Saturday, October 20, 2007

ધારી નજીક ત્રણ સિંહણ અને બે સિંહબાળની હત્યા

Please Visit Our Main Blog:
http://girasiaticlion.blogspot.com/

Bhaskar News, Dhari/Amreli
Friday, October 19, 2007 23:26 [IST]



વાડી ફરતે વીજ પ્રવાહવાળી ફેન્સિંગને અડકી જવાને કારણે પાંચ સાવજ મોતને ભેટતા હાહાકાર: વાડી માલિકની ધરપકડ

dhariધારીથી ચાર કિલોમીટર દૂર પ્રેમપરા નજીક એક ખેડૂતે પાકના રક્ષણ માટે પોતાની વાડી ફરતે ગોઠવેલા વીજ પ્રવાહવાળા વાયરની ફેન્સિંગને સ્પર્શ કરવાને કારણે વીજશોક લાગવાથી ત્રણ સિંહણ અને બે સિંહબાળના મૃત્યુ થયા હોવાની ઘટના પ્રકાશમાં આવતા વનખાતુ તથા વન્ય પ્રાણીપ્રેમીઓ સ્તબ્ધ બની ગયા છે.

અગાઉ ગીર અભયારણ્યમાં મોટી સંખ્યામાં સાવજોના શિકાર થયા પછી એકસાથે વધુ પાંચ સાવજોના મૃત્યુ થતા હાહાકાર મચી જવા પામ્યો છે. બનાવની જાણ થતા વનખાતાના સ્થાનિક તથા ઉરચ અધિકારીઓ અમરેલી જિલ્લા પોલીસવડા તથા મામલતદાર સહિતના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા. વાડીના માલિક સહિત ચારની ધરપકડ કરવામાં આવી છે અને જમીનમાં દાટેલા મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા હતા.

ધારી-ગીર (પૂર્વ) વન કચેરીના સરસિયા રેન્જ હેઠળ આંબરડી બીટ વિસ્તારમાં ધારી-બગસરા રોડ ઉપર વાડી ધરાવતા ખેડૂત દુર્લભભાઇ ટપુભાઇ વાળોદરિયાએ પોતાની સાત વિઘાની ખેતીની જમીનમાં વાવેલ કપાસના પાકને વન્ય પ્રાણીઓ નુકસાન ન કરે એ માટે વાડી ફરતે ગોઠવેલ લોખંડના વાયરની ફેન્સિંગમાં ઇલેકિટ્રક પ્રવાહ વહેતો મુકયો હતો.

આ વિસ્તારમાં અઠવાડિયા પહેલાં લગભગ ૧૦ સિંહનું એક ટોળું આવી ચડયું હતું. તે પૈકીના ત્રણ સિંહણ અને બે સિંહબાળ વીજ પ્રવાહવાળી ફેન્સિંગને અડી જતા વીજશોક લાગવાને કારણે ઘટનાસ્થળ ઉપર જ તરફડી તરફડીને મૃત્યુ પામ્યા હતા. આ ઘટના બાદ વાડી માલિકે વાડી ફરતે અલગ અલગ જગ્યાએ ખાડા ખોદી મૃતદેહો દાટી દીધા હતા.

બીજી તરફ આ વિસ્તારમાં ૧૦ સિંહોને બદલે ઓછા સાવજો નજરે પડતા વનખાતાને શંકા ગઇ હતી. અને વનખાતાએ કરેલી તપાસ દરમિયાન સાવજના મૃતદેહ જે જગ્યાએ દાટવામાં આવ્યા હતા એની આસપાસ સિંહબાળ આકુળ-વ્યાકુળ થઇ જમીન ખોદતા હોવાનું ¼શ્ય કેટલાક ગ્રામજનોએ નીહાળ્યું હતું. એ વાતની વનખાતાના અધિકારીઓને જાણ થતાં તપાસ હાથ ધરવામાં આવી હતી અને શંકા ઉપરથી વાડી માલિક દુર્લભભાઇ વાડોદરિયાની ઘનિષ્ઠ પૂછપરછ કરતાં સિંહોની સામુહિક હત્યાની આ ચોંકાવનારી ઘટના પ્રકાશમાં આવી હતી.

સાવજોની હત્યા થયાનું ખુલ્યા પછી ધારી ગીર (પૂર્વ)ના ઇન્ચાર્જ વન અધિકારી જે.એસ. સોલંકી, મામલતદાર અમિત જોશી, અમરેલી જિલ્લા પોલીસવડા જોટંગિયા, ધારીના પીએસઆઇ ગોહિલ વગેરે ઘટનાસ્થળે દોડી ગયા હતા અને વાડી માલિકને સાથે રાખીને ખોદકામ કરતા ત્રણ સિંહણ તથા બે સિંહબાળના અંશત: કોહવાઇ ગયેલા મૃતદેહો મળી આવ્યા હતા. વનખાતાના અધિકારીઓના જણાવ્યા મુજબ મૃતદેહોમાંથી કુલ ૯૦ નખ હોવા જોઇએ તેને બદલે ૮૮ નખ મળ્યા છે. બે નખ ગાયબ છે.

સામુહિક હત્યાના આ બનાવમાં વાડી માલિક દુર્લભભાઇ ટપુભાઇ વાડોદરિયાની તથા મદદગારી બદલ પરસોતમભાઇ વાડોદરિયા, ભલાભાઇ ખીમાભાઇ ભરવાડ તથા રવજીભાઇ છગનભાઇ હિરાણીની ધરપકડ કરવામાં આવી છે અને આવતીકાલે તેમને કોર્ટમાં રજૂ કરવામાં આવશે. બનાવને પગલે વન સંરક્ષક ભરત પાઠક મોડી સાંજે ધારી દોડી ગયા હતા.

સાવજોની હત્યાના આ કિસ્સામાં ભારતીય વન સંરક્ષક ધારા ૧૯૭૨ની કલમ ૫૧ની જોગવાઇ હેઠળ આરોપીને સાત વર્ષની કેદ અને ૧૦ હજાર રૂપિયાનો દંડ કરી શકવાની જોગવાઇ છે. ધારીના પ્રેમપરામાં એકસાથે પાંચ-પાંચ સાવજોની હત્યા થતા ભારે ખળભળાટ મચી જવા પામ્યો છે. આ ઘટના બાદ એ વિસ્તારમાં પોલીસ બંદોબસ્ત મુકી દેવામાં આવ્યો હતો.

અને થોડીવાર માટે લોકોને ત્યાં જતા અટકાવવામાં આવ્યા હતા. હત્યાના આ બનાવ અંગે પ્રારંભે તો સિંહોના શિકાર થયાની અફવા ઉડતા ભારે ઉત્તેજના વ્યાપી ગઇ હતી અને ગીર અભયારણ્યમાં પણ સન્નાટો ફેલાઇ ગયો હતો.

વીજ થાંભલેથી ડાયરેકટ જોડાણ લેવાયેલું હતું

વાડી માલિક દુર્લભભાઇ વાડોદરિયાએ વીજ થાંભલેથી ડાયરેકટ લંગરિયું નાખી લાકડાના પોલ ગોઠવી અને લોખંડના વાયરમાં ઇલેકિટ્રક પ્રવાહ વહેતો કરી દીધો હતો. ધારીના જીઇબીના અધિકારી જાવિયા પણ ઘટનાસ્થળે દોડી ગયા હતા. વીજ માલિક સામે વીજચોરીનો ગુનો પણ નોંધવામાં આવશે.

Source: http://www.divyabhaskar.co.in/2007/10/19/0710192330_dhari.html

No comments: