Bhaskar News, Amreli | Apr 23, 2014, 01:05AM IST
- પ્રતિકૂળ વાતાવરણને પગલે ગત વર્ષ કરતા ઉત્પાદન મોડું અને ઓછું
- માવઠાથી અસર : ધારી-સાવરકુંડલા પંથકમાં કેરીનો પાક પ૦ ટકા જ રહેશે
અમરેલી જિલ્લામાં ખેડૂતો દ્વારા કેસર કેરીનો પાક મોટા પ્રમાણમાં લેવામાં આવે છે. અમરેલી, ધારી, જાફરાબાદ, સાવરકુંડલા અને ખાંભા પંથકમાં અનેક ગામોમાં ખેડૂતો કેસર કેરીની ખેતી કરે છે. પરંતુ ગત વર્ષની તુલનામાં ઓણ સાલ પાકની સ્થિતિ ઘણી ખરાબ છે. પાક મોડો તો છે સાથે સાથે ગત વર્ષની તુલનામાં માંડ પ૦ થી ૬૦ ટકા જેટલો ઉતરશે તેવું જાણકાર વર્ગનું કહેવુ છે. પાછલા દિવસોમાં થયેલા માવઠાના કારણે પણ કેરીના પાકને નુકશાન થયુ હતું.
સૌરાષ્ટ્ર પ્રદેશ કેસર કેરીનું ઘર છે. જુનાગઢ જીલ્લા પછી કેસર કેરીનું સૌથી વધુ ઉત્પાદન અમરેલી જીલ્લામાં થાય છે. ખાસ કરીને ધારી, સાવરકુંડલા, ખાંભા તાલુકામાં ખેડૂતો દ્વારા મોટા પ્રમાણમાં કેસર કેરીની ખેતી કરવામાં આવે છે. ભુતકાળમાં કેસર કેરીએ અનેક વખત ખેડૂતોને રડાવ્યા છે. તો અનેક વખત સારી કમાણી પણ કરાવી આપી છે. એવા પણ કેટલાય કિસ્સા સામે આવ્યા છે કે જોઇએ તેવુ વળતર મળતુ ન હોય. ખેડૂતો કેસર કેરીના આંબા કાપી નાખે છે.

ધારી તાલુકાના દલખાણીયા, ગોવિંદપુર, સરસીયા, કુબડા, ઝાબગીર, હુડલી, ઝર, નાના સમઢીયાળા, દીતલા સહિત તાલુકાના મોટા ભાગના તાલુકામાં ઉપરાંત સાવરકુંડલા તાલુકામાં સેંજળ, કરજાળા, મેવાસા, પીયાવા, મોટા ભમોદ્રા, ઝડકલા, રબારીકા, વડાળ, ખડસલી, જીંજુડા, પીઠવડી. ખાંભા તાલુકામાં કોટડા, ઇંગોરાળા, વીરપુર, રબારીકા વિગેરે ગામો તથા જાફરાબાદ તાલુકામાં નાગેશ્રી તથા આસપાસના તાલુકામાં કેસર પાક લેવાઇ છે.
પાકની ગુણવતા સારી રહેશે
અમરેલીમાં ઓર્ગેનૂીક કેરીનો વેપાર કરતા પર્યાવરણવિદ જીતુભાઇ તળાવીયાએ જણાવ્યુ હતું કે પાક ભલે ઓછો રહે પરંતુ કેરીની ગુણવતા સારી રહેશે. રોહીણી નક્ષત્રમાં સૌથી વધુ કેરી પાકશે. તેમણે એમ પણ જણાવ્યુ હતું કે જે કેરીને આ માવઠામાં કરા અડયા હશે તે કેરી ચાંદાવાળી પાકશે.
સેંજળની કેરીનું બજારમાં આગમન
પાકતી કેસર કેરી હજુ બજારમાં આવતા થોડા દિવસો લાગશે. જો કે એકમાત્ર સેંજળની કેસર કેરી વહેલી પાકી હોય તેનું બજારમાં આગમન થયુ છે. હાલમાં તેનો ભાવ બોક્સના રૂા. ૭૦૦ થી ૯૦૦ ચાલી રહ્યો છે.
ખેડૂતોને ભાવ સારો મળશે-ઉકાભાઇ
દિતલાના ખેડૂત ઉકાભાઇ ભટ્ટીએ જણાવ્યુ હતું કે આંધ્રપ્રદેશ-કેરળમાં ઉત્પાદન ઓછુ છે. વલસાડમાં પણ કેરી ઓછી પાકી છે. જેને પગલે સૌરાષ્ટ્રમાં કેરી પકાવતા ખેડૂતોને ભાવ સારો મળવાની ધારણા છે. હાલમાં પ૦ થી ૬૦ કીલોના ભાવે વેચાઇ રહી છે.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-mengo-corp-worst-for-rain-price-will-be-hike-4589987-PHO.html?seq=3
No comments:
Post a Comment