Thursday, February 23, 2012

રાજુલાનું સિંહ સરઘસ પ્રકરણ: તપાસનો ધમધમાટ.


Source: Bhaskar News, Rajula   |   Last Updated 1:36 AM [IST](20/02/2012)
સબ ડીએફઓ દ્વારા નિવેદનો લેવાની કાર્યવાહી શરૂ કરાઇ
જાફરાબાદના ચૌત્રા ગામે એક માસ પહેલા ગંભીર હાલતમાં બિમાર સિંહ મળી આવતા સિંહની સારવાર કરવાને બદલે રાજુલા લાવી કડકડતી ઠંડીમાં આખી રાત રાખી સવારમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે સિંહનું સરઘસ કાઢવાની ઘટનામાં ગાંધીનગરથી વનમંત્રીએ તપાસના હુકમો કરતા તપાસનો ધમધમાટ શરૂ થયો છે.
આ પ્રકરણમાં વનવિભાગના સબ ડીએફઓ દ્રારા નિવેદનો નોંધવામાં આવી રહ્યાં છે. પ્રાપ્ત વિગત અનુસાર જાફરાબાદના ચૌત્રા ગામેથી જાન્યુઆરી માસમાં એક બિમાર સિંહ મળી આવ્યો હતો. આ બિમાર સિંહને જસાધાર એનીમલ કેર સેન્ટરમાં સારવાર માટે ખસેડવાને બદલે રાજુલા લાવવામાં આવ્યો હતો. અને જ્યાં કડકડતી ઠંડીમાં આખી રાત પાંજરૂ ઢાંકી રાખવામાં આવ્યો હતો.
બાદમાં સવારે બિમાર સિંહનું રાજુલાની બજારમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે સરઘસ કાઢવામાં આવતા હજારો લોકો સિંહ દર્શન માટે એકઠા થતા સિંહની હાલત કફોડી બની હતી. આ ઘટના અંગે ગીર નેચર યુથ ક્લબના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળા તેમજ રાજુલાના વિનોદભાઇ પરમારે ગાંધીનગર સુધી કરી હતી. આ બાબતે વનમંત્રીએ તપાસના હુકમો કર્યા હતાં.
તપાસનો ધમધમાટ શરૂ થતા અમરેલીના સબ ડીએફઓએ ગીર નેચર યુથ ક્લબના પ્રમુખ ભીખુભાઇ બાટાવાળાનું નિવેદન નોંધ્યું હતું. અને સિંહના સરઘસના પુરાવા રૂપે સીડી સહિતના પુરાવા એકઠા કર્યા હતા. આ ઉપરાંત રાજુલા રહેતા વિનોદભાઇ પરમારનું પણ નિવેદન નોંધ્યું હતું.
સિંહના સરઘસની આ ઘટનામાં આરએફઓ સામે કડક પગલા લેવામાં આવનાર હોવાનું જાણવા મળેલ છે. આ ઉપરાંત આ ઘટનામાં પોલીસ સામે પગલા લેવા ગૃહખાતા અને વનવિભાગમાં ગીર નેચર યુથ ક્લબ દ્રારા રજુઆતો કરવામાં આવી છે.

No comments: