Sunday, August 31, 2014

વ્હેલને જીવનાં જોખમે બચાવીએ, પૂરતુ વળતર મળતું નથી.

Bhaskar News, Junagadh/ Gandhinagar | Aug 31, 2014, 00:05AM IST
- માછીમારોએ વ્યથા રજૂ કરી ; ગાંધીનગરમાં ઇન્ટરનેશનલ વ્હેલ શાર્ક ડે ઉજવણીમાં માછીમારો બોલ્યા અને અધિકારીઓ ચોંક્યા
- ગુજરાતનાં સાગરખેડુઓએ ૪૨૧ વ્હેલને ઝાળમાંથી મૂકત કરી નવજીવન આપ્યુ છે

જૂનાગઢ,ગાંધીનગર: દૂનિયાની સૌથી મોટી માછલી શાર્ક વ્હેલની લૂપ્ત થઇ રહેલી પ્રજાતિને બચાવવા વાઇલ્ડ લાઇફ (પ્રોટેકશન)એક્ટ ૧૯૭૨નાં શિડયુલ-૧ હેઠળ સુરક્ષા આપીને આ અંગે કાયદો ઘડવામાં આવ્યો છે. શાર્ક વ્હેલ બચાવોની ઝુંબેશ અંતર્ગત ગુજરાતનાં માછીમારો દ્વારા ૪૨૧ જેટલી વ્હેલને બચાવવામાં આવી છે. પરંતુ સરકાર દ્રારા પુરતુ વળતર મળતુ નથી. ત્યારે વ્હેલ બચાવનાર માછીમારોને યોગ્ય વળતર આપવામાં આવે તેવી માછીમારો દ્વારા માંગ ઉઠાવવામાં આવી છે. ૩૦મી ઓગસ્ટને આંતર રાષ્ટ્રીય કક્ષાએ ઇન્ટરનેશનલ શાર્ક વ્હેલ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જે અંતર્ગત શનિવારે ગાંધીનગરમાં ફોરેસ્ટ રિસર્ચ એન્ડ ટ્રેનીગ કોમ્પલેક્ષ ખાતે શાર્ક વ્હેલ દિવસની ઉજવણી કરવામાં આવી છે.

આ પ્રસંગ નિષ્ણાંતોએ જણાવ્યુ હતુ કે લૂપ્ત થઇ રહેલી શાર્ક વ્હેલ માટે પ્રજોત્પતી માટે સૌરાષ્ટ્રનો દરિયા કિનારો સૌથી અનુકુળ છે. જેથી દર વર્ષે હજારોની સંખ્યામાં બિજા સમુદ્રોમાંથી વ્હેલ માછલીઓ ગુજરાતનાં દરિયા કિનારે બચ્ચા મુકવા આવે છે. જેમાં ઘણીવખત વ્હેલ માછલીઓ માછીમારોની ઝાળમાં ફસાઇ જવાની ઘટનાઓ બને છે. પરંતુ ગુજરાતનાં જાગૃતિ માછીમારોએ વ્હેલને 'વ્હાલી દિકરી ’ ગણીને અત્યાર સુધીમાં ૪૨૧ વ્હેલને જાળમાંથી મુકત કરીને બચાવી છે. જે પ્રસંશનીય છે.

આ કામગીરીમાં જાણીતા કથાકાર મોરારી બાપુએ પણ લોક જાગૃતિમાં મહત્વનું યોગદાન આપ્યુ છે.જો કે આ પ્રસંગે હાજર માછીમાર સમાજનાં પ્રતિનીધીઓ જણાવ્યુ હતુ કે વ્હેલને બચાવવામાં અમારો પુરતો સહયોગ છે. પરંતુ વ્હેલને બચાવવામાં અમારે નુકશાની સહન કરવી પડી રહી છે. જાનની જોખમે વ્હેલને બચાવવાની કામગીરી કરવી પડે છે. જેની સામે યોગ્ય વળતર મળતુ નથી.

વ્હેલને બચાવવા કિંમતી જાળનો ભોગ લેવાય છે : રતિલાલ બારૈયા-માછીમાર

ધામળેજ બંદરનાં માછીમાર રતિલાલ બારૈયાએ રજુઆત કરતા જણાવ્યુ હતુ કે વ્હેલ કદાવર માછલી હોવાથી જાળમાં આવ્યા બાદ બોટ લઇને ડુબે તેવી શક્યતા હોય છે. ત્યારે માછીમારોએ જાનનાં જોખમે મોંધી જાળ કાપીને વ્હેલને બચાવવી પડે છે. વ્હેલને બચાવવા અમારા માટે પણ ઉમદા કામ છે. પરંતુ સરકાર દ્વારા જે સહાય આપવામાં આવે છે તે મોધી જાળની કિંમત પુરતી પણ નથી મળતી. બીજી તરફ વ્હેલીની બચાવ કામગીરીનું ફોટોગ્રાફી પણ કરવી પડે છે. જેમાં માટે કેમેરા આપવામાં આવ્યા તે પણ રાત્રીનાં સમયે યો્ગ્ય કામ કરતા નથી.

માછીમારોને સરેરાસ ૧૬ હજારનું વળતર ચુકવાયુ છે: પી કે તનેજા- સચિવ

માછીમારોની યોગ્ય વળતરની માંગને સાંભળ્યા બાદ ગુજરાત રાજયનાં વન અને પર્યાવરણ વિભાગનાં અધિક મુખ્ય સચિવ પી કે તનેજાએ જણાવ્યુ હતુ કે કાયદામાં વ્હેલ બચાવનાર માછીમાર માટે રૂ. ૨પ૦૦૦નાં વળતરની જોગવાઇ છે. પરંતુ રાજયમાં ૪૨૧ વ્હેલ બચાવવાનાં કિસ્સાઓમાં કુલ મળી રૂ. ૬પ લાખનું એટલે કે એક વ્હેલ બચાવવાનું રૂ. ૧૬૦૦૦નું વળતર જ ચુકવાયુ છે. તેમણે માછીમારોની યોગ્ય વળતરની માંગને ધ્યાને લઇને આ દિશામાં પુરતા પ્રયાસ કરવાની બાંહેધરી આપી હતી.

સોરઠમાં દરિયા કિનારેથી ૧૪ વર્ષમાં ૪૦પ વ્હેલ બચાવાઇ

સોરઠનાં માછીમારો અને વન વિભાગએ સોરઠનાં દરિયા કેનારેથી વર્ષ ૨૦૦૧ થી આજ સુધીમાં ૪૦પ વ્હેલ માછલીને બચાવી છે. જે દેશમાં બીજા નંબરે છે. સિધ્ધી બદલ એર્વોડ પણ આપવામાં આવ્યો છે. સોરઠનાં માછીમરો વ્હેલને તો બચાવી લે છે પરંતુ તેમા તેની કિમંતી જાળ નાશ પામે છે.

No comments: