Friday, April 25, 2014

સાવજોનું અસ્તિત્વ જોખમમાં, ૭૦૦ વિઘાનું જંગલ આગમાં ખાક.

Bhaskar News, Amreli | Apr 24, 2014, 02:48AM IST
સાવજોનું અસ્તિત્વ જોખમમાં, ૭૦૦ વિઘાનું જંગલ આગમાં ખાક
૭૦૦ વિઘા જંગલનું ઘાસ આગમાં ખાક
- સાવજોનાં રહેઠાણ વિસ્તારમાં જાણી જોઇને દવ લગાડાય છે ?
-
ભસ્મિભૂત : ક્રાંકચની સીમમાં ફરી વિકરાળ દવ, વન વિભાગનો કાફલો ઘટના સ્થળે દોડયો

અમરેલી જીલ્લામાં રેવન્યુ વિસ્તારમાં મોટા પ્રમાણમાં સાવજોનો વસવાટ છે. ખાસ કરીને લીલીયા તાલુકાના ક્રાંકચ તથા આસપાસના વિસ્તારમાં શેત્રુજી નદીના કાંઠે બાવળની કાંટમાં મોટી સંખ્યામાં સાવજો વસી રહ્યા છે ત્યારે આજે સાવજોના ઘરમાં ફરી એકવાર વિકરાળ દવની ઘટના બની હતી. ક્રાંકચ, શેઢાવદર અને જુના સાવર એમ ત્રણ ગામના સીમાડે બાવળના જંગલમાં દવ લાગતા ૭૦૦ વિઘા જેટલી જમીનમાં બાવળ, ઘાસ અને વન્ય જીવસૃષ્ટિને નુકશાન થયુ હતું. વનતંત્રનો કાફલો ઘટનાસ્થળે દોડયો હતો પણ મોડે સુધી દવ કાબુમાં આવ્યો ન હતો.

સૌરાષ્ટ્રને ગૌરવ અપાવનાર સાવજો પર કોઇને કોઇ આફત આવતી જ રહે છે. પછી તે સાવજોના ટ્રેઇન હડફેટે મોત, વાહન હડફેટે મોત, વિજ કરંટ લાગવાથી, ફાંસલામાં ફસાવાથી, શીકારના કારણે કે કુવામાં પડતા મોત જેવી ઘટનાઓની સાથે સાથે તેમના રહેણાક વિસ્તારમાં વારંવાર દવની ઘટનાઓ પણ બની રહી છે. જેના કારણે આ ખુંખાર પ્રાણીઓ ડીસ્ટર્બ થઇ રહ્યા છે. ઓણ સાલ ગીર જંગલમાં ભાગ્યે જ દવની ઘટના બની છે. પરંતુ જ્યાં સાવજોનું એક મોટુ ઝુંડ વસવાટ કરે છે તે ક્રાંકચ તથા અસપાસની સીમમાં વારંવાર દવની ઘટના બની રહી છે.

આજે ફરી એકવાર અહિં વિકરાળ દવ લાગ્યો હતો. સુત્રોમાંથી જાણવા મળતી વિગત અનુસાર ક્રાંકચ, શેઢાવદર અને જુના સાવર એમ ત્રણ ગામના સીમાડે આવેલ ખાંટની ઓઢ નજીકના વિસ્તારમાં બાવળના જંગલમાં દવની આ ઘટના બની હતી. એવું જાણવા મળેલ છે કે દવની શરૂઆત બપોરના સમયે થઇ હતી અને જોતજોતામાં ચારેય દિશામાં પ્રસરવા લાગ્યો હતો. આ વિસ્તાર સાવજોનું ઘર છે. ત્યારે વન્ય પ્રેમીઓ દવની આ ઘટનાથી ચિંતીત બન્યા હતાં.

સાવજોનું અસ્તિત્વ જોખમમાં, ૭૦૦ વિઘાનું જંગલ આગમાં ખાક
એવું કહેવાય છે કે અહિં રાત સુધીમાં આશરે ૭૦૦ વિઘાથી પણ વધારે વિસ્તારમાં દવના કારણે વન્ય જીવસૃષ્ટિનો નાશ થયો હતો. દવની ઘટનાની જાણ થતા સ્થાનીક આરએફઓ બી.પી. અગ્રવાલ ફોરેસ્ટર બી.એમ. રાઠોડ, બીટગાર્ડ બિપીનભાઇ ત્રિવેદી વિગેરે સ્ટાફ સાથે ઘટનાસ્થળે દોડી ગયા હતાં અને મજુરો તથા સ્થાનીક લોકોની મદદ લઇ દવ પર કાબુ મેળવવા પ્રયાસ હાથ ધર્યો હતો. મોડેથી મોટાભાગનો દવ શમી ગયો હતો. આમ છતાં દવ પર સંપૂર્ણ કાબુ મેળવાયો ન હોય વનતંત્ર તે માટે કામે લાગેલુ હતું.
અત્રે ઉલ્લેખનીય છે કે થોડા દિવસ પહેલા પણ અહિં દવ લાગ્યો હતો તે સમયે એક વખત દવ પર કાબુ મેળવાયા બાદ ફરી તે જીવંત થયો હતો અને વનતંત્રની દોડધામ વધી હતી. સાવજોના રહેણાંક વિસ્તારમાં વારંવાર દવ કેમ લાગી રહ્યો છે તે અંગે ઉંડી તપાસની જરૂરીયાત છે.
સાવજોનું અસ્તિત્વ જોખમમાં, ૭૦૦ વિઘાનું જંગલ આગમાં ખાક
એક માસમાં દવની પાંચમી ઘટના
લીલીયા તાલુકામાં જે વિસ્તારમાં વારંવાર દવની ઘટના બની રહી છે ત્યાં કોઇ અજાણ્યા શખ્સો દ્વારા જાણી જોઇને દવ લગાડવામાં આવતુ હોવાનું કહેવાય છે. પાછલા એક માસ દરમીયાન આ વિસ્તારમાં જ દવની પાંચમી ઘટના બની છે. આ વિસ્તારમાં સરકારી ખરાબાની જમીનો ઉપરાંત માલીકીની વીડીઓ પણ આવેલી છે. અહિંના જંગલમાં બાવળ ઉપરાંત ઉંચુ ઘાસ ઉગી નિકળે છે. જે આ દવમાં નાશ પામે છે.
http://www.divyabhaskar.co.in/article/SAU-AMR-fire-in-forest-in-amreli-lion-home-burn-4591063-PHO.html?seq=3

No comments: