Saturday, May 1, 2010

કોસ્ટલ એરિયામાં સિંહોનાં સગડ નહીં

Monday, Apr 26th, 2010, 12:10 am [IST]  
Jitendra Mandavia, Talala
સાવજની વસ્તી ગણતરી કરવા ચાર જિલ્લામાં સાત રીજનલ પાડવામાં આવ્યા છે. જેમાંથી જંગલ વિસ્તાર વાળા ચાર રીજનલ એરીયા સાસણ, જામવાળા, જશાધાર અને ધારીનાં જંગલ વિસ્તારોમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો હોવાનું પ્રાથમિક અંદાજમાં જાણવા મળ્યું છે.
સાસણનાં દેવળીયા, દેડકડી, ભોજદે, જામવાળાના છોડવડી, કનકાઇ, બાબરીયા, જશાધાર, હડાળા, તુલસીશ્યામ, ધારીનાં સરસીયા, મેંદરડાનાં કાંસીયા, જાંબુથાળા અને વિસાવદર તાલુકાનાં જંગલ વિસ્તારોમાં સિંહોની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો હોવાનું જણાયું છે. જંગલ વિસ્તારનાં ઘણા પોઇન્ટો ઉપર નાના સિંહબાળ સાથે સિંહણો જોવા મળેલ છે તેમજ સિંહ પરિવારનાં ગ્રુપોમાં યુવાનીનાં ઉબરે ઉભેલા પાઠડા સિંહ વધુ છે. જ્યારે વેરાવળ અને જેસર રીજનલ એરીયામાં રેવન્યુ અને દરીયાકાંઠા વાળા વિસ્તારોમાં સિંહોનાં બે દિવસમાં કોઇ સગડ જ મળ્યા નથી. તા.૨૬નાં રોજ બપોરે બે વાગ્યાથી શરૂ થનારી બે દિવસની આખરી ગણતરીમાં રેવન્યુ અને કોસ્ટલ એરીયામાં ફરતા સિંહોની ગણતરી કરવા વન વિભાગે વિશેષ આયોજન કરવું પડશે. સંભવત ઉચ્ચ અધિકારીઓ આ વિસ્તારમાં જી.પી.એસ. સીસ્ટમનો ઉપયોગથી સિંહોનાં લોકેશન જાણી ગણતરી કરવાની કવાયત કરશે.પ્રાથમિક ગણતરીમાં ગીર જંગલ અને ગીર અભ્યારણ્યમાં સિંહોની સંખ્યા વધવા સાથે જંગલ ધરાવતા વિસ્તારોમાં પણ સિંહબાળ અને પાઠડાઓની સંખ્યા વધુ જોવાતા વનરાજોનું આરામદાયક વસવાટ સ્થળ ગિર જંગલ જ હોવાનું ચિત્ર સામે આવ્યું છે. સિંહ ગણતરી બીટ વેરીફીકેશન પઘ્ધતી અને ફુટમાર્ક પઘ્ધતીથી થઇ રહી છે. આ પઘ્ધતીમાં સિંહને નજરે જોઇને અવલોકન કરવાનું અને ફુટમાર્કથી લોકેશન ગોઠવી ગણતરી કરાય છે. એપ્રીલના અંતમાં જંગલમાં નદી, નાળા, તળાવો અને કુદરતી પાણીનાં સ્ત્રોત સુકાઇ જાય એટલે પીવાનાં પાણીનાં પોઇન્ટ ઉપર સિંહો ૨૪ કલાકમાં એક વાર પાણી પીવા જરૂર આવે તેવી ધારણાથી વનવિભાગે આ પઘ્ધતી અપનાવી છે. પરંતુ સિંહોની સૌથી મોટી સંખ્યાવાળા વિસ્તારો ગીર અભ્યારણ્યનાં સીમાડે તાલાલા-મેંદરડા, વિસાવદર, ધારી, તાલુકામાં છે. આ તાલુકાઓમાં કેસર કેરીની સીઝન પુર બહારમાં ચાલી રહી છે. કેરી માટે આંબાને ખેતરોમાં પાણી અપાતું હોય જંગલની બોર્ડર ફરતે ખેતરો નજીક ફરતા સિંહો તરસ લાગે ત્યારે ખેતરોમાં પાણી પી તરસ છીપાવે. આવા સિંહો પાણીનાં પોઇન્ટો સુધી પહોંચવાનાં નથી તો તેની ગણતરી કઇ રીતે થઇ શકે ? હાલ જંગલ ફરતે આવેલા પાંચ તાલુકાનાં દરેક ખેતરોમાં કેરી, તલ, શાકભાજીનાં પાકને પાણી આપવાનું ચાલુ હોય ત્યારે વનરાજા તરસ્યો બની પાણી પીવા આવે એટલે ગણતરી થઇ જાય તેવી વનવિભાગની વ્યુહરચનામાં ચુક થઇ હોય તેવું લાગે છે. કોસ્ટલ એરીયામાં પણ પાણીનાં સ્ત્રોત અને ગાંડા બાવળની ઝાડીઓ ગણતરી માટે બાધારૂપ હોવાનું વનવિભાગનાં વર્તુળોમાંથી જાણવા મળ્યું છે.
Source: http://www.divyabhaskar.co.in/2010/04/26/no-clues-of-lions-in-costal-area-909815.html

No comments: