Saturday, January 31, 2015

ગીરમાં પ્રતિ માસ પૂનમની ચાંદનીએ થતું વનરાજોની વસતી ગણતરીનું રિહર્સલ.

Jan 25, 2015 00:17

  • ર૪ કલાક સુધી અધિકારીઓ, ટ્રેકર્સ, ગાર્ડ સહિતનો કાફલો જંગલ ખુંદી દર કલાકે કંટ્રોલરૂમને માહિતિ પુરી પાડે છે
જૂનાગઢ : વિશ્વ પ્રસિદ્ધ એશિયાઈ સિંહોની મે ર૦૧પ માં થનારી વસતી ગણતરીને લઈને વન્યપ્રેમીઓમાં ઉત્તેજનાનો માહોલ પ્રસરી ગયો છે. તેવી સ્થિતિ વચ્ચે બહૂ ઓછા લોકોને ખબર હશે કે, દર પૂનમે ચંદ્રમાની ચાંદનીના અજવાળે વનરાજોની સંખ્યા ગણવાની કવાયત થાય છે. અલબત, આ પ્રક્રિયાને અવલોકન તરીકે ઓળખવામાં આવે છે. જો કે ર૪ કલાકના સમયગાળા દરમિયાન જંગલમાં જોવા મળેલા સિંહોનું જી.પી.એસ. લોકેશન, ઉંમર, જાતિ વગેરે ડેટાની નોંધ કરવામાં આવે છે.
સિંહોની વસતી ગણતરી વન્યપ્રેમીઓ માટે કાયમી આકર્ષણનું કેન્દ્ર રહી છે. રાષ્ટ્રીયકક્ષાએ તેની નોંધ પણ લેવાય છે. છેલ્લે વર્ષ ર૦૧૦ માં થયેલી ગણતરીમાં ગિર અને ગિરનાર અભયારણ્ય સહિતના વિસ્તારમાં કૂલ ૪૧૧ સિંહ નોંધાયા હતાં. હવે આગામી મે મહિનામાં ફરી વખત સિંહોની ગણતરી થશે. જો કે વનવિભાગ દ્વારા દર મહિને પૂનમના દિવસે સિંહોની વસતી ગણતરી કરવામાં આવે છે. આ વિશે વિગતો આપતા આર.એફ.ઓ. પી.જે.મારૂ કહે છે કે
, પૂનમ હોય તે દિવસે બપોરે ર વાગ્યાથી લઈને બીજા દિવસે બપોરે ર વાગ્યા સુધી આખો દિવસ અને આખી રાત મળી ર૪ કલાક સુધી ગણતરી થાય છે. દિવસે તેમજ રાત્રે પેટ્રોલીંગ કરીને ઓબ્ઝર્વેશન કરવામાં આવે છે. જંગલની આસપાસના રેવન્યુ વિસ્તારને પણ તેમાં આવરી લેવામાં આવે છે.
વનવિભાગનો તમામ સ્ટાફ, ટ્રેકર્સ, ગાર્ડ વગેરે આ ર૪ કલાક દરમિયાન જુદી જુદી ટીમો બનાવી જંગલમાં નિકળી પડે છે. અવલોકન દ્વારા સિંહોની સ્થિતિ ઉપર નજર રાખવા માટે આ પ્રક્રિયા થાય છે. દર કલાકે જોવા મળેલા સિંહોના જીપીએસ લોકેશન લેવામાં આવે છે. નર, માદા, બચ્ચા, તેની ઉંમર વગેરે અંગેના આંકડા કચેરીમાં એકત્ર થતા રહે છે. સમગ્ર અવલોકનના અંતે એક રિપોર્ટ તૈયાર થાય છે. આ રિપોર્ટ નાયબ વન સંરક્ષકને આપવાનો હોય છે. આ અવલોકન પ્રક્રિયામાં વનવિભાગના સ્ટાફ સિવાય અન્ય કોઈને સામેલ કરવામાં આવતા નથી.
  • પાકી ગણતરી ચાલે છે પાંચ દિવસ
દર પાંચ વર્ષે થતી સિંહોની પાકી ગણતરી પાંચ દિવસ સુધી ચાલે છે. પીવાના પાણીના પોઈન્ટ અને સિંહોની અવર-જવર વાળા રૂટ ઉપર માંચડા બાંધીને સિંહોનું નિરિક્ષણ કરવામાં આવે છે. જેમાં તેના શરીર ઉપર જોવા મળેલા ચિન્હો સુદ્ધાની નોંધ થાય છે. નિયત નમૂનાના ફોર્મમાં બધી વિગતો ભરવાની હોય છે. ત્યાર બાદ આ સમગ્ર ડેટા કોમ્પ્યુટરમાં નાખવામાં આવે છે. ડેટાનું વૈજ્ઞાાનિક ઢબે વિશ્લેષણ કર્યા બાદ સિંહોની અંદાઝીત વસતી જાહેર થાય છે.
  • ઘણી વખત સિંહોની સંખ્યા ઘટી પણ જાય છે !!
અવલોકન બાદ છેલ્લે ર૦૧૦ માં થયેલી વસતી ગણતરી સાથે આંકડા સરખાવવામાં આવે તો ઘણી વખત સિંહોની સંખ્યા ઘટી પણ જાય છે. જંગલ છોડીને સિંહો રેવન્યુ વિસ્તારમાં જતા રહ્યા હોય તો અવલોકનમાં આવતા નથી. જો કે સંખ્યા ઘટવાની બાબતને વાસ્તવિકતા સાથે કોઈ સંબંધ નથી. કારણ કે બહાર ગયેલા સિંહો પરત જંગલમાં આવી જતા હોય છે. એકાદ દિવસ માટે જ બહાર રહ્યા હોય છે. જે બીજા મહિનાના અવલોકનમાં નોંધાઈ જતા હોય છે.

No comments: