Thursday, January 17, 2013

ગીરકાંઠાના વિસ્તારમાં વધતો જંગલી મધમાખીનો ઉપદ્રવ.


Bhaskar News, Amreli | Jan 03, 2013, 01:19AM ISTએક દાયકા પહેલા જંગલી મધમાખીના મધપુડાઓ આટલી મોટી સંખ્યામાં ન હતા

આજથી એક દાયકા પહેલા અમરેલી જીલ્લામાં જંગલી મધમાખીઓની ઉપદ્રવ ભાગ્યે જ જોવા મળતો. સામાન્ય રીતે દક્ષીણ ગુજરાતના જંગલમાં જોવા મળતી આ જંગલી માખીઓ હવે ગીર કાંઠા તથા જીલ્લાના અન્ય વિસ્તારમાં ખુબ જ મોટા પ્રમાણમાં જોવા મળી રહી છે. આ મધમાખીઓનું ઝુંડ વાડી ખેતરોમાં કામ કરતા લોકો પર કે રસ્તા પર પસાર થતા લોકો પર બેરહેમીથી તુટી પડે છે. લોકોને મધમાખીના હુમલાથી બચવા દોડાsદોડી કરી મુકવી પડે છે. અનેક કિસ્સામાં માણસનુ મોત પણ થઇ ચુક્યુ છે. વિશાળ કદના મધપુડાઓ હટાવવા તંત્ર દ્વારા કોઇ જ કાર્યવાહી કરવામાં આવતી નથી.

અમરેલી જીલ્લામાં વાડી ખેતરોમાં લોકો કામ કરતા હોય અને અચાનક કયાંકથી ઉડતુ આવેલુ મધમાખીનું ઝુંડ કામ કરતા લોકો પર તુટી પડે અફડાતફડી મચી જાય તે કોઇ નવાઇની વાત રહી નથી. બલકે હવે વાડી ખેતરોમાં કામ કરતા લોકો પણ આવા ઝુંડના આક્રમણ સમયે સાવચેત બની જાય છે. અને મધમાખેઓ હુમલો કરે તે પહેલા જ બચાવ માટે આમથી તેમ દોડી જાય છે.

અમરેલી જીલ્લામાં અને ખાસ કરીને ગીર કાંઠાના ગામોનું વાતાવરણ આ મધમાખીઓને ભારે અનુકુળ આવી ગયું છે. મોટામોટા મધપુડાઓ બનાવીને હજારોની સંખ્યામાં એક સાથે રહેતી આ પ્રકારની મધમાખીઓ અગાઉ આ વિસ્તારમાં જોવા મળતી ન હતી. પરંતુ પાછલા એક દાયકાથી જ તેનો વિશેષ ઉપદ્રવ શરૂ થયો છે. ખાસ કરીને ધારી, ખાંભા, રજુલા જાફરાબાદ જેવા ગીર કાંઠાના તાલુકાઓમાં તેનો ઉપદ્રવ વિશેષ જોવા મળે છે. આ ઉપરાંત બાબરા તાલુકામાં પણ મધમાખીના હુમલાઓની ઘટના વધુ પ્રમાણમાં જોવા મળી રહી છે.

આ પ્રકારની મોટી મધમાખીઓ સામાન્ય રીતે દક્ષીણ ગુજરાતના જંગલોમાં જોવા મળતી હોવાનું કહેવાય છે. આ મધમાખીઓ ખુબ જ ક્રુરતાથી લોકો પર તુટી પડે છે. વાડી ખેતરમાં કામ કરતા લોકો ખુલ્લી જગ્યામાં હોવાથી ભાગીને દૂર પણ જઇ શકતા નથી. લોકો ભાગે તો પણ આ મધમાખીઓ લોકોનો પીછો કરે છે. અનેક ડંખ મારી ગંભીર રીતે ઘાયલ કરી દે છે. અગાઉ મધમાખીના હુમલાથી બચવા લોકો પાણીના અવેડામાં કુદી પડયા હોય તેવી પણ અનેક ઘટના બની ચુકી છે. અથવા તો શરીર પર કોઇ કપડુ ઢાંકી લેવુ પડે છે. આમ છતાં સંપુર્ણ રીતે તો તેના હુમલાથી બચી શકાતું નથી.

વહીવટી તંત્રની કોઇ મદદ નહી

અમરેલી જીલ્લામાં આવી મધમાખીઓનો જ્યાં પણ ત્રાસ હોય તે વિસ્તારના લોકો મદદ માટે વહીવટી તંત્ર પાસે દોડી જાય છે. પરંતુ તંત્ર દ્વારા તેને કોઇ જ મદદ મળતી નથી. ખાસ કરીને આ પ્રશ્ન મોટાભાગે રેવન્યુ વિસ્તારમાં બનતો હોય વન વિભાગ હાથ ઉંચા કરી દે છે. રેવન્યુ વિસ્તાર વન વિભાગની વિસ્તરણ કચેરીને લાગુ પડતો હોવા છતાં તંત્ર હાથ ઉંચા કરી દઇને લોકોની કદદ કરતું નથી.

No comments: