લાખાપાદરની સીમમાં બે સિંહણના મૃતદેહ મળ્યા : ઝેરી મારણથી મોત થયાની આશંકા

અમરેલી: એક સાથે બે-બે સિંહણોના શંકાસ્પદ મોતની આ ઘટના ધારી
તાલુકાના લાખાપાદર ગામની સીમમાં બની હતી. સુત્રોમાંથી જાણવા મળતી વિગત
અનુસાર જન્માષ્ટમીના દિવસે અહિં નદી વિસ્તારમાંથી આશરે ચાર વર્ષની ઉંમરની
એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. જેને પગલે વન વિભાગનો સ્ટાફ તાબડતોબ અહિં
દોડી ગયો હતો અને સિંહણનો મૃતદેહ કબજે લઇ પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ
ધરી હતી.
આ સિંહણનું શંકાસ્પદ મોત થયાનું સ્પષ્ટ હતું અને કોઇ કારણ બહાર આવે તે
પહેલા આજે નદી વિસ્તારમાંથી વધુ એક સિંહણનો મૃતદેહ મળી આવ્યો હતો. એક જ
ગૃપની અને તે પણ માત્ર ચાર વર્ષની યુવા ઉંમરની બે-બે સિંહણોના આકસ્મીક
મોતથી વનતંત્રમાં દોડધામ મચી ગઇ હતી. સરસીયા રેન્જના આરએફઓ સ્ટાફ સાથે અહિં
દોડી ગયા હતાં અને બીજી સિંહણનો મૃતદેહ પણ કબજે લેવાયો હતો.
ત્રણ ડોક્ટરોની પેનલથી આ સિંહણનું પીએમ કરવામાં આવ્યુ હતું. જો કે
મૃત્યુનું પ્રાથમિક કારણ હજુ સ્પષ્ટ થયુ નથી પરંતુ આ વિસ્તારમાં એવી ચર્ચા
ઉઠી હતી કે બન્ને સિંહણનું મોત ઝેરી મારણ ખાવાથી થયુ હતું. જેને પગલે
સિંહણના મૃતદેહના જરૂરી નમુનાઓ પણ લેબોરેટરીમાં પૃથ્થકરણ માટે મોકલાયા છે.
ઘટનાને પગલે વન અધિકારીઓના મો સિવાઇ ગયા હતાં. કારણ કે એક જ ગૃપની યુવા
સિંહણોના આ પ્રકારે મોતથી સિંહપ્રેમીઓમાં પણ હડકંપ મચી ગયો હતો. આવી
ઘટનાઓની જાણકારી બહાર ન આવે તે માટે વનતંત્રનો પ્રયાસ પણ અનેક શંકાઓ ઉભી
કરી રહ્યો છે.
No comments:
Post a Comment