Friday, September 30, 2016

વિચિત્ર ઘટનાઃ બે માસના સિંહબાળ છતાં સાવરકુંડલામાં સિંહણ સંવનન માટે તૈયાર

Bhaskar News, Savarkundala | Sep 24, 2016, 03:38 AM IST

સાવરકુંડલાઃસામાન્ય રીતે સિંહણ બચ્ચાવાળી હોય તો તે બચ્ચાના ઉછેર માટે લાંબા સમય સુધી સંવનન માટે તૈયાર થતી નથી. પરંતુ મીતીયાળા અભ્યારણ્યમાં એક સિંહણને માત્ર બે માસના બચ્ચા હોવા છતાં રેડીયોકોલરવાળી આ સિંહણ સંવનન માટે તૈયાર હોવાનું જોઇ શકાય છે. સિંહપ્રેમીઓ તથા તંત્ર માટે પણ સિંહણની આ વર્તણુંક અભ્યાસનો વિષય બની છે.
 
મિતીયાળા અભયારણ્યમાં જોવા મળી વિચિત્ર ઘટના

સાવરકુંડલા નજીક મીતીયાળા અભ્યારણ્યમાં અને કૃષ્ણગઢ, બગોયા સહિતના વિસ્તારોમાં ફરતી એક રેડીયોકોલર સિંહણને હાલમાં બે નાના બચ્ચા છે. બે માસ પહેલા કૃષ્ણગઢના બોડીયા ડુંગર વિસ્તારમાં તેણે બે સિંહબાળને જન્મ આપ્યો હતો. આ બન્ને સિંહબાળ હાલમાં તંદુરસ્ત છે અને સિંહણનંં દુધ પણ પી રહ્યા છે. સામાન્ય રીતે આવા સંજોગોમાં સિંહણ બચ્ચાના ઉછેરમાં ધ્યાન કેન્દ્રીત કરે છે અને સંવનન માટે તૈયાર હોતી નથી. પરંતુ અહિં એક આશ્ચર્યજનક ઘટના એ નઝરે પડી હતી કે આ સિંહણ સંવનન માટે તૈયાર થતી નઝરે પડી હતી.
 
સિંહણની આ વર્તણુંક અભ્યાસનો વિષય બની

ગત તા. 4 થી 10 દરમીયાન આ પ્રકારના દ્રશ્યો નઝરે પડતા કૃષ્ણગઢ નર્સરીના ભયલુભાઇ ખુમાણ અને સંજયભાઇ પટેલ દ્વારા સાસણ રીસર્ચ સેન્ટરના અધિકારીઓને જાણ કરાઇ હતી. જેથી રીસર્ચ સેન્ટરની ટીમે પણ અહિં બે દિવસ ધામા નાખી સિંહણનું લોકેશન મેળવી તેની વર્તણુંકનું અધ્યયન કર્યુ હતું. સામાન્ય રીતે સિંહબાળ દોઢ થી બે વર્ષના થાય ત્યાં સુધી સિંહણ સંવનન કરતી નથી. પરંતુ કોલરઆઇડી સિંહણની આ વર્તણુંકે વનતંત્રને પણ ચોંકાવ્યુ છે.

No comments: