Monday, February 18, 2013

ક્રાંકચની સીમમાં કદાવર સિંહ અને સિંહણનું આગમન.

Bhaskar News, Amreli | Feb 14, 2013, 00:17AM IST
- આ સિંહ યુગલ અહિંના જંગલમાં અગાઉ ક્યારેય નજરે ચઢ્યું નથી

લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં બાવળના જંગલમાં વસતા મોટાભાગના સાવજો હાલમાં પીવાના પાણીની તકલીફ હોય અહિંથી દુર દુરના પ્રદેશોમાં ચાલ્યા ગયા છે ત્યારે પાછલા એક સપ્તાહથી આ વિસ્તારમાં એક નવું જ સિંહ યુગલ નઝરે પડી રહ્યુ છે. વિશાળ અને કદાવર સિંહ અહિં પ્રથમ વખત નઝરે પડ્યો છે.

ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં હાલમાં ૩૦ જેટલા સાવજો છે. આ સાવજોની ટેરેટરી લીલીયા ઉપરાંત સાવરકુંડલા, ગારીયાધાર, લાઠી અને અમરેલી તાલુકા સુધી ફેલાયેલી છે. આશરે ૩૫ થી ૪૦ કીમીના વિસ્તારમાં આ સાવજો પરિભમણ કરતા રહે છે અને પોતાની ટેરેટરીની રક્ષા કરતા રહે છે. ક્રાંકચ પંથકમાં હાલમાં સાવજો માટે પીવાના પાણીની સમસ્યા ઉભી થઇ છે. જેના પગલે મોટાભાગના સાવજો અત્યારે સાવરકુંડલા તથા ગારીયાધાર તાલુકાના ગ્રામ્ય વિસ્તારમાં સ્થળાંતર કરી ગયા છે.

બીજી તરફ હાલમાં ક્રાંકચમાં પાછલા આઠેક દિવસથી એક નવું જ સિંહ યુગલ નઝરે પડી રહ્યુ છે. આ સિંહ યુગલ અગાઉ ક્રાંકચ પંથકમાં ક્યારેય દેખાયુ ન હતું. તે કદાચ મીતીયાળાના જંગલમાંથી આ દિશામાં આવ્યાનું મનાય છે. આ સિંહનો દેખાવ જ એટલો વિકરાળ છે કે તેનું કદ જોઇને ભલભલાના હાજા ગગડી જાય. અહિં માલઢોર ચરાવતા માલધારીઓની નઝરે આ સિંહ ચડી રહ્યો છે.

No comments: