Thursday, February 28, 2019

સિંહોએ સલ્તનત માંગરોળથી શિહોર સુધી વિસ્તારી

સાવજોની વસ્તી જ નહીં જંગલ ગીચ બને એટલે સિંહ બહાર નિકળી રહ્યા છે : શિકાર માટે સિંહોને ઘેડ પંથક વધુ અનૂકુળ બની રહ્યો...

DivyaBhaskar News Network | Updated - Feb 14, 2019, 03:52 AM
ગિરનું જંગલ 1412 ચોરસ કિમી વિસ્તારમાં પથરાયેલું છે. જે પૈકી 258 ચોરસ કિમી વિસ્તાર નેશનલ પાર્ક છે. જે ખુબજ ગીચ છે. આથી આ વિસ્તારમાં સિંહોની અવરજવર સ્વાભાવિકપણેજ ઘટી જાય. એક અધિકારી નામ ન આપવાની શરતે કહે છે નેશનલ પાર્કમાં છેલ્લા ત્રીસેક વર્ષથી કટીંગ નથી થયું. અહીં 30 થી 50 સિંહો વસે છે. એ સિવાયે 180 થી વધુ સિંહો રેવન્યુ વિસ્તારમાં વસે છે. જોકે, છેલ્લી વસ્તી ગણતરી કુલ 20,000 ચોરસ કિમી વિસ્તારમાં થઇ હતી. છેલ્લે સિંહોનાં ટપોટપ મોત બાદ રસીકરણ કરાયું એ વખતે 600 સિંહો દેખાયાનું વનવિભાગનું કહેવું છે.

ગિરનારનું જંગલ પણ 179 ચોરસ કિમી વિસ્તારમાં પથરાયેલું છે. જે પૈકી સિંહની રોજબરોજની અવરજવર વાળો વિસ્તાર તો વધીને 50 ચોરસ કિમીનો માંડ છે. તેની સાથે જ્યાં જંગલ નથી અથવા પાંખું જંગલ અથવા વિડી વિસ્તાર છે ત્યાં સિંહોની અવરજવર સૌથી વધુ પ્રમાણમાં નોંધાઇ છે. નામ ન આપવાની શરતે એક અધિકારી કહે છે, અહીં 12 ગૃપોમાં આશરે 45 થી વધુ સિંહોનો વસવાટ છે. તો ગિરની બહારનાં સિંહની સંભવિત અવરજવર વાળા વિસ્તારને વનવિભાગે વર્ષો પહેલાં ગ્રેટર ગીર તરીકે ઓળખી કાઢ્યો છે. આ વિસ્તાર પૈકી અમરેલી અને ભાવનગર જિલ્લાનાં હાલ શિહોર, પાલીતાણા, સાવરકુંડલા, જેસર, મિતીયાળા, ખાંભા, સહિત શેત્રુંજી નદીની આસપાસનાં 109 ચોરસ કિમી વિસ્તારને કન્ઝર્વેશન રીઝર્વ તરીકે વિકસાવાયો છે. જે સિંહોની અવરજવર માટેનો કોરીડોર છે.

વર્ષો સુધી સિંહો સાથે કામ પાડીને નિવૃત્ત જીવન ગાળી રહેલા વનઅધિકારીઓનાં કહેવા મુજબ, 1 સિંહને વસવાટ માટે 24 કિમી વિસ્તાર જોઇએ. એ રીતે જોઇએ તો પણ ગિર જંગલ હવે સાવજોને ટૂંકું પડે છે. 2015 માં થયેલી વસ્તી ગણતરીમાં 523 સિંહો નોંધાયા હતા. ગિર અભયારણ્યનાં અમુક વિસ્તારો અને નેશનલ પાર્કના જે ગીચ વિસ્તારો છે ત્યાં સાવજોની અવરજવર બહુ ઓછી હોય છે. ગિરનારના પહાડી વિસ્તારને તો સિંહોની સીધી અવરજવરમાંથી બાકાતજ રાખજો પડે. આથી સાવજોએ જ્યાં ઘાસીયા મેદાનો છે એ વિસ્તારમાં વસવાટ માટે શોધવો પડે છે. આથીજ સાવજો જંગલમાંથી નિકળવાનું એકમાત્ર કારણ વસ્તી વધારો નહીં, જે જંગલ છે એ પણ તેને અનુરૂપ ન હોય તો તેણે બહારનો રસ્તો શોધવો જ પડે.

વિસ્તાર બદલે એટલે ખોરાક પણ બદલી જાય

વર્ષો સુધી સાસણ ફરજ બજાવી ગયેલા અધિકારી સિંહને ઘાસીયા મેદાનોમાં ચિત્તલ કે સાંભર ન મળે ત્યારે તેણે જંગલી ભૂંડ, નિલગાય, વગેરેનો શિકાર પણ કરવો પડે. એટલે કે, તેની ફૂડ હેબિટ બદલી જાય છે. એક અંદાજ મુજબ, ગીરમાં સિંહો 40 થી 45 ટકા ચિત્તલ, 15 ટકા સાંભર, 15 ટકા નિલગાય, 6 ટકા ભૂંડ અને 15 ટકા રેઢિયાળ માલઢોરનો શિકાર કરે છે.

દરિયાકિનારે રહેતા સિંહને ગિર અનુકૂળ ન આવે

વનઅધિકારીઓનાં કહેવા મુજબજ, ગિરમાંથી માઇગ્રેટ થયેલા સિંહોનાં ગૃપો દરિયાકિનારે પણ વસવાટ કરતા હોય છે. માંગરોળનાં દરિયાકાંઠે 4 સિંહોનાં ગૃપનો વસવાટ છેજ. આ સિંહોને ગિરમાં મૂકો તો તે ત્યાં અનુકૂળતા ન સાધી શકે.

મચ્છરથી બચવા વધુ પવન હોય એવા વિસ્તારો વધુ પસંદ કરે છે

વનવિભાગનાં એક અધિકારીનાં કહેવા મુજબ, ગિરનારમાં વસતા સિંહો તો ચોમાસામાં મચ્છરનાં ઉપદ્રવથી બચવા ઉત્તર ડુંગર રેન્જમાં આવેલા જાંબુડીથી લઇને રણશીવાવ રાઉન્ડમાં વસે છે. કારણકે, આ વિસ્તારમાં પવન સારો હોય છે. અે સમયે દક્ષિણ ડુંગર રેન્જનાં વિસ્તારોમાં પવન ઓછો હોવાથી ત્યાં મચ્છરનો ઉપદ્રવ વધુ હોય છે.

ઠંડક-પાણી માટે ઉનાળામાં બોરદેવીમાં વસવાટ

દક્ષિણ ડુંગર રેન્જમાંજ આવતા બોરદેવીના જંગલમાં પહાડી અને ગીચ જંગલ હોવા છત્તાં પણ સાવજો વસે છે. કારણકે, અહીં ખાસ કરીને ઉનાળામાં ઠંડક હોય છે અને ગુડાજડી નદીના ઘૂનામાં પાણી ભરેલુંજ હોય છે.
https://www.divyabhaskar.co.in/news/SAU-AMR-OMC-MAT-the-lions-extend-from-sultan-from-mangrol-to-shihor-035207-3894096-NOR.html

No comments: