Wednesday, April 30, 2014

ખીલાવડમાં સિંહણ પરિવારનો મુકામ.

ખીલાવડમાં સિંહણ પરિવારનો મુકામ
Bhaskar News, Junagadh | Apr 30, 2014, 01:59AM IST
- ફફડાટ : વનતંત્રની નિષ્ક્રિ‌યતા સામે ગ્રામજનોમાં ભારે રોષ
-
વાડીમાં ત્રણ સિંહબાળ સાથે હોઈ ખેતીકામ માટે શ્રમિકો જઇ શકતા નથી
- વનતંત્રને જાણ કરવા છતાં સ્ટાફ ફરક્યો નથી


ગીરગઢડાનાં ખીલાવડમાં વાડીમાં સિંહણે ૩ બચ્ચા સાથે છેલ્લા આઠ દિવસથી મુકામ કર્યો હોય ખેતીકાર્ય માટે શ્રમિકો જઇ શકતા નથી. બીજી તરફ વનતંત્ર દ્વારા પણ કોઇ કાર્યવાહી થતી ન હોય ખેડૂતોમાં રોષ પ્રસર્યો છે.ગીરગઢડાનાં ખીલાવડની સીમમાં આવેલ વાડીમાં રસીકભાઇ પડશાળાએ બાજરાનાં પાકનું વાવેતર કરેલ હોય અને છેલ્લા આઠ દિવસથી એક સિંહણ ત્રણૂ બચ્ચા સાથે આ વાડીમાં વેકેશન ગાળવા આવતાં ખેડૂતોમાં ગભરાટ પ્રસર્યો છે.

બચ્ચાનાં રક્ષણ માટે સિંહણ શ્રમિકોને પ્રવેશવા દેતી ન હોય વાડી બહાર જ બેસી રહેવું પડે છે. જો કોઇ વાડીમાં જવાની કોશિષ કરે તો સિંહણ તેનો અસલી મિજાજ બતાવે છે. આ સિંહણ સવારથી જ વાડીની આસપાસ આંટા મારતી રહે છે. દરમિયાન આજે સિંહણ વાડીની આસપાસ ન હોય એક શ્રમિક ત્યાં કામ કરતો હતો ત્યારે અચાનક જ સિંહણ આવી પહોંચતા જીવ બચાવવા દોટ મુકતાં આ દ્રશ્ય જોઇ અન્ય લોકોએ હાકલા પડકારા કરતાં સિંહણ બાજરાની વાડમાં ચાલી ગઇ હતી.
 
આ સિંહણ પરિવારનાં મુકામ અંગે વાડી માલિકે જશાધાર રેન્જનાં આરએફઓ બી.ટી. આહિ‌રને પાંચ વખત જાણ કરી હોવા છતાં આજે આવીશું, કાલે આવીશુંનું રટણ કરતા હોય કોઇપણ સ્ટાફ હજુ સુધી ફરકયો ન હોય ખેડૂતોમાં ભારે રોષ પ્રસર્યો છે. આ સિંહણ કોઇ વ્યકિત પર હૂમલો કરે એ પહેલા તેને પાંજરે પુરવા કે જંગલમાં ખદેડી દેવા વનતંત્ર સત્વરે કાર્યવાહી કરે એવી લોકોમાંથી માંગણી ઉઠી છે.

સિંહણ પરિવારને જોવા લોકો ઉમટે છે

ખીલાવડની સીમમાં વેકેશન માણી રહેલ સિંહણ પરિવારને નિહાળવા સ્થાનિક ઉપરાંત આસપાસનાં ગામોમાંથી લોકો ઉમટી રહયાં છે.

No comments: