Thursday, February 28, 2019

બરડા ડુંગરમાં ગીરના સિંહોનું બીજું ઘર નહીં બને, કેન્દ્રે વાઈલ્ડ લાઈફ ઈન્સ્ટિટ્યૂટની પ્રપોઝલ ફગાવી

DivyaBhaskar.com | Updated - Feb 15, 2019, 03:27 AM

  • મધ્યપ્રદેશના કૂનો પાલપુરમાં સિંહોના સ્થળાંતરની દરખાસ્ત પર પણ હાલ પૂરતો વિરામ
  • ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીના નિરીક્ષણ હેઠળ લાયન પ્રોજેક્ટ સામે ગુજરાતનો વિરોધ હતો  

મયંક વ્યાસ. રાજકોટઃ સાવજનું ઘર ગણાતા સાસણ ગીરમાંથી એશિયાટિક સિંહોને બરડા ડુંગરમાં બીજું ઘર બનાવી ત્યાં ખસેડવાની દરખાસ્તને કેન્દ્ર સરકારે ફગાવી દીધી છે. એટલું જ નહીં, ગુજરાતના સિંહોને મધ્યપ્રદેશના કૂનો પાલપુર અભયારણ્યમાં સ્થળાંતરિત કરવાની વાતનો પણ છેદ ઉડી ગયો છે. ગીરમાં કેનાઈન ડિસ્ટેમ્પર વાઈરસ (સીડીવી)ના પ્રકોપને કારણે ગત વર્ષે 45 જેટલા સિંહનો મોત થયા બાદ કેન્દ્ર સરકારે વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇન્ડિયા (WII) પાસેથી સિંહ સંવર્ધન માટે દરખાસ્ત મંગાવી હતી. WIIએ રજૂ કરેલી દરખાસ્તમાં નેશનલ ટાઇગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)ના નિરીક્ષણમાં ‘રિકવરી એન્ડ કન્ઝર્વેશન ઓફ એન્ડેન્જર્ડ લાયન્સ ઈન ગુજરાત’ પ્રોજેક્ટનો સમાવેશ કરાયો હતો. જો કે, સાથોસાથ ગુજરાત સરકારે પણ 'પ્રોજેક્ટ લાયન'નો રિપોર્ટ રજૂ કર્યો હતો જેની દરખાસ્તોને સ્વીકારી લેવાઈ હોવાનું અગ્ર મુખ્ય વન્ય સંરક્ષક એ.કે. સક્સેનાએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું.

351 કરોડની પ્રોજેક્ટ દરખાસ્ત

99 કરોડની ગ્રાન્ટ સાથેનો પ્રોજેક્ટ મૂક્યો હતો
1.વાઇલ્ડ લાઇફ ઇન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડિયાએ રૂ. 99 કરોડની ગ્રાન્ટ સાથેનો પ્રોજેક્ટ મૂક્યો હતો. જેમાં બરડા ડુંગરમાં સિંહ માટે નવું ઘર, આ આખા પ્રોજેક્ટની NTCA સંસ્થા હંઠળ દેખરેખ, સિંહોને રેડીયો કોલર, બરડા ડુંગરના માલધારીનું અન્યત્ર સ્થળાંતર વગેરેની દરખાસ્તો હતી. આ સિવાય તેણે રખડતા કૂતરા અને પશુઓના રસીકરણ, સીડીવી અને અન્ય રોગો માટે પરીક્ષણ કરવું અને અન્ય વન્ય પ્રાણીઓના નમૂનાઓ એકત્રિત કરવાની વાત હતી.
ગુજરાતના પ્રોજેક્ટ લાયનની વિશેષતાઓ
2.- એશિયાટિક સિંહોના સંરક્ષણ માટે 351 કરોડની પ્રોજેક્ટ દરખાસ્ત.
- ગીરમાં ડ્રોન વડે સિંહોની કાળજી અને દેખરેખ રાખવી.
-100 ટ્રેકરની નિમણૂંક અને ખાસ વન્ય પ્રાણીઓ માટે એમ્બૂલન્સ.
- સ્ટેચ્યુ ઓફ યુનિટી સહિત રાજ્યમાં પાંચ સ્થળે નવા સફારી પાર્ક.
- સાસણ ગીરના 24 આવા-ગમન સ્થળે સીસીટીવી લગાવવા.
મધ્યપ્રદેશમાં સિંહોને ખસેડવાનો પ્રોજેક્ટ હતો
3.આંતરિક સૂત્રોના જણાવ્યા પ્રમાણે સાસણથી મધ્યપ્રદેશમાં સિંહોને ખસેડવાનો પ્રોજેક્ટ અગાઉ વિચારાધીન હતો. પરંતુ મધ્યપ્રદેશમાં શિવરાજસિંહ ચૌહાણના નેતૃત્વ હેઠળની ભાજપ સરકારની ચૂંટણીમાં હાર થઈ અને કોંગ્રેસની સરકાર આવી એટલે આ દરખાસ્ત પર પૂર્ણ વિરામ લાગી ગયું છે. મધ્યપ્રદેશમાં સિંહને ખસેડાય તો ગુજરાતમાં પર્યટકોની જે આવક થાય છે તેમાં કાપ આવે તેવો ગુજરાત સરકારને ડર છે.
https://www.divyabhaskar.co.in/saurashtra/latest-news/rajkot/news/SAU-RJK-HMU-LCL-central-government-rejected-lion-project-of-wildlife-institute-of-india-gujarati-news-6017016.html

No comments: