Friday, September 13, 2013

મારણ માટે ૧૪ સાવજો જંગે ચડ્યા, બાળસિંહણને ફ્રેકચર.


Bhaskar News, Dhari   |  Sep 10, 2013, 01:05AM IST
- મારણ માટે ૧૪ સાવજો જંગે ચડ્યા, બાળસિંહણને ફ્રેકચર
એક સાથે ૧૪ સાવજોનુ ગ્રુપ મારણ પર તુટી તો પડયુ પરંતુ શિકારની ખેંચતાણમાં એક બાળ સિંહણના પગમાં ફેકચર થઇ જતા વનવિભાગ દ્વારા આ બાળ સિંહણને પકડી તેની સારવાર શરૂ કરવામાં આવી છે. આ બાળ સિંહણને સાજી થતા હજુ કેટલાક દિવસો લાગશે. હાલમાં તેના પગ પર પ્લાસ્ટર કરાયુ છે.
આ ઘટના બની છે ગીરપુર્વની દલખાણીયા રેંજમાં અહીના ડુબકીયા વિસ્તારમાં મારણ વખતે એક બાળ સિંહણ ઘાયલ થઇ ગઇ હતી. જેની જાણકારી ડીએફઓ અંશુમન શર્માને મળતા તેમની સુચના મુજબ આરએફઓ એ.વી.ઠાકર, ડૉ. હિતેષ વામજા સ્ટાફના અમીતભાઇ, મુકેશભાઇ, ડ્રાઇવર બાબુભાઇ, અમીતભાઇ જોષી વગેરેએ આજે આ બાળ સિંહણને પાંજરે પુરી હતી.
વનવિભાગના સુત્રોએ જણાવ્યુ હતુ કે અહી ૧૪ સાવજોનુ વિશાળ ગ્રુપ વસે છે. જેમાં ત્રણ સિંહણ, નવ બચ્ચા અને બે નર છે. આ સાવજો દ્વારા તાજેતરમાં મારણ કરવામાં આવ્યુ હતુ ત્યારે મારણની ખેંચતાણ વખતે આ બાળ સિંહણને પગમાં ઇજા થતા ફેકચર થઇ ગયુ હતુ. હાલમાં તેની રિંગ પાંજરામા પુરી પકડી લઇ ધારીના કેર સેન્ટરમાં રાખવામાં આવેલ છે.
વનવિભાગના સુત્રોએ એમપણ જણાવ્યુ હતુ કે તેના આગળના જમણા પગમાં આ ફેકચર થયુ છે. અને તેના પર હાલમાં પ્લાસ્ટર કરાયુ છે. આ બાળ સિંહણ સાજી થાય ત્યાં સુધી વનવિભાગ તેને કબજામા રાખશે. અને બાદમાં મુકત કરી દેશે.
- અગાઉ પણ બાળસિંહણની સારવાર કરાઇ હતી
અત્રે ઉલ્લેખનીય છે કે આ એજ બાળ સિંહણ છે જેને થોડા દિવસ પહેલા પણ સારવાર આપવામાં આવી હતી. તે સમયે તેને પેટ પર ગુમડુ થયુ હતુ. જેને પગલે વનવિભાગે તેને પાંજરામા પુરી સારવાર આપી મુકત કરી દીધી હતી. પરંતુ હવે તેને પગમાં ઇજા પહોંચી હતી.

No comments: