Thursday, November 28, 2013

બોણીના દૂષણને અટકાવવા ગીર બોર્ડર પર ડીએફઓએ લગાવ્યા બોર્ડ.

Bhaskar News, Amreli | Nov 17, 2013, 23:43PM IST
- જંગલમા પ્રવેશ વિનામુલ્યે હોવાની પ્રવાસીઓને આપી સુચના

દિપાવલીના વેકેશનમા પ્રવાસીઓનું વિશેષ આકર્ષણ ગીરનુ જંગલ રહ્યું હતુ. સિંહની એક ઝલક જોવા મળી જાય તેવી આશા સાથે મોટાભાગના પ્રવાસીઓએ ગીર જંગલમાંથી પસાર થતા રસ્તાની પસંદગી કરી હતી. ત્યારે અમરેલી જિલ્લાના ગીરપુર્વ જંગલમાંથી પસાર થતા પ્રવાસીઓને કોઇ મુશ્કેલી ન પડે તે માટે અને ખાસ કરીને દિપાવલીમા બોણીના દુષણને ડામવા અહીની ચેકપોસ્ટ પર ડીએફઓ દ્વારા જંગલમાં પ્રવેશ વિનામુલ્યે છે કોઇ ચાર્જ લેવામા આવતો નથી તેવા બોર્ડ લગાવવામા આવ્યા હતા.

દિપાવલીના પર્વે રજાઓ માણવા માટે પ્રવાસીઓએ ફરવા માટે જંગલ વિસ્તાર પર જ પસંદગી ઉતારી હતી. આ ઉપરાંત દિવ અને સોમનાથ તરફ જતા પ્રવાસીઓએ પણ જંગલમાંથી પસાર થતા રસ્તામાથી જ પસાર થવાનુ પસંદ કર્યુ હતુ. જંગલમાંથી પસાર થતી વખતે સિંહની એક ઝલક જોવા મળી જાય તે માટે આ રસ્તાની પસંદગી કરી હતી. ગીરપુર્વના સેમરડી, જસાધાર અને ટીંબરવા ચેકપોસ્ટ પરથી દિપાવલીથી અત્યાર સુધી લાખો પ્રવાસીઓ પસાર થયા હતા.

અહી દિપાવલીથી અત્યાર સુધીમાં ૧પ હજાર જેટલા વાહનો પણ પસાર થયા હતા. અહીથી પસાર થતા પ્રવાસીઓને કોઇ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે વનવિભાગ દ્વારા પણ પુરતા પ્રયાસો કરવામા આવ્યા હતા. અહીની ચેકપોસ્ટ પર વાહનનો પાસ આપવા માટે વધુ કર્મચારીઓ પણ ગોઠવી દેવામા આવ્યા હતા.

આ ઉપરાંત ધારી વનવિભાગના ડીએફઓ અંશુમન શર્મા દ્વારા અહીની ચેકપોસ્ટ પર જંગલમાં વિના મુલ્યે પ્રવેશ મળે છે કોઇ ચાર્જ લેવામા આવતો નથી તેવા બોર્ડ પણ લગાવી દીધા હતા. દિપાવલીના તહેવાર પણ બોણીનુ દુષણ વધુ જોવા મળે છે ત્યારે વનવિભાગનો સ્ટાફ આ દુષણથી દુર રહે તેવા આશયથી ડીએફઓ શર્મા દ્વારા આ અનુકરણીય કામગીરી કરવામા આવી હતી.

No comments: