું.
 
દરમીયાન આ દિપડો આજે વહેલી સવારે પાંજરામાં સપડાઇ ગયો હતો. દિપડાના કાનમાં જીવાત પડી ગઇ હોય તેને સારવાર માટે જસાધારના એનિમલ કેર સેન્ટરમાં ખસેડવામાં આવ્યો હતો. માંડરડીની સીમમાં હજુ પણ એક દિપડો આટા મારતો હોય તેને પકડવા લોકોએ માંગ ઉઠાવી છે.

No comments: