Friday, July 31, 2015

ટીલીયો સિંહ વન વિભાગને વર્ષે 1 લાખ રળી આપતો.

ટીલીયો સિંહ વન વિભાગને વર્ષે 1 લાખ રળી આપતો
Vipul Lalani, Visavadar
Jul 27, 2015, 03:02 AM IST
 
- 1964 માં ટપાલ વિભાગે તેની તસ્વીરવાળી ટીકીટ પણ બહાર પાડેલી

વિસાવદર : ગીરનાં સિંહોનો ઇતિહાસ રહ્યો છે અને આજે પણ છે અને અહિના સિંહોએ દેશ-વિદેશમાં પણ એક ખ્યાતનામ વ્યક્તિ જેવી પ્રતિષ્ઠા મેળવી છે. ત્યારે 1960 થી 1965 વચ્ચે ગીરનાં જંગલમાં વસતો ટીલીયા નામનો સિંહ વન વિભાગને વર્ષે 1 લાખથી વધુની કમાણી કરી આપતો અને ડાક વિભાગે 1964 માં તેની તસ્વીરવાળી ટીકીટો પણ બહાર પાડેલી હતી.

ટીલીયા સિંહનાં ઇતિહાસની વાત કરીએ તો 1960 થી 1965 ની સાલમાં સાસણનાં ગીર જંગલમાં રહેતો હતો આ સિંહમાં કહેવાઇ છે તેમ રામ જેવી જ છટા હતી તેનો રૂવાબ તેની મર્યાદા અને તેનો સ્વભાવ એટલો તો પ્રચલિત થયો હતો કે દેશ-વિદેશનાં સહેલાણીઓ ખાસ ટીલીયાને જોવા સાસણ આવતા હતા. તેની પ્રતિષ્ઠાને જોઇ ડાક વિભાગે પણ 1964 માં તેની તસ્વીરવાળી ટીકીટ બહાર પાડીને રાષ્ટ્રીય સન્માન અપાવ્યું હતું. તેની માતાનું નામ ગંગા હતુ અને તે તેના પરિવાર સાથે દેવાડુંગરમાં વસવાટ કરતો હતો જો કે સિંહ પરનાં સંશોધન માટે આવેલા પોલ જોસલીન એ ટીલીયા અને તે સમયનાં ત્યાનાં ચારણ જીણાભાઇ સાથેની મિત્રતા જોઇ દંગ રહી ગયા હતા.
 
ટીલીયો યુવાન થતા તેને સમજુ નામની સિંહણ સાથે સવનન કરતા તેને ત્રણ સિંહ બાળ જન્મયા જેના નામ હતા ગોવિંદા, ઉભરો અને ભિલ્યો જેમ એક વ્યક્તિને તેની પત્ની પ્રત્યે પ્રેમ હોય તેવો પ્રેમ ટીલીયાને સમજુ માટે હતો અને તેના નિધન બાદ ટીલીયા સિંહે તે વિસ્તાર જ છોડી દીધો હતો અને તે ઉદાસ રહેવા લગ્યો હતો. આમ આ સિંહમાં એક રાજાનો રૂવાબ તેની મર્યાદા અને તેના કિસ્સાને કારણે તે સમયનાં ટૂંકાગાળામાં ભારે પ્રચલિત થઇ ગયો હતો અને વન્ય વિભાગે 1964માં વન્ય જીવન સપ્તાહ ઉજવ્યુ ત્યારે તેની ખાસી એવી લોક પ્રિયતા હતી.
 
જ્યારે તે 85 માર્ચ 1965 માં તેનું અચાનક અવસાન થતાં તેનાં મૃત્યુનાં સમાચારે આખા ગીર સાસણ સહિત દેશ-વિદેશનાં તેના ચાહકોને પણ ઉદાસ કરી દીધા હતા અને તેની મૃત્યુનાં સમાચાર આકાશવાણીથી લઇ દરેક ભાષાનાં સમાચાર પત્રોએ પ્રસિદ્ધ કર્યા હતા. આમ એક રાજા જેવો જ ઇતિહાસ ધરાવતો ટીલીયા નામનો સિંહ એક દંતકથાની સાથે એક રોમાંચક જીંદગી જીવી ગયો જેની યાદ આજે પણ આ પથંકમાં વસ્તા લોકોનાં માનસ પટ્ટ પર તાજી છે. અને આજે પણ તેને યાદ કરી રહયાં છે.
 
તેના નામના દુહા પણ લખાણા

તેના દુહા કંઇક આવા લખાયા હતા
ખાવા દોડે ખોરડુ, ઘરમાં અંધારૂ ઘોર
ઉજડ લાગે આંગણુ, નારી વિનાનું નાહોર
માતલ પાડને મારણ કરતી, બચલાને ખવડાવતી માલ
એવી નોરાળી નાર, સાવજ કે સાંપલશે નહીં

ટીલીયો નામ શા માટે પડ્યું

સિંહનાં સવનન કાળ દરમિયાન અન્ય યુવાન સિંહ સાથે લડાઇ થતુ હોય છે આવી અંદરો અંદરની લડાઇમાં આ યુવા સિંહ માથાનાં ભાગે ગંભીર રીતે ઘવાયો હતો જો કે, સમય સાથે ઘા તો રૂજાઇ ગયો પણ પડી ગયેલા ઘા નાં નિશાને તેને ટીલીયો નામ આપ્યુ જો કે, તેને તિલક મહારાજ તરીકે પણ લોકો બોલાવતા હતા.

No comments: