Sunday, April 30, 2017

રાજુલા: દરિયામાંથી મળ્યો હજારો માછલીઓનો મૃતદેહ, તંત્રમાં દોડધામ મચી

Bhaskar News, Rajula | Apr 20, 2017, 02:29 AM IST
રાજુલા: દરિયામાંથી મળ્યો હજારો માછલીઓનો મૃતદેહ, તંત્રમાં દોડધામ મચી,  amreli news in gujarati
  • ખાડીમાં હજારો માછલીઓનો મૃતદેહ મળી આવ્યો
રાજુલા:જાફરાબાદના દરિયામા આજે ખાડી વિસ્તારમા કોઇ અકળ કારણોસર અચાનક જ હજારોની સંખ્યામા માછલીઓના મોત થતા માછીમાર સમાજમા ચકચાર મચી હતી. મરેલી માછલીઓનો મોટો જથ્થો કાંઠે ઢસડાઇ આવ્યો હતો. બનાવની જાણ થતા માછીમાર આગેવાનો પણ અહી દોડી ગયા હતા. ફિશરીઝ વિભાગ દ્વારા મૃત માછલીઓના નમુના લઇ લેબોરેટરીમા મોકલાયા હતા. દરિયાના પાણીમા કોઇ કેમીકલ ભળવાથી આ માછલીઓના મોત થયાનુ મનાય રહ્યું છે.
 
માછલીઓ દરિયામા મૃત હાલતમા તરતી જોવા મળી
 
જાફરાબાદનો મુખ્ય વ્યવસાય માછીમારીનો છે. અહીની એક હજાર જેટલી બોટો કાયમ માછીમારી માટે દરિયામા હોય છે પરંતુ આજે અચાનક જ દરિયાકાંઠે હજારોની સંખ્યામા મૃત માછલીઓ ઢસડાઇ આવી હતી.સવારના સમયે અહીના ખાડી વિસ્તારમા જુદાજુદા સ્થળે મોટી સંખ્યામા માછલીઓ દરિયામા મૃત હાલતમા તરતી જોવા મળી હતી. સ્થાનિક માછીમારોએ તો મૃત માછલીઓની સંખ્યા લાખોની સંખ્યામા હોવાનુ જણાવ્યું હતુ. બીજી તરફ આ ઘટનાની જાણ થતા માછીમાર સમાજના અગ્રણી ભગુભાઇ સોલંકી દ્વારા તાત્કાલિક ફિશરીઝ વિભાગને જાણ કરવામા આવી હતી જેને પગલે ફિશરીઝ વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. અને મૃત માછલીઓના જરૂરી નમુનાઓ લઇ પૃથ્થકરણ માટે લેબોરેટરીમા મોકલ્યા હતા. એક સાથે મોટી સંખ્યામા અચાનક માછલીઓના મોત કઇ રીતે થયા તે અંગે માછીમાર સમાજમા જાતજાતની ચર્ચા ઉઠી હતી.
 
નાના માછીમારોને ઓછી માછલી મળવાનુ નુકશાન
 
દરિયાકાંઠે આખો દિવસ માછીમાર સમાજના લોકોએ આ અંગે તરેહતરેહની ચર્ચા કરી હતી. દરિયામા કેમીકલયુકત પાણી ભળવાના કારણે  આ ઘટના બની હોવાની શકયતા વધુ જોવાઇ રહી છે. જાફરાબાદના દરિયામા હાલમા ડ્રેજીંગની કામગીરી પણ ચાલી રહી છે ત્યારે તેને પણ આ ઘટના સાથે જોડી જાતજાતની ચર્ચા ઉઠી હતી. અહીની મોટી બોટો મહદઅંશે મધદરિયે માછીમારી કરે છે અને મોટી માછલી પકડે છે. કાંઠાળ વિસ્તારમા નાના માછીમારો આવી માછલીઓ પકડે છે જે મોટી સંખ્યામા મોતને ભેટતા નાના માછીમારોને ઓછી માછલી મળવાનુ નુકશાન સહન કરવુ પડશે.

No comments: