Thursday, January 31, 2013

વનવિભાગનાં કસૂરવાનો સામે ગુનો નોંધવા કલેક્ટરનો એસપીને આદેશ.


Bhaskar News, Junagadh | Jan 26, 2013, 00:57AM IST
જૂનાગઢનાં સરકડીયા આશ્રમનાં મહંતે સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં અરજી કરતાં
સરકડીયા આશ્રમ ખાતે બે પોલીસમેનને ડયુટી પર મૂકવા એસપીને અને સરકડીયા હનુમાનજી આશ્રમના મંદિરમાં ભક્તોની અવરજવર ન અટકાવવા વન- વિભાગને સુચના
 
ગિરનારનાં જંગલમાં આવેલી સરકડિયા હનુમાનની જગ્યાનાં મહંત, ટ્રસ્ટી તેમજ ત્યાં આવતા જતા સેવકોને વનવિભાગ દ્વારા અવારનવાર હેરાનપરેશાન કરાતા હોવાની ફરિયાદ મુખ્યમંત્રીનાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં થઇ હતી. જેને પગલે કલેક્ટરે વનવિભાગનાં જવાબદારો સામે ગુનો દાખલ કરવાનો એસપીને આદેશ આપ્યો છે.
 
ગિરનાર જંગલમાં આવેલી સરકડિયા હનુમાનની જગ્યાનાં સેવક અને સામાજીક કાર્યકર અનિલકુમાર એમ. વાઘેલાએ મુખ્યમંત્રીનાં સ્વાગત ઓનલાઇન કાર્યક્રમમાં વનવિભાગનાં જવાબદાર અધિકારીઓ સામે ફરિયાદ કરી હતી. જેમાં તેમણે એમ જણાવ્યું હતું કે, ૧૯૬૧માં ગિરનાર ક્ષેત્રને સરકારે અનામત જંગલ તરીકે જાહેર કર્યું છે. ત્યારપછી ૧૯૬૩માં ગિરનાર ક્ષેત્રમાં આવેલી તમામ જગ્યાઓનો ફોરેસ્ટ સેટલમેન્ટ અહેવાલ બહાર પાડ્યો છે.
 
જે તે સમયે સરકારે ફોરેસ્ટ સેટલમેન્ટ ઓફિસર તરીકે નાયબ કલેક્ટર કક્ષાનાં અધિકારી ડી. ડી. મંકોડીની નિમણૂંક કરી હતી. તેમણે તમામ ધાર્મિ‌ક જગ્યાઓનાં હક્ક હિ‌ત નક્કી કરી આપ્યા હતા. જે મુજબ જગ્યાનાં સંચાલકો, યાત્રિકો, સેવકો અને અનુયાયીઓને આવ-જા કરવા માટે ૨૦ ફૂટ પહોળા, ૧૦ ફૂટ પહોળા તેમજ પગકેડી નક્કી કરી દીધી હતી. ઉપરાંત જગ્યા માટે ઝરણાંમાંથી પાણી લેવાનો, રેતી પથ્થર લેવાનો, ઢોર ચરાવવાનો, સૂકા લાકડાં લેવાનો તેમજ ચાલવા માટે રસ્તાઓ આપ્યા છે. 
 
આ ઉપરાંત ફોરેસ્ટ સેટલમેન્ટ અહેવાલના કિસ્સામાં એક મહત્ત્વની બાબતે એ છે કે, સમગ્ર ગિરનારને અનામત જંગલ જાહેર કરાયું છે. એ પૂરેપૂરી જમીનમાંથી સરકડીયા હનુમાન, માળવેલા, ઝીણાબાવાની મઢી, સુરજકુંડ, બોરદેવી, વગેરે જગ્યાઓને ગિરનારક્ષેત્રની સમગ્ર જમીનમાંથી બાકાત રખાયું છે. તા. ૩૧-પ-૨૦૦૮ નાં રોજ ગિરનારને સરકારે વન્ય પ્રાણી અભયારણ્ય તરીકે જાહેર કર્યું છે.
 
જેમાં આ હક્કો, જગ્યાનાં સંચાલકો, સેવકો, અનુયાયીઓને જે પ્રાપ્ત થયા છે તેની સામે વનવિભાગનાં જવાબદાર કર્મચારીઓએ કે અધિકારીઓએ કોઇ વાંધો લીધો નથી. જેનાં આધારે કોઇ યાત્રિકને રસ્તા પર ચાલવા માટે અટકાવી શકે નહીં કે ધાર્મિ‌ક સંસ્થાની અંદર રાત્રિ રોકાણ કરવા માટે પ્રતિબંધ મૂકી શકે નહીં. પરંતુ જંગલખાતાનાં કર્મચારીઓ અને અધિકારીઓ માત્ર સેવકો, સંચાલકોને મૌખિક રાત્રિ રોકાણ ન કરવું, રસ્તામાં જતા અટકાવવા એવું સ્પષ્ટીકરણ હોય તો વનસત્તાવાળાઓએ તમામને લાગુ પડે એ રીતે એક જાહેરનામું બહાર પાડવું જોઇએ. અને એ જાહેરનામા મુજબ ગિરનાર ક્ષેત્રમાં આવેલી તમામ સંસ્થાઓમાં કોઇ રાત્રિ રોકાણ ન કરે તેનો ખ્યાલ રાખવો જોઇએ. 
 
વનવિભાગ માત્રને માત્ર ચાર-પાંચ સંસ્થાઓને વન્યપ્રાણી અભયારણ્યનાં કાયદા હેઠળ બિનજરૂરી રોકટોક કરે છે. જે ન કરે એવો હુકમ ફરમાવવા માંગણી પણ તેમણે કરી હતી. એટલુંજ નહીં વનઅધિકારીઓ અવારનવાર જગ્યાએ જતા સેવકોને પરેશાન કરતા હોવાની ફરિયાદ પણ ઉઠી હતી.
 
તાજેતરમાંજ સેવકને બહાર કાઢયા હતા
 
આ સાથે સરકડિયાની જગ્યાનાં સેવક, ટ્રસ્ટી/ખજાનચી પ્રવિણભાઇ અમૃતલાલા વિઠ્ઠલાણીએ પણ એસ.પી.ને ફરિયાદ કરી હતી. જેમાં ગત તા. ૧૨ જાન્યુ.નાં રોજ પોતાને વનકર્મચારીઓએ સત્તાનો દુરૂપયોગ કરી, મંડળી રચી, ધાર્મિ‌ક જગ્યાની લાગણી દુભાવવા બળજબરીથી પૈસા પડાવી ગુનાહિ‌ત પ્રવેશ કરવા બદલ પગલાં લેવા માંગણી કરી હતી.

No comments: